આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
વ્યાજનો વારસ
 

 જ કરતી.

અત્યારે નંદન રાબ બનાવવા તો ગઈ, પણ એનો જીવ આ ઓરડામાં જ હતો. જિંદગીનું સત્વ લુંટાવી બેઠેલી નંદન હવે એના અવશેષોના ભંગાર-ટુકડાઓને અત્યંત કૃપણતાથી વળગી રહી હતી.

નંદન બહાર ગઈ કે તુરત આભાશાએ પોતાની પથારી તળેથી એક લાંબો દસ્તાવેજ બહાર કાઢ્યો અને એમાં સહી કરીને લશ્કરી શેઠના હાથમાં સોંપતાં બોલ્યા:

‘જીવનનું સર્વસ્વ સુલેખાના હાથમાં સોંપુ છું. સ્વીકારો !’

લશ્કરી શેઠ વીલની નકલ વાંચી ગયા. મોંના મલકાટ સાથે કાગળનું ભૂંગળું વાળીને ગજવામાં મુકવા જાય છે ત્યાં જ નંદન બારણામાં આવીને ઊભી રહી. એને લાગ્યું પેલી પારકી જણી સુલેખડીનો બાપ આ ઘરની બધી જ માલમતા લૂંટીને ગજવામાં ધાલી રહ્યો છે. કોણ જાણે કેમ પણ નંદન આપોઆપ એક જાતની અકિંચનતા અનુભવી રહી.

પરિણામે, નંદન બમણી કૃપણતાથી આભાશાના શેષ જીવનની રક્ષા કરવા લાગી.

આભાશાના જીવનાશેષો ઉપર માનવંતીનો પણ સરખો જ હક્ક હતો, પણ નંદન એ બાબતમાં શિરજોરી કરીને પોતાનું સુવાંગ શાસન સ્થાપી રહી હતી. ઘરની પરસાળમાં પણ જેણે મજિયારાપણું ન સહેવાતાં આડી વંડી ચણાવી લીધી, એ આપ-૨ખી નંદન પતિહૃદયમાં તો સહિયારાપણું શું સાંખી શકે? આ બાબતમાં તો એ આડી વંડી ચણીને પણ માનવંતીને પતિ હૃદયનો ટુકડો સરખો આપવા તૈયાર નહોતી. માનવંતી ભૂલેચૂકેય આ બાજુ આવી ચડે તો નંદન હડકાઈ કૂતરીની જેમ એની સામે ઘૂરકત:

‘આંહી તારો કયો ડાબલો દાટ્યો છે તે લેવા આવી છો?’

‘ડાબલો નથી દાટ્યો પણ મારો ધણી તો છે ને? મારા માથાનો મોડ....’