સંતકવિ છોટ્મ-મલાતજ જન્મજયંતી વિશેષ:

	આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામે સાઠોદરા નાગર જ્ઞાતિના કાળિદાસ સુખરામ ત્રવાડીના જ્યેષ્ઠ પુત્ર છોટાલાલ કાળિદાસ ત્રિવેદી (સંતકવિ છોટ્મ) ચૈત્ર સુદ-૧૨ના ઈ.સ ૧૮૧૨માં જન્મેલા.પહેલવહેલું ગામ આ કુટુંબે વસાવ્યું હતું એવી અનુશ્રુતિ વહીવંચાઓએ નોંધેલ છે.આ જ્ઞાતિએ વસાવેલ મંદિરોમાં નારાયણદેવ,ચતુર્ભુજવિષ્ણુ,ચૈચય માતા વગેરેની પુરાતન પ્રતિમાઓ સ્થાપેલી છે.જેનું મંદિરમાં સ્થાપન કરી પૂજા-અર્ચન કરાય છે.શ્રી કવિએ સત્તરવર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે માતા,ત્રણ નાના ભાઈ-બહેનની જવાબદારી શિરે લઈ તલાટીની નોકરી સ્વિકારી અને વિધાભ્યાસને ઉત્તેજન આપતાં પોતે જ્ઞાનયોગ અને ભક્તિયોગના ઉપાસક રહ્યા હતા.તેમના જીવન ઘડતરમાં નર્મદા કાંઠે આવેલ કાર્તિકેશ્વર મહાદેવની યાત્રાએ જતાં શ્રી પુરુષોત્તમ નામે સિદ્ધ યોગીનો મેળાપ થતાં તેમના આશીર્વચન લઈ મલાતજ પાછા ફર્યા અને ઈશ્વર ઉપાસનામાં લીન બની અસલ વેદ ધર્મના ઉપદેશમાં પરાયણ બની પાખંડીઓના પંથનુ ખંડન કરી અસલ વેદધર્મનુ પ્રતિપાદન કરતી અનેક કૃતિઓની રચના કરી.તેમાં “શ્રી છોટમની વાણી”ગ્રંથ સુપ્રસિદ્ધ છે.તેમણે ચારસો પદો,પાંત્રીસેક જ્ઞાનકાવ્યો,વીસેક આખ્યાનોની રચના સંબંધી એકતાલીસ જેટલા ગ્રંથોની રચના કરી છે.જેમનાં કીર્તનો ચરોતરમાં રચાયાં હોવા છતાં કાઠીયાવાડ સુધી ગવાય છે અને રચાયે બસોએક વર્ષ થયાં હોવા છતાં અનેક વૃદ્ધજનોને કંઠસ્થ છે કવિ છોટમ દલપતયુગના એક લોકપ્રિય સંત હતા.આવા સલુણા સંતનુ શિલ્યપદ સ્વિકારવા મલાતજ ગામે જન્મજયંતી,પુણ્યતિથિ જેવા પ્રસંગોએ ભાવભેર ઉજવણી કરાય છે.

મલાતજના શિક્ષણકર્મી ભાવિકજન શૈલેશ પરમાર દ્રારા સંત કવિની ૨૦૨મી જન્મજયંતીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી તથા કવિ છોટમના જીવન,સમય,કવન:અને મલાતજ ગામની અસ્મિતાનુ સંકલન કરી “સિદ્ધ મહાત્મા શ્રી છોટ્મ કવિની સુબોધવાણી” નામક ગ્રંથનુ આલેખન કરી છોટ્મ કવિના વંશજ હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વેદધર્મની પતાકાના સથવારે,કર્મ-ધર્મના સેતુ થકી,પ્રભુભક્તિના પથ પરથી હૈયાના અંતર્નાદ વડે પરમાત્માના પ્રેમ થકી સંસારરૂપી ધર્મપ્રેમી સજ્જ્નો-સન્નારીઓ,ધર્મના પ્રહરી સંતો-મહંતો,શિષ્યસમુદાયની ઉષ્માભરી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું


‘સિદ્ધ મહાત્મા શ્રી છોટ્મકવિની સુબોધવાણી’-ગ્રંથ સમીક્ષા સમીક્ષક: શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી (અમદાવાદ)

 સને ૨૦૧૪ ચૈત્ર સુદ ૧૨ ના રોજ આણંદ જિલ્લા સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં સુપ્રસિદ્ધ સંત કવિ છોટ્મની ૨૦૨મી જન્મજયંતી ઉજવાઈ તે પ્રસંગે ‘સિદ્ધમહાત્મા શ્રી છોટ્મકવિની સુબોધવાણી’નામે ગ્રંથનુ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગ્રંથના સંપાદક મલાતજ ગામના સુશિક્ષિત યુવકશ્રી શૈલેશ પરમાર છે.     આ ગ્રંથનુ પુરોવચન સંત કવિ છોટમના વંશજ પ્રા.હરિપ્રસાદ ગં શાસ્ત્રીએ લખ્યું છે.સંપાદકે પૂર્વભૂમિકામાં મલાતજ ગામની અસ્મિતા તથા સંત કવિ છોટમની જીવનરેખા તેમજ એમની વિવિધ ધાર્મિક કૃતિઓનો પરિચય આપીને, સંત કવિ છોટમની ધાર્મિક કૃતિઓ પૈકી ૧૪ કૃતિઓને સંકલિત કરી છે.     એમાં ગુરુમહિમાવર્ણનથી આરંભ કરી વિવેકવર્ણન,ધર્મનિરૂપણ,મનુષ્ય-શ્રેષ્ઠતા,સ્ત્રીધર્મ અને સત્સંગમહિમા જેવી ૦૬ કૃતિઓ અગ્રિમ સ્થાન ધરાવે છે.પછે પંચીકરણ તથા ઈશ્વરાવતારકરણ,જેવા ગહન વિષય નિરૂપાયા છે.એ પછી હરિભક્તકથન તથા ગૃહથાશ્રમ-શ્રેષ્ઠતા જેવા સાંસારિક વિષય નિરૂપાયા છે.આ પછી વેદવિરૂદ્ધમત,પંચગતિવર્ણન ,ધર્મબ્ર્હ્મપ્રકાશ (અપ્રકાશિત)કૃતિઓ આપીને છેલ્લે છોટ્મકૃત ‘કીર્તનમાળા’નાં ૧૩ કીર્તન આપવામાં આવ્યાં છે આ દરેક કૃતિના સંપાદનમાં કવિએ પ્રયોજેલા તે તે વિવિધ છંદનો સ્પષ્ટ નિર્દેશ કરાયો છે.     પુરોવચન પછી આ ગ્રંથના પ્રકાશન અર્થે આવશ્યક દાન દેનાર શ્રી શૈલેશ પરમારના શિક્ષાગુરુવર્ય મુ ડભોઉ તા સોજિત્રાના વતની દાતાશ્રી શ્રી નરેન્દ્રભાઈ ભીખુભાઈ પટેલ શ્રીમતિ એમ કે પટેલ વિધ્યાલય મલાતજ આચાર્યશ્રી (ઉચ્ચ પ્રાથમિક વિભાગ) તરફથી ગ્રંથ છ્પાવવા અને કાર્યક્ર્મમાં ભોજન માટે આર્થિક સહયોગ સોંપડ્યો છે તેમનો સુપેરે પરિચય આપવામાં આવ્યો છે. શ્રી છોટાલાલ કાલિદાસ ‘છોટમ’ ઉપનામથી વિવિધ ધાર્મિક કૃતિઓ રચના,તેની યાદી પણ અહીં આપવામાં આવી છે.તેની સંખ્યા ૪૩ છે. ‘શ્રી છોટ્મકૃત કાવ્યસંગ્રહ’ તથા શ્રી છોટ્મની વાણી’ ગ્રંથ ૧ થી ૩ માં કવિ છોટ્મની અનેક કૃતિઓ પ્રકાશિત થઈ છે. એવા મહાત્મા છોટ્મના પ્રિય શિષ્ય શ્રી કેશવલાલ મગનલાલ ઉર્ફે સ્વામી વાસુદેવાનંદજીનું તથા સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયના સંચાલકશ્રી ભિક્ષુ અખંડાનંદજીનું પ્રદાન ઘણું ગણનાપાત્ર છે.અએ પછે અમદાવાદમાં ઈ.સ.૧૯૬૨માં કવિ છોટમની સાર્ધ-શતાબ્દી ઉજવાઈ તે પ્રસંગે આ સમીક્ષકે ‘ સંતકવિ છોટમ-એક પરિચય’ નામે પુસ્તિકામાં કવિ છોટ્મની પ્રકાશિત તથા અપ્રકાશિત કૃતિઓની ક્રમિક યાદી આપેલી વળી એમની એ પૈકી ‘સાંખ્યસાર’તથા ‘યોગસાર’ ‘સુમુખઆખ્યાન’ તથા ‘નૃસિહકુંવરનુ આખ્યાન’ ‘એકાદશીમહાત્મ્ય’ ‘ધર્મસિદ્ધિ’ જેવી કૃતિઓ સંપાદિત કરેલી એ ઉપરાંત ‘સ્વાધ્યાય’અને ‘ગીતાધર્મ’માં છોટ્મકૃત ૦૫ કૃતિઓ સંપાદિત કરેલી.    સંતકવિ છોટમની રોચક ધાર્મિક કૃતિઓ સમસ્ત ગુજરાતમાં પ્રસરેલી.મલાતજના ગુણદા વતનીઓએ ૧૯૮૨ માં ગામની પુર્વ ભાગોળે શ્રીરણછોડરાયજી તથા ચંચાઈ માતાના મંદિર પાસે સંતકવિ છોટ્મની અર્ધ ‘પ્રતિમા’(બસ્ટ) સ્થપાયુ છે.ઈ.સ ૨૦૧૪ નો આ સમારંભ સંતકવિ છોટ્મની આ પ્રેરક પ્રતિમાના અર્ચન-પૂજનથી આરંભાયો હતો.આ વિરલ પ્રસંગે સંતકવિ છોટમની વિવિધ કૃતિઓ સંકલિત કરી આરંભને લગતી વિવિધ રંગીન છ્બીઓ સાથે પ્રકાશિત કરી ગામમાં સમારંભ યોજી સમયસર લોકાર્પણ કરી ગ્રંથનુ વિનામુલ્યે વિતરણ કરવા માટે એના સંપાદકશ્રી શૈલેશ પરમારને હાર્દિક ધન્યવાદ!

સમીક્ષક શ્રી હરિપ્રસાદ ગં શાસ્ત્રી (કવિ છોટમના કુટુંબીજન અને સંસ્કૃત તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયના નિવૃત અધ્યાપક)

શ્રેણી "છોટમ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૨ પૈકીનાં નીચેનાં ૨ પાનાં છે.