આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





[૧૫]


છોટે મહંત

મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન કરી, રણછોડરાયજીનાં દર્શન કરીને જમાત બદરીકેદારની જાત્રાએ જનાર છે.

મહંત ભેરવનાથજીની મહત્તા અને જાહોજલાલીનો પાર નથી. ગોકુળિયા જેવાં ત્રણ ગામડાંનો ગરાસ એમને ત્યાં ઠલવાય છે. એ ઉપરાંત ભાવિકો તરફથી મહંતજીના ચરણકમળમાં અઢળક નાણાંનો ઢગલો થાય છે. ભેરવનાથજીનો દોરદમામ અને ઠાઠ અમીરી છે. અત્યારે જાત્રાએ નીકળ્યા હોવા છતાં એમની રહેણીકરણી બધી રજવાડી જ છે. સાથે મ્યાના, પાલખી અને ગાડાંગડેરાંનો પાર નથી. જ્યાં મુકામ નાખે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં તંબૂ–રાવટીઓ તણાઈ જાય છે. આલીશાન રસોડામાં માથોડું ઊંચા દેગ ચડી જાય છે. એની માથે નિસરણીઓ માંડીમાંડીને સાધુ લોકો ખીચડી ઓરે છે.

મહંતજીની રાવટી ઉપર ભગવી ધજા ફરકે છે. તખ્ત ઉપર બિરાજેલા ભેરવજીને ચામરછત્ર ઢોળાય છે. બહાર બે સાધુઓ નેકી પોકારે છે. પહોરે પહોરે ચોઘડિયાં લાગે છે. નિશાન ડંકા ને નોબત આ સાધુની સત્તા અને સાહ્યબી સૂચવે છે.

પોરો ખાઈને સંઘ આગળ ચાલે એટલે તરત આ વૈભવલીલા સંકેલાઈ જાય અને ઉચાળા ભરીને સહુ આગળ વધે. મીંગોળાની