સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/માનવ હૃદયનો મહાપ્રશ્ન

← ક્રૂર આચરણો સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - માનવ હૃદયનો મહાપ્રશ્ન
ઝવેરચંદ મેઘાણી
મહીયાનાં બહારવટાં →


માનવ હૃદયનો મહાપ્રશ્ન

China in Revolt : બળવે ચડેલું ચીન : એ પુસ્તકનો બાહોશ લેખક બેાલે છે કે “Modern European civilization has succeeded in the Conquest of Nature by subduing and controlling her so that she can be made to serve man's desires, and this with unquestionable success. But more terrible than the objective forces of Nāture are the passions of man, and until these passions are properly regulated, there can be no civilization : યુરોપી સંસ્કૃતિએ કુદરત પર વિજય મેળવેલ છે; કુદરત મનુષ્યની ઈચ્છાઓને ઉપયોગી થાય તે રીતે તેને કબ્જે કરી અંકુશમાં લીધી છે. અને તેમાં નિ:સંદેહ ફતેહ મેળવી છે, પરંતુ કુદરતની શક્તિઓ કરતાં ય વધુ ભયાનક તો મનુષ્યોની ઉર્મિઓ છે, અને એ ઉર્મિઓનું જ્યાં સુધી ઉચિત નિયમન નહિ થાય, ત્યાં સુધી સંસ્કૃતિ સ્થપાઈ શકશે જ નહિ.”

બહારવટીઆની છણાવટમાં આ બોલ સ્હેજે સાંભરે છે. આ સુત્ર આપણે સોરઠની લડાયક જાતિઓને લાગુ પાડવાની જરુર રખે ચૂકી જઈએ. ભગવાનલાલ સંપતરામ સરખો શાણો અને ચોકસ ઇતિહાસકાર પેાતાના સાચા અંત:કરણના નિરીક્ષણથી જે વાત સમજી શક્યો હતો તે કીનકેઇડ સાહેબ પરદેશી સત્તાધીશ હોવાને કારણે પૂરેપૂરી ન સમજી શક્યો. કીનકેઈડે વાઘેરો વિષે પોતાના “Outlaws of Kathiawar”માં શું લખ્યું ?

“Hindustani sepoys in the guise of mendicants penetrated every part of the province with strange tales of the massacre of the white garrison and of the lurid sunset of the British Empire. By none were these tales more greedily listened to, than by Jodha Manik of Okhamandal.

»«   »«   »«

“Unmolested there he again took heart, and on the early morning of the 8th October 1860, performed the great feat of his life-the sack of Kodinar- × × × and the rest of the day was spent by the Waghirs in the agreeable task of looting the Bania's shops and houses. But Jodha Manik was no miser and when the Banias were fleeced to the bone, he spent the loot in feasting the neighbouring Brahmins, whose acknowledgment of his Kshatri descent he wished to obtain, and the low-castes whose support he desired.

. × × × .

"But shortly after this exploit, and possibly as a result of his excesses on that occasion, he died of fever in the Gir.”

બસ; “બાવાવેશધારી હિન્દુસ્થાની સિપાઈઓએ 'પ૭ના બળવામાં ગોરાની કતલની ને બ્રીટીશ રાજના અસ્તની વાતો કરી. જોધો એ ગળી ગયો. કોડીનાર ભાંગ્યું. વાણીઆને નીચોવ્યા. “ક્ષત્રિ'નું પદ મેળવવા બ્રાહ્મણોને દાન કર્યું. બહુ ખાધું. મરી ગયો.” ફકત આટલા જ કટાક્ષયુક્ત શબ્દ વડે એ ઈતિહાસકારે જોધાની આખી જીવન-કથા પતાવી અને મૂળુ માટે પણ આટલું જ લખ્યું :

"Mulu had escaped with a few followers, but he did not long survive his brother. He was surprised and shot the following may by the Porbander Police."

આથી વિશેષ આ પરદેશીને ન દેખાયું. વાઘેરોના પૂર્વ ઇતિહાસમાં અથવા વર્તમાન પ્રકૃતિમાં ઉતરવાનું એને મન થયું જ નથી, વાઘેરોને એ 'Rebels' કહીને જ સંતોષ પામે છે, કોડીનારની લૂંટ માટે એ બે પાનાં રોકે છે, પણ શંખેાદ્ધાર બેટ વાઘેરોના હાથમાંથી પડાવી અંગ્રેજ લશ્કરે સોનાના માયાવી લાટા કાઢવા મંદિરોની દિવાલો પર કેવા ગોળા ચલાવ્યા અને ટોમીઓને દારૂ પીવાડી કેવા ગામ લૂંટવા ત્રણ કલાકની કાયદેસર મંજુરી આપી, ઓખામંડળ પર બુલેાચ લશ્કરના અત્યાચાર કેટલી હદ સુધી ચાલ્યા, મૂળુને કેવો ફસાવીને કેદ કર્યો, આસપસના ડુંગર પર તોપોથી પણ શત્રુઓ મ્હાત ન થયા એટલે પાણી પીવાનાં તળાવોમાં ઝેરી ગેસના ગોળા ઝીંક્યા : વાલાની ટોળીને ગોર્ડન સાહેબે લાડવાની અંદર કેફી પદાર્થ ખવરાવીને માર્યા : એ બધી વાતો વિષે કીનકેઈડ એક ઇસારો પણ નથી કરતો. એ જ કીનકેઈડના પૂર્વગામી ન્યાયમૂર્તિ સ્વ. બીમને શુ લખ્યું ? સૌરાષ્ટ્રના વરિષ્ઠ ન્યાયાધિકારીને પદેથી ઉતરી મુંબઈના વડા જડજ તરીકે વિખ્યાત થએલા એ વૃદ્ધ અંગ્રેજે સૌરાષ્ટ્રના પરિચયનાં નાનાં સ્મરણોના એક લેખ-Recollection of old days in Kathiawar (સાંજવર્તમાન વાર્ષિક: ૧૯૧૦)-માં છેલ્લી લખેલી પંક્તિએ એક દિલસોજ, દીર્ઘદર્શી અને પ્રેમ શૈાર્ય પિછાનનાર આત્માની ફોરમ પ્રકટાવે છે.

"There was a great deal of fine true chivalry in the old outlaws. They were almost without exception brave men driven into outlawry by oppression, and few of them, at least in early days, were guilty of wanton cruelty to women and children, or the old and feeble. I believe I am right in saying that every one of the genuine old Kathaiawad outlaws (with perhaps the exception of Juma Gandh) was wiped out, either by sword or the gallows or transportation, before I left Kathiawar. I had much to do with the last scene in many of these adventurous careers, and as a rule while I had to enforce the law I could feel a genuine respect for these misguided hardly treated desperate men. Only one ever shivelled when called upon to face the music : Raide Charan. Well it sonnds almost incredible now, doesn't it, that such should have been the almost hourly, daily happenings all over Kathiawar thirty years ago. Life there, in those days teemed with interest and not only in this special feature of outlawry but in a hundred other picturesque touches and experiences. which I could relate and, while rougher, seemed much more real, and throbbing with variety of excitement and colour, than it commonly is today.”

“આ જૂના બહારવટીઆની અંદર ઘણું ઘણું સુંદર ને સાચું પ્રેમશૌર્ય ભર્યું હતું. લગભગ એક પણ અપવાદ વિના એ બધા જુલમથી છેડાઈને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા. અને તેઓના પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટીઓ સ્ત્રીઓને, બાલકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબુઝીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટીઓ મેં કાઠીઆવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તલવારથી, કાં ફાંસીથી અથવા તો કાળાપાણીની સજા વડે સાફ થઈ ચુક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકીર્દિના આખરી પ્રવેશો સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જો કે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઉતરી ગએલા ને બુરો વર્તાવ પામેલા મરણીઆ મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મોતને ભેટવાનું નોતરૂં સાંભળીને માત્ર એક જ બહારવટીઓ થરથર્યો હતો: એ હતો : રાયદે ચારણ. ખેર ! આખા કાઠિઆવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી, એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે લાગે છે–નહિ, ત્યાનું જીવન એ દિવસોમા રસભરપુર હતું-માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતાં વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા.”

હવે રાવ સાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઇએ :

“બેશક તેઓ થોડાં છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા સારા લડવૈયાનાં હાંજાં નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતુ કે તેઓ મરણીયા થયા હતા. મરવું મારવું એજ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસીશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તેજ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકાં વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેએાનાં મગજ ફરી ગયાં હતાં, અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતું.      ×   ×   ×

“વાધેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.

×   ×   ×

“હવે મૂળુ એકલો રહ્યો તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મુવાનો અફસોસ, ભાઈ જેવા ભાઇનું મોત, તે પણ વિયોગમાં થયું: તેથી શું એના મનને થોડું લાગતું હશે ? કહે છે કે કેટલીક તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાતસાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ સહેજમાં ઓચીંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો"

x x x

“આહાહા ! આ વખત તેના મનને શું થતું નહિ હોય ? તેને આ વખતે શું જોધાભાઈની શીખામણો યાદ નહિ આવતી હોય ?”

x x x

“દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુ:ખદાયક જીંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો, એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તો પણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થએલો. તો પણ તેના મહાન વિચાર, તેનું શુરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામ એવાં ન હતા કે તેને આપણે હલકી પંક્તિના બારવટીઆની જોડે સરખાવીએ.”

x x x

“મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂવા તેનું કાઈ તપતું નથી. પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે ! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ નહોતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓના માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલ્મે વધારે અસર કરી. સિપાઇ તો ખરા જ. મરવાં મારવાં તે તો હિસાબમાં નહિ, વાણીયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોશમાં દૂર અંદેશે, ભૂડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. × × “આ લોકો (વાઘેરો) પણ હિંમતવાન ને બહાદુર છે. અને ગમે તેવી આફત પડે તો પણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો ભૂખ સહન કરી શકે છે.”

x x x

“આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયેાગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લુંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની નાતજાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડાં તેમના માનની ખાતર બીજા કોઈ લુંટતા નથી. અને કદાચ લુંટે તો પોતાના જીવને જોખમે પણ તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.”

આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચરી રહ્યા છે. જોધા ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એને એના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોપ્યું ? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એની સાથે વ્યવહાર ન આચર્યો ? શા માટે જોધામૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચેારાશીના સૂબા ન નીમ્યા ? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગજીની વજીરાત એને કાં ન સોંપાઈ ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એક સો વર્ષે પણ એને કયું ગૌરવવંતું આસન આપે છે ? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધામૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈક જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકાક્ષા ઇતિહાસે આવા નરશાર્દુલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે. ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મલ ને વેધક હોવી જોઈએ ? એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે ? દાખલા તરીકે મીંયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને તો પોતાનાં આજસુધીનાં પાપાચરણોના બચાવમાં પણ સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, વફાઈ, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, તેઓને ગુન્હેગાર ગણાયાથી કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે, તે તો દુર મૂકીએ. એના બોલ પર કદાચ વિશ્વાસ ન ધરીએ. પરંતુ વૉટસન જેવા વિરોધી અંગ્રેજ પેાતાના 'ગેઝેટીઅર'માં જે લખી ગયા છે તેની અવગણના કેવી રીતે કરીએ ? એ લખે છે કે “તેએા શુરી, નિડર, પરોણાની ખાતર કરનારી ને ઈમાની જાત છે, પણ વશ રહે તેવી નથી.” અનુભવીઓના અનુભવ–બોલ છે કે તેઓ વિશ્વાસઘાત નથી કરતા. ઈમાની છે. અને આજ સરકારીદરબારી સખ્ત જાપ્તામાથી થોડો વખત પણ બહાર નીકળી શકનાર મીયાણો કારખાનામાં જઈ પોતાની ઉદ્યમી પ્રકૃતિ અને કુશલતાનો ઠીક પરિચય કરાવે છે. પણ એ કહે છે કે 'ગુન્હેગાર કોમ' તરીકેના કાનૂનોની ભીંસમા પડવાથી એનું ખમીર નીચોવાઈ રહ્યું છે. ઘરઆંગણે ધરતી નિ:સત્વ બની અનાજ આપવાની ના કહે છે, ને બહાર જવાની મના રાજસત્તા કરી રહી છે. એવી સંકડામણમાથી જ ઘણાને ચારીધાડનું શરણ લેવાની ફરજ પડે છે વગેરે વગેરે.

આ કામનાં ઉંડાં તત્ત્વો ઉકેલવા માટે કોઈ ઇતિહાસકાર, જાહેરસેવક કે સમાજશાસ્ત્રી ઉતર્યા નથી. રાજસત્તાની પાસે તો તાત્કાલિક જાહેર શાંતિને કાજે 'દમન' એજ એક તરણોપાય હતો. અને એ 'દમન' એટલે શું ? Call a man thief and he will steal : માતાના ઉદરમાથી જ મીયાણો ચોર ઠરી ચૂક્યો. એનું બાલક જન્મે છે તુર્ત જ કાયદો એને શકદાર ઠરાવી પરવાના-પત્રક પર ચડાવે છે, એટલે એ પણ પોતાને ચોર જ સરજાએલ માનતું થાય છે.

પરંતુ એ વાઘેરો, મેરો કે મીયાણાઓને મન ચોરીલૂંટ અંતરાત્માનો અંશ નહોતાં, ધર્મ નહોતાં, ઇશ્વરદત્ત વ્યવસાય નહોતો; પણ સ્વાર્થી મનુષ્યોએ પડાવેલી ટેવ હતી. 'મારતા મીંયાની તલવાર'વાળા યુગનો એ ચેપ હતો.

શિવાજીએ જેની સહાય થકી સામ્રાજ્યનું સ્વપ્ન ઉતાર્યું તે માવળાઓ: કોણ હતા એ? કેવા હતા ?

પ્રતાપ અને વનરાજે અરવલ્લી અને અણહિલપુરની અટવીઓમાંથી જેઓને એકઠા કરી ખોએલાં રાજ પાછાં મેળવ્યાં, તે ધનુર્ધારી ભીલો કોણ હતા ? કેવા હતા ?

યુગનાં આંદોલનો અડકશે તો એ વાઘેર, મેર ને મીયાણાની ખાનદાની પણ મહેકી ઉઠશે. ઝેરી વાયરા ઝંપી ગયા છે. પ્રજાત્વના વાયુ સંચાર ચાલ્યા છે. એના સ્પર્શે આ પતિત મનાએલી જાતિઓમાંથી કદાચ સિપાહીગીરીની ને પ્રેમશૌર્યની ફોરમો છૂટશે.

પરંતુ એ પ્રેમશૈાર્ય પ્રકટાવવા માટે સતત આકરા પ્રયત્નો જોશે.