લેવો છે સંન્યાસ શિવજીને

લેવો છે સંન્યાસ શિવજીને
લોકગીત



લેવો છે સંન્યાસ શિવજીને

લેવો છે સંન્યાસ શિવજીને લેવો છે સંન્યાસ
શિવજી છોડી ચાલ્યા કૈલાસજી
- શિવજીને લેવો છે

ગંગા સાથે પાર્વતીને થઈ ગઈ તકરારજી
કાર્તિક ગણેશ ગુસ્સે થયાં ને કોપી ઉઠ્યાં કિરતાર
- શિવજીને લેવો છે

કૈલાસવાસી કાશી આવ્યા લેવાને સંન્યાસજી
હરતાં ફરતાં પહોંચી આવ્યા ગંગાજીને ઘાટ
– શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ દોડ્યા આવ્યાં કાશી મોજારજી
હરિને દેખી હર દોડ્યાં, ભેટ્યાં ભીડી બાથજી
– શિવજીને લેવો છે

પ્રભુએ પૂછ્યું ક્યાંથી પધાર્યાં? કેમ છો ભોળાનાથજી
ગંગા, પાર્વતી, ગણેશ નંદી કેમ નથી કોઈ સાથજી?
- શિવજીને લેવો છે

શરમાઈને શિવજી બોલ્યાં શું કહું પ્રભુ વાતજી
સુખ નથી સંસારમાં, મારે લેવા આવ્યો સંન્યાસજી
- શિવજીને લેવો છે

વ્હાલ કરીને વિષ્ણુ બોલ્યાં કરીને દિલડાંની વાતજી
દુઃખ તમારૂં દૂર કરવા કરશું કૈક વિચારજી
- શિવજીને લેવો છે


કહે શિવજી સુણો સ્વામી મારે છે બે નારજી
એક તો માથે ચઠીને બેઠી બીજી આઘે ન જાયજી
-શિવજીને લેવો છે

પાર્વતીને પ્રેમ કરૂં તો ગંગા ગુસ્સે થાયજી
જોર કરીને મારી જટાઓ ખેંચે બીજી ખેંચે રૂંડમાળજી
– શિવજીને લેવો છે

કાર્તિક કેરો મયુર મારો નાગને ખાવા ધાયજી
ઉંદર ભાગે નાગને દેખી, ગણેશ ગુસ્સે થાયજી
– શિવજીને લેવો છે

સિંહ શૂરો પાર્વતીનો ગરજે દિવસ ને રાતજી
મસ્તક દોલે ગણેશજીનું મારો નંદી નાસી જાયજી
– શિવજીને લેવો છે

કોને રીઝવું કોને વારૂં રોજની રમખાણજી
માફ કરોને શ્રી હરિ મને અપાવો સંન્યાસજી
– શિવજીને લેવો છે

મુખ મલકાવી બોલ્યાં વિષ્ણુ સુણો શિવજી વાતજી
હું અને તમે બેઉ સરખા મારે પણ બે નારજી
-શિવજીને લેવો છે

મારાં દુઃખની વાત સાંભળો પછી કરીયે વિચારજી
નહીંતર આપણ બન્ને લઈશું સાથે રે સંન્યાસજી
– શિવજીને લેવો છે

બબ્બે નાર મારે છે પણ એકે ન આવે કામજી
ઘરમાં જાઉં ત્યારે હોય ન હાજર મનમાં મુંઝવણ થાયજી
- શિવજીને લેવો છે


લક્ષ્મી ચંચળ, ચાલતી ફરતી ભૂદેવી ઊભી ન થાયજી
સસરાનાં ઘરમાં રહેવું મારે કોઈને ન કહેવાયજી
-શિવજીને લેવો છે

ઉપરાણું લઈને મારે ઉછાળા સાગરનાં ઘરમાંયજી
શેષનાગની શૈયા મારી ડગમગ ડોલા ખાયજી
-શિવજીને લેવો છે

વાહન મારો ગરૂડ એવો શેષને ખાવા ધાયજી
એકબીજા પૂર્વનાં વેરી રોજનાં ઝગડા થાયજી
- શિવજીને લેવો છે

સુખ દુઃખ તો હોય સંસારે લખ્યાં લલાટજી
દેવ આપણે દુઃખથી ડરીયાં તો માનવીનું શું થાયજી?
-શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ કેરી હર હસ્યાં શિવરાયજી
તમે પધારો ક્ષીર સાગરમાં હું જાવું કૈલાસજી
-શિવજીને નથી લેવો

બન્ને દેવો પાછા વળીયા કરીને દિલડાની વાતજી
અમુલખ દેવના દેવથી પણ છૂટ્યો નહી સંસારજી
– શિવજીને નથી લેવો સંન્યાસજી