મહેમાનો ઓ વ્હાલાં
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'



મહેમાનોને સંબોધન


મહેમાનો ! ઓ વ્હાલાં ! પુનઃ પધારજો !
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો !
કરજો માફ હજારો પામર પાપ જે
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો !
મહેમાનો ! ઓ વ્હાલાં ! પુનઃ પધારજો !

ઉન્નત ગિરિશૃંગોનાં વસનારા તમે :
ઉતર્યાં રંક ઘરે શો પુણ્ય પ્રભાવ જો !
શુશ્રૂષા સારી ના અમને આવડી :
લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો !
મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો !

🙝