સરસ્વતીચંદ્ર ભાગ ૪/કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.

← સરસ્વતીચંદ્રની અશ્રુધારા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ફ્લોરા અને કુસુમ. →


પ્રકરણ ૭.
કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.

“The husbandless woman exists in two shapes. She is either a spinster or a widow. Most nations permit both institutions to grow up side by side with each other with the result that the reciprocal proportions of the numbers of the two classes undergo fluctuations on principles very similar to those of the two metals of a double currency under the guidance of economical laws. Social science is interested in noting how these fluctuations tell upon the general welfare of the nation. The poet of domestic charms falls in love with the different features of the lights and shades of the twin sisters - the spinster and the widow. There is also a cynical way of subjecting both creatures to a camera observation and comparing the shadows of the two reflected upon its plate. This is especially useful in a country like India where the Hindus have chosen and contrived to escape the fluctuations of a domestic double currency by keeping the widow a permanent coin and excluding the spinster altogether from mint. The propounders of justice and of the equality of

the two sexes may well protest against this gross injustice to the weaker sex. But, apart from that, no small interest gathers round the questions whether India with this monometallism for her social economics is really a loser on the whole, and whether the world of bimetallists has gained anything substantial, or, to be more serious and less offensive to the fastidious moralist, whether the world has gained on the whole by its submission to the ordinary laws of nature, and India has suffered by working out this artificial system within its families.–Anonymous.

વિદ્યાચતુરનું કુટુંબ એકઠું થઈ ગયું. વૃદ્ધ માનચતુરે હું ઘેર આવી કુમુદ વીશે આશા મુકી અને મુકાવી. બુદ્ધિધનના પત્રથી પ્રમાદધનના મૃત્યુની કૃષ્ણપત્રી જણાઈ ગઈ. એક દિવસમાં રંક પુત્રીનું અને મૂર્ખ જામાતાનું મરણ સિદ્ધ થયું. અમાવાસ્યાની રાત્રિના અંધકારમાં ચોમાસાનાં વાદળાંનો અન્ધકાર ભળે, બેવડો અન્ધકાર જગતમાં વ્યાપી જાય, અને નિદ્રાની જડતામાં વૃષ્ટિના શૈત્યની જડતા ભળે, તેમ વિદ્યાચતુરના પ્રધાન મ્હેલમાં થઈ ગયું. કુમુદ ગયાનો શોક પૂર્ણ વિકાસ પામવા આવ્યો અને પ્રમાદધનના નામ ઉપર આરોપ, ઠપકા, ગાળો અને શાપની વૃષ્ટિ પુરી થઈ નહી, ત્યાં પ્રમાદધનના સમાચારે એ ગાળો અને શાપને શાંત કર્યાં, અને વિધવા થતાં પ્હેલી મૃત્યુ પામેલી પુત્રી ભાગ્યશાલી ગણાઈ, અને એ વિચારે એના ઉગ્ર શોકને શાંત કર્યો. મણિરાજ પોતે સર્વને આશ્વાસન આપી પાછા ગયા. મિત્રો, કુટુમ્બજન, જ્ઞાતિજન, અધિકારી મંડળ, રાજમ્હેલનું મંડળ, અને પ્રતિષ્ઠિત નાગરિક મંડળ, સર્વની આખો દિવસ આવજા થઈ અને અનુશોચનના વ્યવહારે શોકના હૃદયરસને છિન્નભિન્ન કરી નાંખ્યો. અતિશય વ્યવહારવ્યાપારમાં ગયેલા દિવસને અંતે રાત્રિ સમયે શ્રાન્ત થયેલું સર્વ મંડળ વિશ્રાન્તિને ખોળે પડી નિદ્રામાં પડ્યું, વિદ્યાચતુરની નિદ્રા, ઈશ્વરેચ્છાનો વિચાર થતાં ગાઢ થતી, પુત્રીના ગુણ અને ભાગ્ય સાંભરતાં મસ્તિકમાંથી દૂર થતી, શોક તરી આવતાં નેત્રદ્વારમાં આવજા કરતી, મોહનો વિજય થતાં નિ:શ્વાસને માર્ગ આપતી અને સંસારનું અસાર સ્વરૂપ સમઝાતાં પાછી આવતી, અને અંતે એ પાછો નિદ્રામાં પડતો. પુત્રીનું સૈાભાગ્ય અખંડ રહ્યું અને વૈધવ્ય જોવા વારો આવ્યો નહી એ વિચાર રોતાં રોતાં થઈ આવતો ત્યારે ગુણસુન્દરી શાંત થતી, પણ રંક અને સુશીલ પુત્રીનાં દુઃખ સાંભરતાં એની આંખમાં આંસુની રેલ ચાલતી. એને આખી રાત નિદ્રા ન આવી, પણ ઘડીક એ સુતી સુતી આંસું સારતી, ઘડીક પથારીમાં બેઠી થઈ રોતી, ઘડીક શાંત થઈ ઉઘાડી કે મીંચેલી આંખે પણ જાગૃત હૃદયે પડી ર્‌હેતી, અને ઘડીક પાસે સુતેલી સુન્દરની સાથે કુમુદની વાતો રોતી કકળતી કરતી.

દિવસે દિવસે શોક જુનો થવા આવ્યો, અને સંસારનો વ્યવહાર સર્વનાં સ્મરણચક્ષુ ઉપર પડદો નાંખવા લાગ્યો; કુમુદના સમાચારથી સર્વ કુટુમ્બની આ અવસ્થા થઈ એટલા દિવસ તેમના ચિત્તમાંથી કુસુમની ચિન્તા અદૃશ્ય થઈ. માતાના આશ્વાસનમાં - અને શોકવ્યવહારનાં કાર્યોમાંથી પરવારતાં એકલાં – પડવાના પ્રસંગ વધતા ગયા અને તેની સાથે આ બાળકીના હૃદયમાં નવા અનુભવના પરિણામ, નવા વિચાર, અને નવી ચિન્તાઓને ભરવા લાગ્યા, અને તે પ્રમાણે પોતાનું ભવિષ્ય બાંધવાની આતુરતા એના એકાંત અવકાશમાં વીજળીના જેવા ચમકારા કરવા લાગી. આણી પાસથી કુસુમ આમ આકર્ષાવા લાગી, ત્યારે બીજી પાસથી બીચારી સુન્દરની ચિન્તાઓ વધવા લાગી. વિદુષી છતાં ગુણસુન્દરીને કુમુદનો ઘા અતિશય લાગ્યો અને એ હૃદયશૂન્ય બન્યા જેવી દેખાતી હતી અને ગૃહકાર્યથી તેમ કુસુમની ચિન્તાથી કુમુદના શોકે એને મુક્ત કરી. સુન્દર એક પાસથી ગુણસુન્દરીની પાછળ પાછળ ભમતી અને બીજી પાસથી કુસુમની પાછળ ભમવાનું એની દૃષ્ટિએ મુક્યું નહીં. ગુણસુન્દરીને શોકમુક્ત કરવામાં, અને મોઈ પુત્રીના શોકમાં ડુબેલી માતાએ એકલી પડવા દીધેલી કુસુમના સ્વચ્છન્દ લાગતા આવેશને ડાબેલા રાખવામાં, સુન્દરની ચિન્તાઓ વ્હેંચાઈ ગઈ અને જન્મપર્યંત પોતાને આભારી કરનારી ગુણીયલ દેરાણીએ કરેલા ઉપકારેનો બદલો વાળવાને આ ઈશ્વરે આપેલો પ્રસંગ જાળવવામાં સુન્દર શિથિલ થઈ નહી.

પોતાના લતાગૃહના માંડવામાં, પાસેના તળાવની કોર ઉપર, અને આશપાશની કુંજગલીઓમાં, આખો દિવસ અને રાત્રિને પ્રથમ પ્રહરે કુસુમ એકલી એકલી ફરવા લાગી અને પોતાના વિચારની ચક્રદોલાએ (ચકડોળે) ચ્હડવા લાગી.

પરણ્યાં એટલે પડ્યાં એ વાત નકી ! કુમુદબ્હેન ! તું ગઈ અને પ્રમાદધન ગયા ! તમે બે જીવતાં હત કે તું એકલી જીવતી હત તો ત્હારા દુ:ખનો પાર ન હતો ! એ દુ:ખનું કારણ ત્હારો વિવાહ ! વિવાહ એ સ્ત્રીજાતનો શત્રુ છે. વૈધવ્યમાંથી મરણે તને છોડવી એ વિચારથી ગુણીયલને આવા દુઃખમાંથી કળ વળે છે! તેનું કારણ શું ? કુમુદબ્હેન પરણી ન હત અને વિધવા થઈ ન હત તો સુખી હત ! માણસ મરે તો પણ તેનો શોક પાછળ ર્‌હે છે તેમ લગ્નદશા સમાપ્ત થાય તો પણ તેની છાયા પાછળ ર્‌હે છે – એ છાયા તે વૈધવ્ય ! જે લગ્નની છાયા આટલી ભુંડી છે તે લગ્ન કેટલું ભુંડું હોવું જોઈએ? બ્હેનના વૈધવ્ય કરતાં એનું મરણ સારું ગણાયું ! માટે આપણે તો વૈધવ્ય પણ નહી ને લગ્ન પણ નહી ! માત્ર કાકીને મને પરણાવી ખાડામાં નાંખવાની ઘેલછા લાગી છે. પણ ગુણીયલ હજી બોલતી નથી, અને અત્યાર સુધી હું કુમારિકા રહી છું તે પિતાજીની કૃપાથીજ."

આટલો વિચાર કરી એ હરિણી પેઠે દોડી અને ગુલાબના છોડ વચ્ચેની ગલીમાંથી દોડી આવી તળાવ પાસે એક ભુરા કાચની બરણી જેવી બેઠક ઉપર બેઠી. એને દોડતી દેખી સુંદર આઘેથી પાસે આવી એને માથે હાથ મુકી બોલવા લાગી.

"બેટા, તું દોડાદોડ કરે એ તે આટલે વયે છોકરી માણસને માટે કંઈ સારું ક્‌હેવાય? તું મ્હોટી થવા આવી !"

કુસુમ– "છોકરી જો પરણી હોય ને પછી દોડે તો તે ખોટું ક્‌હેવાય. પરણ્યા સુધી કુમારિકા ગમે તેવડી હોય તે દોડે."

સુન્દર–“પણ હવે ત્હારે પરણવાનું કંઈ છેટે છે? ગુણીયલને ત્હારી કેટલી ચિન્તા થાય છે તે તને ખબર છે? કુસુમ, હવે તું કાંઈ ડાહી થા. આવે કાળે માની ચિન્તા તું એાછી નહી કરે તો પછી કયારે કરવાની હતી?"

આ વાક્યના મર્મભાગે સફળ પ્રહાર કર્યો અને કુસુમ અંકુશમાં આવી ગંભીર થઈ ગઈ. મનુષ્યમાત્રની નિરંકુશતાને પ્રસંગ છોડાવે છે. દુષ્ટો શિક્ષારૂપ વિપત્તિના પ્રસંગથી અંકુશમાં આવે છે. મૂર્ખ જનને અંકુશમાં આણવા એક વિપત્તિઃ બસ નથી, પણ અનેક વિપત્તિઓના ખપ પડે છે, ચતુર અને સાધુ પણ અનુભવહીન જનને પોતાની અથવા પારકી વિપત્તિનું દૂરથી પણ દર્શન થતાં બોધ મળે છે અને વગર–અંકુશે બોધનો અંકુશ જાતે સ્કુરે છે. બોધના અંકુશને યોગ્ય પણ બાળ વયના ઉત્સાહથી ભરેલી યુવાવસ્થાને આવા દર્શનમાંથી લેવાના પ્રબોધનું ભાન આણનાર પ્રિયબોધક મનુષ્ય જોઈએ છીએ. આવો સંયોગ કુસુમને હતો. એના વિકાસની નિરંકુશતા જોઈ ગુણસુંદરી હબકતી હતી, ત્યારે સ્વતંત્ર બુદ્ધિવાળાં મનુષ્યોની પ્રકૃતિનો સુજ્ઞ વિદ્યાચતુર એને ધૈર્ય આપતો હતો અને બાલક શરીરરૂપ યજ્ઞ ઉપર બુદ્ધિના અગ્નિને દાસત્વમાં નાંખવાનું પાપકર્મ ન કરવાનાં કારણ બતાવી એ અગ્નિને કેવી રીતે કેવા તપથી સાધવો એ દર્શાવતાં બોલ્યો હતો કે – “ગુણીયલ! નવી પરણેલી મુગ્ધા સ્ત્રીને જેમ દક્ષ નાયક બળથી નહી પણ કળથી વશ કરી લે અને એ મુગ્ધાનો રસ વધારે, તેમ જ બાળકની બુદ્ધિને પણ કેળવવાની છે.” જો આપણાં બાળક આપણા કરતાં વધારે બુદ્ધિવાળાં થાય એમ આપણી ઇચ્છા હોય તો તેમની બુદ્ધિને આપણી બુદ્ધિની બેડીઓમાં કેદ ન કરવી, કારણ માબાપની બુદ્ધિની માત્ર આજ્ઞાકર થવા શીખેલી બુદ્ધિ સ્વતંત્ર રીતે ઉડવાનો અભ્યાસ પામતી નથી. બાળકની બુદ્ધિને પગે માબાપે ઘડેલી બેડીઓ નાંખવી નહી, પણ એ બુદ્ધિ જાતે ચાલે, પડે, અને ઉઠે અને શક્તિ હોય તો દોડે તેમાં માબાપે વિઘ્ન ન નાંખવું. એ બુદ્ધિ પોતાની કળાથી નૃત્ય કરે તો કરવા દેવું. તેને વિદ્યા એ અન્ન છે, વિચાર એ વ્યાયામ (કસરત) છે, સ્વતંત્રતા એ તેના પ્રાણનું પોષણ કરનાર પવન છે, ઉત્સાહ એ એની ક્રિડાભૂમિ છે, અને સંસારનું અવલોકન એ એને જીવન આપનાર પાણી છે. માતા - પિતાનો ધર્મ એ છે કે એ પાણી નિર્મળ રાખવું, એ પવન નિર્મળ અને અપ્રતિરુદ્ધ રાખવો, એ ક્રિડાભૂમિમાં અધમ સંગતિ જવા દેવી નહી, અને એ વ્યાયામમાં ન્યૂનતા કે અતિશય થાય નહી અને વ્યાયામને અંતે ફરવા માંડેલા લોહીથી ભરેલી નસોમાં અયોગ્ય પદાર્થને સ્થાને પોષક અન્ન જાય, માતાપિતા ભણીના અંકુશની સમાપ્તિ આટલામાં થાય છે. બાલ્યાવસ્થામાં આટલા અંકુશમાં રહી બાળકની બુદ્ધિ મરજી પડે તેવું નૃત્ય કરે તે કરવા દેવું. એ અવસ્થા જેમ જેમ પુરી થતી જાય તેમ તેમ એ બુદ્ધિના અન્ન સાથે બાળકના ભવિષ્ય પ્રયાણને યોગ્ય ભાથું ભરવું, અને તેની ક્રીડાભૂમિમાં સુખદુઃખોથી ભરેલા સંસારનાં ચિત્ર મુકવાં, દુષ્ટ પવન નિવારનાર તેમ પવનને સુગન્ધ વાહક કરનારા રસ એના ભવનના સર્વ ભાગમાં મુકવા: એટલું સરત રાખવું. યુવાવસ્થા–આદિ પ્રવાહો સ્વતંત્રતાને વધારનાર છે તે કાળે આવા રસથી જે કામ થશે તે શુષ્ક શિક્ષાપાઠથી નહી થાય, માટે એના વિચારરૂપ વ્યાયામને વધવાનાં સાધન ઉભાં કરવાં પણ તે એવાં હલકાં ન કરવાં કે પ્રમાદ થાય અને એવાં ભારે ન કરવાં કે અતિશ્રમ થાય, અને અંતે એના અવલોકનરૂપ જીવનનો પ્રવાહ ગંગા જેવો રાખવો, અર્થાત્ સર્વ કાળે શુદ્ધ અને જગત્‌ને પાવન કરનારો કરવો, અને સર્વગ્રાહી આકાશના પ્રતિબિમ્બનું સર્વાંગે પ્રતિબિમ્બ સંગ્રહનારો કરવો; પ્રાણીમાત્રની તૃષા ભાંગનાર, જીવન આપનાર, ચારે પાસની વનસ્પતિનો પોષક, અને હિમાચલ જેવા ઉચ્ચ સ્થાનમાંથી સર્વદા પ્રભવ પામતો એ પ્રવાહને કરવો ! સમુદ્ર જેવા વિશાળ અને પ્રાણ-પોષક પ્રયાણમાર્ગરૂપ ઈષ્ટાપત્તિને – અનેક ગુપ્ત પણ સતત નીતિઓથી – સાધક ગંગા-પ્રવાહ જેવો બાલક-બુદ્ધિના આ અવલોકનના પ્રવાહને કરવો. ગુણીયલ! શુદ્ધ વિદ્યાદાનનો માર્ગ અને પરિણામ આવો છે, અને પુત્રીનું સ્ત્રીત્વ અને પુત્રનું પુરુષત્વ લક્ષ્યમાં રાખી આ માર્ગ લેવાય તો તેના નિયમ ઉભયને સામાન્ય છે અને એ માર્ગ પુત્રમાત્ર અને પુત્રીમાત્રનાં જાતકર્મ આદિ સંસ્કારોમાંનો એક આવશ્યક સંસ્કાર છે, એ સંસ્કાર ન આપે તે માતા અથવા પિતા પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. આપણા લોક ક્ષુદ્ર થયા છે અને શુદ્ધ ધર્મ સમજતા નથી. પણ આ પવિત્ર ધર્મથી તું ભ્રષ્ટ થઈશ નહી ! એ વિષયમાં ત્હારા ધર્માધર્મમાં મ્હારો ભાગ છે, તું મ્હારી સહધર્મચારિણી છે, અને આટલા ધર્મનું કૃત્ય હું તને સોંપું છું, કારણ મને વ્યવહારમાંથી અવકાશ ઓછો મળે છે. પણ ઈશ્વરે સર્વ રીતિથી અનુકૂળતા કરી આપી, તેને પાત્ર થવા મ્હેં તને વિદ્યા આપી છે, અને તું પુત્રીને આપજે અને એની બુદ્ધિને સંસ્કાર પામેલા મણિ જેવી કરવાનો મ્હેં તને માર્ગ બતાવેલો છે. गृहिणी गृहमुच्यते. માટે આ ગૃહકર્મની સફલતા ત્હારા ઉત્સાહ ઉપર આધાર રાખે છે. તને આપેલી વિધાને લીધે આ ધર્મમાં તું મ્હારી સહધર્મચારિણી છે."

વિધાચતુરે કુસુમના સંબંધમાં આ શિક્ષા આપી હતી તે ગુણસુંદરીએ લખી રાખી જિવ્હાગ્રે કરી હતી. પુત્રીને વિદ્યા અને બુદ્ધિસ્વાતંત્ર્ય આપવાનું કારણ કોઈ પુછે ત્યારે પતિવ્રતા ઉત્તરમાં “પતિઆજ્ઞા” દર્શાવતી હતી. એ આજ્ઞાને કોઈ ભુલભરેલી ગણે ત્યારે પતિપ્રતિષ્ઠાનું સમર્થન કરવા આ શિક્ષાના અક્ષરોનો સારોદ્ધાર કરી સાક્ષરા જય પામતી, છતાં સ્ત્રીજાતિને સ્વાભાવિક ભીતિ તે ગુણસુંદરીના હૃદયને પુત્રીના સ્વાતંત્ર્યફલના સંબંધમાં નિરંતર કંપાવતી, અને પોતાની ભીતિ ખરી ન પડે એવું એ નિત્ય ઈચ્છતી. એ ભીતિ ખરી પડશે કે ખોટી એ શંકા ગુણસુંદરીને અને સુન્દરને નિત્ય થતી. એ શંકાનું સમાધાન કાળક્રમે અને કુસુમના પૂર્ણ વિકાસને અંતે જ થાય તેમ હતું, ભત્રીજીને માની ચિન્તા ઓછી કરવાનું ક્‌હેતાં ક્‌હેતાં સુન્દરનું હૃદય આ શંકાથી ધડકવા લાગ્યું, વગર અંકુશે ઉછરેલી કન્યાની બુદ્ધિમાં વિપત્તિધર્મનો બોધ કેવી રીતે સ્ફુરે છે તેનું અવલોકન અનુભવી વિધવા આતુરતાથી કરવા લાગી. એ આતુરતાને લીધે પોતાને પ્રશ્ને પ્રશ્ને કાકી ભત્રીજીનાં નેત્ર ભણી દૃષ્ટિ ધરવા લાગી, અનુભવહીન પણ મેધાવિની બાળાના ઉત્તરે ઉત્તરે તેના અક્ષરોદ્ગાર ભણી પોતાના કર્ણને એકાગ્ર કરવા લાગી, અને એ ઉદ્ગારકાળે અનેક વિકારો અનુભવતી પ્રિય વત્સાના નખથી શિખ સુધીના સર્વ ભાગો ઉપર સહજ સ્ફુરતી ચેષ્ટાઓને વત્સલ કાકી અનેક પ્રિય-ચિન્તક ચિન્તાઓથી વીજળી પેઠે સહસા, ત્વરાથી, સર્વત; અને ક્ષણભરમાં સુપ્રકાશિત કરવા લાગી.

કાકીનો પાલવ ઝાલી કુસુમ બોલી, —

"કાકી, તમે એમ સમજો છો કે ગુણીયલના દુ:ખમાં વધારો કરવા જેવાં મ્હારાં કૃત્ય છે?"

સુન્દર – ના, ત્હારાં કૃત્ય એવાં નથી, પણ ત્હારા વિચાર અને બોલ ગુણીયલની ચિન્તાઓ વધારે છે.

કુ૦- ત્યારે ગુણીયલ મને જાતે કેમ ક્‌હેતાં નથી?

સુ૦- ત્હારા પિતાજીની આજ્ઞા છે કે ત્હારા વિચાર જાણવા પણ રોકવા નહી; તેને વાળવા પણ મરડવા નહી.

કુ૦- ત્યારે એટલું તો ખરુંકની કે મ્હારા વિચાર નિર્દોષ છે?

સુ૦- હું કાંઈ પંડિત નથી. પણ આ વિચાર પ્રમાણે તું ચાલીશ તો વિપરીત કરી બેસવાની અને જાતે દુ:ખી થઈ બીજાને દુ:ખી કરવાની ! ઈંગ્રેજી ભણેલા પુરુષો ઘર ચલાવવા બેસે ત્યારે સ્ત્રીજાતે તેમની મરજી પ્રમાણે વર્તવું પડે, પણ એટલી તેમની આજ્ઞા પાળવાથી આપણાં કાળજાં કંપતાં મટે નહી.

કુ૦- જ્યારે મ્હારી ચિન્તા પિતાજી એક રીતે કરે અને ગુણીયલ બીજી રીતે કરે ત્યારે મ્હારે શું કરવું?

સુન્દરે કુસુમને જરીક ખસેડી અને એક બેઠક ઉપર બેજણ સંકડાઈને બેઠાં, સુન્દરે કુસુમને બગલમાં લીધી. સુ૦- પુત્રોની સંભાળ પિતા લે અને પુત્રીની માતા લે. જો તું ગુણીયલના વિચારમાં વળે તો ત્હારા પિતાને વાંધો નથી.

કુ૦- તો મ્હારા વિચારને વાળો - એને મરડી નાંખવા શું કરવા મથો છો? મ્હારે કુમારાં ર્‌હેવું છે. એ વિચારને મરડી નાંખી તમે બધાં પરાણે પરણાવશો ત્યારે મ્હારું કંઈ જોર છે? ગાય ને દીકરી - તેને મા-બાપ મોકલે ત્યાં જાય.

કુસુમનું હૃદય ભરાઈ આવ્યું, તેનાં વિશાળ નયન આંસુથી ઉભરાયાં, બાળક હૃદય દુઃખના આવેશથી ધડકવા લાગ્યું, અને કાકીની છાતી ઉપર માથું નાંખી બાળા ધીમે ધીમે રોવા લાગી. સુંદરે ઉંડો નિ:શ્વાસ મુકયો. "બેટા કુસુમ ! એક દીકરીને પરણાવી સરાયાં નથી અને બીજી દીકરીનું પ્રારબ્ધ કેવું નીવડશે તે વિચારતાં અમારાં કાળજાં કમ્પે છે તો ત્હારા જેવી ચકોર જાતને ચિન્તા થાય એમાં નવાઈ નથી. પણ પરણ્યા પછીનાં સઉ દુઃખ કુમારાં રહ્યાંનાં દુઃખથી ઓછાં."

કુસુમ આંસું સુકવી મ્હોં ઉંચું કરી બોલવા લાગી. કાકી, માતાની ચિન્તા ઓછી કરવાની વાત પડતી મુકી, વાદવિવાદમાં ભળ્યાં લાગ્યાં. માતાની ચિન્તા ઓછી કરવાની વાતમાં કુસુમને પોતાનું કાળજું હારી જતું લાગ્યું. વાદવિવાદમાં ઉતરતાં પોતાની બુદ્ધિ ચાલતી લાગી.

"કાકી, પરણેલાંનાં દુ:ખ સઉ દેખીયે છીયે. કુમારાંનાં દુ:ખ કોણે દીઠાં છે?"

સુ૦- ડોસા કુમારા દીઠા છે; ડોશી કુમારી દીઠી નથી તો તેનું સુખ કે દુ:ખ કશું યે શી રીતે દેખાય? બાકી અનુમાનથી જોવાનું તે તો બે પગે ચાલે તે દેખે. ન દેખે એકલી મ્હારી ઘેલી કુસુમ!

કુ૦- ઘેલી ભત્રીજી ન દેખે તે ડાહ્યાં કાકી દેખાડે !

સુ૦- જો બાળક પાસે બધી વાતો થાય નહી અને બાળક મ્હોટાંની વાત કરવાના ચાળા કરે ત્યારે મ્હોટાંએ ન ક્‌હેવાનું ક્‌હેવું પડે.

કુ૦- એમ કરો ત્યારે.

સુ૦- તું લાજ છોડાવીશ ને છોડીશ પણ મમત મુકવાની નહી.

કુ૦- વારું એમ. પણ બોલો તો ખરાં.

સુ૦- જેણે મુકી લાજ, તેને ન્હાંનું સરખું રાજ્ય.

કુ૦- હા ભાઈ, એમ, પણ બોલો.

સુ૦- હું કંઈ ત્હારો ભાઈ નથી. પણ લે, સાંભળ ત્યારે. આ જગતમાં લોક સંસાર શું કરવા માંડતા હશે? કુ૦ – તેમને તેમ ગમ્યું. ગમવા ન ગમવાની વાત; તેમાં કારણ શાં ? કોઈને ભાવે ગળ્યું, ને કોઈને ભાવે તીખું; કોઈને ગમે સંસાર માંડવાનું ને કોઈને ગમે કુમારાં ર્‌હેવાનું.

સુ૦ - ના, એમ નથી. ભાવવું ન ભાવવું તેનો આધાર જીભ ઉપર છે. પણ ભુખની વાસના જેવી સંસાર માંડવાની વાસના પ્રાણીમાત્રને વખત આવ્યે થાય છે, જેમ ઝાડમાત્રને પોતપોતાની ઋતુ આવ્યે ફળપુષ્પ થાય છે તેમ પ્રાણીમાત્રમાં યૌવનનો વા વાતાં મોડી વ્હેલી સંસારની વાસના જાતે ઉત્પન્ન થાય છે.

કુ૦ – પણ રાણી સાહેબનાં શિક્ષક મિસ્ ફ્લોરા મડમ છે તે હજી કુમારાં છે, ને બીજું બેાલું ?

સું૦ - બોલને.

કુ૦ – ના, પણ તમને ખોટું લાગે ને મને વ્હડો.

સુ૦ - ના, નહીં ખોટું લાગે.

કુ૦- બીજું તમે પણ ક્યારે સંસાર માંડ્યો છે ?

સુન્દર હૃદયનો નિ:શ્વાસ હૃદયમાં ડાબી બોલી.

“મડમને વાસના નહી થઈ હોય તો થશે ને આજ નહી તો ચાર વર્ષે સંસાર માંડશે. ને બેટા, કાકીની વાત કાકીનું હૃદય જાણે છે કે પરમેશ્વર જાણે છે.”

કુ૦– “ ત્યારે તો તમને વાસના થઈ હશે.”

આંખો ચોળતી, આડું જોતી સ્વસ્થ બનતી સુન્દર બોલી.

“જો, ઈશ્વરે જ્યાં જ્યાં, પ્રાણ અને યૌવન મુક્યાં છે ત્યાં ત્યાં એ વાસના પણ મુકી છે. વિધાત્રી, લક્ષ્મીજી, અને પાર્વતી એ જગદમ્બાના સ્વરૂપ, તેમાં પણ એ વાસના પ્રકટી છે તો ત્હારી કાકી જેવી રાંક જાત તે કોણ માત્ર? વાસના તો યૌવન સાથે ઘડાઈ. તે યૌવન સાથે જશે. પણ એ વાસના મારવી એ ડાહ્યાં અને સદ્‍ગુણી માણસનું કામ.”

કુસુમ જય મળ્યો ગણી ઉભી થઈ હસતી હસતી બોલી.

“ત્યારે એ શુભ કામ કાકીથી બન્યું તે ભત્રીજી બનાવશે ! પણ એટલી હરકત સારું પરણવાના ખાડામાં પડવાનું હોય તો આપણી ચોખી ના.”

સુન્દરે હાથ ઝાલી કુસુમને પાછી બેસાડી.

સું૦- બેશ તો ખરી, એટલામાં ફુલી શું ગઈ? આજ મ્હેં ત્હારી સાથે સહીપણાં માંડ્યાં ત્યારે બધુંયે ક્‌હેવું પડશે ને એ ક્‌હેવાનું તો હજી ઘણું છે.

કુ૦- લ્યો ક્‌હો. તમને ક્‌હેતાં થાક નહી ચ્હડે તો મને સાંભળતાં શો થાક ચ્હડવાનો છે ?

સુ૦- તું જાણે છે કે વાસના મારવાનું કામ સ્હેલું છે. પણ એના જેટલું વિકટ કામ કંઈ નથી. ઋષિ મુનિ અને બ્રહ્માદિક લોકે એનાથી પરાભવ પામી ભુલો ખાધી છે.

કુ૦ – પણ એ તો તમે પુરુષોની વાત કરી. એ વાસના ગમે તેવી વિકટ હશે, છતાં જગતમાં સતીઓ કેટલી બધી થઈ ગઈ છે ? હું ધારું છું કે આ વાસનાને જીતવામાં પુરુષોના કરતાં સ્ત્રીઓ વધારે ફાવી હશે, તેથી જ્યારે પુરુષોમાં મ્હોટા મ્હોટાની ચુક ગણાઈ છે ત્યારે સ્ત્રીઓમાં મ્હોટાં મ્હોટાંનું સતીપણું ગણાય છે.

સુન્દરને ભત્રીજીની બુદ્ધિ ઉપર વ્હાલ ઉપજ્યું ને બોલી.

“બેટા, ત્હારામાં અનુભવનું કામ સારવા ઈશ્વરે બુદ્ધિ આપી છે. સતીઓ વધારે થઈ છે તેના અર્થ તો બે થાય. એક ત્હેં કહ્યો તે. અને બીજો એવો થાય કે પુરુષો ઘણું ખરું સારા હોય છે ને માત્ર ભુલો કરનારા આંખે ચ્હડે છે, ત્યારે સ્ત્રીયો ઘણી ખરી નઠારી હોય છે ને તેમાંથી માત્ર થોડી સારી નીવડનારીઓ છે તેથી તેમનાં દૃષ્ટાંત લેવાય છે. આવો યે અર્થ કરનાર કરે, ને પુરુષોની બોલીમાં ને પુસ્તકોમાં લોક આપણ સ્ત્રીયોને ગાળો દેતા આવ્યા છે કે સ્ત્રીયો જાતે નઠારી તેથી પુરુષ ફસાય છે. હવે ખરી વાત જોઈએ તો આમાં કંઈક સાચું છે ને કંઈક ખોટું છે.”

કુ૦– "કેવી રીતે ?"

સુ૦– "વાસના તો ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બેમાં મુકી છે. પણ સ્ત્રીની વાસનાને માથે કેટલાક અંકુશ ઈશ્વરે મુક્યા છે ને કેટલાક લોકે મુક્યા છે. સ્ત્રીને લજજાનું ભૂષણ છે તે જ એની વાસનાનો અંકુશ છે. જે સ્ત્રી લજ્જાવતી છે તેની વાસનાને બ્હાર ફુટી નીકળતાં મહાપ્રયત્ન પડે છે. માટે આ લજ્જાનું પોષણ કરવું એમ જ સ્ત્રીને પોતાની જાતનું અભિમાન હોય છે અથવા પોતાના કુળનો વિચાર હોય છે તે સર્વે આ વાસનાના અંકુશ છે."

કુ૦– "ત્યારે શું સ્ત્રીયો આ અંકુશને વશ છે તેથી સારી છે અને તેનું પોતાનું જાતબળ નથી ?" સુ૦ – "છે. એ પણ છે અને અંકુશ પણ છે. સ્ત્રીના શરીરમાં બળ નથી, પણ હૃદયમાં એવું બળ છે કે દુષ્ટ પુરુષો સતીના સામું જોતાં કંપે છે. રાવણ જેવો સીતામાતાને હરી ગયો ખરો, પણ અશોક વનમાં બાર વર્ષ માજી રહ્યાં ત્યાં એ દુષ્ટ, તેમના દૃષ્ટિપાતથી ધ્રુજતો, આવીને જતો ર્‌હેતો, અને રામજીના સામી લ્હડવા છાતી ચલાવી, પણ માજીના શરીરને અડકી શક્યો નહીં. બેટા, રામજીના કરતાં સીતાજીએ વધારે પરાક્રમ કર્યું અને સ્ત્રીજાતને માથે એમનો હાથ હોય ત્યાં સુધી પુરુષ જખ મારે છે.અને પુરુષો સારા અને પંડિત હોય, પણ જાતે વાસનાને રોકી શકતા નથી ત્યારે સામી સ્ત્રી પોતાનું બળ બતાવી પુરુષને સારે રસ્તે ટકવા દેઈ શકે એમ હોય છે. પુરુષ અને સ્ત્રી બે સારાં હોવા છતાં બે જણને વાસના ઉત્પન્ન થાય તેવે કાળે જો સ્ત્રી ધારે તે તેને બળે બે જણ શુદ્ધ રહી શકે અને વાસના નિષ્ફળ થાય. એવું છતાં સ્ત્રી પોતાનું બળ આવી સારી રીતે વાપરવાને ઠેકાણે પુરુષને લલચાવવા બેસે તો પુરુષનું ગજું નથી કે વાસનાને રોકી શકે, પુરુષની લલચાવી સ્ત્રી ન લલચાય, પણ સ્ત્રીનો લલચાવ્યો પુરુષ ટકી શકે એમ ન ધારવું. આવી જાતનું પોતાનું છતું બળ સ્ત્રીયો ન અજમાવે ત્યારે સાધુ પુરુષો એમને ગાળો દે તો તેમનો વાંક નહી."

કુ૦- "મને લાગે છે કે એક પુરુષ અનેક જીવતી સ્ત્રીયો કરે અને સ્ત્રી વિધવા થયા પછી પણ તમારી પેઠે - જાઓ નહી કહું. પણ આપણા લોકમાં આવા ચાલ છે તેનું કારણ એ જ હશે કે પોતાની અને પુરુષની વાસના રોકવામાં બધી બાજી સ્ત્રીના હાથમાં છે–"

સુ૦- "વાહ, દીકરી, જીવતી ર્‌હેજે. અને એટલા માટે જ આપણે પુરુષના વાદ નહીં. એટલા માટે જ શાસ્ત્રમાં આપણે માથે મર્યાદાઓ મુકી છે."

કુ૦– "સુધારાવાળા એમ કહે છે કે પુરુષ બળવાન છે ને સ્ત્રી અબળા છે તેથી પુરુષોએ શાસ્ત્રો કરી સ્ત્રીઓના સુખની મર્યાદાઓ બાંધી અને પોતે સ્વતંત્ર રહ્યા."

સુ૦- ના બેટા, એ સુધારાવાળા પુરૂષો ઝીણવટ સમજતા નથી. બાળા મ્હોટાની સાથે લ્હડવા માંડે ત્યારે બાળકની પેઠે અમર્યાદ ન થતાં બાળકનું રક્ષણ કરી તેને કઠેકાણે વાગી બેસે નહી એમ લાપટઝાપટ કરી બાળકને વશ કરવું એ મ્હોટાનો ધર્મ. નિર્બળ અને બળવાન, સમજુ અને અણસમજુ એવાંઓના પરસ્પર વ્યવહારમાં બળવાન અને સમજુને માથે મર્યાદા અને ધર્મ હોય છે. સંસારની વાસનાઓને અંગે સ્ત્રી પુરુષ કરતાં વધારે બળવાળી છે અને સ્ત્રી બળ કરી વાસના રોકી શકે છે માટે શાસ્ત્રે બાંધેલી મર્યાદાઓ પાળવી એ સ્ત્રીનાં બળને ધર્મ છે.

કુ૦– જ્યારે એમ સ્ત્રીયોમાં બળ છે ત્યારે મને પરણવાનું કેમ ક્‌હો છો ?

સુ૦ – બધી સ્ત્રીયો બળવાળી નથી હોતી.

કુ૦ – તે બળવાળી ન હોય તે પરણે અને બળવાળી ન પરણે. આનો ઉત્તર સુન્દરને બરાબર સુઝયો નહી. તે પણ વિચાર કરતી કરતી બોલી.

“જો, બળવાળી પોતાના બળને લીધે ન પરણે તો બળવગરની બીજી લાલચોથી ન પરણે. એકજણ ચાલ પાડે તો બધે ઠેકાણે ચાલ પડે, માટે શાસ્ત્રવાળાએ ઘણો વિચાર કરી પાળ બાંધી તેને પાણી ઓળંગી શકે નહીં. બેટા, આપણું પ્રારબ્ધ આપણાં હાથમાં નથી પણ અનુભવી લોક અને ત્રિકાળ જ્ઞાની ઋષિ મુનિયો આપણું પ્રારબ્ધ બાંધી ગયા છે તેમાં સર્વલોકનું અને આપણું કલ્યાણ જ રહેલું છે. તેમણે મ્હારે માટે આવું પ્રારબ્ધ બાંધ્યું અને ત્હારે માટે પરણવાનું પ્રારબ્ધ બાંધ્યું તેમાં મહારાજ, મણિરાજ પણ ફેર કરી શકે એમ નથી, તો ત્હારા પિતાજી ભણીની તો આશા ત્હારે મુકવી જ !”

કુ૦- વારું, એ તો બધું ઠીક. પણ ધારો કે આરજાઓ, બાવીઓ, અને મડમો કુમારી ર્‌હે છે તેમ હું પણ રહું તો મને પોતાને શી હાનિ ?

સુ૦- તું આજ ધારે છે કે ત્હારામાં વાસના રોકવાનું બળ છે, પણ તે હમેશ તેમજ ર્‌હેશે એમ ન ધારવું.

કુ૦ - પછી ?

સુ૦ – પુરુષને માયાની બ્હીક, પણ સ્ત્રીને માયા અને કાયા બેની બ્હીક,– જ્યાં જાય ત્યાં બ્હીક. ડગલે ડગલે ને પળે પળે ને વસ્તીમાં તેમ એકાંતમાં પણ એ બ્હીક.

કુ૦- પછી ?

સુ૦– શરીરની રચના ઈશ્વરે એવી કરી છે કે પુરુષ ગમે તેટલી ભુલો કરે તો જગત જાણે નહી; પણ સ્ત્રીની એક ભુલથી એવું થવા વારો આવે કે તેનું શરીર જ તેની અધોગતિ પ્રસિદ્ધ કરે અને તેની મુક્તિ ગમે તે બાળહત્યાથી કે ગમે તો નાત જાત અને લાજનો ત્યાગ કર્યાથી જ થાય. કુસુમ, સંસારના જરીક સરખા પણ લ્હાવાની અનુભવીયણ વિધવાને પ્રારબ્ધનો સંતોષ રહી શકે પણ સંસારનું સ્વપ્ન પણ જેણે દીઠું નથી એવી કુમારિકાને આ સંતોષ શી રીતે વળવાનો હતો અને આ પપળામણમાંથી તે શી રીતે તરવાની હતી ?

કુ૦ - પછી ?

સુ૦ – તું હાલ સમર્થ માતાપિતાની છાયામાં ર્‌હે છે અને ત્હાડતડકો જાણતી નથી. પણ ત્હારાથી જાતે કમાવા જવાવાનું નથી, ઘડપણ મંદવાડ, અને મરણ સઉને માથે ભમે છે. માબાપની એકઠી કરેલી લક્ષ્મીનો વિશ્વાસ નથી. ત્હારાં માતાપિતાની જે સ્થિતિ આજ છે તે નિત્ય ર્‌હેવાની નથી, અને તેમના દેહ નહી હોય ત્યારે તું અશરણ થઈ સંસારમાં એકલી પડીશ, ત્હારી દાઝ દયા જાણનાર કોઈ ર્‌હેવાનું નથી, અને તું કાકીના બોલ સંભારીશ ને રોઈશ – પણ ત્હારાં આસું લ્હોનાર અંગનું માણસ તને મળવાનું નથી.

કુ૦ – પછી ?

સુ૦ - પરણેલી રાંડે તેને પીયર ને સાસરુ બે છે. મ્હારાં ભાઈ ભોજાઈને મ્હારું મ્હો ગમ્યું નહી અને મને ભુખી તરસી ઘરબ્હાર ક્‌હાડી ત્યારે પરણી હતી તો મ્હારે આટલાં ન્હાની ભાભી હતાં તેને મ્હારી દયા આવી ! ગુણસુંદરી હતાં તો સુન્દર આજ જીવે છે. કોઈ ઠેકાણે દરબારની બ્હીકે તે કોઈ ઠેકાણે લોકલાજથી, કોઈ ઠેકાણે લેાકલાજથી તો કોઈ ઠેકાણે ગયા સ્વામીના સ્મરણથી, કોઈ ઠેકાણે તેથી તો કોઈ ઠેકાણે કુટુમ્બભાવથી કે દયાથી, મ્હારા જેવી અનેક રાંડીરાંડો સાસરીયામાં સમાસ પામે છે, અને એક ઠેકાણે ભોજાઈને જેનું મ્હો ગમતું નથી તેનું મ્હો સાસરાની દેરાણી જેઠાણી કે દીયર જેઠ જુવે છે અને બીજે ઠેકાણે સાસરીયાને દયા ન આવે તો ભાઈ બ્હેનને સંગ્રહે છે. કુસુમ, વગર પરણેલી કુમારિકા ભાઈને પણ ભારે પડે અને ભાઈ ક્‌હેશે કે પરણવાનું હાથમાં છતાં પરણતી નથી ને મ્હારે માથે પાંચશેરીયો થઈ બેઠી ! તને ખબર છે કે ગરીબ પીયરમાં પરણેલી દીકરી સાસરે જતાં વાર લગાડે તો ગાળો ખાય છે, તે જન્મારો સુધી માથે પડ્યા જેવી બ્હેન કીયા ભાઈને ગમવાની હતી ? ત્હારો ભાઈ આવશે, ને તું સાસરેથી ચાર દિવસની મહેમાન થઈ પીયર આવીશ તે ભાઈ ત્હારો સાત્કાર કરશે. પણ કુમારી રહી તો ભાઈ ત્હારો ભાર વેઠી શકશે નહી અને તેને ત્હારું મ્હો પણ નહીં ગમે. હું વિધવાને સુખ છે તે પણ તું કુમારી રહીશ તો તને નહી મળે ! કુ૦ –પછી ?

સુ૦– શું – પછી - પછી - કર્યા કરે છે ? મ્હેં આટલું કહ્યું તેનો કંઈક ઉત્તર તો દે? અમે કુતરાં તે ભસ ભસ કરીયે ને મોંઘીબા મ્હારાં બોલ ન બોલે.

કુ૦- કાકી, ક્રોધે ન ભરાશો, તમે અનુભવની વાતો કહી. તેનો હું ધીમે ધીમે વિચાર કરીશ ને કંઈ માર્ગ ક્‌હાડીશ.

સુ૦- શાના માર્ગ ક્‌હાડવાની હતી જે ? ભાઈબાપા કર્યે નહી માને તો હાથ પગ બાંધીને મનાવવું પડશે.

કુ૦– તે હાથપગ બાંધજો ને માથું યે મરડી નાંખજો. એમાં કાંઈ લેવા જવું છે ? બાકી વિચાર કરવા જેવું હોય ત્યારે તરત ઉત્તર ન યે દેવાય.

સુ૦– ન દઈશ, બાપુ, ન દઈશ. હું જાણું જ છું તો કે કુમુદ રાંક હતી તેણે મરીને ત્હારી માને દુ:ખ દીધું અને તું કુમારી રહીને દેવાની છે, જુવાનીમાં જેને સાસુ નણંદે જંપી બેસવા ન દીધાં તેને આજ દીકરીયો શી રીતે જંપવા દે ?

કુ૦– તે, કાકી, એ વાત નહી થાય. ગુણીયલનું કહ્યું કરવાની મ્હેં ના કહી નથી, મ્હારા વિચાર વાળવાની વાત હતી – તે વિચાર તમારાથી વળે તો વાળો. મ્હારા વિચાર વાળ્યા વગર મ્હારી મરજી ઉપરાંત કંઈ કરવું હશે ને કરશો તો હું એટલી શ્રદ્ધા રાખીશ કે મ્હારાં છત્રરૂપ છો ને અનુભવી છો તે જે કરશો તે સારું જ હશે. બાકી મ્હારા વિચાર તો જે હોય તે. તે ઉપર મ્હારું જોર નહી.

આટલું બોલે છે ત્યાં આશપાસ કોઈના પગનો ઘસાતો થયો. તેની

સાથે આ વાતો બંધ પડી અને બે જણ ઘસારાની દિશામાં જવા ઉઠ્યાં.