આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અન્નદેવની ઉપાસના
૨૮૫
 

 ગઈ અને અભ્યાગતો એ અન્નક્ષેત્રનો લાભ લેવા લાગ્યા.

ફરી ગામલોકોને ટીકા કરવાની સામગ્રી સાંપડી રહી. આભાશાની વિધવા પુત્રવધૂ અન્નક્ષેત્ર ચલાવે છે એટલું જ નહિ પણ લૂલાં–લગડાં તેમ જ રગતપીતિયાં સુધ્ધાંને હાથોહાથ ભોજન પણ પીરસે છે એ જાણીને લોકોની જીભ સળવળી ઊઠી.

‘કુટુમ્બની પડતી દશા બેસે ત્યારે આવા જ ધંધા સૂઝે.’

‘ખોળિયું ઉચ્ચ વરણનું જડ્યું છે, પણ એના સંસ્કાર તો જુઓ ! બાવાસાધુને અડીને અભડાવે છે !’

‘એમાં એનો વાંક નથી. એના ઘરનું નાણું જ એવા હલકા વરણનું છે, એનો ઉપયોગ પણ એ જ થાય ને ?’

પણ આવી નિંદા કે કુથલીની લગીરે પરવા કર્યા વિના સુલેખા તો પોતાના જીવનકાર્યને આગળ ધપાવી રહી છે. એમાં એને રઘી બહુ મદદકર્તા થઈ પડી. હવે રઘીને અમરતના ચાબુકની બીક જતી રહેવાને કારણે સુલેખા સાથે એ વધારે ને વધારે આત્મીય બનતી જતી હતી. બન્ને જણીઓ કેમ જાણે સગી બહેનો હોય અને સમાન જીવન–કાર્ય માટે નિર્માઈ ચૂકી હોય એમ એ સમદુઃખિયારીઓ વરતી રહી હતી.

છતાં એક મુશ્કેલી હતી. અન્નક્ષેત્રની રોજિંદી વ્યવસ્થા ઉપાડી લે એવી કોઈ સેવાભાવી વ્યક્તિ મળી શકતી નહોતી, સ્વૈચ્છિક સાધુત્વ સ્વીકાર્યું હોય એવા કોઈ પરગજુ પરિવ્રાજકની ખોજ સુલેખા કરી રહી હતી, આજ દિવસ સુધીમાં અહીં આવી ગયેલા અનેક સાધુ–સંતોને આ અન્નક્ષેત્રમાં કાયમી નિવાસ કરીને ગામની સેવા કરવા માટે સમજાવી જોયા હતા. પણ હજી સુધી કોઈ લાયક માણસ તૈયાર થયું નહોતું. અને જે થોડાઓએ કાયમી નિવાસ માટે સંમતિ દર્શાવી હતી તેમનામાં આ સેવાકાર્ય માટે જરૂરી તપશ્ચર્યા નહોતી.

દરમિયાન સુલેખા અને રઘી અન્નક્ષેત્રના સંચાલનમાં શક્ય