મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જોહાન્સબર્ગમાં બદલી

← અનુભવ બીજો : તે માટે હિંદુઓને અણગમો મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: જોહાન્સબર્ગમાં બદલી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : મિત્રોને લાગણી →


જોહાન્સબર્ગમાં બદલી.

ઉપર પ્રમાણે વોક્સર્સ્ટની જેલમાં કામનો હેવાલ હું આપી ગયો છું. પણ મારા બે મહિના પૂરા કંઇ તે જેલમાં નહિ ગએલા, અને ક્ટલાક દિવસને સારૂ અચાનક જોહાન્સબર્ગ મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં જે બન્યું તે જાણવા જેવું છે. ૨૫મી અક્ટોબરે મને ત્યાં લઇ જવામાં આવ્યો. તેનું કારણ મારે દરજી ડાહ્યાના કેસમાં જુબાની આપવાનું હતું. તે સિવાય બીજાં કારણો હશે એમ બહુ તર્કવિતર્ક થતા હતા. આશાએ ભર્યાં બધા એમ પણ માનતા હતા કે કદાચ મિ. સ્મિટ્સની મુલાકાતની પણ વાત હોય. પાછળથી જોવામાં આવ્યું કે એવું કંઇજ ન હતું. મને લઇ જવાને જોહાન્સબર્ગથી એક ખાસ દરોગાને મોકલવામાં આવ્યો હતો. એ દરોગાને તથા મને રેલવેનો એક ડબો મળ્યો હતો. ટીકીટ બીજા વર્ગની હતી, તેનું કારણ એજ હતું કે ત્રીજા વર્ગના ડબ્બા ન હતા. કેદીઓને ત્રીજા વર્ગમાંજ લઇ જવાતા હોય એમ જણાય છે. રસ્તામાં પણ પોશાક કેદીનોજ હતો. મારો સામાન હતો તે મારી પાસેજ ઉપાડવામાં આવ્યો હતો. જેલથી સ્ટેશન સુધી ચાલતા જવાનું હતું. જોહાન્સબર્ગ પહોંચ્યા પછી ત્યાંથી જેલ સુધી સામાન ઉંચકીને ચાલતા જવું પડ્યું. આ વાત ઉપરથી છાપાંઓમાં બહુ ટીકા થયેલી. વિલાયતની પાર્લામેંટમાં સવાલ પૂછાએલા. ઘણા લોકોના મન દુઃખાયાં. સહુને એમ લાગી આવ્યું કે મારા જેવા રાજપ્રકરણી કેદીને જેલીના પોશાકમાં ચાલતો ને બોજો ઉંચકાવીને લઇ જવો નહોતો જોઈતો.