આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની ક-દુઆ
૧૩૧
 

 આભાશા તો ઇલાહી આદમી છે. મારા જેવા એકાદ ઉપર થોડીક…’

‘હવે ગાલાવેલો થા માં, ગાલાવેલો !’ ચતરભજે ઠઠ્ઠાસૂચક સ્વરમાં, વચ્ચે વચ્ચે જોશભેર ડચકાં ખાતાં કહ્યું : ‘અમારા ઘરમાં તી શું નાણાંની ટંકશાળ પડે છે ? કે રૂપિયાનાં ઝાડ ઊગે છે ? પાડોશમાં રહીને એવું કાંઈ ભાળી તો નથી ગ્યો ને ?’

‘માબાપ, તમારે તો ભર્યા દરિયામાંથી ચાપવું પાણી ઓછું થયા જેવું…’

‘હવે બેહ, બેહ, એમ સંધાયને ચાપવું ભરી ભરીને આપવા બેહીએ તો સાંજ મોર અમારું દીવાળું નીકળે ને આ પેઢીને બદલે સદાવ્રતી ધરમશાળા થઈ જાય…’ ચતરભજે કહ્યું.

લાખિયારની જીભે વેણ આવીને અટકી ગયા ? ‘બાપા, સાચે જ એવું થશે. શેઠના કુંવરનાં લખણ તો સંધાય એવાં જ છે.’ પણ એ શબ્દો ગળી ગયો અને જ્યારે લાગ્યું કે આ તો વેકુર પીલીને તેલ કાઢવા જેવું દુર્ઘટ કાર્ય છે ત્યારે એ કિસ્મતને દોષ દેતો લાકડી ઠબકારતો અને ખોંખરા ખાતો આવ્યો હતો એવી રીતે જ ડેલી બહાર નીકળી ગયો.

પોતાના ખોરડા તરફ વળતાં અનાયાસે જ લાખિયારના મોંમાંથી કદુઆ નીકળી ગઈ :

‘તારી પેઢી પડીને ધરમશાળા જ થાશે, ને એમાં વેપારને બદલે સદાવ્રત હાલશે.’

*