લાલકિલ્લાનો મુકદ્દમો/ફેંસલો : સજા : માફી

← 'મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર' લાલકિલ્લાનો મુકદ્દમો
ફેંસલો : સજા : માફી
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬


ફેંસલો : સજા : માફી
: ૨૨ :
૩૧ મી ડિસેમ્બર : સોમવાર

અદાલતની બાવીસમી અને છેલ્લી બેઠકની કાર્યવાહીની શરૂઆત કરતાં જજ-એડવોકેટે લશ્કરી વકીલ પાસેથી આરોપીઓના ચારિત્ર્યની અને લશ્કરી નોકરી અંગેની વિગતો માગી. જવાબમાં લશ્કરી વકીલે જણાવ્યું કે કેપ્ટન શાહનવાઝની ઉમ્મર ૩૧ વર્ષ ને ૧૧ માસની છે. ૯ વર્ષ ને ૧૧ માસની એમની લશ્કરી નોકરી દરમિયાન એ અફસરપદે રહ્યા હતા. ૫ વર્ષ અને ૧ માસ સુધી એ કેપ્ટન હતા. આ મુકદ્દમા સિવાય એમનું સામાન્ય ચારિત્ર્ય ઘણું સારું છે. એમને કોઇ માનચાંદ મળ્યાં નથી. કેપ્ટન સેહગલની ઉમર ૨૮ વર્ષ અને ૧૧ માસની છે. પાંચ વર્ષ સુધી એમને કૅપ્ટન તરીકે નોકરી કરી છે. એમનું ચારિત્ર્ય ઘણું સારું છે. કોઇ માનચાંદ એમને મળ્યાં નથી. લેફટેનન્ટ ધિલન ૩૦ વર્ષ ને ૯ માસની ઉમરના છે. પોણાછ વર્ષની એમની નેકરી દરમિયાન સવાચાર વર્ષ સુધી એ લેફટેનન્ટ હતા. એમનું ચારિત્ર્ય ઘણું સારુ છે, કોઇ માનચાંદ એમણે મેળવ્યા નથી.

લશ્કરી અદાલતનો એવા શિરસ્તો છે કે જો આરોપીઓ ઉપરના એક યા વધુ આરોપો સાબિત થયેલા લાગે તો પછી સજા કડક કે હળવી બનાવવામાં આરોપીઓના ચારિત્ર્યની વિગતો ન્યાયાધીશો ધ્યાનમાં લ્યે છે. એટલે આજની અદાલત દરમિયાન ઉપલી વિગતોની માગણી થઈ એની ઉપરથી એવું સૂચન મળી ગયું કે આરોપીઓ એમની ઉપરના એક યા વધુ અરોપ મુજબ ગુનેગાર જણાયા છે.

અદાલતના પ્રમુખ મેજર-જનરલ બ્લેકલેન્ડે તે પછી જાહેર કર્યું કે, 'સજા અંગેની વિચારણા કરવા માટે હવે અદાલત બંધ કરવામાં આવે છે. ફેંસલો અને સજાને મંજૂરી મળ્યા બાદ એ થોડા દિવસોમાં જાહેર કરાશે. ખુલ્લી અદાલતની કાર્યવાહી એ રીતે પૂરી થાય છે.' લશ્કરી અદાલતના નિયમ મુજબ આ મુકદ્દમાની આખી કાર્યવાહી જજ-એડવોકેટ તરફથી હિંદના વડા સર સેનાધિપતિ (સર ક્લૉડ ઑકિનલેક)ના કાયદા અંગેના સલાહકારને મોકલાશે. એ કાર્યવાહી, એનો ફેસલો અને એની સજા બધી રીતે કાયદેસર અને બરાબર છે કે નહિ તેની જાણ આ સલાહકાર સરસેનાધિપતિને કરશે. કાર્યવાહી, ફેંસલો અને સજા દરેક રીતે વાજબી અને ન્યાયી છે કે નહિ તેની વિચારણા કર્યા બાદ સરસેનાધિપતિથી સજામાં કાંઇ વધારો કરી શકાય નહિ, પણ જો એમને યોગ્ય લાગે તે એ સજા ઘટાડી શકે છે અને સમૂળગી રદ બાતલ પણ કરી શકે છે.

૩જી જાન્યુઆરી : ગુરુવાર

આઝાદ હિંદ ફોજના પહેલા મુકદ્દમાના ત્રણ આરોપી અફસરોને અદાલતે ફરમાવેલી જનમટીપની સજા વડા સરસેનાધિપતિએ માફ કરી છે એવું જણાવતી નીચે મુજબની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે : 'કેપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ, અને લેફ્ટેનન્ટ ધિલન ઉપર લશ્કરી અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો છે. રાજા સામે યુદ્ધ ચલાવવાનો આરોપ ત્રણે ય પર છે અને લેફ૦ ધિલન ઉપર ખૂન કરવાનો તથા બીજા બે ઉપર ખૂન કરાવવાનો આરેાપ છે. અદાલતનો ફેંસલો એ છે કે યુદ્ધ ચલાવવાના આરોપસર એ ત્રણેય ગુનેગાર ઠર્યા છે; કૅ૦ શાહનવાઝખાનને ખૂન કરાવવાના આરોપસરની સજા પણ થઇ છે, અને ખૂન કરવાના આરોપમાં લેફ૦ ધિલનને તથા ખૂન કરાવવાના આરોપમાં કૅ૦ સેહગલને બિનગુનેગાર ઠરાવવામાં આવ્યા છે . . . . યુદ્ધ ચલાવવાના ગુનાસર ત્રણે ય આરોપીઓને અદાલતે જનમટીપની, લશ્કરમાંથી છૂટા કરવાની અને એમનાં પગાર-ભથ્થાંની જમા રકમ જપ્ત કરવાની સજા કરી છે . . . . અદાલતનો ફેંસલો દરેક બાબતમાં પુરાવાઓ સાથે સુસંગત છે એની સરસેનાધિપતિને ખાતરી થઈ છે, અને તેથી એમણે એને પોતાની મંજૂરી આપી છે . . . . વર્તમાનપત્રોમાં જણાવવામાં આવ્યું છે તેમ હિંદી સરકારની નીતિ હવેથી માત્ર એવા માણસો ઉપર કામ ચલાવવાની છે કે જેમની ઉપર યુદ્ધ ચલાવવા ઉપરાંત ભયંકર સિતમ ગુજારવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હોય. કોઈ પણ મુકદ્દમામાં સજાની પુન:વિચારણા કરનાર અધિકારીએ એ ધ્યાનમાં રાખવાનું છે કે સાબિત થયેલાં કૃત્યો સુધરેલી દુનિયાના વ્યહવાર-નિયમોને કેટલે અંશે ભંગ કરે છે. લેફ૦ ધિલન અને કે૦ સેહગલને ખૂન–કરાવવાના આરોપોમાં નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે. જુલમ ગુજારવાનાં બીજાં કૃત્યોના આરોપ એમની ઉપર મૂકવામાં આવ્યા નથી. કે૦ શાહનવાઝ ખાનને ખૂન કરાવવાના આરોપસર ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે અને એમની સામે સાબિત થયેલાં કૃત્યો ઘણાં આકરાં છે, છતાં અત્યારના સંજોગોનો ખ્યાલ કરવો જરૂરી મનાયું છે.

'તેથી સરસેનાધિપતિએ સજાની બાબતમાં ત્રણેય આરોપીઓ સાથે એકધારું વર્તન રાખવાનો અને એમને થયેલી જનમટીપની સજા માફ કરવાનો નિર્ણય કર્યો છે. પણ એમને લશ્કરમાંથી રદ કરવાની અને તેમનાં પગાર-ભથ્થાં જપત કરવાની સજા એમણે મંજૂર રાખી છે, કારણ કે પોતાની વફાદારી ફગાવી દઈને રાજ્યસત્તા સામે યુદ્ધ ચલાવવું એ એક સિપાહી માટે ગમે તેવા સંજોગોમાં પણ , એક અતિ ગંભીર ગુનો છે. આ એક એવો સિદ્ધાંત છે કે કાયદેસર રીતે સ્થાપિત થયેલી ભૂતકાળની કે ભવિષ્યની કોઈપણ સરકારના હિત ખાતર એની જાળવણી થવી જરૂરી છે.'

સબ સુખ ચૈનકી બરખા બરસ, ભારત ભાગ હૈ જાગા,
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા,
ચંચલ સાગર બિંધ હિમાલા, નીલા જમના ગંગા.
તેરે નીત ગુન ગાએ,
તુઝસે જીવન પાએ
સબ તન પાએ અાશા
સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા
જય હો, જય હો, જય હો, જય જય જય જય હો !
સબકે દિલમેં પ્રીત બસાએ તેરી મીઠી બાની.
હર સૂબેકે રહનેવાલે હર મઝહબકે પ્રાની.
સબ ભેદ-ઓ'- ફરક મિટાકે,
સબ ગોદ મેં તેરી આકે,
ગૂંથે પ્રેમકી માલા;
સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા
જય હો, જય હો, જય હો, જય જય જય જય હો !
સુબહ સવેરે પાંખ પખેરૂ તેરી હી ગુન ગાએ,
બાસ ભરી ભરપૂર હવાએં જીવનમં રટલાએં.
સબ મિલ કર હિંદ પુકારે,
જય આઝાદ હિંદ કે નારે.
પ્યારા દેશ હમારા,
સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા,
જય હો, જય હો, જય હો, જય જય જય જય હો !
ભારત નામ સુભાગા !