ગંગાસતીના ભજનો
ઝીલવો જ હોય તો રસ
ગંગાસતી



વચન વિવેકી જે નરનારી


વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય
જથારથ વચનની સાન જેણે જાણી, તેણે કરવું પડે નૈં બીજું કાંય...
વચન વિવેકી જે નર નારી...

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને, ઈ તો ગત રે ગંગાજી કહેવાય
એકમના થઈને આરાધ કરે તો તો, નકલંક પરસન થાય...
વચન વિવેકી જે નર નારી...

વચને થાપન અને વચને ઉથાપન, વચને મંડાય જો ને પાટ રે
વચનના પૂરા તે તો નહિ રે અધુરા, વચનનો લાવો જો ને ઠાઠ…
વચન વિવેકી જે નર નારી...

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ, વચન છે ભક્તિ કેરૂં અંગ
ગંગાસતી એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ...
વચન વિવેકી જે નર નારી...