સરસ્વતીચંદ્ર ભાગ ૪/ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર.

← કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મિત્ર કે પ્રિયા ? →


પ્રકરણ ૩૬.
ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર.

Woodman, spare that tree!
Touch not a single bough !
So long it sheltered me, .
And I'll protect it now.
G. P. Morris.

ચિરંજીવોનું દર્શન સ્વપ્નના સિદ્ધનગરમાં સમાપ્ત થયું તેની સાથે સરસ્વતીચંદ્ર ગાઢ નિદ્રામાં પડ્યો. એક સ્વપ્ન વિના આખી નિશા ગાળી અને પ્રાત:કાળે છેક આઠ વાગે એની આંખ ઉઘડી.

કુમુદ નિત્યને નિયમે ઉઠી હતી. પોતાને થયેલા સ્વપ્નની અદ્દભુત સામગ્રીઓ તેનાં બીજા સ્વપ્નમાં પણ સાધનભૂત થઈ હતી અને ઉઠી ત્યારે સરસ્વતીચંદ્રને ઉઠવાની કેટલીક વાર સુધી વાટ જોઈ પાસે બેસી રહી. અંતે આની નિદ્રાનો ભંગ ન કરવો ઉચિત ગણી દંતધાવન આદિની સામગ્રી એની પાસે મુકી, સાધુજનોનાં કામમાં ભળવા નીચે ગઈ. કેટલીક વારે ઉપર ફેરો ખાવા આવી તો સરસ્વતીચંદ્ર ઉઠેલો હતો તેની સાથે કાંઈ સહજ વાતચીત કરી પાછી ગઈ, અને બે ગુફાઓની વચ્ચેના પુલ ઉપર જતી જતી બોલી : “કોઈને વધારે પરિચયથી વાસના વધે; આપણી ઘટી ! દિવસ જ આજ કેવો સ્વસ્થ, સુંદર અને પવિત્ર લાગે છે?” સર૦- જેવું મન તેવું જગત, અને જગત તેવું મન. આવાં પુણ્ય સ્વપ્નનું જગત અને તમારા જેવું પવિત્ર મન ! એ ઉભયનો સંયોગ આવા જ દિવસને દેખાડે !

કુમુદ૦– આપના પવિત્ર મનની છાયામાં ઉદય પામી સ્વપ્ન જાગૃતના કરતાં વધારે બોધક થાય છે ને મ્હારા જેવીનાં મન દૃઢ થાય છે. આપ આજના સ્વપ્નનું વર્ણન પણ કાલની પેઠે લખશો ?

સર૦– અવશ્ય લખીશ. પરમ દિવસના સ્વપ્ને મ્હારા દુઃખનો આવેગ વધાર્યો હતો. કાલના સ્વપ્ને મને સ્વસ્થ કર્યો છે, સંતુષ્ટ કર્યો છે, ને મ્હારા ધર્મના માર્ગ મ્હારી દૃષ્ટિ પાસે સ્પષ્ટ તરી આવે છે.

કુમુદ૦– ગુરુજીનો પ્રયાસ સફલ થયો.

સર૦– તેમની તો કૃપા જ છે; પણ તેમની શક્તિથી જે મને મળે એવું ન હતું તે આજને સ્વપ્ને આપ્યું. કુમુદસુન્દરી ! મ્હારાં સર્વ પ્રિયજનને અને મ્હારા દેશને કલ્યાણમાર્ગ લેવાની ક્રિયા મને સાધ્ય થશે.

કુમુદ૦– શી રીતે ?

સર૦– આજ હું બ્હાર જવાનો નથી. આખો દિવસ આ જ વિચાર કરી સર્વ વાત મ્હારા હૃદયમાં સ્પષ્ટતમ સુવ્યવસ્થિત કરી દેઈશ ને સાયંકાળે તમને સમજાવીશ.

કુમુદ૦– એ સન્ધિનો સમય અને તે પછીનો સમય ગોષ્ઠિવિનોદથી દીપક થાય છે એ આપણે અનુભવ્યું છે; એ કાળે નિંદ્રા વિયોગ કરાવે તે સારું, અને આપણી વાર્ત્તા દિવસે કરીયે તે જ સારું.

સર૦- વાંકી વાળેલી અત્તરની શીશીયો ઢોળાતી ઢોળાતી બચી અને હવે તો દાટા દેવાઈ ગયાછે ! હવે આપણે નિર્ભય નથી ?

કુમુદ૦- પવિત્ર સ્વપ્નોથી ભરેલું આપનું હૃદય આવા ભયને અવકાશ નહી આપે એવું હું માનું છું. પણ હજી આપણું ત્રસરેણુક-જીવન કેવળ સૂક્ષ્મ નથી થયું ને સ્થૂલ શરીરને ભવસાગરમાં તરતું રાખવા પ્રયત્ન કરવો પડે એવો સંભવ ર્‌હેતો મટી નથી ગયો !

સર૦– આજનો દિવસ મ્હારી વિચારસિદ્ધિને આવશ્યક છે ને રાત્રિ તો તમે ક્‌હો છો એવી છે.

કમુદ૦- હું હવે ધારું છું કે બે રાત્રિના કરતાં ત્રીજીને આપણે વધારે પવિત્ર અને સ્વસ્થ કરી શકીશું. તો ઠીક છે. હું તરત જવાની આજ્ઞા માગું છું. સર૦- અદ્વૈતમાં આજ્ઞા શી ?

કુમુદ૦- એ પણ સત્ય છે; તો હું જાઉં છું.

કુમુદસુન્દરી ચાલી. ચાલવા માંડ્યા પછી સરસ્વતીચંદ્રે તેને પાછી બોલાવી “કુમુદસુન્દરી, જરા આવી ને જાવ.”

કુમુદ પાછી ફરી.

“શી ઇચ્છા છે ?

સર૦– તમારું મન સ્વસ્થ છે ?

કુમુદ૦- હા.

સ૨૦– દૃઢ છે ?

કુમુદ૦– એ પ્રશ્ન જ મનને અદૃઢ કરે છે.

સર૦— તમારા સંબંધમાં હું કાંઈ તમને કહું તે ખેદ વિના સાંભળી શકશો ?

કુમુદ૦– આપના સંસર્ગથી આપે આપેલી મ્હારી ક્ષુદ્ર શક્તિયોનું બળ આપ જ જાણી શકશો ને વધારી શકશો.

સર૦– જ્ઞાનદષ્ટિએ અને જ્ઞાનને બળે જ મ્હારું ક્‌હેવાનું સાંભળી તમારું હૃદય સ્થિર રહી શકશે.

કુમુદ૦– જો એમ હોય તો કલ્પનાનું કે શંકાનું કાંઈ કારણ નથી.

સર૦– તો બેસો ને આ વર્તમાનપત્રો આપું તે વાંચો.

કુમુદ બેઠી. વર્તમાનપત્રો વાંચવા લાગી. સૈાભાગ્યદેવી અને પ્રમાદધનનાં મરણના અને કુમુદના ડુબી ગયાના સમાચાર એક પછી એક કુમુદે ધડકતે હૃદયે અને રોતી આંખો એ વાંચ્યા. પત્રો પાછાં મુક્યાં અને રોતી રોતી નીચું જોઈ બેસી રહી. શું બોલવું, શું કરવું, કે શું પુછવું – તે કાંઈ એને સુઝ્યું નહી. શોકનો એક કાળો રંગ એના હૃદયમાં વ્યાપી ગયો.

સર૦– તમને આવો શોક થશે જાણીને જ મ્હેં આ વાત તમને કહી ન હતી. હવે પરિપાક પામતા અદ્વૈતમાં આટલો પણ પડદો અધર્મ છે એમ જાણી હું આજ કઠણ હૃદયનો થયો ને આ વાત તમારી પાસે વંચાવવાની મ્હેં ક્રૂરતા કરી.

કુમુદનું મુખ લેવાઈ ગયું. એનાં આંસુ ખાળ્યાં રહ્યાં નહી.

“દેવીના વિષયનો તો મ્હારો શોક આપ સમજી શકશો. પણ હું સત્ય કહું છું કે મ્હારા સ્વામીનાથને માટેનો પણ મ્હારો શોક એવો જ છે ને એથી વિશેષ છે. તેઓ સ્વભાવે સુશીલ અને સદ્ગુણી હતા – કુસંગે તેમને અવળે માર્ગે ચ્હડાવ્યા. એ માર્ગ એ ચ્હડયા ત્યારે પણ મ્હેં એમની સમજણનો દોષ ક્‌હાડયો ને એમના હૃદયમાં મને દોષ લાગ્યો નહી. એમનામાં વિદ્યા ન હતી પણ હૃદય હતું – ને તમારામાં પણ તમારી વિદ્યા કરતાં તમારા હૃદયનો વધારે વિશ્વાસ કરું છું તે તમે જાણો છો ! એ જીવ્યા હત તો કોઈ દિવસ શું મને પાછી સ્મરત નહી ? પ્રિય સરસ્વતીચંદ્ર ! આપના ઉપર મને દયા આવી ને એમના ઉપર પ્રીતિ હતી તેથી બે પાસનો વિચાર કરી મનમાં એમ ધારતી હતી કે આપ પાછા મુંબાઈ જાવ તો સુખી થાવ એટલે મ્હારે દયા કરવાનું ર્‌હે નહી, અને હું પાછી કાળે કરીને એમનું હૃદય નરમ થાય ત્યારે એમની પાસે જ જાઉં ! એવો કાળ આવશે એવી મને શ્રદ્ધા હતી અને હવે એ પાસની શ્રદ્ધા અને આશા સર્વ નષ્ટ થઈ ગયાં ! જેમને માટે અત્યાર સુધી હું આપની પાસે આ શરીરને શુદ્ધ રાખી શકી તે ગયા, ને હવે હું સાસરે પણ શું જાઉં ને પીયર પણ શું જાઉં ? મ્હેં એક સ્થાને વાચેલું હવે સ્ફુરે છે ને અનુભવું છું કે.

Jealous, jealous, yet the heart
Loves and weeps when all is past !”

“હરિ ! હરિ ! તને આ જ ગમ્યું ?”

બે હાથે મ્હોં ઢાંકી સંતાડી કુમુદ પુષ્કળ રોવા લાગી. સરસ્વતીચન્દ્રથી તે જોવાયું નહી. મર્યાદા મુકી એની પાસે એ બેઠો ને એને વાંસે અને માથે હાથે ફેરવી ક્‌હેવા લાગ્યો.

“તમારા હૃદયની શુદ્ધતા હું નહી સમજું તો કોણ સમજશે ? તમે ઉદાર છો, શુદ્ધ છો, ને ક્ષમાશીલ છો. હવે આ કાળનું ધૈર્ય પણ તમારામાં આવી શકે છે એટલું વધારે દેખાડી દ્યો.”

કુમુદ૦- હવે હું જે રોઈશ તે જગત અસત્ય જ માનશે.

સર૦– જગત ગમે તે માને ! શોક એ પોતાના હૃદયની સ્થિતિ છે - તેમાં સામાં માણસ સત્ય કે અસત્ય માને તેમાં આપણે શું ? આપણી સંસારી સ્ત્રીયો રોવાકુટવાનાં ચિત્ર ક્‌હાડે છે ને તેમાં કૃત્રિમ કળાઓ વાપરે છે તેવું આપણે ઓછું જ કર્યું છે. તમારો શોક શુદ્ધ છે, પણ સાધુજનો શોકને સ્વીકારતા નથી. કુમુદ આંસુ લ્હોતી લ્હોતી જરા દૂર ખસી બેઠી.

“આપનું ક્‌હેવું યથાર્થ છે. પણ સંસારની રીતે મ્હારે હવે જુદો આચાર ઘટે છે. પ્રથમ તે હું હવે સ્નાનને અને સૂતકને પાત્ર થઈ ને આ હાથની બંગડીયોનો નાશ ઉચિત થયો. અને વૈધવ્યકાળને જે જે બીજા – ઉચિત સંસ્કાર છે તે કરવા પડશે. પણ મને તે કોણ બતાવશે અને કરાવશે ? ” આટલું પુછતી પુછતી વળી તે રોવા લાગી.

સર૦- જે સંસાર તમે છોડ્યો છે તેના ધર્મ પાળવાની હવે આવશ્યકતા નથી. આ પવિત્ર સ્થાનમાં શુદ્ધ વિવાહથી વિવાહિત દમ્પતીનો મરણ પણ વિયોગ કરી શકતું નથી અને જેને સંસાર જન્મપર્યન્તનું વૈધવ્ય ક્‌હે છે તેને અંહીના સાધુજનો અવૈધવ્ય જ ગણે છે. માટે તમે સાધ્વીજનોમાં શ્રેષ્ઠ આર્યાઓને અને ચન્દ્રાવલીમૈયાને પુછીને તે દર્શાવે તે વિધિ પાળો.

કુમુદ૦– શું આ વેશ રાખવો હવે એક પળ પણ ઉચિત છે ?

સર૦- તમે સાધુજનોની અધ્યાત્મદૃષ્ટિથી જુવો. સર્વ વેશ સંસારના સંપ્રત્યયાત્મક કલ્પનાઓથી થયેલા છે. તમે તેની કલ્પનામાત્રનો નાશ કરો અને ગમે તો, સર્વ વેશને સમાન ગણી, લીધેલા વેશનો ત્યાગ ન કરો અને ગમે તો, સાધુજનો આવા પ્રસંગને માટે જે ઉચિત ગણતા હોય તેવો વેશ સ્વીકારો.

કુમુદ૦– આપે ભગવાં ધર્યાં, તો હું પણ હવે તેનું જ ધારણ કરીશ.

સર૦– જે કરો તે સાધુજનોને પુછીને કરજો.

કુમુદ૦– આપનું વચન સત્ય અને ઉચિત છે.

શોકની મૂર્તિ જેવી, અવસન્નતાની છાયા જેવી, અને નિ:શ્વાસની ધમની [૧] જેવી બાળા સાધુઓ પાસે જવાને ઉઠીને ગઈ; અને જતાં જતાં ચારે પાસની ભીંતોના પત્થર પણ પોતાને જોતા અને કંઈક ક્‌હેતા હોય એમ તેમના ભણી આંખ અને કાન માંડતી, વસન્તગુફાની નીસરણી ઉપરથી, ધીમી ધીમી ઉતરી – તેને જોનારને એવું જ ભાન થાય કે આ ગમે તો પગથીયાં ગણે છે ને ગમે તો પોતાનાં પગલાં ગણે છે – આમ એ ઉતરી એની પાછળ દૃષ્ટિપાત નાંખતો, આંખનો પલકારો કર્યાવિના એને ન્યાળી ર્‌હેતો, સરસ્વતીચંદ્ર બેસી રહ્યો ને એ અદૃશ્ય થઈ એટલે વિચારમાં પડ્યો.


  1. ૧. ધમણ.

“ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન ક્‌હેવી. નવી અવસ્થાએ નવો ધર્મ ઉભો કર્યો અને મ્હારી ધારણા બદલાઈ. જ્યાં સુધી મને સ્થૂલ કામની ભીતિ હતી ત્યાં સુધી કુમુદ પોતાને અવિધવા ધર્મથી બંધાયેલી ધારે તે જ ઈષ્ટ હતું. એ ભીતિ હવે બે પક્ષની ગઈ. પોતાને અવિધવા સમજનારી હવે પોતાને વિધવા જાણેછે. સ્થૂલ કામનાં શસ્ત્ર અત્યારે ખડાં થયાં હત, તો, હું અત્યારે એમ જ સમજત કે હવે આ મ્હારી ભોગ્ય વસ્તુ છે, અને અન્ય નેક ક્રૂર અપકારોએ ક્ષત કરવા માંડેલી પણ આત્મબળે અક્ષત રાખેલી પતિવ્રતા આ પળે ક્ષત થઈ જાત ! અસ્વામિકા થયલી અનાથ બાળા કામનાં શસ્ત્રોનું અભિનન્દન કરી બેસત ! હવે એ ભય એનું પણ ગયું ને મ્હારું પણ ગયું. ઈશ્વરની પરમ કૃપાએ અને ઉભય પક્ષની કલ્યાણબુદ્ધિએ આ શમ અને દમને પુણ્ય માર્ગ પ્રત્યક્ષ કરાવ્યો ! સૂક્ષ્મ પ્રીતિએ સ્થૂલ પ્રીતિને ઉતારી નાંખી અને પોતાનું જ નિષ્કંટક રાજ્ય કરી દીધું. કુમુદ ! તું જે શોકથી અત્યારે ગ્રસ્ત થઈ છે તે હવે ત્હારું કલ્યાણ કરશે એમ ધારીને મ્હેં આ શસ્ત્રવૈદ્યના જેવી ક્રુરતા વાપરી છે. એનાં અન્ય દુ:ખ એટલાં બધાં વધ્યાં હતાં કે તેમના પ્રહાર ખમતાં ખમતાં આ કોમળ હૃદયને તે દુ:ખોમાંથી જ બોધ લેવાનો અવકાશ મળી શક્યો ન હતો. એ પ્રહારોમાંનો છેલો પ્રહાર એને મળી ચુક્યો ને શોકમાંથી વિચારકાળ હવે ઉદય પામશે. ઈશ્વરે દુ:ખ અને શોકની સૃષ્ટિ મનુષ્યોનાં સૂક્ષ્મ જીવનને સિદ્ધ કરવાને માટે જ રચી છે. દુ:ખ અને શોક જાતે આમ પરિપાક પામીને પછી નષ્ટ થાય તો જ કલ્યાણકારક છે.

"He that lacks time to mourn, lacks time to mend.
Eternity mourns that. 'Tis an ill cure
For life's worst ills to have no time to feel them:
Where sorrow's held intrusive and turn'd out, .
There wisdom will not enter, nor true power,
Nor aught that dignifies humanity.* [૧]

“ કુમુદ ! ત્હારા આ દુ:ખમાંથી ત્હારું હૃદય કોક પવિત્ર પરિણામ જ આણશે. પાઞ્ચાલી ! ચિરંજીવ મહાત્માઓનાં સ્વપ્ન તને દુ:ખમાંથી સિદ્ધ થતી દેખાડે છે ત્યારે કુમુદ પોતાના સૂક્ષ્મ જીવનને પણ દુ:ખમાંથી જ સિદ્ધ થતું આ જાગૃત અવસ્થામાં દેખાડે છે.


  1. Sir H. Taylor.

“કુમુદ ! સંસાર તને વિરોધની મૂર્ત્તિ ગણે તો તેનો શો દોષ? મ્હારા ઉપર આટલી પ્રીતિ પ્રત્યક્ષ ધારનાર હૃદયમાં પ્રમાદને માટે અત્યારે તને શોક થાય છે તેને ગમે તો સંસાર સ્ત્રીચરિતના ચાળા જેવો માને ને ગમે તો ઈશ્વરે રચેલા અનેક પરસ્પર – વિરોધી ચમત્કારોમાંનો એક ગણે નહી તો બીજું શું કરે? . તેને મન તો

“ Woman's at best a contradiction still !” †[૧]

“પણ આ સાધુજનોની ચિકિત્સા ત્હારી શુદ્ધ પરીક્ષા કરશે અને તને ઉત્તમ ઔષધ આપશે, ત્હારા વિરોધમાં તેઓ માત્ર વિરોધાભાસ જ જુવે છે, અને હૃદયનાં અવિરોધી સત્વોને શોધી ક્‌હાડી તેમનું સંગીત પ્રકટ કરશે. સંસાર ! ચંદનવૃક્ષની શાખા જેવી કુમુદને તું કેટલા પ્રહાર કરે છે? બહુ બહુ પ્રહાર ત્હેં કર્યા ! તે પ્રહારથી ઉડેલો સુગન્ધ સુન્દરગિરિ ઉપરનાં પવિત્ર સત્વોનાં હૃદય સુધી પહોચ્યો છે ! સંસાર ! હવે ત્હારા પ્રહારો બંધ કર ! ત્હારી કુહાડી હવે આ વૃક્ષને સ્પર્શ કરે એમ હું નહી થવા દઉં ! એમ ન થવા દેવાને હું અધિકારી થયો છું, અને તેમ ન થવા દેવું એ મ્હારો ધર્મ તો છે જ !”

  1. † Popes Moral Essays