આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
વ્યાજનો વારસ
 


પૈસાનો ધરમ કરવો પડશે.' અમરતે કાંઈક લાડમાં આગ્રહ ચાલુ રાખ્યો

'ધરમ તો કરવાનો જ છે ને ! વિમલસૂરીજી કહી ગયા છે એટલું તો કરવું જ પડશે. સાધુસાધ્વીનો સંઘ કાઢીને ગિરનાર ઉપર નેમનાથ ભગવાનને હાર ને છતર ચડાવ્યાં વિના છૂટકો છે ? ને સમત-શિખર ને કેસરિયાજી પણ...'

'પણ ઈ તો હજી છોકરો હાથમાં હાર લઈને ભગવાનની ડોકમાં પહેરાવે એવડો ઊંવો થાય ત્યારે ને ? ઈ તો, માનતા પૂરી કરી કહેવાય. ઈ કાંઈ ખુશાલીમાં ન વદે..' પુત્રજન્મની ખુશાલી આભાશા કરતાંય અમરતને વિશેષ હોય એમ લાગતું હતું. 'ખુશાલીનો ધરમ તો અટાણે જ કરો ઈ સાચો.’

'નિશાળનાં છોકરાંને સાકર વહેંચવાનું તો ચતરભજને કહેતો આવ્યો છું.' આભાશાએ કહ્યું.

'સાકર-ટોપરાં તે કાંઈ ધરમમાં વદતાં હશે ભાઈ ? તમે પણ આવડા થયા તોય હજી સાવ—'

તો પછી તમે જ બોલોને બહેન, કે આમ કરો ને તેમ કરો... ઝટ ફેંસલો.'

'હું તો કહું છું કે ગોંદરે ગાયુંને ખડ નીરો. પાંજરાપોળમાં કપાસિયા આપો, કબૂતરને ચણ નાખો. કૂતરાંના રોટલા સારુ બે મણ દાણો મોકલો.' અમરતે ઉત્સાહમાં સૂચનો ચાલુ રાખ્યાં.

આભાશાને બહેનનાં સૂચનો ગમ્યાં. વળી, એ નિમિત્તે ગામમાં પુત્રજન્મની થોડી આપમેળે જાહેરાત થઈ શકતી હતી એ વાત પણ તેમને રૂચિ. તરત તેમણે ધમલાને પેઢી ઉપરથી ઘરે બોલાવી લીધો અને બહેને સૂચવેલ સખાવતની શરૂઆત કરાવી. આભાશા પાંજરાપોળના આગેવાનોમાંના એક હતા, એટલે પાંજરાપોળના મહેતાજીને આજે પેઢીને ખર્ચે ખોડાં ઢોરને ખડ અને કપાસિયા નાખવાનું કહ્યું.

ગોંદરે ઓણ સાલ આખો ઉનાળો ઘાસ વિના ગયો હતો અને