સરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.

← PREFACE સરસ્વતીચંદ્ર ભાગ ૧
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના. →


પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને અાજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને કીચો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાન કલ્પવું પણ કઠિણ છે. પ્રતિદિવસે વધતા શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના અા સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાલ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દ્રષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઉભરાવા લાગી છે, એ જ અાનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હૃદયમાં કીર્તિનો લોભ અામ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાલની એક ઉત્સાહક દશા છે. માલનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધાર રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છેડી દીધેલા અાસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્ય–દેશોની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભુલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના–પ્રત્યક્ષ માયાથી અંતર તત્ત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતર્માં વધારે પચે છે; માયાની સુંદરતા ચિત્તની રસજ્ઞતાને અતિસૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મુકે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનને અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે. સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય તત્ત્વમાં થઈ જાય છે. - માયા એ માત્ર તત્વની સાધક છે – માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઈએ – માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઈએ – માયા - અંડ કુટતાં તત્ત્વ–જીવ સ્ફુરવો જોઈએ; એ વાત ભુલવી જોઈતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ષય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથીયું છે – એ પગથીયે ચ્હડીને પછી ત્યાં અટકવાથી તે ચ્હડવું નકામું થાય છે – હાનિકારક પણ થાય છે. ત્યારે નવલકથાનું હાર્દ શું જોઈએ ? નવલકથા કોના હાથમાં જશે – તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે – તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીયે તો સફળબોધક થાય તે સમજશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતાઆદિ પોતાને રુચતાં તત્ત્વ શોધે છે અને શેષભાગ પડતો મુકે છે.

આ ઉભય વર્ગ સાથે વ્યવહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના ૯હાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભુલવા જેવું નથી, કારણ વાચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા – તેમનું બ્રહ્મ વર્ચસ્ – સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે:

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસા૨સ. અા રસ સર્વે બાળકોમાં હોય છે, સ્ત્રીયોનું તે લક્ષણ ગણાય છે, અને ચ્હડતી અવસ્થામાં ઘણાકમાંથી તે જતો નથી.
(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. અાવાં ચિત્ત નવલકથાઓ જેઈ વિહ્નલ બની જાય છે, અને એવી કથાએના અતિસંભોગથી અંતે નિર્વીર્ય થાય છે.
(ગ) કથાઓ વાંચવાનું વ્યસન – અફીણ, દારુ વગેરેનાં વ્યસનજેવું જ; તે છોડ્યું છુટતું નથી.
(ઘ) શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ. ઘણાંક ભણેલાઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છુટતાં વારનાર કોઈ હોતું નથી.
(ઙ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.
(ચ) નિરક્ષરતા, અને નવરાશ.

ભણેલા તેમ જ અભણ વર્ગનો મ્હોટો ભાગ આ છેલા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ અાજકાલ દિગ્વિજય પામી દેખાય છે. અા સર્વ વિચારી, ભિન્ન ભિન્ન સર્વ અાવા વાંચનારને જમે ઉધાર કરતાં સરવાળે હાનિ ન થાય અને લાભ થાય એવી રચના કરવી એ એકેએક કથાકરનો ઉદ્દેશ હોવો જોઈએ; અને વાંચનારની રુચિ શોધી તેને અનુકૂળ પોતે થવું તેના કરતાં તેની સદ્રુચિને જ અનુકૂળ થવાનું રાખી, બીજી રીતે પોતાની અભીષ્ટ સદ્રુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવામાં વીર્યવાન્ ગ્રંથકારનું પુરુષત્વ સફળ થાય છે.

જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો; પરવશ થતાં જ સુમાર્ગે ચાલે એવાં પુરુષત્વહીન ચિત્તોને સન્મૂર્તિઓની ઉચ્ચ સુન્દરતાના મોહપાશમાં નાંખી સદ્‌વૃત્તના ઘેનમાં ગતિમાન્ થવાનો અવકાશ આપવો; કથાના વ્યસનીને સુકથાથી મદિરા પાઈ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો; આળસુ વિદ્વાનોમાં સત્પ્રતિભા જગાડવી; સુચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્ત્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર કરવો; અવકાશવાળાના અવકાશરૂપ ભુંગળામાં સન્મોહની ફુંક મારવી; અને નિરક્ષર જનને તેના ગજા પ્રમાણે અક્ષરલભ્ય જીવનના રસિક ક૨વાઃ અા અને એવા ઘણાક કાવ્યકથાના ઉદ્દેશ આ કથાકારોથી અજાણ્યા નથી અને યુરોપમાં પણ પ્રશસ્ત વર્ગમાં પ્રશસ્ત ગણાય છે. અાપણા શાસ્ત્રકારો તો કહે છે જ કે આવી કથાઓ મિત્રની પેઠે – સ્ત્રીની પેઠે – ઉપદેશ કરે છે.

સાધારણ વર્ગની આ સેવા દુસ્તર નથી એટલી સત્ય અને સારના શોધકોની સેવા ગહન છે; કારણ મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. પંડિતવર્ગ દેખીતી ક૯પનામાંથી સત્યની ચાળી ક્‌હાડે છે અને તેમના હાથ તેમને યોગ્ય સદ્વસ્તુથી ભરવા એ જ્ઞાન શ્રીમંતની જ શક્તિથી બને એવું છે. જડ વ્યવહારમાં જ પલોટાયેલાં દેખાતાં કેટલાંક ચિત્ત અન્ય ચેતનને અગોચર રહેતાં સ્થાનોમાં પળવાર સંચાર પામી ઉંડી કવિતા અનુભવે છે; તેવાં ચિત્ત દેખીતા વ્યવહાર-ગદ્યની વચ્ચોવચ હૃદયનાં ગાન સાંભળવા ઉત્સુક થાય છે. તેમને તૃપ્ત કરવાં એ પણ કોઈ શુદ્ધ કવિના પ્રાસાદિક મહિમાથી જ સાધ્ય છે. સંસારપંડિત મનુષ્યો નવલ ક૯પનાનાં મંડપ વચ્ચે કીયો ઇતિહાસ, વરરાજા પેઠે, ઉભો છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી જુવે છે, અને કેઈ નીતિ, કન્યા પેઠે, વરાવાની છે તે શોધે છે; ટુંકામાં માનવીના બ્રહ્માંડ જેવા ચિત્તની હજારો હજારો વીગતો પંડિતવર્ગ નવલકથાઓમાં શોધે છે તે વીગતનું આ માત્ર દિગ્‌દર્શન જ છે. એ વર્ગને કવચિત્ પણ તૃપ્તિ અપાય તો તે મહાસંતોષની વાત છે. નવલકથાનું શુદ્ધ હાર્દ આવું છે. કથાનું સ્વરૂપ માયિક હોવું જેઈએ. તે ખરું, પરંતુ ગૌણ પક્ષે જ. હૃદયવિના સ્વરૂપ નિર્જીવ છે - તેના ઉપભોગથી હાનિ જ છે.

આ નવલકથામાં હાર્દ અને સ્વરૂપ કેટલાં સચવાયાં છે તેની તુલના પરીક્ષકને જ હાથે થવી યોગ્ય છે. તથાપિ ગ્રંથકર્ત્તાના કેટલાક વિશેષ ઉદ્દેશ સૂચકરૂપે અત્રે પ્રગટ કરવા તે પણ કથાની સંપૂર્તિ કરવા જેવું છે.

આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની કુલગુંથણું છે. ચંથના નાયકને સકુટ આવિર્ભાવ થતાં પહેલાં, ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તુંટે છે, પરંતુ એક વાતોની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઈશ્વરે રચેલા ઈતિહાસોને નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથને પ્રધાન ઉદ્દેશ નથી. ઈશ્વરલીલાનું સૌંદર્યે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે. માનવીના મલિન વિકારોથી અાખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથો નું કર્મ હોય છે. ઈશ્વ૨રષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં અાપણું જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્રથી અભણ વર્ગને લાભ નથી અને હાનિ છે, તે વિકારોનાં ચિત્ર જાણુ- વાનાં સાધન વિદ્વાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર ફહાડવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતા સુધી ઘણે અંશે દૂર રાખ્યું છે. પૃથ્વી ઉપરનાં માનવીને ઉચે અહુડાવવું હોય તો નીસરણીનું છેક ઉપલું પગથીયું બતાવવું એ તેની હો -મત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યો નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણને વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યો નથી કે ઉત્કર્ષ ને ઉત્સાહક પગથીયું જ જોવામાં ન આવે. અાપણુ સાધારણ વિકારો–ક્ષમા કરવાયોગ્ય નિર્બળતા-તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. નિર્મળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડીયાં મારવાના ઉપાય સુઝે: એ માર્ગનું દિગદર્શન અત્રે ઈચ્છે છે, તેમ કરવામાં મલિન માણુસેોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે કવચિત અાણવાં પડ્યાં છે; કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે. વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ: એ સર્વના પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ ર્‌હેતાં મનુષ્યોની સ્થિતિયો અને સંક્રાતિયો દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વે વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણસારુ ઉપમાન મળે.

માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. અા જગતમાં સર્વે રીતે સારુ જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઈ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઈચ્છનીય છે.

વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસતીનો રાખેલો છે. એટલે, હજીસુધી અાપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાથીં થનાર અવસ્થાની, આજથી આપણી ક૯પના પર પડતી, પ્રતિચ્છાયા:– એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવી ક૯પના છે.

આા વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.

વસંતમાસ,
વિક્રમાર્ક ૧૯૪૩
મુંબાઈનગરી.
}
ગો. મા. ત્રિ.