આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





[ ૩૬ ]


અન્નદેવની ઉપાસના

હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું.

ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્યારે જાળિયામાંથી આ પરસાળની દીવાલને જમીનદોસ્ત થતી જોતી ત્યારે પોતાના જીવનકાર્યનો – સર્જનનો સંહાર થતો અનુભવતી. અને જાણે એ સંહારનો આનંદ વ્યક્ત કરતી હોય એમ બારીમાં ઊભી ઊભી બેફામ હસ્યા કરતી.

હવે આ મકાનની પરસાળમાં કે પ્રેમમાં કોઈની મજિયારી માલિકી જેવું રહ્યું જ નહોતું. બધું જ સુલેખાની સુવાંગ માલિકીનું હતું. એ સુવાંગ માલિકીના પહેલા પ્રયોગ તરીકે સુલેખાએ દલુની સહાય લઈને રિખવના સ્મારક માટે અન્નક્ષેત્ર સ્થાપવાની યોજના ઘડી કાઢી.

ચતરભજના વહીવટ-કાળ દરમિયાન લાખિયારની બાજુના ચારેક ખોરડાં ઉપર તહોમતનામાં બજાવીને એને ખંડી લેવામાં આવ્યાં હતાં. એ ખોરડાંની જગ્યાનો, અન્નક્ષેત્ર કરતાં વધારે સારો ઉપયોગ બીજો નહિ થઈ શકે એમ વિચારીને સુલેખાએ એ બધાં મકાનો પાડીને એની જગ્યાએ એક વિશાળ ખંડ બાંધ્યો. ફરતું મોટું ફળિયું ખુલ્લું રખાવ્યું. ફળિયાની વચ્ચે એક કૂવો ખોદાવ્યો અને આજુબાજુ નાનકડા બગીચા જેવું બનાવ્યું.

થોડા સમયમાં, રિખવ શેઠના સ્મારકની ગામેગામ જાણ થઈ