રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી

રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી
નરસિંહ મહેતા


રાત રહે જ્યારે, પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરી, એક તું એક તું એમ કહેવું … ટેક.

જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. રા.

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારિયે કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. રા.

આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામિને સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નર ને નારી. રા.