લાલકિલ્લાનો મુકદ્દમો/લેફ૦ નાગની જુબાની

← તહોમતનામું લાલકિલ્લાનો મુકદ્દમો
લેફ૦ નાગની જુબાની
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬
કામચલાઉ સરકારનું જાહેરનામું →


આઝાદ ફોજનો કાનૂન ઘડનારા
લેફ૦ નાગની જુબાની

બે વાગે અદાલત ફરી મળી ત્યારે ફરિયાદપક્ષે કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા. એમાંથી બતાવાયું કે ત્રણે ય આરોપીઓ અગાઉ હિંદી લશ્કરમાં અફસરો હતા અને દુશ્મનના હાથમાં યુદ્ધકેદીઓ બન્યા પછી આ૦ હિં૦ ફો૦ માં જોડાયા હતા. એ ફોજના અફસરો તરીકે એમણે રાજા સામે યુદ્ધ ચલાવ્યું હતું અને પાંચ હિંદી સિપાહીઓને મોતની શિક્ષા કરવાનો હુકમ કર્યો હતેા. તે પછી ફદિયાદપક્ષના સૌ પહેલા સાક્ષી લેફટેનન્ટ નાગની જુબાની શરૂ થઈ.

લેફ. નાગ બંગાળના એક મેજીસ્ટ્રેટ હતા ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં એમની લશકરમાં ભરતી થઈ. ૧૯૪૧ના ફેબ્રુઆરીમાં એમને ફરજ બજાવવા હાજર થવાનું તેડું આવ્યું હતું. તેમને દરિયાપાર મોકલાયા; અને ૧૯૪૧ની પાંચમી માર્ચે એ સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરના પતન પૂર્વે જ તે એક હવાઈ હુમલામાં ઘવાયા અને પાછળથી જાપાનીઓના યુદ્ધકેદી બન્યા. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ એમને જાણવા મળ્યું કે આ૦ હિં૦ ફો૦ની સ્થાપના માટે એક ચળવળ ચાલી રહી છે. એમણે કહ્યું કે આ૦ હિં૦ ફો૦ની સ્થાપના હિંદુસ્તાનને અંગ્રેજોથી મુક્ત કરવા કાજે લડવા માટે થઇ હતી. તેઓ જે છાવણીમાં હતા ત્યાં આવીને આ૦ હિં૦ ફો૦ના કેટલાક અફસરોએ ભાષણો કર્યા, અને એ ચળવળમાં જોડાવાનું કેદીઓને કહ્યું. એમણે ૧૯૪૨ના ઑગસ્ટમાં થયેલા એક જ ભાષણમાં હાજરી આપી હતી. આગલા ભાષણોમાં તે હાજર રહી શક્યા નહોતા, કારણ કે પોતે બીમાર હતા અને વળી આ ચળવળમાં એમને જરા ય રસ નહોતો. કૅ. શાહનવાઝને તેઓ ૧૯૪૨ના ઑગસ્ટમાં મળ્યા હતા.

૧૯૪૨ના ઑગસ્ટને એક દિવસે છાવણીની ઑફિસ પાસેથી પસાર થતી વખતે આ૦ હિં૦ ફો૦ ના કેટલાક અફસરો સાથે ઊભેલા કૅ. મોહનસીંઘે તેને બેલાવ્યા. એ અફસરોમાંના એક કૅ. શાહનવાઝ હતા. લેફ. નાગે જ્યારે જણાવ્યું કે લશ્કરમાં ભરતી થયા અગાઉ તેઓ બંગાળમાં એક મેજીસ્ટ્રેટ હતા, ત્યારે તેની કામગીરીની એમને જરૂર છે, એમ કહીને કૅ. મોહનસીંઘે પોતાને ફરી મળવાનું તેને જણાવ્યું.

પાછળથી તે આ૦ હિં૦ ફો૦ના ન્યાયખાતામાં જોડાયા હતા. એમનું પહેલું જ કામ કૅ. માથુરની મદદ લઈને આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું હતું.

ભુલાભાઈ – હું માની લઉ છું કે આ૦ હિં૦ ફો૦ કાનૂનની જરૂર પડશે તો તે રજૂ કરવામાં આવશે.

સરકારી વકીલ- અમારી પાસે એક નકલ છે.

આ૦ હિં૦ ફો૦ના અફસરો અને સૈનિકોને સંગઠિત અને તાલીમબદ્ધ કરવા અંગે સૂચનાઓ આપતો એક દસ્તાવેજ રજૂ કરાયો અને સરકારી વકીલે વાંચી સંભળાવ્યેા. એાગસ્ટ ૨૦, ૧૯૪૨ પહેલા તે બહાર પાડવામાં આવ્યેા હતેા. સાક્ષીએ તેની ઉપરની સહી એાળખી કાઢી.

સ૦ વ૦ – ૧૯૪૨ ના સપ્ટેંબરમાં આ૦ હિ૦ ફો૦નું સંખ્યા બળ કેટલું હતું તે તમે જાણો છો ?

સાક્ષી - હા, દસહજાર જેટલું.

ભુ૦ – એની પાસે ચોક્કસ માહિતી છે કે કેમ તે હું જાણવા માગુ છું.

જજ એડવોકેટ – એ વિશેની તમારી અંગત માહિતી શી છે ?

સા૦ – સપ્ટેંબર ૧૯૪૨ ની શરૂઆતમાં એ સંખ્યા દસ હજારની હતી એ વાત સામાન્ય રીતે જાણીતી હતી.

જ૦ એ૦ – એ તમારી જાતમાહિતીમાંથી છે કે લોકોએ તમને જે કહ્યું તેમાંથી ?

સા૦– મારી જાતમાહિતીમાંથી. ભુ૦ – પોતે જે સાંભળ્યું હોય તેને પોતે જે જાણતા હોય તેની સાથે એ ભેળવી ન બેસે એ મારે જોવું હતું.

સાક્ષીએ જણાવ્યું કે આ૦ હિં૦ ફો૦ ની અરધી સંખ્યા શસ્ત્રસજજ હતી.

જ૦ એ૦ – એ તમારી જાતમાહિતીની વાત છે કે કોઈએ તમને કહેલી છે ?

સા૦ — એ મેં સાંભળેલી છે.

જ૦ એ૦ — તમે જાણતા હો તે જ તમારે બોલવું બીજાએાએ તમને કહેલું હોય તે નહિ.

સ૦ વ૦— અા૦ હિં૦ ફેા૦ માટે શસ્ત્રો ક્યાંથી મેળવાયાં હતાં ?

ભુ૦— હું વાંધો ઉઠાવું છું. પ્રથમ તો મારે એ જાણવું છે કે સાક્ષી પાસે કાંઈ જાતમાહિતી છે કે નહિ.

જ૦ એ૦ — એ તમારી જાતમાહિતી છે ?

સા૦— શસ્ત્રો મેં જાતે જોયેલાં છે. એ બ્રિટિશ શસ્ત્રો હતાં.

ભુ૦— મારો ઉદ્દેશ કાર્યવાહીમાં ઢીલ કરવાનો નહોતો પણ એ જાતે જે જાણતા હોય તેની જ રજૂઆત કરાવવાનો હતો.

સ૦ વ૦ — ૧૯૪૪ ના ઑગસ્ટમાં રંગુનમાં એક પરિષદ ભરાયેલી તે તમને યાદ છે ?

સ૦ વ૦ – કૅ. મોહનસીંઘ જ્યારે આ૦ હિં૦ ફો૦ના સેનાપતિ હતા ત્યારે એક કાર્યવાહક સમિતિ હતી ?

સા૦— હા. એના પ્રમુખ રાશબિહારી બોઝ ઉપરાંત ત્રણ નાગરિકો તથા ત્રણ લશ્કરી અફસરો એ સમિતિમાં હતા. તે પછી આ૦ હિં૦ ફો૦ ભાંગી પડી. કૅ. મોહનસીંઘની સૂચના પ્રમાણે આ૦ હિં૦ ફો૦ નાં દફતરોનો અને બિલ્લાઓનો નાશ કરવામાં આવ્યો હતો. કૅ. મોહનસીંઘની ધરપકડ પછી અઠવાડિયાએકમાં જ એક વહીવટી સમિતિ બનાવાઈ હતી. સમિતિએ પહેલું ફરમાન બહાર પાડીને કહ્યું કે વહીવટ અને શિસ્તની જાળવણી માટે તેની સ્થાપના થઈ હતી. એ ફરમાન પછી ભાષણોની એક ઝૂંબેશ ચાલુ થઈ હતી અને ઉપલા અફસરો જુદી જુદી છાવણીમાંના બીજા અફસરો અને સૈનિકો સમક્ષ ભાષણો કરતા હતા.

જ૦ એ૦ — આ તમારો અભિપ્રાય છે ?

સા૦ — આ મારી જાતમાહિતી છે. આ૦ હિં૦ ફો૦ના માજી સૈનિકો આ૦ હિં૦ ફો૦ માં ફરી જોડાવા માગે છે કે નહિ તે જાણવા માટે ભાષણો ગોઠવાયાં હતાં. આવાં બે કે ત્રણ ભાષણેામાં હું જાતે હાજર રહ્યો હતો. એમાંનું એક રાશબિહારી બોઝે કરેલું. આ ભાષણો જાન્યુઆરી ૧૯૪૩ માં થયાં હતાં. આ ભાષણોનો હેતુ અમને આ૦ હિ૦ ફો૦માં રહેવાનું ચાલુ રાખવાનું કહેવાનેા હતો. કારણ કે એમના કહેવા પ્રમાણે હિંદુસ્તાનની સ્વતંત્રતા મેળવવાનું આ૦ હિં૦ ફો૦નું ધ્યેય ઘણું પ્રશંસાપાત્ર હતું. મોહનસીંઘની ધરપકડની એમને લેશ પણ પરવા નહોતી. બીજું એમણે કહ્યું કે, આપણે આપણાં સ્થાન જાળવી નહિ રાખીએ તો બહુ મુશ્કેલી પડશે કારણ કે જાપાનીઓ આપણને લડાઈમાં ટેકો નહિ આપે.

પછી આ વિશેનો એમનો અભિપ્રાય શું છે તે અફસરોને પૂછવામાં આવ્યું. અને એમાંના મોટા ભાગનો મત એવો હતો કે આ૦ હિં૦ ફો૦માં તેમણે રહેવું ન જોઈએ. આ ભાષણોની પણ તેમણે ઉઘાડેછોગ ટીકા કરી હતી. રાશબિહારી બોઝને એ વિશે ચોક્‌ખે ચોક્‌ખુ કહી દેવાયું. મેં સાંભળેલાં બેઉ ભાષણો લશ્કરના વિરોધી દેખાવોને લગતાં હતાં. મને પોતાને એક ફોર્મ ભરવા માટે અપાયું હતું. ૧૯૪૩ ના ફેબ્રુઆરીની શરૂઆતમાં અફસરોને એક પ્રશ્નાવલિ આપવામાં આવી અને તેના જવાબ મંગાયા. તેઓ આ૦ હિં૦ ફો૦ માં ચાલુ રહેવા માગતા હતા કે નહિ તે જાણવા માટેના આ સવાલો હતા. મેં કહ્યું કે હું રહેવા તૈયાર નહોતો. તે પછી તરતમાં કેટલાક અફસરોને વ્યક્તિગત રીતે રાશબિહારી બોઝે તેડાવ્યા. મારો વારો આવ્યો ત્યારે મે જોયું કે મારો જવાબપત્ર એમની સામે જ પડ્યો હતો. હું મારા નિર્ણયને વળગી રહું છું કે કેમ તે એમણે મને પૂછ્યું. મેં કહ્યું હું મારો નિર્ણય બદલવા માગતો નથી. અને આ૦ હિં૦ ફો૦માં રહેવા માગતો નથી. રાશબિહારી બોઝને હું મળ્યો તે અગાઉ સૌ અફસરોને ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખવાળું એક ચોપાનિયું પહોંચાડાયું હતું. એના લખનારા હતા રાશબિહારી બોઝ, હિંદી સ્વાતંત્રય સંઘની કાર્યવાહક સમિતિના પ્રમુખ.

જજ-એડવોકેટે આ ચોપાનિયું વાંચી સંભળાવ્યું. એમાં રાશબિહારી બોઝે કહ્યું હતું કે:

“મારી પાઠવેલી પ્રશ્નાવલિના અફસરોએ આપેલા ઉત્તરોનો મેં ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. હું જાણું છું કે માતૃભૂમિને મુક્ત કરવા લડવા માટે લગભગ તમામ અફસરો તૈયાર છે, પણ મને દુ:ખ થાય છે કે આ૦ હિં૦ ફો૦ માં રહેવા સૌ તૈયાર નથી. આવા અફસરોમાં એવાનો સમાવેશ થાય છે કે જે અંગ્રેજો સામે હથિયાર ઉઠાવતાં ડરે છે, જેમને હિંદી રાષ્ટ્રીય મહાસભામાં પૂરો વિશ્વાસ નથી, જેઓ હિંદુસ્તાન માટે સાંસ્થાનિક દરજજામાં માને છે અને જેઓ અત્યારની પરિસ્થિતિમાં આ૦ હિં૦ ફો૦ માં રહેવા માગતા નથી. યુદ્ધકેદીઓ જો આવા વિચાર દર્શાવે તો તે સમજી શકાય. પણ આ૦ હિં૦ ફો૦ના અફસરોએ એ દર્શાવ્યા છે તેથી સાંસ્થાનિક દરજજો મેળવવા માટે નહિ પણ હિંદના સંપૂર્ણ સ્વાતંત્ર્ય કાજે લડવા માટેની જે ચળવળ છે તેમાં જોડાવાતા આ અફસરોના શા હેતુ હતા તેને વિષે એ અનેક કલ્પનાઓ જગાડે છે. એક સંસ્થાનનો શો દરજજો છે ! એ સંસ્થાન તો બ્રિટનનો ચોકિયાત કુત્તો જ રહે છે.

'અત્યારની પરિસ્થિતિમાં જેઓ આ૦ હિં૦ ફો૦થી અળગા રહે છે તેમને વિષે તો હું એટલું જ કહી શકું કે લશ્કરમાંની અત્યારની પરિસ્થિત્તિ માટે મારો દોષ ભાગ્યે જ કાઢી શકાય. બ્રિટન એક કટોકટીએ પહોંચી ચૂકયું છે. અને હિંદ છોડી જવાનું દબાણ તેની ઉપર લાવવા માટે મહાત્મા ગાંધીએ ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા છે. આ તો આખરી ફટકો છે; અને સમાધાન માટે હવે કોઈ શક્યતા નથી. તમારામાંના કેટલાક એ જાણવા આતુર હશે કે આ૦ હિં૦ ફો૦માંથી બાતલ થનારાઓનું શું થશે ? કમનસીબે અત્યારને તબકકે જાણી જોઈને આ૦ હિં૦ ફો૦ છોડી જવાનું પસંદ કરનારાઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. જે અફસરો પોતાના અભિપ્રાયો ઉપર ફરી વિચાર કરવા ન માગતા હોય તેમણે મારી સમક્ષ હાજર થઈને તેમનાં કારણો જણાવવાં પડશે.'

સા૦– મારો મત બદલાવવાની મેં ના પાડી એટલે મને બીજા ઓરડામાં મોકલવામાં આવ્યો. અમે બધા ત્યાં ભેગા થયા પછી એક જાપાની અફસર સિંગાપુરની એક જુદી છાવણીમાં અમને લઈ ગયો. ત્યાંથી ત્રણ-ચાર દિવસે વળી બીજી એક છાવણીમાં અમને લઈ જવાયા. એ છાવણીમાં હું માંદો પડયો ત્યારે મને એક ઈસ્પિતાલમાં મોકલાયો. ત્યાં મને કહેવામાં આવ્યું કે જે લોકો આ૦ હિં૦ ફો૦માં જોડાવા ન માગતા હોય તેમને બીજી છાવણીમાં ખસેડાશે એ છાવણીમાં તબીબી સારવાર માટેની કોઈ સગવડ નહોતી. હું હજી ય બીમાર જ હતો અને તેથી મેં કહ્યું કે હું આ૦ હિં૦ ફો૦ માં જોડાઈશ ઇસ્પિતાલમાંથી રજા મળ્યા બાદ મેં અા૦ હિં૦ ફો૦ના જજ-એડવોકેટ તરીકેની ફરજ પાછી ૧૯૪૩નાં મેમાં સંભાળી. હું ફરી એમાં જોડાયો ત્યારની સંસ્થા જુદી હતી. સંચાલન કરનારું એક લશ્કરી ખાતું હતું: એમાં એક સંચાલક, એક મુખ્ય વહીવટકર્તા, 'ચીફ ઑફ જનરલ સ્ટાફ' (શાહનવાઝખાન), એક લશ્કરી કમાન્ડર અને બીજા અફસરો હતા. આ૦ હિં૦ ફો૦ના લડાયક એકમો એનાં એ જ હતાં – માત્ર તેમનાં નામ બદલાયાં હતાં.

સરકારી વકીલે તે પછી કેટલાક દસ્તાવેજો રજુ કર્યા. નિમણુકો અને બદલીઓને લગતા હુકમો તરીકે એ બહાર પાડવામાં આવ્યા હતા. એમાં 'ચીફ ઑફ જનરલ' સ્ટાફ તરીકે લેફ૦ કર્નલ શાહનવાઝનું નામ. લશ્કરી મંત્રી તરીકે મેજર સેહગલનું અને ડેપ્યુટી કવાર્ટર માસ્ટર-જન રલ' તરીકે મેજર ધિલનનું નામ રજૂ થયું હતું. લશ્કરી ખાતાના સંખ્યાબંધ ગેઝેટ પણ રજુ કરાયાં હતાં. એમના જણાવ્યા પ્રમાણે મેજર સેહગલને લશ્કરી ખાતાની ડીરેકટોરેટમાં ૧૯૪૩ ના ફેબ્રુઆરીની ૨૬મીથી ખસેડવામાં આવ્યા હતા. અને લેફ૦ કર્નલ શાહનવાઝ ખાનની પણ એજ તારીખથી એજ કચેરીમાં બદલી કરવામાં આવી હતી. બીજા એક ફરમાનમાં શાહનવાજને રંગરૂટોની તાલીમશાળાના સંચાલક-અફસર પદે બઢતી અપાઈ હતી.

સા૦ — સુભાષચંદ્ર બોઝ સિંગાપુરમાં ૧૯૪૩ ના જુલાઈમાં આવ્યા હતા. આવ્યા બાદ તેમણે આ૦ હિં૦ ફો૦ અને હિંદી સ્વાતંત્ર્ય સંઘનો સંપૂર્ણ કાબૂ. સંભાળી લીધો હતો. સરસેનાપતિપદ ધારણ કરતી વેળા એક રોજિંદા ફરમાનમાં સુભાષચંદ્ર બોઝે આ૦ હિં૦ફો૦ને કહ્યુંઃ

'હિંદી સ્વાતંત્ર્યની ચળવળના હિતમાં આપણી ફોજની સીધી આગેવાની મેં આજથી ઉપાડી લીધી છે. મારે માટે આ આનંદ અને અભિમાનનો વિષય છે, કારણ કે હિંદુસ્તાનની સ્વાતંત્ર્ય સેનાના સેનાપતિ થવું એથી કોઈ વધુ મોટું માન એક હિંદી માટે હોઈ શકે નહિ, પણ મેં ઉપાડેલા કાર્યની વિશાળતાનું મને ભાન છે, અને એ જવાબદારીના ખ્યાલનો હું ભારે બોજો અનુભવી રહ્યો છું. મને ગમે તેવા મુશ્કેલીભર્યા અને આકરા સંજોગોમાં મારી ફરજ બજાવી શકવાનું બળ આપવાની પ્રાર્થના હું ઈશ્વરને કરું છું, જુદા જુદા ધર્મ પંથોવાળા મારા ૩૮ કરોડ દેશવાસીઓનો હું મારી જાતને સેવક માનું છું. મારી ફરજ એવી રીતે બજાવવાનો મેં નિશ્ચય કર્યો છે, કે આ આડત્રીસ કરોડનું હિત મારા હાથમાં સલામત રહે, અને આપણી માતૃભૂમિની મુક્તિ માટેની, આઝાદ હિંદની સરકાર સ્થાપવાની અને સદાકાળ માટે હિંદી સ્વાતંત્ર્યની જે રક્ષા કરી શકે તેવું કાયમી સૈન્ય રચવા માટેની આવી રહેલી લડતમાં દરેકે દરેક હિંદી પૂરેપૂરી શ્રધ્ધા રાખે.

'આઝાદ હિંદ ફોજે એક મહત્વનો ભાગ ભજવવાનો છે. એ પાઠમાં યોગ્ય બનવા આપણે આપણી જાતને એકત્ર કરીને એક ફોજમાં ફેરવી નાખવાની છે. આ ફોજનું એક જ ધ્યેય હશે: હિંદુસ્તાનની આઝાદી. અને તેનો એક જ નિર્ધાર હશે: હિંદની આઝાદી કાજે કરેંગે યા મરેંગે. આપણા ધ્યેયનો ઈન્સાફ અને અજેયત્વમાં મને સંપૂર્ણ શ્રધ્ધા છે. માનવજાતના પાંચમા હિસ્સા સમાન આડત્રીસ કરોડ માનવીઓનો આઝાદ બનવાનો અધિકાર છે, અને પોતાની આઝાદીનાં મૂલ્ય ચૂકવવા હવે તેઓ તૈયાર થયા છે. સ્વતંત્રતાના આપણો જન્મસિધ્ધ હક્કથી આપણને વંચિત રાખી શકે એવી કોઈ તાકાત આ ધરતી ઉપર છે નહિ. બિરાદરો ! અફસરો અને સૈનિકો ! તમારા મુકત હૃદયના ટેકાથી અને અચળ વફાદારીથી આઝાદ હિંદ ફોજ હિંદુસ્તાનની મુકિતનું સાધન બની રહેશે. આપણો જરૂર વિજય થશે.'

રોજિંદા ફરમાનનો અંત 'ચલો દિલ્હી'ના નાદથી થયો હતો. વાઈસરોયના મકાન ઉપર ત્રિરંગી ઝંડો ફરકાવવાનો અને હિંદના પાટનગરના પુરાણા લાલ કિલ્લામાં વિજય-'પરેડ' કરવાનો નિર્ધાર એમાં દર્શાવાયેા હતેા.

: ૨ :
૬ઠ્ઠી નવેંબર : મંગળવાર

અદાલતની આગલા દિવસની કાર્યવાહી બરાબર સાંભળી શકતી નહોતી તેથી આજે ધ્વનિવર્ધક-યંત્રોના વધુ ભુંગળાં ગોઠવ્યાં હતાં. અદાલતનાં અાંખ-કાનનું કામ જજ-એડવોકેટ બજાવે એવો લશ્કરી અદાલતનો શિરસ્તો લાગે છે. કર્નલ કેરિને ગઈ કાલની માફક આજે પણ એ કામ કર્યું હતું. લે૦ નાગની અધૂરી રહેલી જુબાની આજે ફરી ચાલુ થઈ હતી. સાક્ષીએ જણાવ્યું કે આઝાદ હિંદ ફોજનો કાનૂન એમણે ઘડ્યો હતો. એ કાનૂનની એક નકલ રજૂ કરતાં સાક્ષીએ તેને એળખી કાઢી હતી.

સરકારી વકીલ— એની ૬૫ મી કલમ જુઓ એ કોઈના કહેવાથી ઉમેરવામાં આવેલી ?

જ૦— હબીબુર રહેમાન અને કર્નલ લોકનાથનની સૂચનાથી.

સ૦ — આગળ જતાં આ કલમમાં કાંઈ ઉમેરો કરવામાં આવ્યો હતો ખરો ?

જ૦ — ફટકાની સજામાં, ફટકાની સંખ્યા ૨૪ થી ૫૦ સુધી વધારતો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને એ સજા કરવાની સત્તા ડિવિઝન, રેજિમેન્ટ અને બેટેલિયનના કમાન્ડરોને આપવમાં આવેલી.

સ૦ — આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ કેટલું હતું ?

જ૦ — આ૦ હિં૦ ફો૦નું સત્તાવાર સંખ્યાબળ ૪૦,૦૦૦ નું હતું. ડિવિઝન નં. ૨ માં યુદ્ધકેદીઓ અને મલાયામાંથી ભરતી કરાયેલા નાગરિકો હતા. સુભાષચંદ્ર બોઝના આગમન પછી ૧૯૪૩ની ૨૨મી ઑક્ટોબરે સિંગાપુરમાં એક સભા મળી હતી, દક્ષિણ-પૂર્વ એશિયાના જે જે દેશોમાં હિંદી વસતિ હતી ત્યાંથી આવેલા હિંદી પ્રતિનિધિઓ. આ૦ હિં૦ ફો૦ના અફસરો અને સૈનિકો, જાપાનીઓ અને જાપાનમાં રહેતા કેટલાક હિંદીઓ એમાં હાજર હતા. હું પણ એમાં હાજર હતો. આ સભામાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની ચર્ચા કરી અને પછી એ સરકારના સભ્યોનાં નામ જાહેર કર્યા. ટૂંક સમયમાં બરમા મોરચે લડવા જનારી આ૦ હિં૦ ફો૦ને પૂરતી મદદ કરવાની અપીલ પણ સુભાષ બોઝે નાગરિકોને કરી હતી. સ૦ — આરેપીઓમાંના કોઈનું નામ એ યાદીમાં હતું ?

જ૦ — હા, કૅ. શાહનવાઝખાન એના એક સભ્ય હતા. ૧૯૪૫ની ૩૧ મી માર્ચે હું રંગુન પહોંચ્યો. આ૦ હિં૦ ફો૦ના કબજા હેઠળ આવનારા પ્રદેશના ભાવિ ગવર્નર લે. કર્નલ ચેટરજીએ એ પ્રદેશોના વહીવટ અંગે પોતે ઘડેલી યોજનાઓ, અને કાયદા-કાનુનો તપાસી જવાનું મને કહ્યું.

સ૦— ૧૯૪૪ના જુલાઈ સુધીમાં ત્રણ ગેરીલા રેજિમેન્ટનું શું થયું ?

જ૦ — તે પીછેહઠ કરતી કરતી માંડલે આવી પહોંચેલી.

સ૦— ૧૯૪૫ના એપ્રિલમાં આ૦ હિં૦ ફો૦ની લશ્કરી પરિસ્થિતિ શી હતી ?

જ૦— ૧૯૪૫ના એપ્રિલમાં અમને ખબર મળ્યા કે બ્રિટિશ સૈન્ય રંગુન તરફ આગળ વધી રહ્યું છે. અને જાપાનીઓ એને ખાલી કરી રહ્યા છે. આ૦ હિં૦ ફો૦ના છએક હજાર સૈનિકો એ વખતે રંગુનમાં હતા એમાંના અરધાને પૂરાં પડે એટલાં જ હથિયારો એમની પાસે હતાં, ૨૪ મી એપ્રિલે સુભાષચંદ્રબાબુએ રંગુન છોડ્યું. મેની ત્રીજીએ બ્રિટિશ સૈન્ય રંગુનમાં દાખલ થયું. સુભાષ બોઝની સહીવાળા ૧૯૪૫ની ૧૪મી માર્ચના એક ખાસ રોજિંદા ફરમાનમાં એમ ભારપૂર્વક કહેવાયું હતું કે :

'આઝાદ હિંદ ફોજના દરેક માણસે પોતાની જાતને એ ફોજના ગૌરવ અને સ્વમાનની સરંક્ષક માનવી જોઈએ. ફોજમાં રહેવાની જેની ઈચ્છા ન હોય તે સૌને ફોજ છોડી જવાની તક આપ્યા પછી જો બાયલાપણાનો કેાઈ બનાવ બનશે તો તેની સજા મોત હશે. કોઈપણ જાતના બાયલાપણા કે દગાખોરી સામે આપણે જલદ ધિક્કાર પેદા કરવાનો છે. ક્રાંતિકારી સેનાના સૈનિક માટે બાયલાપણાથી વધુ ભયંકર ગુનો કોઈ નથી. સાફસૂફી થઈ જાય તે પછી આઝાદ હિંદ ફોજના દરેક સૈનિકે માતૃભૂમિની મુક્તિ માટેની પ્રતિજ્ઞા કરી લેવી પડશે. દગાખોર તત્ત્વોની માહિતી આપનારાઓ અને બાયલાં તત્ત્વોના પકડનારા અને ગોળીએ દેનારાઓને ખાસ બદલો આપવામાં આવશે.'

તે પછી, ફરિયાદપક્ષના વકીલે રજૂ કરેલા સંખ્યાબંધ દસ્તાવેજોને સાક્ષીએ એાળખાવ્યા અને પોતે પણ કેટલાક દસ્તાવેજી પુરાવા રજુ કર્યા. બપોરના સાડાબાર વાગે અદાલત ભેાજન માટે ઊઠી ત્યારે, આજના ભાઈબીજના ઉત્સવ નિમિત્તે કૅ. સેહગલની બે બહેનેએ પોતાના ભાઈના કપાળે કંકુનો ચાંદલો કર્યો. બીજા બે આરોપીઓના કપાળે પણ ચાંદલો કરવા જતી એ બહેનોને રોકવામાં આવી; કારણ કે એ બે આરોપીઓ એમના કુટુંબીજનો નથી.

અદાલત ફરી મળી ત્યારે સાક્ષોએ એક દસ્તાવેજ રજૂ કર્યો. સુભાષચંદ્ર બોઝનું એ ખાસ રોજિંદુ ફરમાન હતું. એમાં કહેવાયું હતું કે, 'આખી દુનિયાની અાંખો આ૦હિં૦ફો૦ ઉપર મંડાઈ છે. નીપોનનાં દળો સાથે મળીને આ૦ હિં૦ ફો૦નાં દળો વળતું આક્રમણ શરૂ કરનાર છે. આ૦ હિં૦ ફો૦નો વાવટો પ્રથમ આપણે આરાકાનના પહાડો ઉપર અને પછી દિલ્હીમાં વાઈસરોયના મહેલ ઉપર અને લાલ કિલ્લા ઉપર ફરકાવશું. આપણો વિજય નિશ્ચિત છે. ઇન્કીલાબ ઝીંદાબાદ. આઝાદ હિંદ ઝીંદાબાદ.'

સુભાષચંદ્ર બોઝે લે. ધિલન ઉપર લખેલો એક કાગળ સાક્ષીએ રજૂ કર્યો. એમાં લે. ધિલનમાં પૂરી શ્રદ્ધા દર્શાવવામાં આવી હતી. હિંદુસ્તાનની આઝાદીના માર્ગમાં દુનિયાની કોઈ સત્તા ઊભી રહી શકે તેમ નથી એમ તેમાં જણાવ્યું હતું.

સાક્ષીએ કહ્યું કે ૧૯૪૫ના મેની શરૂઆત સુધી એ રંગુનમાં હતા અને એ વર્ષના એપ્રિલની આખર સુધીમાં આ૦ હિં૦ ફો૦ના દફતરોનો નાશ કરવામાં આવ્યો નહોતો એવી એમને માહિતી છે.

તે પછી બચાવપક્ષ તરફથી પરદેશોમાંથી બેાલાવાયેલા સંખ્યાબંધ સાક્ષીઓ દિલ્હી પહોંચતાં કેટલો વખત લાગશે વગેરે વિગતોના સવાલ- જવાબ જજ - એડવોકેટ, શ્રી. ભુલાભાઈ અને ફરિયાદપક્ષના લશ્કરી ધારાશાસ્ત્રીએ લે. કર્નલ વૉલ્શ વચ્ચે થયા. મુદત પાડવા વિશે વિચાર કરવા અદાલતે દસ મિનિટની વિદાય લીધી. પાછા ફરીને જજ–એડવોકેટે જાહેર કર્યું કે ૨૧મી નવેંબર સુધીની મુદત પાડવામાં આવી છે.

: ૩ :
૨૧મી નવેંબર : બુધવાર

ફરિયાદપક્ષના પહેલા સાક્ષી લે. નાગની ઊલટતપાસ બચાવપક્ષના ધારાશાસ્ત્રી શ્રી. ભુલાભાઈએ આજે શરૂ કરી.

લે. નાગે જણાવ્યું કે, ' સપ્ટેંબર ૧૯૪ર થી ડીસેંબર ૧૯૪૨ સુધી અને પછીથી મે ૧૯૪૩થી આખર સુધી હું આ૦ હિં૦ ફો૦ નો સભ્ય હતો. વચગાળાના સમયમાં એક કટોકટી ઊભી થઈ હતી. પહેલેથી છેલ્લે સુધીમાં મેં બે હોદ્દા સંભાળ્યા હતા. જજ-એડવોકેટ જનરલનો અને ડેપ્યુટી-એડજટન્ટ-જનરલનો. જજ-એડવોકેટ- પ્રથમ તો મેં આઝાદ હિંદ ફોજ કાનૂન ઘડ્યો અને પછી મારું કામ અા૦ હિં૦ ફો૦ના કાયદેસરના વહીવટનું ધ્યાન રાખવાનું, એટલે કે લશ્કરી અદાલતની કામગરીનો ખ્યાલ રાખવાનું, તપાસ કરવાનું અને શિસ્તભંગના કિસ્સાઓ તપાસવાનું હતું.

'૧૯૪૩ની ૨૧મી ફેબ્રુઆરીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત થઈ હતી. પણ હું એનો કાનૂની સલાહકાર નહોતો. હું તો આ૦ હિં૦ ફો૦નો કાનૂની સલાહકાર હતો. આ૦હિં૦ સરકારના કાનૂની સલાહકાર તો બંગાળની સિવિલ સર્વિસના એક શ્રી સરકાર હતા.

'જાપાન લડાઈમાં ઊતર્યું ત્યારે હું પીનાંગમાં હતો. જાપાની લડાઈ ૧૯૪૧ ની ૮મી ડીસેંબરે શરૂ થઈ અને પીનાંગથી ૧૫મી ડીસેંબરે નીકળીને અમે જાન્યુઆરીની ૨૫મીએ સિંગાપુર પહોંચ્યા. સિંગાપુર ઉપર ૧૬મી ફેબ્રુઆરીએ થયેલા વિમાની હુમલામાં હું ઘાયલ થયો હતો. અને મને ઇસ્પિતાલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો......જજ-એડવોકેટનો હોદ્દો મેં રાજીખુશીથી સ્વીકાર્યો હતો. મારું પહેલું કામ આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું હતું, કાનૂન ઘડવાનો આશય એ હતો કે સુધરેલી દુનિયાના શિરસ્તા મુજબ ફોજનું સંચાલન થઈ શકે. હું કામ કરતો બંધ પડ્યો, ત્યાં સુધીના આખા સમય દરમિયાન એ કાનૂનનું પાલન થયું હતું......'

સાક્ષીએ જણાવ્યું કે ૧૯૪૩ની ૨૧મી ઑક્ટોબરે સિંગાપુરમાં એક જંગી સભા ભરાયેલી તેમાં પોતે હાજર હતા. એ સભામાં આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. સભામાં આ૦ હિં૦ ફો૦ના સૈનિકો, હિંદી નાગરિકો, જાવાની અફસરો અને મલાયા, થાઈલેંડ, સુમાત્રા, હિંદી-ચીન અને હોંગકોંગમાંથી આવેલા હિંદી પ્રતિનિધિઓ હાજર હતા.

તે પછી શ્રી.ભુલાભાઈ એ આઝાદ હિંદ સરકારની સ્થાપનાનું જાહેરનામું વાંચી સંભળાવ્યું: