સદગુરુ ભક્તિ રહસ્ય
શ્રીમદ્ રાજચંદ્ર



સદગુરુ ભક્તિ રહસ્ય

હે પ્રભુ, હે પ્રભુ ! શુંકહું, દીનાનાથ દયાળ
હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ (૧)

શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ (૨)

નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં (૩)

જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ
કેવળ અર્પણતા નથી, નથે આશ્રય અનુયોગ (૪)

હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક
ચરણ શરણ ધીરજ નથી, અમ્રણ સુધીની છેક (૫)

અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ,
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ (૬)

અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ
કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ (૭)

ભક્તિમાર્ગ પ્રવેશ નહીં , નહીં ભજન દ્રઢ ભાન,
સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન (૮)

કાળ દોષ કળિથી થયો, નહીં મર્યાદા ધર્મ
તો યે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ (૯)

સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ,
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ (૧૦)

તુજ વિયોગ સ્ફુરતો અન્થી, વચન નયન યમ નાંહીં,
નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી (૧૧)


અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચન નાહીં,
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ (૧૨)

એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું ય,
નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શું ય (૧૩)

કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ (૧૪)

અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન (૧૫)

સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક
પાર નતેથી પામીયો, ઉગ્યો ન અંશ વિવેક (૧૬)

સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય
સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? (૧૭)

પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય
દીઠા નહીં નિજ દોષ તો, તરીએ, કોણ ઉપાય (૧૮)

અધમાધમ આધિકો પતિત, સકળ જગતમાં હું ય
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય (૧૯)

પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ (૨૦)