સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ

← સુવર્ણપુરનો અતિથિ સરસ્વતીચંદ્ર ભાગ ૧
બુદ્ધિધનનું કુટુંબ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બુદ્ધિધન →


પ્રકરણ ૨.*[૧]
બુદ્ધિધનનું કુટુંબ.

વીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને થોડીક જ વાર થઈ એટલામાં ગાડીઓનો ગડગડાટ, અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકવાળા બે હાથ આગાડી ધરી ઉતાવળો ઉતાવળો મૂર્ખદત્ત ઓરડીના બારણા આગળ આવ્યો અને ડોકું ઉંચું કરી કાંડાવતે ચોટલી ઠીક કરી આંખો લ્હોતો ૯હોતો દરવાજા ભણી જોવા લાગ્યો એટલામાં તેમાં થઈ ચાર પાંચ સુંદરીયો પગના ઘુઘરાના ઘમકાર કરતી અંદર આવી પહોંચી, અને શિવાલયનાં પગથીયાં પર પ્રયત્નથી ચ્હડતી હોય એમ દેખાઈ.

આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી.


  1. *પ્રકરણ-૨, ૩, ૪, અને ૫, એમાં વાર્તાના પ્રસંગ કરતાં ઇતિહાસ જ પ્રધાનભૂત છે.

નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો.

અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને 'જાજરમાન'*[૧] કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો એટલે પાસે આવનારી નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મ્હોટો હતો એટલે જોના૨ની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ, અને પ્રતાપી હતા તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ, વાત કરતા સુધી અને એની પાસેથી છુટતા સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં; અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકાબ્હેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેઓનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયલી તેમની દૃષ્ટિયોની વિવેક-શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગે૨હાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલમ પડતી; પરંતુ તેવાઓને પણ તેના રૂઆબ આગળ લાચાર દીલના બની જવું પડતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંડ કરવા ચ્હાતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર મચી રહેતો તનમનાટ તેને દિઙ્‌મૂઢ બનાવી દેતો. આા આકર્ષણ–શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ ર્‌હેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી.

અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન


  1. * जाज्वल्यमान

હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્‌હાડી શકતું નહી. તેની ગતિ કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી.

અલકકિશોરી ગમે તેવી પણ બાળક હતી; રંક અવસ્થા તેણે દીઠી ન હતી; પોતાનું ધાર્યું કર્યું જ સમજતી; પોતાને હમેશ ફાવેલી જ જોતી; હુકમ કર્યો જ સમજતી; મન માન્યું અમલમાં આવ્યું જ જોતી; ચારે પાસેથી વખાણ જ સાંભળતી. અમાત્યના ઉદય કરતાં તેનું વય મ્હોટું ન હતું; વયમાં, જ્ઞાનમાં, અનુભવમાં, જાતિમાં અને સુંદરતામાં, પોતાનાથી ચ્હડીયાતાં માણસોને પોતાથી ડબાયલાં ર્‌હેતાં અનુભવતી; ખરૂં શું છે તે તેને કોઈ સંભળાવતું ન હતું; ખોટું શું છે તે તેની આગળ ફહેવા કોઈની હીંમત ચાલતી નહોતી; હિત અહિત શામાં છે તે તેને ક્‌હેવાની કોઈને ગરજ ન હતી; ભૂતકાળની વાત સંભળાવી તેને કંટાળો આપવો એ સઉના સ્વાર્થવિરુદ્ધ હતું; ભવિષ્યકાળની સાચી વાતો ઉપર તેની આંખ દોડાવવી એ તેની કલ્પનાને શ્રમ આપવા જેવું અને તેના મનને ખેદ આપવા જેવું મનાતું; આથી રંગભૂમિ ઉપરનાં નાટકો ઉપર તેનું લક્ષ હતું અને પ્રત્યક્ષ પડદા આગળ તેની દૃષ્ટિસીમાં આવી રહેતી. આ સઉનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી, ધુંધવાઈ રહી, તેની ભમરો ઉપર ફેણ માંડતો, આંખમાં ઘૂર્ણાયમાન થતો, જીભમાંથી ફુંફાડા મારતો, અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો. આ સર્પનો પ્રતીકાર કરવા તેનામાં વિદ્યામૃત હતું નહી અને સત્યસંગતિના ક૯પવૃક્ષનો વાસ તેણે અનુભવ્યો પણ ન હતો. માત્ર અમાત્યકુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષમય ચેતન ઢંકાઈ રહ્યું હતું.

આા લડાક કિશોરીનો ઉદયભાનુ હાલ મધ્યાકાશમાં હતો. તેનાં સાસરીયાં તેની મરજી પ્રમાણે ચાલતાં. તેના પતિને તેનું ગુમાન ખુચતું તથાપિ તેનું દીલ દુખવવું એ કૃતઘ્નતા ભરેલું વસતું. સઉના મનમાં એમ હતું કે પ્રમાદધનભાઈ ઉમ્મરમાં આવશે અને ગૃહસ્થાશ્રમ માંડશે એટલે અલકબ્હેનનો મત્સર નરમ પડશે અને અમાત્યના ઘરમાં નવો કારભાર ચાલશે. પણ આવું ધારનારાઓને તરત તો વિચાર ફેરવવાનો અવસર આવ્યો.

પ્રમાદધનને ઘણી કન્યાઓ વાસ્તે કહેણ આવ્યાં હતાં. પણ તેમના રૂપ અને કુળની તુલનામાં માબાપ અને દીકરીનાં મતનો ફેર પડતો એટલે ચોકઠું બેસતું નહી. આખરે રત્નનગરીના પ્રધાન વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી ખાલી પડી. તેનો વિવાહ પ્રથમ તો મુંબાઈનગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વ્યાપારી લક્ષ્મીનંદનના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્રની સાથે થયો હતો. પણ લગ્નનું મુહૂર્ત પાસે આવ્યું તેવામાં ઈશ્વર જાણે શાથી સરસ્વતીચંદ્ર એકાએક અલોપ થયો, તેની ભાળ ખોળતાં પણ લાગી નહીં, અને આખરે મુંબઈથી લખેલો તેનો એક કાગળ વિદ્યાચતુર ઉપર આવ્યો તેમાં તેણે લખ્યું હતું કે “કાંઈ કારણથી મેં મ્હારું ઘર ને નામ છોડી દીધું છે, મ્હારે પરણવાની ઈચ્છા નથી, હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ, મ્હારી કોઈએ ચિંતા કરવી નહી, મ્હારી ભાળ હવે લાગવાની નથી, ગુણવતી કુમુદસુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મ્હારાથી તે સુખી થઈ શકત એવું એકદમ મ્હારાથી મનાતું નથી; તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો.” આ કાગળ વાંચી તેની ખાતરી કરી, નિરાશ થઈ વિદ્યાચતુર કુમુદસુંદરીનું શું કરવું તે વિષે ગભરાટમાં પડ્યો; કારણ કુમુદસુંદરીનો કન્યાકાળ વીતી ગયો હતો અને સરસ્વતીચંદ્રની સાથે તુલના કરી શકાય એવો એક પણ વર તેની નજરે આવતો ન હતો. તેને કુમુદસુંદરી શિવાય બીજી પણ એક એનાથી ચ્હડે એવી ન્હાની દીકરી હતી; અને પોતાને પુત્ર ન હતો તો પણ કન્યા-રત્ન જોઈ એને સંતોષ થતો અને સરસ્વતીચંદ્ર તથા કુમુદસુંદરીની જોડ જોઈ એને પરમાનંદ વ્યાપતો; તેમાં આ આપત્તિ આવ્યાથી તેને પુત્રનાશનાથી અધિક શોક થયો. એવા ચતુર અને સમજુ જમાઈને એકદમ આ શું સુઝ્યું તે એ વિચારી ન શક્યો. માત્ર “ઈશ્વરની ઈચ્છા” કહો નિ:શ્વાસ સાથે गतं न शोचामि કરી ભવિષ્યના વિચારમાં પડ્યો.

અા વાતો દેશવિદેશ પ્રસરી ગઈ. વર્તમાનપત્રોમાં છપાઈ. નાતજાતમાં ચાલી રહી. જાણ્યાઅજાણ્યામાં ચર્ચાઈ રહી. વિદ્યાને માથે કલંક દેવાયાં. છોકરવાદી સર્વની બત્રીશીમાં ચ્હડી. પ્રમાદધને એ વાત વાંચી, સાંભળી, અને જમતી વખત કહી બતાવી. કુમુદસુંદરીનાં દુર્ભાગ્યની વાત પણ સાથે નીકળી, સઉને બીચારીની દયા આવી, એમાંથી એના રૂપ ગુણની વાત ચાલી, અને આખરે અલકબ્હેન બોલી ઉઠ્યાં, “ત્યારે મ્હારા ભાઈને એ કન્યા ન ખપે ?” સૌભાગ્યદેવીએ કહ્યું કે ખપે. બુદ્ધિધને કહ્યું કે વિદ્યાચતુર સાથે મ્હારે જુની મિત્રતા છે, તે ઉંચા કુળમાં જન્મેલો છે, અને તેની સ્ત્રી ચતુર, સુશીલ અને ભણેલી છે. સૌભાગ્યદેવી કહેઃ “કન્યા મ્હેં દીઠી છે. રાજચંદ્રના લગ્નમાં અમે જોડકણાં ગાતી વેળા એકઠાં થયાં હતાં, એ ફુટડી ને ચતુર છે.” અલકબ્હેને કહ્યું કે પ્રાત:કાળમાં કન્યાનું માગું કરવા માણસ મોકલવું. એ દરખાસ્ત પસાર થઈ. કુળજોશી બ્રાહ્મણ જમવામાં સાથે હતો તેણે કહ્યું: “પ્રાતઃકાળમાં ઉત્તમ મુહૂર્ત છે અને કામ સિદ્ધ થશે.” પ્રમાદધને શાંત રહી સઉ વાત સાંભળી, દિવસ-શેષ ઉત્સવમાં ગાળ્યો, અને રાત્રિ આનંદ-સ્વપ્નમાં એક ઉંઘે ક્‌હાડી. સવારે માણસ સંદેશો લેઈ રત્નનગરી ભણી ગયું. વિદ્યાચતુર ચિંતાગ્રસ્ત હતો તેથી સઉ કામ તેની સ્ત્રી ચલાવતી. તેને વર અને ઘર બંને સારાં લાગ્યાં. વરની બહુ ખબર ન હતી પણ ઘર સારું એટલે વર પણ સારો હશે જ એમ કલ્પના કરી. સ્વામીનાથને વાત કહી. ક્ષોભ પામેલ હોવાથી પ્રધાનના મુખમાંથી હા નીકળી ગઈ. બુદ્ધિધનનો માણસ વધામણી લેઈ પાછો સુવર્ણપુર દોડ્યો. પ્રધાનને ભાન આવ્યે વિચાર થયો પણ હા કહેલી તેની ના કહેવાઈ નહી. ઈશ્વરે સારા સારું જ કર્યું હશે ધારી ચિંતામુક્ત થયો. લગ્ન થયાં અને કુમુદસુંદરી પીયર છોડી સાસરે આવી. કથાનો પ્રસંગ ચાલે છે તે સમચે તેને સાસરે આવ્યે માત્ર દશ પંદર દિવસ થયા હતા. ભાઈને આવી સારી કન્યા પરણાવવાનું માન અલકકિશોરી બ્હેનને જ આપવામાં આવ્યું. માએ ભાઈને જન્મ આપ્યો અને બહેને કન્યા આપી; બહેનનું ઘરમાં માન વધ્યું અને ભાઈની તેના પરની પ્રીતિ વજ્રલેપ જેવી દ્રઢ ભાસી.

કુમુદસુંદરીનો સ્વભાવ પણ આ સ્થિતિને અનુકૂળ જણાયો. તેની મા વિદ્યાચતુરની બાલ્યાવસ્થામાં પરણી હતી અને નીશાળે તો ન્હોતી ગઈ પણ પતિને અવકાશ, અાગ્રહ, તથા ઉત્સાહ હોવાથી પોતાના સીમંત પ્હેલાં તેની પાસેથી કાંઈક ભણી હતી. તે જાતે ચકોર તથા ચપળ લાગણીવાળી હતી. પતિ ભણેલો અને પોતે અભણ તેથી કેટલીક વખત પતિ ખરેખર દુઃખમાં ગરકાવ હોય તોપણ તેનું દુ:ખ સમજી ન શકતી. ઘણુંએ પુછે, “વ્હાલા, તમને શું દુઃખ છે ? ” પણ તેના જવાબમાં વિદ્યાચતુર નિ:શ્વાસ નાંખી તથા તેને ખભે હાથ નાંખી માત્ર એટલું જ મનમાં બોલતો કે “અરેરે ! પ્રિય મેના ! તું બોલે છે મધુર પણ મેના જયારે મનુષ્યનાં દુ:ખ સમજી શકશે ત્યારે તું મ્હારું દુ:ખ સમજી શકીશ; તને ક્‌હેવામાં ફળ શું ? મધુર મેના, મ્હારાં આંસુ જોઈ બાળકની પેઠે માત્ર રોયાં કર અને તે દેખાડી મને વધારે રોવરાવ. ” આવું કહી તે પોતાનાં પુસ્તકમાં કે વ્યવહારકાર્યમાં જીવ પરોવતો. સારાં પુસ્તકો વાંચતાં, નવીન વિચારો સુઝી આવતાં, દેશોન્નતિના સમાચાર સાંભળતાં, અને ઇશ્વરલીલા મનમાં રમી રહેતાં તેનું મુખારવિંદ આનંદથી ઉભરાઈ જતું. આ વખત તેની સ્ત્રી માત્ર પતિનો મુખચંદ્ર જોઈ રહેતી અને તેને આનંદમાં જોઈ નિર્દોષ પણ અણસમજ્યા અાનંદમાં મગ્ન થતી. પરંતુ કેટલીક વખત તેના મનમાં ખેદ થતો. પતિના સુખદુ:ખમાં ભાગ લેવાય નહી, વ્હાલામાં વ્હાલાનું અંત:કરણ ભેદાઈ જતું હોય અને પોતે લાચાર બની જોયાં કરે એ ગુણસુંદરીને સારું ન લાગતું. કેટલીક વખત તેને મન તો સહજ હોય એવા બોલમાંથી-નિર્માલ્ય હોય એવા કાર્યમાંથી – પતિને સાગરમાં વહાણ બુડ્યા જેટલી દીલગીરી થતી. કેટલીકવખત તે મહાભારત પ્રયાસ કરે અને પતિને મન અલ્પ વસે. તેના ખરેખરા ઉત્સાહમાં જાણે માત્ર છોક૨વાદી જ હોય તેમ પતિના લેખામાંએ ન અાવે. અા સઉ વિચારથી તેના મનમાં મહા ગુંચવારો થતો અને અમુંઝણમાં, શું કરવું – શો ઉપાય ખોળવો - એ ન સુઝતાં કેટલીક વાર પથારીમાં સુતી સુતી, કેટલીક વાર પોતાના શ્રૃંગારગૃહના મેજ ઉપર ઉંધું માથું ઘાલી, કેટલીક વાર બારીમાંથી નદી, મેદાન અને આકાશ ભણી જોતી જોતી. અને કેટલીકવાર પતિને ખોળે માથું હોય તેવે વખતે, આંખમાંથી આંસુ સારતી અને છાનું છાનું - ઝીણું ઝીણું - રોતી.

એક દિવસ દંપતી ઘરની અગાસીમાં બેઠેલાં હતાં, મધ્યરાત્રિ થઈ હતી અને ચંદ્રમા પણ મધ્યઆકાશમાં હતો. શરદઋતુએ તારા-૨ત્નોથી અને શ્વેત મેઘામ્બરથી આકાશ-સખીને શણગારી હતી અને ચંદ્રમા અા સજ્જિત નાયિકા સાથે નિરંકુશ વિહાર કરતો હતો. તે સમયે અગાસીમાં એક ગાલીચા ઉપર તકીયો નાંખી વિદ્યાચતુર તેપર પડ્યો પડ્યો ચંદ્રભણી જોયાં કરતો હતો અને કાંઈ ઉંડા વિચારમાં પડ્યો દેખાતો હતો. ગુણસુંદરી તેના ખોળામાં માથું મુકી, તેને હાથ પોતાના હાથમાં રાખી, ચતી સુતી સુતી આકાશમાં ચંદ્ર છતાં પતિમુખચંદ્ર ઉંચી દ્રષ્ટિએ ન્યાળ્યાં કરતી હતી. આ મૌનવિહાર કેટલીક વાર ચાલ્યો એટલામાં રસજ્ઞ, પતિના મુખમાંથી–હૃદયમાંથી અચિંત્યું મધુર ગાયન નીકળવા માંડ્યું.

“અડોઅડ કપોલ લાગી રહેલ;
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી[૧] મચેલ !
“નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]...૧
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
“આવી ઉભું રહેતું નયનની પાસ
"અચિન્ત્યું ! જલવાતો શ્રૃંઙ્ગાર
“ છુપાતો લપ્પાઈ તુજ ગાલ !
"ગોષ્ઠીસુખ સુંતું નયનની જ માંહ્ય !–પ્રિયે તે !”...ર

અાના પ્રત્યેક પદના છેલા સ્વરોના પ્લુત ઉચ્ચાર આકાશમાં અને મુગ્ધાના કાનમાં તથા હૃદયમાં ઉંચા ચ્હડી, મોહનમંત્રપેઠે સર્વ આત્મવશ કરી, ધીમે ધીમે કૃતકૃત્ય બનતા હોય તેમ આનંદ-ભર મંદ પડતા પડતા નીચા બેસતા બેસતા, છેલામાં છેલા પદના અંત્યસ્વરમાં લીન થતા થતા વિરામ પામ્યા.

“વ્હાલા ! મને એ સમજાવો ! એ શું ગાયું ? ”

જરાક અચકી રસજ્ઞ બોલ્યો, “ત્હારાથી સમજાશે ? સમજાશે, સમજાશે.” એમ કહી કથાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ સમજાવ્યો.


  1. ૧. ગોઠ, ગોઠડી, છાની વાતચીત.
  2. * રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.

“આ સાંભળતાં મ્હારાં રૂવાં ઉભાં થાય છે. મને કંપારી વછુટે છે. હું શું કરું કે એવું એવું મ્હારી મેળે સમજાય ? તમે મ્હારા મનોરથ બધી રીતે પુરા પાડો છો પણ એક વિષયમાં હું મરતા સુધી તમારી લ્હેણદાર રહીશ. મરીશ ત્હોયે ભૂત થઈશ. તમારા મનની વાતો સમજાય, તમારું મન સમજાય, અને અામ તમારા સુખદુ:ખમાં અને તમારા અાવા અાવા વખતમાં મ્હારે તમારા સામું જ જોઈ રહેવું ન પડે, એવું શું કરું જે થાય ?”

વિદ્યાચતુર હસ્યો. “ચાલ, ચાલ, એ બધુંયે થશે. હું ભણાવું તે ભણ છે મરજી?”

અને બીજે દિવસેથી ગુણસુંદરીએ અભ્યાસ કરવા માંડ્યો અને સીમંત આવતા સુધીમાં પતિ પાસે ભણી તે ભણી. પછી જંજાળમાં પડી. વધારે ભણાયું નહી, પણ તેને અસંતોષ મટી ગયો. પતિને કામ લાગે એવી શક્તિ તો ન આવી પણ તેના હૃદય મંદિરમાં પેસવા લાયક, તેમાંની રસશય્યાપર સુવા લાયક અને તે ઉપરના મર્મ સાથે યથેચ્છ વિલાસ કરવા લાયક તે ગણાવા લાગી; અને પતિપાસેથી વિદ્યાગ્રહણ કરવું બંધ પડ્યું તે છતાં પોતે વયે વધતી ગઈ તેમ ઘરની જંજાલમાંથી અવકાશ શોધી ક્‌હાડતાં શીખી, એ અવકાશપ્રસંગે આત્મપ્રયત્નથી યથાશક્તિ અભ્યાસ વધારી શકી, અને કાળક્રમે અા મહાપ્રયાસ અને ઉત્સાહનું એ પરિણામ આવ્યું કે વિદ્યાચતુરની વિદ્યા, રસજ્ઞતા, વગેરેનું પ્રબળ વીર્ય વાતચીત અને વિનોદના વિહાર સમયે તેના મનહ્રદયમાં ઠેઠ પ્હોંચવા લાગ્યું અને તે તેજ-ગર્ભ દિવસે દિવસે પ્રકુલ્લ થયો. અાનો લાભ કુમુદસુંદરીને મળ્યો.

એક પ્રખ્યાત વિદ્વાને માણસને દરજીની ઉપમા આપી છે. સઉ સઉને પોતાનાં જેવાં અને બને તો પોતે શીવેલાં કપડાં પ્હેરાવવા ઈચ્છે છે. વિદ્યાનો પણ એક સાધારણ નિયમ એવો છે કે ભણેલા સઉને ભણાવવા મથે છે. દીકરી ન્હાની હતી અને તેના ઉપરનો મોહ તાજો હતો તેવામાંથી જ ગુણસુંદરીએ ઠરાવ કર્યો કે આને ભણાવવી. આપણા દેશમાં સ્ત્રીઓની વિદ્યાવૃદ્ધિમાં ઘણી અડચણો પડે છે. ન્હાનપણમાં છોકરી નીશાળે જાય ત્યાં ધુળધમાટ ભણે, પરણ્યા પછી સંસારમાં પડતાં અભ્યાસ પ્રતિકૂલ થાય છે. ઘરના વ્યવહારમાં, અભણ સ્ત્રીવર્ગમાં–સાસરિયામાં અને સાહેલિયોમાં–રહી. વિદ્યાનાં દર્શન પાતક ગણાતાં છતાં, પતિની તથા પોતાની પશુસામાન્યવૃત્તિયો સાચવવામાં, છોકર–છૈયાંની લબ્ધાને લીધે, સ્ત્રીવર્ગના ઘડી ઘડીના ન્હાના મ્હોટા રોગથી પગલે પગલે અડચણો લાગવાને લીધે, અને ધણી અનુકૂલ હોય તોપણ સ્ત્રીશિક્ષણમાં તેની શક્તિ અથવા વૃત્તિ અથવા અવકાશની ખામીને લીધે, હિંદુ સ્ત્રીયો ભણી શકતી નથી. પોતાના ચકોરપણાને લીધે તથા સદાગ્રહથી ગુણસુંદરી આ હરકતો દૂર કરી થોડું ઘણું શીખી તો તેના મનમાં એમ જ રહેતું કે આ અડચણો પડે ત્યાર પહેલાંથી મ્હારી પુત્રીને વિદ્યાનું ભાથું બંધાવી પછી જગતમાં મોકલું. વિદ્યાચતુર પોતે વ્યવહારજાલમાં દિવસે દિવસે વધારે લપટાતો હતો અને તેનો અવકાશ સંસારનાં વાદળાંથી ઘણું ખરું ઘેરાયલો રહેતો. તોપણ પ્રસંગે પ્રસંગે ગુણસુંદરીના સ્તુતિપાત્ર ઉત્સાહ, આગ્રહ, અને પ્રયાસને આશ્રય આપવામાં, સુગમતા કરી આપવામાં, સુધારવામાં, માર્ગ દર્શાવવામાં, અને વધારવામાં તે જાતે પ્રયત્ન કરતો; અને તેમાં રહેતી ખામીયો વાતચીતમાં, વિનોદમાં અને વ્યવહારમાં પડતા પ્રસંગો સમયે પૂરી દેતો. થોડા વર્ષમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો અને આખરે તેની પોતાની બુદ્ધિ જાતે ચાલવા માંડી અને માબાપને પ્રમાણમાં પ્રયાસ ઓછો કરવાની, અને થયલો પ્રયાસ સફળ થયો જોઈ અાનંદ ભોગવવાની તક મળી. પરણવા પહેલાં ઇંગ્રેજી અને સંસ્કૃતમાં પ્રવેશ થયેલો હોવાથી સંસારધર્મ, રસજ્ઞતા અને રસિકતા, વ્યવહારકુશળતા, નીતિમાર્ગ આદિ ગૃહસ્થાશ્રમના દ્વારપાળો અણબોલાવ્યા પોતાનો સમય સમજી, મંદિરમાં આવતી રાણીને વણમાગ્યા સત્કાર દેવા તત્પર રહ્યા અને સંસારસિંહાસનપર અા રાણી સાથે સ્વાભાવિક રીતે સરસ્વતીચંદ્રને શોધી નિરાશ થઈ મન પાછું ફરતું એ શિવાય બીજી બધી બાબતમાં કુમુદસુંદરીનાં માબાપ દીકરીને જોઈ જગતને સ્વર્ગ સમું ગણી લેતાં.

આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં અલકકિશોરીનાથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રુપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. “ન્હાનીશી નાર ને નાકે રે મોતી ” એ વર્ણનના સહાધ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન થતા હતા. ભભકની અાકર્ષણ શક્તિ તેનામાં ૨જ પણ ન હતી. રૂઅાબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી. કેટલાકને તે નિર્માલ્ય-માલવગરની લાગતી. તેના મુખ સામું સઉ કોઈ જોઈ શકતા. તે માત્ર મંગળ આભૂષણ અને અાછાં પણ સુંદ૨ ચિત્રવાળાં – સાદાં જેવાં – વસ્ત્ર પહેરતી. નાજુક–બાળકના જેવા હાથ અને તેવા જ કુમળા મેદી મુકેલા ન્હાના પગ વગર તેના અંગનો સર્વ ભાગ. વસ્ત્રમાં ઢંકાઈ રહેતો. તેના હાવભાવ પ્રસંગે જ જોવામાં આવતા અને પ્રસંગોપાત્ત હોવાથી કોઈનું ધ્યાન ખેંચતા ન હતા. શરદ્ૠતુના ન્હાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું ખરું આછા સ્મિતવાળું મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રુપાની ન્હાની ઘંટડીના જેવો સ્વર નીકળતો અને સઉ કોઈને એનાં વચન મધુર લાગતાં. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યો તેના ઉપર દ્રષ્ટિ ઠારતાં અને જેઓને એનું મ્હોં નીહાળવાની ટેવ પડતી તેમને એના ઉપર સહજ નિર્દોષ, અને શાંત પ્રીતિ ઉપજતી. રસજ્ઞ પુરુષોને વધારે જોતાં એના મુખ પર વધારે શુદ્ધ સુંદરતા સ્પષ્ટ માલમ પડતી. ચતુર સ્ત્રીયોને તેની અાંખ ચકોર લાગતી. અાધેર સ્ત્રીયો એમ કહેતી કે એનામાં સહોજ બહુ છે. જુવાન લલનાઓને એની વાતોમાં રસ પડતો. રસીયણ બાઈડીઓ એની પાસે બેસતી, એના સામું જોઈ ર્‌હેતી, એની બોલવાની રીત સરતમાં રાખતી, એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શીખામણ આપતી, અને એની નાજુકતા, સુંદરતા, ચતુરાઈ ને લજજા, એનું લાવણ્ય અને કોમળપણુંઃ અા સઉ કીયા કીયા પ્રસંગમાં કેવી કેવી રીતે દેખાયું તેનું પૃથકકરણ કરતી અને તે પર એ આઘે હોય ત્યારે રસભેર ચર્ચા ચલાવતી. ન્હાનાં બાળકો રમવાનું મુકી દેઈ એની પાસે આવી એને વીંટાઈ બેશી રહેતાં. અને કોઈ પણ માણસ એની સુંદરતા શોધી ક્‌હાડતું તો સઉ સાંભળનાર તે શોધનારની ચતુ૨તા વખાણતાં અને તેના મતમાં ભળતાં. કેટલાંક અંત:કરણોમાં એને જોતાં આશીર્વાદની ઊર્મિયો ઉછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર, એની સાથે બોલનારઃ સઉ એકસરખાં શાંત ચંદ્રિકામાં ન્હાતાં હોય, અમૃત સરોવરમાં ડુબકી મારતાં હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતાં હોય - એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતાં.

સાસરીયામાં પણ અત્યારસુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને ન્હાનપણમાંથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અમાત્યના ઘરમાં સ્ત્રીવર્ગને કાંઈ કામ કરવાનું હતું નહી કે વાદ થાય. પઈસાનો ટોટો હતો નહી કે સઉની ઈચ્છાઓ પૂરી પાડતાં ભેદ રાખવો પડે. તેમાં વળી નવી વહુને લાવ્યાનું માન અલકબ્હેનને હતું. એટલે એ વહુને શણગારવી, અગાડી પાડવી, એની શોભા વધારવી, એને નાતમાં જાતમાં સગાવ્હાલામાં કુટુંબરરૂઢીમાં દાખલ કરવી, સારી શીખામણ આપવી, ઈત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરીયો પણ બ્હેનને લેવાનો હતો. સઉ બાબતમાં સૌભાગ્યદેવીની તો અનુમતિ જ લેવામાં અાવતી, બુદ્ધિધન પાસે તો વાતો જ કરવામાં આવતી, અને પ્રમાદધનની પસંદગી પુછવામાં આવતી. ભાભી સાહેબ બાબત ભાઈ પાસે ચાકરો વાતો કરી બંનેની મ્હેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન નર્મ [૧]


  1. ૧. મધુર મશ્કેરી.
વાક્યો બોલી ટોળ કરતાં. અત્યારસુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ

અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યારપછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, લાગ મળ્યે નિ:શ્વાસ મુકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમત ગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે મર્મશોકપર ઢાંક પીછોડો કરતી, લજજાળુપણાને નામે સઉ ચાલ્યું જતું, અને હૃદયશંકુનાં ઉપજાવેલાં અાંસુ આનંદનાં અાંસુમાં ગણાતાં. પ્રમાદધનસાથે મન મેળવવા ઈચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સઉના આનંદની ભરતીને વેગ, પોતાનાં બાળક મનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વરઈચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નીભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન: આ સઉને લીધે બલવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમય-ધર્મને અનુસરવા લાગી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી, અને પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ તરતો હતો. એને તથા સઉ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રામાણ સઉને પરોક્ષ હતાં.

પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનાર સાસરે કોઈ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠીયાવાડથી અભ્યાસ કરેલો હતો; અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં ન્હાનમ લાગવાથી, અભ્યાસ કંટાળાભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઈ ફલ હોય તો તે ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લેઈ શકાશે એવી સમજ હોવાથી, વિદ્યાના ભંડારના નમુનામાં શાળાના માસ્તર નજર આગળ હતા તેને સઉ ખાલી માન આપતા પરંતુ રાજ્યકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઈને જરુર લાગતી ન હતી. તે જેવાની ટેવ હોવાથી, ઈંગ્રેજી વિદ્યામાં માત્ર સ્વભાષા અને રાજભાષાનું જ મહત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રી પુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુક વર્ગને જ ઉપયોગી તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસિયો, સાધન-રહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપી જળની વૃદ્ધિ પામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્ર ધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, અાસપાસના મંડળની ખુશામત - અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો – એ સઉ કારણથી, પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે તેમ પોતાનો ઉંચો અભિપ્રાય હોવાથી: પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં અાંખો મીંચી તણાયો જતો, અને ધારતો કે હું પોતાના બળથી તરું છું. દરબારી કામમાંથી નવરો પડતાં, નવલકથાઓ વાંચવામાં તથા મિત્ર મંડળ વચ્ચે બેસી અાત્મસ્તુતિ, પરનિન્દા, સ્ત્રીયોના પ્રસંગ, મનને વિહ્‌વળ કરી નાંખે એવી ક૯પનાઓ, મરજી પડે ત્યાં ફરવું, હરવું, ફાવે તે બોલવું, મનમાં ઊર્મિ ઉઠે તે પ્રમાણે વર્તવું, અને એવા એવા વ્યાપારોમાં અમાત્યપુત્રનો કાળ જતો અને એવી રીતે વખત ગુમાવવાની જોગવાઈ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્યોદય અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વ અભિલાષ તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો. તેની સુંદરતાનું અભિમાન રાખતો. તેની વિદ્યાની સ્તુતિ કરતો, અને તેની સાથે પોતાનો યોગ થયો તે નગકુન્દન જેવો યોગ્ય માનતો.

પ્રમાદધન, અલકકિશોરી, અને ટુંકમાં અમાત્ય કુટુંબનો બધો વ્યવહારઃ તેમાં, વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર થયા હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. પીયરમાં અને સાસરામાં વ્યવહાર, વિનોદ અને સર્વ રીતના આચારવિચારમાં ફેર હતો. નવે ઘેર પુસ્તકો હશે જાણી તેણે જુને ઘેરથી પુસ્તક એક પણ નહોતું આણ્યું. આ નવી દ્રષ્ટિમાં જુની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ ૨હી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુરપર કાગળ લખ્યો હતો તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો અને માત્ર તે લખનારના અક્ષરનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી.

"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,[૧]
"થઈ રખે જતી અંધ,[૨] વિયોગથી;
"દિનરુપે સુભગા[૩] બની ર્‌હે, ગ્રહી
"કર[૪] પ્રભાકરના મનમાનીતા!"

આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ મળ્યે ક્‌હાડી જોતી, શ્લોક મ્હોડે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, કાગળ જોઈ શ્લોક ગાઈ રોતી અને અાંસુ સારતી, અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય તેમ જોતી, ભમર ચ્હડાવતી, અને વદનકમળ સાથેલાગું દુખીયારું, દયામણું અને કોપાયમાન કરી; અાકાશ સામું જોઈ નિ:શ્વાસ નાંખી, અાંખમાંનાં આંસુ પોતાને જ હાથે લ્હોતી. અસંસ્કારી સાસરીયાંમાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દૃષ્ટિને તેની સ્થિતિમાં કાંઈ અસાધારણ જણાતું ન હતું. ટુંકામાં ચર્મચક્ષુથી જોનારને તો અમાત્ય-કુટુંબ માં સર્વ રીતે સઉનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો હતો; એવા કુટુંબની કામિનીયો રાજેશ્વર મહાદેવનાં પગથીયાં ઉપર ઠમક ઠમક કરતી હાંફતી દેખાતી ચ્હડી તે સમયે મૂર્ખદત્ત તપોધન શિવાય તેમને કોઈ જોનારું ન હતું, તેથી આ એકાંત શિવાલયમાં ક્ષુદ્રમાનવજાતની દ્રુષ્ટિથી અગોચર રહેનારી દેવાંગનાઓ, મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા, દેવોના દેવનાં દર્શન કરવાને મિષે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય એવી કલ્પના જાણ્યે અજાણ્યે ત્યાં સંતાઈ રહી જોનાર કોઈ યક્ષાદિક કરે તો અયોગ્ય ન કહેવાય.

તપોધન ઉતાવળે ઉતાવળે હાથ ધોઈ અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમ તેમ પગે અાંટી ન અાવે તેમ ઘાલી, છેટીના અંગુછાવડે હાથ લ્હોતો લ્હોતો આવ્યો અને “પધારો પધારો” કહેતો કહેતો મંદિરના ગર્ભદ્વારમાં પેંઠો અને રીત પ્રમાણે જળાધારીમાંથી નમણ બીલીપત્ર વગેરે તરુણ સુંદરીઓને પાવન કરવા આપતાં આપતાં બોલ્યો.

“બ્હેન, તમારા ક્‌હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો


  1. ૧. રાત.
  2. ૨. નિસ્તેજ, અંધારી.
  3. ૩. સૌભાગ્યવતી.
  4. ૪. કિરણ, હાથ
કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં

બહારથી એક સીપાઈ દોડતો આવ્યો:

“બહેન, બહેન, ભાઈસાહેબ[૧] આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”

"અમારાથી પાછાં જવાય એમ છે કની ? ”

“નાજી, રસ્તાના ફાંટા પડે છે તેની અાણીપાસ ડંકો, નીશાન, અને સ્વાર આવી પહોંચ્યા છે.”

“ત્યારે ?” – ઉતાવળી ઉતાવળી અલકકિશોરી પુછવા લાગી. "હવે ?"

આવા પ્રસંગોના અભ્યાસીયોને પોતાના કાર્યમાં સમયસૂચકતાની ટેવ પડેલી હોય છે. સમો જોઈ એકદમ પગથીયાં ઉપરથી ઝટ ઝટ મૂર્ખદત્ત બોલતો બોલતો નીચે ઉતરવા લાગ્યો.

“ચાલો, ચાલો, વાડામાં આવો. રાણાજી માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે અને હું બારીએ તાળું દેઈ સઉ ગયા પછી ઉઘાડીશ.” વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને ફામ ન રહી.

સ્વાભાવિક રીતે સ્ત્રી મંડળ વશ થઈ ગયું હોય એમ તેની પાછળ ચા૯યું. જતાં જતાં અલકકિશોરી વિચારમાં કુમુદસુંદરીના સામું જોઈ બોલી; “કલાક બે કલાકની કેદ હવે સમજવી. રાણાજી કાંઈ અમસ્તા દર્શન કરવા જ નથી આવતા. એમને અહીયાં વાર થશે. અાપણે અત્યારે આવ્યાં તે જ ભુલ થઈ. હશે. સરત ન રહી.”

ચાલતાં ચાલતાં કુમુદસુંદરીએ નણંદના સામું વળીને જોયું અને થયું તે ખરું એવું સમજાવવા, વદન-કમળ ઉંચું કર્યું હતું તે મન્દ લીલાથી નમાવ્યું. અને પાછું જમીન સામું જોઈ ચાલી.

સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું.



  1. ૧.બુદ્ધિધન