આ તે શી માથાફોડ !/૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે ?

← ૯૨. તમને શું લાગે છે ? આ તે શી માથાફોડ !
૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે ?
ગિજુભાઈ બધેકા
૯૪. એઠું કેમ ખાય છે ? →


: ૯૩ :
શાંતિમાં ભંગ કેમ પાડે છે ?

બાલમંદિરમાં વારંવાર શાંતિની રમત ચાલે છે. એકાદ ઓરડામાં બાળકો બધાં ભેગાં થાય, શાંતિથી બેસે, હાથ હલતા બંધ થાય, પગ કે માથું પણ ન હલે. બધાં બાળકો સ્થિર થાય, ધીમે ધીમે ઓરડાનાં બરણાં ઉપરના પડદા પડે ને કોઈ કોઈ બારણાં બંધ થાય. અજવાળો ઓરડો અંધારો થવા માંડે. ઝાંખું મજાનું અજવાળું; સુંદર મજાનો દેખાવ, બરાબર શાંતિ જામે એટલે સંગીત શરૂ થાય. સૌ સાંભળવામાં તરબોળ હોય ત્યાં "એં એં, ઉં ઉં'નો અવાજ આવે ને રમતમાં ભંગ પડે. રામજી જ રડતો હોય. ઊભો થઈને ભાગવા માટે બારણા સુધી આવ્યો હોય.

કારણ શોધતાં એમ જડ્યું કે તોફાન કરે તો રામજીને એના બાપા અંધારા ઓરડામાં પૂરે છે અથવા અંધારા ઓરડામાં પૂરી દેવાની ધમકી આપે છે.

બાલમંદિરના અંધારા ઓરડામાં પેલી બીક અને અનુભવ સાંભરે છે, ને રામજી શાંતિની રમતમાં ભંગ પાડે છે.