← દુદાજીની ડેલીએ રા' ગંગાજળિયો
ઝેરનો કટોરો
ઝવેરચંદ મેઘાણી
તીર્થના બ્રાહ્મણો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ નવમું
ઝેરનો કટોરો

ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કૈં કૈં બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આપસઆપસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણીઆતી કરીમૂકી હતી. ગુજરાતના સૂબા ઝાફરખાને ચાતુરી વાપરી દિલ્હીના ધણી બનવાના બખેડાઓ કરનારાઓમાંથી એકેયની મદદે જવાનું માંડી વાળ્યું હતું. ગુજરાત દીલ્હીનું બચ્ચું મટી ગઇ, સૂબો સુલતાન બન્યો, નામ ધારણ કર્યું મુઝફ્ફરખાન. સોમનાથને ચોથી વાર ભાંગનાર ને રોળનાર પંજો એ મુઝફફર ખાનનો. એની તલવાર બેઉ બાજુ ચાલી રહી હતી. એક સપાટો એણે ગુજરાતની આસપાસના રાજપૂત રાજ્યો પર ચલાવ્યો હતો, ને બીજો સપાટો સુલતાનીઅતના પ્રતિસ્પર્ધી સર્વ મુસ્લિમ સુબાઓ પર.

એક વાર એ પણ જૈફ બન્યો. જૈફ પલંગ પર સૂતો છે. અંધારી રાત છે. ઓરડાનાં દ્વારમાંથી એક હાથનો પડછાયો એના પલંગ પાસે દિવાલ પર પડે છે. પડછાયામાં આલેખાએલા એ પંજામાં એક કટોરો છે. જૈફ સુલતાન પડખું ફેરવે છે. સામે ખડો છે પોતાનો જ સગો પૌત્ર. પોતાના ગુજરી ગએલ દીકરા મહમ્મદનો પુત્ર અહમદખાન. દિવાલ પરની છાયા જૂઠી નહોતી. પૌત્રના હાથમાં કટોરો હતો.

'આ કટોરો પી જાવ દાદા.' પૌત્રે જાણે દવા પાતો હોય તેવા મિજાજથી કહ્યું.

'શું લાવેલ છો ભાઇ?'

'ઝહર.'

'શા માટે ? મને-તારા દાદાને ઝહર ? તારા જ હાથે?'

'આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું દાદા ! પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો.'

'આલિમોએ શું કહ્યું?'

'કહ્યું છે કે એક શખ્સ બીજા શખ્સના બાપને બેગુનાહ મારી નાખે તો તેનું વૈર લેવું ધર્મમાં મંજૂર છે. આ રહ્યો કાગળ. જુવો દાદા, મોં'ની વાત નથી કરતો. લખાવીને લાવ્યો છું.'

એમ કહીને પૌત્રે દાદાને લખેલો કાગળ બતાવ્યો. જૈફ ઝફરખાને હસીને કહ્યું:

'તારા બાપને-મારા બેટાને મેં નથી માર્યો. મને એણે કેદી કરીને રાખ્યો હતો. છતા ય મેં એને ચાહ્યો હતો. એને ઝેર દેનારાઓને મારી શીખવણી નહોતી.'

'દાદાજી, એને મરાવીને આપે ફરી સુલતાનીઅત ભોગવી છે.'

'એ સુલતાનીઅત એક પણ દિવસ આંસુથી ભીંજાય વિના રહી નથી. એ સુલતાનીઅતનો પ્રત્યેક દિન તને તાલીમ આપવામાં ને મોટો કરવામાં ગયો છે.'

'હવે હું મોટો થઇ ચૂક્યો છું દાદા.'

'બસ, તો હું પણ રવાના થવા તૈયાર છું. તેં ઝહર ન આણ્યું હોત તો પણ હું તો દરવેશ જ બનત.'

'એ જોખમ હું કેમ ખેડી શકું?'

'કંઇ ફિકર નહિ. લાવ કટોરો.'

ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લઇને એણે પૌત્રને કહ્યું : 'બેસ બેટા, થોડી ભલામણો કરી લઉં તેટલી વેળા મંજૂર છે?'

'બોલો બાબાજાન.'

'પહેલી વાત તો એ કે જે લોકોએ તને આ કામ કરવા ચડાવ્યો છે, તેમની દોસ્તી ન રાખતો. તેમને ય બીજી દુનિયાના દરવાજા દેખાડજે. દગલબાજનું લોહી હલાલ છે.'

એ બોલવામાં સુલતાનનો સુર કશો જ ફરક બતાવતો નહોતો. મોતનો કટોરો પોતાના કલેજાની, ને હોઠની નજીક છે તેનો કશો ય રંજ નહોતો.

'ને બીજું બેટા, દારૂથી દૂર રહેજે. એ છંદથી પાદશાહે ચેતતા રહેવું. શરાબના પ્યાલામાં દુઃખનો તોફાની દરિયો છૂપાયો છે.

'ત્રીજી સલાહ, રાજમાં બખેડો કરાવનાર શેખ મલીકને ને શેર મલીકને જિંદગીના તખ્તા પરથી સાફ કરજે.'

'ચોથું, દીનો દરવેશોની ફિકર રાખજે. રાજા પોતાની રૈયતને લીધે જ તાજદાર થાય છે. રૈયત મૂળ છે, ને સુલતાન વૃક્ષ છે. પ્રજાને રંઝાડી તારું મૂળ ન ઉચ્છેદતો.

'ને છેલ્લું, એકલા પોતાના જ સુખને ચાહી બેસી રહીશ ના.'

'બધું તારું જ હતું, તારૂં જ બધું તને સુપુર્દ થાય છે. ઉતાવળની જરૂર નહોતી. બાકી તો આ દુનિયાની અંદર આવે છે તે મરે જ છે. કાયમ તો રહે છે માત્ર એક ખુદા.'

'લે બેટા, આખરી સલામ.'

શરબત પીતો હોય તેટલી જ લજ્જતથી સુલતાન ઝેર ગટગટાવી ગયો હતો. ઝેર પીતે પીતે પણ એણે સુલતાનીઅતના પાયા પૂર્યા હતા. ઝેર દેનાર પૌત્રની એણે જીંદગી સુધારી હતી. શરાબથી સો ગાઉ દૂર રહેનારા નવા સુલતાન અહમદશાહે રાજપૂત રાજાઓના સંગઠનને પીછડે પીછડે ઉચ્છેદી નાખ્યું હતું. પોતાના હરીફ કાકાની એકેએક ચાલને તેણે શિકસ્ત આપી હતી. લશ્કરના સિપાહીઓને અરધ રોકડ દરમાયો ને અરધ ખર્ચ માટે જમીનો આપવાનું ડહાપણ કર્યું હતું. પરિણામે એની પાછળ લડાઇમાં ચાલનારા યોદ્ધાઓને ખપી જવાનો ડર નહોતો, કેમકે પાછળ રહેનાર કબીલાનો પેટગુજારો કરનારી જમીન મોજૂદ હતી, બાકીના રોકડ પગારને પણ ઢીલ વગર ચૂકવી આપવાની સુલતાનની આજ્ઞા હતી.

એવા સંતુષ્ટ લશ્કરને જોરે પગલે પલગે જીત કરનાર અહમદશાહે વચગાળાનાં એક એક વર્ષની મુદ્દત સુધી ચડાઇઓ બંધ રાખી હતી. સેનાને આવા આરામના ગાળા મળી રહેતા હતા.

અમદાવાદ નામના આલેશાન શહેરનો પાયો નખાઇ ચૂક્યો હતો. બે જ વર્ષમાં પૂરા બંધાઇ રહેલ એ કોટ ઉપર આજે બીજાં પંદર વર્ષો વરસી ચૂક્યાં હતાં. પાટનગર પાટણથી આ સાબરમતી-તીર પર ફેરવાઇ ગયું હતું. સાબરમતીના તીર પર બેઠો બેઠો સુલતાન માળવા અને ચાંપાનેર, ઇડર અને નાંદોદની ખંડણીઓ ઊઘરાવતો હતો. મંદિરો તૂટતાં હતાં, મસ્જિદો ખડી થતી હતી. હિંદુઓની ઇશ્વરોપાસના લોપતો પોતે એક દિવસ પણ પ્રભાતની નમાઝ ચૂકતો નહોતો. ઠેર ઠેર મિનારા ખડા કરતો ને કોટ કિલ્લા સમરાવતો હતો. ઠેર ઠેર એનાં થાણાં સ્થપાયાં હતાં. ઈન્સાફ પણ એ કરડા તોળાતો હતો.

ખુદ પોતાના જ જમાઈએ એકવાર જુવાનીના તોરમાં ને સુલતાનની સગાઈના જોરમાં એક નિર્દોષ માણસનું ખૂન કર્યું.

'ખડો કરો એને કાજીની અદાલતમાં. સુલતાને ફરમાન દીધું.

'મરનાર વારસને નુકશાનીમાં બસો ઊંટ આપવાં.' કાજીએ સુલતાનને સારું લગાડવા ન્યાય પતાવ્યો.

'અગર મરનારનો વારસ માલથી રાજી થયો છે, પણ મને કબૂલ નથી.' એટલું કહીને સુલતાને પૂરો બદલો લેવા આજ્ઞા કરી : 'મારી મહેરબાની ભોગવનાર ફરીથી આવી હિંમત ન કરે, એટલા માટે એને ભરબજારમાં શૂળી પર ચડાવો.'

શૂળી પર પ્રાણ ગયા પછી વળતા જ દિવસે જમાઇની લાશને નીચે ઉતારી દફન દીધું. એ ઇન્સાફની ધાક બેસી ગઇ. અમીરથી લઇ સિપાહી સુધી એક પણ માણસ તે પછી કોઇ નિર્દોષનો જાન લેવા હિંમત કરી શક્યો નહોતો.

મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે. એક કાળી વસ્તુ પાણીમાં ડુબકાં ખાઇ રહી છે. હુકમ કરે છે, બહર કાઢો એ ચીજને.' એ એક માટીની કોઠી હતી.

કોઠી ખોલો.

અંદરથી એક મુડદું નીકળે છે.

શહેરના તમામ કુંભારોને તેડાવો. કોની ઘડેલી છે એ કોઠી?

'મારી બનાવેલી છે જહાંપના.' એક કુંભારે એકરાર કર્યો.

'કોને વેચેલી?'

ફલાણા ગામના અમૂક શખ્સને.

તેડાવ્યો એને. પાપ પ્રકટ થયું. એ માલિકે એક વાણિયાને મારીને કોઠીમાં ઘાલી પાણીમાં વહેતી મૂકેલી.

'જાનને બદલે જાન.' સુલતને હુકમ દીધો. હુકમનો તત્કાળ અમલ થયો.

ઇડરનો રાવ પુંજો, સુલતાની લશ્કર ઘાસ ઊઘરાવવા નીકળ્યું તેના ઉપર તૂટી પડ્યો. લશ્કરને વિખેરી નાખી સુલતાનના હાથીઓ લઇ ચાલ્યો. વિખરાએલા સૈન્યે ફરી જૂથ બાંધી રાવ પુંજાનો પીછો લીધો. ન્હાસતો રાવ એક ઊંચા પહાડ અને ઊંડી ખીણ વચ્ચેના સાંકડા રસ્તા પર પહોંચ્યો. આગળ હાથીઓ હતા. પાછળ લશ્કર હતું. રાવ સાંપટમાં આવ્યો. હાથીઓના માવતોએ હાથીઓને પાછા ફેરવ્યા. રાવના ચમકેલા ઘોડાનો પગ વછૂટ્યો. ઘોડાને અસ્વાર એ પાતાળ ખીણમાં જઇ પડ્યા.

વળતા દિવસે એક કઠીઆરો દરબારમાં હાજર થાય છે. એની પાસે એક ઇન્સાનનું માથું છે. કોઇ ઓળખી શકે છે આ માથાને? 'હા સુલતાન.' એક લશ્કરીએ આવીને કહ્યું : ' આ માથું મારા રાવજી પુંજા રાજાનું છે. મેં એની ચાકરી કરી છે.'

'એ કાફરને તું માન દઈ બોલાવે છે, શયતાન? એ હિંદુને 'મારા રાવજી' કહેવાની ગુસ્તાકી કરે છે?' દરબારમાં હાજર રહેલા લોકો ગુસ્સાથી ઉકળી ઉઠે છે.

'ચૂપ રહો સરદારો ! ખામોશ મુસ્લિમો !' સુલતાન તેમને વારે છે; 'એ આદમીએ પોતાનું લૂણ હલાલ કર્યું છે.'

સુલતાનની એ નીતિએ નવા પાટનગર પ્રત્યે શાહ-સોદાગરોને, પટ્ટણીઓને, વણિકોને, કારીગરોને અને મુત્સદીઓને પણ ખેંચવા માંડ્યા હતા, ત્યારે સોરઠનાં કાઠી રજપૂત ધાડાં ફક્ત ધાડો જ કરતાં રહ્યાં. રા' માંડળિક નિરથક આડા હાથ દેતો રહ્યો. સોરઠ દેશ ઉપર ગુજરાતની વસ્તી ધિઃકારની નજરે જોતી થઈ. સોરઠ એટલે લૂંટારૂઓનો મુલક. એ મુલક હિંદુ દેવસ્થાનનું ધામ હતો, છતાં એ ગુજરાતના ધિઃકારનું પાત્ર થઇ રહ્યો.

ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદાજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા'ને જૂનાગઢ રૂક્કો લખ્યો :' તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નશ્યત કરો. નહિતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.'