← પ્રકરણ ૬ ઠ્ઠું કરણ ઘેલો
પ્રકરણ ૭ મું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૮ મું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૭ મું.

પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભવાની, આબુ, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શેહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંએક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણઘેલા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આઘા હતા તેટલી વારમાં શા શા બનાવો બન્યા તેનું ટુંકમાં વર્ણન કરી આગળ શું બને છે તેથી વાંચનારાઓને વાકેફ કરીએ.

રૂપસુન્દરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુન્દરી તેની પાછળ સતી થઈ, તથા માધવ રાજ્યમાંથી નાશી ગયો, એ સઘળા બનાવો એક વારે થયા તેથી શહેરના લોકોના મન ઉપર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એની એ જ વાત થતી હતી, અને આગળ શું નિપજશે તે વિષે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી; અને તે કંઈક ખરી પણ પડી. ઉપલી સઘળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાત્રે શેહેરમાં મોટી આગ લાગી, અને તેને જેમ જેમ છાંટતા ગયા તેમ તેમ બીજાં નવાં ઘરો સળગતાં ગયાં. લોકો ઘણા ભયભીત થયા, કેટલાએક લોકો કહેવા લાગ્યા કે, આ તો દેવકોપ થયો. કેટલાએક બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઉડતાં માણસોને આગ લગાડતાં જોયાં. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવ બનવામાં કાંઈ ચમત્કાર છે, એમ લોકોને થોડી વારમાં ખાતરી થઈ. કેટલાએક લોકોની બારીએ રાતની વખતે મોટા મોટા પથ્થરો અથડાયા; કેટલાએકનાં ઘરમાં રાંધેલું ધાન બદલાઇને નરક થઇ ગયું; કેટલાએકનાં ઘરમાં કુવાનાં પાણી બદલાઈને લોહે જેવાં થઈ ગયાં, રાત્રે મોટી મોટી ચીસો સંભળાવા લાગી; કોઇથી દીવા થયા પછી બહાર નીકળાય નહી. ઘણાએકનાં ઘરમાં બઈરીઓ ધુણવા લાગી; અને વારે વારે શહેરમાં આગ લાગ્યાં કરવા માંડી. એ પ્રમાણે પૂરમાં હાહાકાર થઈ રહ્યો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ, અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાંજમીર તળાજાની ફુલારાણી ઘણા જોસથી ધુણવા લાગી, તથા તેનામાં એટલું તો સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિમ્મત ચાલે નહી. સઘળાઓની હવે ખાતરી થઈ કે કોઈ મોટું જોરાવર ભૂત શેહેરમાં આવ્યું છે, અને તે સઘળાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભુવા, જતિ વગેરે મંત્ર જાણનારાં લોકની રોજી જાગી. તેઓ ઠામે ઠામ ભૂતને બોલાવવા લાગ્યા; શેહેરના સઘળા દરવાજા ઉપર ખીલા ઠોક્યા; ચકલે ચકલે ઉતાર મૂક્યા, જગાએ જગાએ કાપેલાં તથા સિંદુર ચોપડેલાં લીંબુઓ રઝળતાં પડ્યાં, તથા ઘેરઘેર મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોએ ઘરમાં સરસિયાના દીવા બાળવા માંડ્યા; પણ ભૂત શેહેરમાંથી ગયું નહી, તથા તેની પીડા પણ ઓછી થઈ નહી. જ્યાં જ્યાં ભૂત ધુણાતું ત્યાં ત્યાં તે પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શેહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા અને સઘળે ઠેકાણે અને સઘળી વખતે એના એ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી. એક દહાડો સવારે શેહેરની આગળ એક કુવા ઉપર બઈરીઓ પાણી કાઢતી હતી તે વખતે એક દમ કુવામાં એક મોટો ધબાકો થયો, અને તે સાંભળતાં જ સઘળી બઈરીઓ જીવ લઈ નાશી ગઈ. તેઓમાંની એક કુવામાં પડી, અથવા તેને કોઈએ ફેંકી દીધી, એમ કહીએ તો ચાલે. લોકો ઘણા એકઠા થયા, પણ કોની માએ શેર સુંઠ ખાધી હોય કે તે ડુબતી બઈરીને બહાર કાઢે. બાબરા ભૂતે તેને ફેંકી દીધેલી એટલે કુવામાં ઉતરવાની કોઈની હિંમ્મત ચાલે નહીં. એટલામાં ત્યાં એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતાં જ પોતાના હાથમાં એક સવામણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપ્યો, પોતાનાં લુગડાં ઝટ વારમાં કાઢી નાંખી કુવામાં ઉતરી પડ્યો, અને સહેજ વારમાં તે બઇરીને હસહસતી લઈ ઉપર આવ્યો. આ રજપૂતનું પરાક્રમ જોઈ સઘળાએ ઘણા વિસ્મિત થયા, અને તે જીવતો બહાર નીકળ્યો તેથી તેઓ ઘણા હરખાયા. તે બઇરીનો ધણી તથા તેનાં માબાપ તે જગાએ આવી પહોંચ્યાં હતાં, તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માન્યો, અને તેને પણ પોતાને ઘેર પરોણા દાખલ તેડી ગયાં. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો તેથી તેણે તેઓને ઘેર જવાનું કબુલ કીધું, અને લોકો સઘળા તે જગાએથી વેરાઈ ગયા.

તે બઈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણાં ઉંડા વિચારમાં પડ્યો. કરણ રાજાને શી રીતે મળવું, એ વિષે કાંઈ તદબાર શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું, ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતિ કીધી; અને જમતાં જમતાં પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડામાં થયલી સઘળી હકીકત વિગતવાર કહી સંભળાવી. બાબરો ભૂત જે શેહેરમાં ખરાબી કરતો હતો, તથા રાજાની કુલારાણીને તે વળગેલો હતો, એ વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સઘળું સાંભળી ઘણો હરખાયો, અને કોઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું, અને પછી પોતાની સઘળી વાત તેની આગળ કહેવી એવો તેણે ઠરાવ કીધો. બાબરા ભૂતને મારી, ફુલારાણીને તેના જુલમથી બચાવવી, એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું, માટે ગમે તે ઉપાય કરવાનો તેણે નિશ્ચય કીધો. પણ તે થાય શી રીતે ? તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો, અને તે ખરો છે, એમ તેણે ઘણીએક અજમાયશથી નક્કી કર્યું હતું, પણ તેણે તે ઘણી મુદત થયાં અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહી એ સંબંધી તેને ખાતરી ન હતી, હવે કાળી ચૌદશને બે ત્રણ દહાડા બાકી રહ્યા હતા તેથી એ મંત્રને તે દહાડે મધ્યરાત્રીએ સાધવાનો તેણે મનસુબો કીધો. સઘળો સામાન તૈયાર કીધો, અને કાળી ચૌદશની તે રાહ જોતો બેઠો.

કાળરાત્રીને એક પહોર ગયો તે વખતે અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો. એક તો વદ ચૌદશની રાત એટલે અંધારૂં તો હોય જ, તે સાથે વળી આ વખતે તો ઘન ઘોર થઈ રહ્યું હતું. આકાશમાં કાળાં વાદળાં છવાઈ ગયલાં હતાં, તથા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વિજળીના ચમકારા વખતે વખતે થતા, તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઉગેલાં ઘણાંએક ઝાડ તથા નાની નાની દેહેરીઓ, દેવડીઓ, તથા મોટાં શિવાલયો દેખાતાં હતાં. વિજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા, તથા વખતે વખતે પવન એવા જોરથી વાતો હતો કે ઝાડની ડાળીઓ ભય સાથે તથા એક બીજા સાથે અથડાતી હતી, ઢોરોનાં સૂકાં હાડકાં મસાણમાં સડ્યાં કરતાં હતાં તેમાંથી ફાસફરસ નીકળી ખુલ્લી હવાને લાગતાં તેમાં મોટાં ભડકાં થતાં, તથા કીચડવાળી ભોંયમાંથી એક જાતનો વાયુ નીકળી તે પોતાની મેળે સળગતો, અને અંતરિક્ષમાં તેનાં ભડકાં ઉડ્યાં કરતાં, એ બળતાં ઉપર વરસાદના ઝીણા ઝીણા છાંટા પડતા ત્યારે તેમાંથી એક જાતનો છણછણાટ થતો સંભળાતો હતો, ત્યાં કોઈ પણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીને સામે કાંઠે તેમ આ કાંઠે પણ આઘે આઘે કેટલાએક માછીઓ પોતાની હોડીઓ લંગરવાર કરી મોટાં તાપણાં સળગાવી તેની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણે શબ્દ તથા દેડકાનો બેસુરો અવાજ કાને પડતો હતો. એવી ભયંકર જગાએ તથા એવા ભયાનક વખતે વિજળીના તેજથી એક માણસ નદીના કિનારા ઉપર ફરતો દેખાતો હતો, તે જોઈ તેની હિમ્મતનાં વખાણ કર્યા વિના કોઈથી રહેવાય જ નહી, વિજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલમ પડ્યું કે એ ફરનાર માણસ પેલો રજપૂત સવાર જેણે તે દિવસે કુવામાંથી બઈરીને કાઢી હતી તે જ હતો; અને તે આ વખતે તથા આ જગાએ શા માટે આવ્યો હતો, તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાધા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપર તે ફરતો હોય એમ બેધડક તથા વગર બીહીકે ચાલતો હતો, અને કોઇ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગાએ અટક્યો, અને ત્યાં ઉભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે ત્યાં ખોદવા લાગ્યો. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખેાદ્યા પછી તે અટક્યો; નરાજ જમીન ઉપર મૂકી દીધી, અને પોતાના ધોતિયા વડે મ્હોડા ઉપર પરસેવાનાં મોટાં મોટાં ટીપાં બાઝ્યાં હતાં તે લુછી નાંખ્યાં. તેણે કમર તાણીને બાંધી, અને તે ખાડામાં નીચે ઉતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેણે સાંભળ્યો. તે જ વખતે તે ત્યાંથી છલંગ મારી દશ કદમ પાછળ પડ્યો, અને ભયથી થરથર ધ્રુજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણ વાર પણ ભયને વશ થયો ખરો, તોપણ તે છેક હિમત હાર્યો નહી. તે લાગલો જ કિનારા ઉપર ગયો, અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કુતરાને પકડી પાણીમાં ઘસડતી તેની નજરે પડી, કુતરાએ બહાર નીકળવાને ઘણાયે પછાડા માર્યા, પણ પાણીમાં તેનું જોર ચાલ્યું નહી, અને તેનો શત્રુ પોતાની મીનમાં હતો તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઇ ગયો. આ બનાવ જોઈ તેને પાછી ધીરજ આવી, અને તે ફરીથી ખાડા આગળ ગયો. નીચે ઉતરીને તે એક મુડદું લઇ બહાર આવ્યો, પણ તે મુડદું કેવી સ્થિતિમાં હતું ? તેમાંથી ઘણું ખરૂં માંસ ખવાઈ ગયું હતું, બધે મોટા મેાટા કીડા ખદબદતા હતા; આંખની જગાએ બે મોટા ખાડા પડી ગયા હતા; નાક અર્ધું ખવાઈ ગયું હતું; ખોપરી બહાર નીકળેલી હતી; માંસના લોચામાંથી ઘણી જ દુર્ગધ નીકળતી હતી, તથા શરીરનાં સઘળાં હાડકાં ઉઘાડાં જણાતાં હતાં. તે મુડદા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા, અને વિજળીના અજવાળાથી જ્યારે તેણે તે બીહામણું પ્રેત જોયું ત્યારે તુરત તે તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો, તે ઉપરથી મુડદાના કીડા તેનાં લુગડાંમાં ભરાયા હશે, એમ જાણી તેણે તે સઘળાં ઉતારી ખંખેરી નાંખ્યાં, અને તેને પાછાં પેહેરી તે મુડદાને પગ વતી હડસેલતો કિનારા ઉપર લઇ ગયો. તેનો વિચાર તેને ધોઈ નાંખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે છે એટલે તેના પગે કોઈ જાનવરે બચકું ભર્યું. રજપૂત તો દરદથી બે હાથ ઉંચે ઉછળ્યો, અને પાછો તેને જોવા જાય છે તો મુડદું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે ત્યાં એક મોટો ભડકો થયો; અને તે તેના શરીર ઉપર વિંટળાઈ જશે, એમ લાગ્યાથી તે ત્યાંથી ઉભી પુંછડીએ નાઠો. મુડદું તો ઘસડાતું ચાલ્યું. તેની પાસે જવાની તેની હિમત ચાલી નહીં. હાય ! સઘળી મેહેનત નિષ્ફળ ગઈ, આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે, હવે હું શું કરું ? એમ રજપૂત ઉભો ઉભો વિચાર કરવા લાગ્યો, પણ તેણે પોતાનું અંત:કરણ પથ્થર જેવું કઠણ કીધું હતું; બીક તે ઘેર મુકી આવ્યો હતો; તથા ગમે તે થાય તો પણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠેકાણેથી ન જવાનો દૃઢ નિશ્ચય કીધો હતો, તેથી તે પોતાની નામર્દાઇથી શરમાયો, અને તે મુડદાને પકડી લાવવાને તે આગળ ધસ્યો. વિજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલમ પડ્યું કે મુડદાને ઘસડનાર તો એક શિયાળવું હતું. હવે તેની દેહશત ઉડી ગઈ. તેને પગે એક પથ્થર અથડાયો તે ઉંચકી લઈ જે દિશા તરફ મુડદું ઘસડાતું હતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીસ સંભળાઈ, કોઈ દોડતા જનાવરનાં પગલાં કાને પડ્યાં, ને મુડદું ઘસડાતું બંધ થયું. ત્યાં જઈ તેને પાછું પાણીમાં તેણે હડસેલી મૂકયું અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઉભો રહ્યો. પાણીમાં વારેવારે ધબાકા થયાં કરતા હતા. માછલાંની પાંખમાંથી ચળકાટ વખત થતો, અને વખતે સાપની ડોંખલી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઉભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુડદા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે, તથા તે ઉપરનું મટોડું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ઘણા, માટે તેને ઘણી ચટપટી થતી હતી, અને પોતાની ધારેલી મતલબ પાર પડશે કે નહી, એ વાતની ફિકરથી તેને સઘળું કામ ઉતાવળથી કરી નાંખવાની ઘણી આતુરતા હતી. મુડદાને હાથમાં લીધું પણ તે એટલું તો થંડુંગાર થઈ ગયું હતું કે તે તેના શરીરને લાગતાં જ તેને કંપારી છુટી, તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તે સંધિવાયુ થયો હોય તેમ તેના હરેક સાંધામાં કળતર થવા માંડયું, અને તેનાથી એક પગલું આગળ મુકાયું નહી. હવે શું કરવું ? હિમ્મત, હિમ્મત, બીજો કાંઈ ઈલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેણે એક છલંગ મારી, અને જીવ લઈને નાસતો હોય તેમ દોડી એક નાના દેહેરા આગળ ચત્તોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીહીકને મનમાંથી ઝટ કાઢી નાંખી, અને ઉભો થઈને તે મુડદાને લઈ તે દેહેરામાં પેઠો. ત્યાં તેણે સઘળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ, માટે લુગડાં ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. આ વખતે તેનું ચિત્ત શાંત હતું તેથી તેને કાંઈ દેહેશત લાગી નહી. તેણે મંત્ર ભણી સ્નાન કીધું, અને ભીને ધોતિએ પાછો દેહેરામાં આવ્યો. ત્યાં તેણે ચકમક પાડી દેવતા તૈયાર કીધો, અને એક કોડીયામાં સરસિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી, ચાર દિશાએ મંત્રેલાં લીંબુ કાપી સિંદુર ભરી મૂકયાં; ચાર ખુણે ખીલા દાટ્યા; અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા; પછી સઘળી વાતની આગળથી તૈયારી કરી કપાળે સિન્દુરની આસકા કીધી; શરીરના કેટલાએક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી; હાથે કેટલાંએક તાવીજ બાંધ્યાં; તથા ગળે એક મોટું માદળીયું પેહેર્યું. એ પ્રમાણે ભૂત, પ્રેત, પિશાચ, શંખણી, યક્ષણી, વગેરે બલાની સામાં હથિયાર બાંધી તેણે તે મુડદાનું આસન કીધું, અને તે ઉપર ઘોડો ફલંગીને બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થઈ ગયો હતો કે તેને આસપાસનું કાંઇ પણ ભાન રહ્યું ન હતું; તેમ દેહેશત ઉપજાવે એવું તો કેટલીએક વાર સુધી કાંઈ બન્યું પણ નહી. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો; વિજળીના ચમકાટ વધારે તેજસ્વી થવા લાગ્યા, કડકડાટ કાન બેહેર મારી જાય એવા સંભળાવા લાગ્યા; વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું, હવે અન્ધકાર વધારે ભયંકર થઈ ગયો. પણ આ સઘળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કાંઈ પણ અસર થઈ નહીં. તે તે પોતાનો જ૫ કર્યો જ ગયો. પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિઘ્ને ચાલ્યું નહી. જે મુડદા ઉપર તે બેઠો હતો તે તેની નીચેથી હાલવા તથા થોડી વારમાં ઉછળવા લાગ્યું. મુડદા સાથે તે પણ ઉછળતો ગયો અને તેના પગ વડે તે મુડદાને એવી તે તેણે ચુડ ભેરવી કે તે તેની પાસેથી છટકી શકયું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું, પણ તેનાથી નીકળી જવાતું ન હતું, તે વખતે ત્યાં ચીસાચીસ તથા બરડાબરાડ થઈ રહી. હજારો ભૂતો તેની આગળ નાચવા કુદવા લાગ્યાં; કેટલાંએક ખડખડ હસવા લાગ્યાં; કેટલાંએક તેને મારવા આવતાં હોય તેમ પાસે આવવા લાગ્યાં; કેટલાંએક આઘેથી ધમકી આપવા લાગ્યાં. કેટલાંએક મોટાં વિક્રાળ મ્હોડાં કરી તેને બીહવડાવતાં હતાં, ચુડેલો તથા વંત્રીઓ માથે ધગધગતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોરબકોર કરી રહી હતી; ઘણા જ ભયંકર રાક્ષસો, ભેંસાસુરો ઈત્યાદિ ત્યાં આવી તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું. રજપૂત મનમાંથી બીધો તો ખરો; તેના શરીર ઉપરના સઘળા નિમાળા ઉભા થયા; તેની ચામડી ઉપર મરતી વખતના જેવાં શીત આવ્યાં; આખે અંગે જાડો ચીકણો પરસેવો વેહેવા લાગ્યો; તથા છાતી પણ ઘણા જોરથી ધબકવા લાગી. કોઈ કોઈ વાર તેનાથી બુમ પાડી દેવાશે એમ તેને લાગ્યું. દોડવાની તો કયાંથી, પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી ન હતી. પણ તેણે પોતાનું મન આવે બારીક વખતે એવું સાવધ રાખ્યું કે તે તેનું કામ કરી શક્યો. તેના જપમાં ઘણી હરકત પડવા દીધી નહી. મુડદું વધારે જોરથી ઉંચે ઉછળવા લાગ્યું. ભૂતપ્રેતની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે વધારે થતી ગઇ, પણ તે રજપૂતે પોતાની આંખ આંધળી તથા કાન બેહેરા જેવા કરી નાંખ્યા હતા તેથી તેણે તેઓની કાંઇ દરકાર કીધી નહી. તેણે બધી દિશાએ આગળથી એવો પાકો તથા મજબુત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે એ સઘળાં મલિન પ્રાણીઓથી તેની પાસે અવાતું ન હતું. એ પ્રમાણે ત્રણ કલાક કામ જારી રાખ્યું, અને પોતાનો મંત્ર એકસો ને આઠ વાર જપી રહ્યો.

મંત્ર જપાઈ ચુક્યો, અને તેની સાથે રાતનો અમલ પણ ઉતર્યો. અરૂણનો ઉદય થયો, દીવાનું તેજ ઝાંખું પડ્યું; વસ્તુઓ થોડી થોડી દેખાવા લાગી; અને આખી સૃષ્ટિનું રૂપ જાણે બદલાઇ ગયું. થોડીએક વાર થયાં વરસાદ બંધ પડ્યો હતો, વાદળાં વિખેરાઇ ગયાં હતાં; અને થોડો થોડો પવન વાતો હતો, તેથી એકાએક તેઓ એક પછી એક નાસાનાસ કરી રહ્યાં હતાં. વિજળી બંધ થયલી હતી, તથા ગર્જના સંભળાતી ન હતી. સઘળાં ઝાડપાન લીલાં કુંજાર જેવાં દેખાતાં હતાં. અને નાના પ્રકારનાં ફુલોમાંથી સુવાસ ચોમેર પથરાઈ રહેલો હતો. એવે સમયે તે રજપૂત દેહેરાની બહાર નીકળ્યો. તેણે તેની ખાંધ ઉપર સામાનની ઝોળી નાંખી હતી, અને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેણે કોઈ મોટું સંકટ ભોગવ્યું હોય, તેના માથા ઉપર કોઇ ભારે આફત આવી ગઈ હોય એમ તેનું મ્હોડું ફિકું, તેજ ઉડી ગયલું, તથા ચિંતાતુર દેખાતું હતું. પોતાનું ધારેલું કામ પાર પડ્યું, એ જાણીને તેના અન્તઃકરણમાં ઘણો આનંદ થયો હતો. તો પણ હજી સુધી ભયની અસર તેના મન ઉપર એટલી તે ચોંહોંટેલી હતી કે તે હર્ષને બહાર નીકળવાનો વખત મળ્યો ન હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટાં મોટાં ડગલાં ભરી ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણી વાર ટકી નહી. શેહેરના કોટ આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કુવા આગળ એક બઈરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી તેથી તેણે તે બઈરી પાસે જઈ પાણી માગવાનો ઠરાવ કીધો. તે તેની આગળ જઈ કેટલીક વાર ઉભો રહ્યો. પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહી. આવી તેની બેપરવાઇથી રજપૂતને ઘણો ક્રોધ ચઢ્યો, અને તેણે બુમ પાડી પાણી માગ્યું. પણ કુવો સાંભળે તો તે સાંભળે. રજપૂતે ધાર્યું કે એ બઇરી બેહેરી હશે તેથી તેણે તેનો હાથ પકડ્યો, અને તેને હલાવવા જાય છે એટલામાં તે બઈરી તાડ જેવી લાંબી થઇ ગઇ. રજપૂત તો તેને જોઈ ગગડી ગયો, અને તે એટલો તો ભય પામ્યો કે, તેનાથી એકે તરફ નસાયું નહી. થોડી વાર ઉભી રહી તે સ્ત્રી બોલીઃ “કેમ રે રજપૂતડા ! પાણી જોઈએ છે?” થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિમ્મત આવી. એક બઈરીથી તે આટલો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો, અને નામરદાઇનો કલંક ખસેડવાને તેણે જુસ્સાથી જવાબ દીધો: “રાંડ ! તું ગમે તે હોય તેથી હું કાંઈ બ્હીવાનો નથી. હું ક્ષત્રી બચ્ચો છું. મારા બાપદાદાઓએ મોટાં મોટાં યુદ્ધ કીધેલાં છે. તેઓ કોઈથી ડરતા નહતા. માટે જો હું તારા જેવી રેંજીપેંજીથી બીહું તો હું મારા બાપદાદાનો ખરો છોકરો નહી. ત્હારૂં માથું સ્વર્ગને અડકે, અને તારા પગ પાતાળે પહોંચે તો પણ તું આખરે અબળા અને હું તે રજપૂત શૂરવીર કહેવાઉં. માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે, અને ગમે તેટલા ચાળાચસકા કરશે, તો પણ હું લગાર ડરવાનો નથી. હું તારી પાસેથી ભલમનસાઈથી અથવા બળાત્કારે પણ પાણી પીશ. પછી જે થાય તે ખરૂં.”

પેલી સ્ત્રીને આ સઘળી વાત સાંભળીને ઘણી નવાઈ લાગી, અને તેના મનમાં તે પુરૂષનાં વખાણ કરવા લાગી. પણ હજી પણ વધારે તેની પરીક્ષા કરવાને તે બોલી :– “અલ્યા વેંહેંતિયા ! તું મારા હાથને તો પોહોંચાતો નથી ને બળાત્કારે પાણી તે શી રીતે લઈશ, એ જોવાની મને ઘણી જ ઈચ્છા છે.”

આખી રાત આથી વધારે ભયાનક દેખાવો જોયા, આથી વધારે બીહામણાં ભૂતપ્રેતથી બીધો નહીં, અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ, એમ જાણી તે રજપૂતે પોતાના હાથમાંની ડાંગ ફેરવીને એવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તુરત ભોંયપર ચત્તીપાટ પડી, તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું. તેની ખુબસુરતી ખરેખરી દેવાંગના જેવી દેખાઈ, અને તેની આંખમાંથી બોરઓર જેવડાં આંસુ પડવા લાગ્યાં, તો પણ તેનો પોતાનો એક હાથ લાંબો રાખી પાણીનું બેહેડું પકડી રાખ્યું, ફરીથી તેણે તેની પાસેથી પાણી લેવાનું કીધું, પણ પાછો તેનો હાથ ઉંચો ચઢવા લાગ્યો. રજપૂત ઘણું આશ્ચર્ય પામ્યો, અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને બેહેડું નીચે પાડવાનો તેણે વિચાર કીધો પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીનો કેવળ ગર્ભ જેવા હાથપર ઘા તે કેમ કરાય ? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રીનો ધર્મ નથી, એમ જાણી તે ત્યાં ઉભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા અને તે ખરેખરો રજપૂતના નામને યોગ્ય છે, તથા તેણે કદી નહી જોયલો એવો તે નર છે, એવી તેની ખાતરી થઈ. પણ હજી તેને વધારે કસવાની તેની ધારણા હતી. તેણે તુરત પોતાનું રૂપ બદલ્યું અને એક છલંગ મારી રજપૂતની ગળચી પકડી તેને નીચે પાડ્યો. હવે કંઈ તે રૂપાળી નાજુક અબળા દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બીહામણ રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાને વખત ન હતો. હવે હાથ બંધ રાખવાની જરૂર ન હતી. તેણે તે રાક્ષસનો હાથ છોડવવાને ઘણી મેહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે વધારે દબાવા લાગ્યું, અને શ્વાસના રોકાણથી તેને એટલો ગુંગળાટ થયો કે તેની આવરદાની દોરી હમણાં તુટશે, એમ તેને નક્કી થયું. તેણે તેની આગળ યમના દૂત જોયા, એને તેના આત્માને પકડી જનારાં પોતાનું કામ જલદીથી કરી નાંખવાને તૈયારી કરતા હોય એમ તેને લાગ્યું; તેના હોંશ તો સઘળા ઉડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાને વાસ્તે પોતાનું સઘળું સામર્થ્ય વાપર્યું. તેણે આ છેલ્લી વખતે એટલું તો જોર કીધું કે તે સ્ત્રીનો હાથ છટકાવી દીધો. અને એક છલંગ મારી તે તેના ઉપર ચઢી બેઠો, પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ અપ્સરા જેવું થઈ ગયું, પણ આ વખતે તેના હાથમાંનું બેહેડું મુદ્દલ જોવામાં આવ્યું નહી, તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામું જોયું નહીં; આ વખતે તેને તેના ઉપર દયા આવી નહી, અને આ વખતે તેણે પોતાના ક્ષત્રીધર્મ ઉપર વિચાર કીધો નહી. ઉપર ચઢી બેસતાં જ તેણે તે સ્ત્રીનો ટોટો એવા જોરથી દાબ્યો કે તેના શરીરનું તમામ લોહી તેના મ્હોં ઉપર પથરાઈ ગયું. તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો, એમ જણાયું; તેની જીભ તેના મ્હોંમાંથી બહાર નીકળી પડી, તેના મ્હોંમાંથી ફીણના ગોટેગોટા નીકળવા લાગ્યા, તેની આંખોના ડોળા બહાર લબડી ગયા; તથા તેને આખે શરીરે આચકા આવવા માંડ્યા. આવી વખતે જ્યારે તે રજપૂતને ખાત્રી થઈ કે હવે રાંડનું મોત પાસે આવ્યું તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી ગઈ, અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઉભી રહી, રજપૂત તેને જોઈ ઘણું ચીડાયો. અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેણે નક્કી જાણ્યું. થોડી વાર ચુપ રહ્યા પછી તે સ્ત્રી બોલી: “અલ્યા રજપૂત ! તને ધન્ય છે. તું ખરેખરો ક્ષત્રીવંશનો છે. હું ઘણાં વર્ષ થયાં કોઈ શુરા રજપૂતને શોધું છું, પણ અત્યાર સુધી તેવો મને જડ્યો ન હતો. હમણાં મ્હારી ખાતરી થાય છે કે જેવો મ્હારે જોઈએ છે તેવો જ તું છે, તું મ્હને હજી ઓળખતો નથી. આટલી વારમાં તારી ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી, હું અંબાભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું. પણ માનવીઓનો સંસાર કેવો છે તે જાણવા સારૂં હું પૃથ્વી ઉપર ઘણી મુદત થયા ફર્યા કરૂં છું. મારે કોઇ વર વરવાની ઈચ્છા છે, અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું. માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે રહેવાને ખુશી છું. માટે મારી વિનંતિ કબુલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહી, તથા બધી રીતે તને સુખી કરીશ.”

તે રજપુત, શક્તિની આ સઘળી વાત સાંભળીને ઘણો હરખાયો, તથા જ્યારે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે મ્હોડું ધોવા જવું એ મૂર્ખાઈનું કામ, એમ ધારી તે તેને પગે પડ્યો, અને મોટા હર્ષની સાથે તેણે તેનો હાથ પકડ્યો. તેણે જાણ્યું કે હવે ખરેખરે મારા ભાગ્યનો ઉદય થયો; હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા; હવે મ્હારૂં ધારેલું કામ પાર પડશે, અને હવે મને કોઈ રીતે દુ:ખ થશે નહી. રજપુત તથા શક્તિ બંને ઉતારે ગયાં, અને પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફરવા ગયો. કેટલીએક પુછપરછ કીધા. પછી તેણે એક સારો મહેલ શોધી કાઢ્યો, ત્યાં તે તથા શક્તિ તે જ દહાડે જઈ રહ્યાં.

હજુ સુધી શક્તિએ તેના પતિને તેની આગલી કાંઈ પણ વાત પૂછી ન હતી. તેના ચહેરા ઉપરથી, તેના બોલવા ઉપરથી, તથા તેની હિંમત અને બીજા રજપૂત નામને યોગ્ય એવા ગુણ ઉપરથી, તેના સમજવામાં આવ્યું હતું કે તે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેનાં માબાપ કોણ તથા કેવાં છે; તે જીવે છે કે મરી ગયાં છે, તેને પોતાનો દેશ શા સારૂ છેડવો પડ્યો, તથા પાટણમાં આવી તેણે શું કરવા ધાર્યું છે, એ સઘળી વાતથી વાકેફ થવાને તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી, અને બંને વાળુ કરી નિરાંતે એકઠાં બેઠાં ત્યારે ઉપલી સઘળી વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો.

શક્તિ- હું કોણ છું, અને તમને વરવાની મારી શી મતલબ છે, એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે, પણ તેની સાથે તમે કોણ છો તે વિષે મેં કાંઈ તજવીજ કીધી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કીધું છે, માટે તમારી અવસ્થા જાણવાની મારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જેવો ગણું છું તેવા જ તમે તમારી હકીકત ઉપરથી નીકળી આવશો એવો મને પાક્કો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો, એટલે જણાશે કે મારી કીધેલી અટકળ ખોટી નથી.

રજપૂત– અગર જો તું મને વગર એળખાણે પરણેલી છે; (મારાથી તું કેહેવાય છે માટે ક્ષમા કરજે – જો, કેમકે હવે આપણો ધણી ધણીયાણીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બેલતાં “તું” શબ્દ વાપરવો જોઈએ.) તે મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપ, રંગ વગેરેથી અનુમાન તો કીધું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તો પણ મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે, અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહી. પહેલાં તો મ્હારૂં નામ હરપાળ છે, મ્હારો બાપ કચ્છ દેશના કિરંતીગઢનો રાજા કેસર નામે હતો; અને મારી મા આ ગુજરાત દેશના કરણ વાઘેલા રાજાની માની બેહેન હતી. એ ઉપરથી તને હવે નક્કી થયું હશે કે મ્હારૂં કૂળ નીચું નથી. હું રાજાનો છોકરો છું અને કરણ રાજાનો માશીનો દીકરો ભાઈ થાઉં છું પણ એટલા જ ઉપરથી હું કાંઈ આબરૂ માનતો નથી. રાજાનો છોકરો તો કોઈ મૂઢ પણ હોય, અને કરણની માશીનો છોકરો તો કોઈ કાયર, અધમ પુરૂષ પણ હોય. હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહી સંભળાવીશ, અને તેઓએ કેવાં પરાક્રમ કીધાં છે તે તને બતાવીશ. હજી મારી ઉમર નાની છે અને મ્હારું શૂરાતન દેખાડવાનો વખત આવ્યો નથી, તથા કાંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી, તોપણ મને નક્કી છે કે સિંહનાં બચ્ચાં તો સિંહ જેવાં જ નીવડે, કહેવત છે કે “મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે.” માટે જ્યારે વખત આવશે ત્યારે હું પણ મોટું નામ મેળવી મારા બાપદાદાના નામને વધારે ઝેબ આપીશ. બાપ કરતાં બેટો સવાયો ન નીકળું તે મ્હારૂં નામ : હરપાળ નહીં. હવે હું મ્હારું ટાહેલું ચલાવું છું. મારો દાદો નામે વેહિયાસ કચ્છમાં કિરંતીગઢમાં રાજ્ય કરતો હતો, તે રાજ્ય તેના બાપ દાદાથી તેને ઉતરેલું હતું, અને તેઓ મકવાણા કહેવાતા હતા. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેનો જીવ કેમે કર્યો જાય નહી, તેનાં છોકરાં તથા સગાંવહાલાંઓએ ઘણીક બાધા લીધી, તથા કેટલાંએક વ્રત કરવાનું વચન આપ્યું, પણ કાંઈવળ્યું નહી, ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછયું: “બાપા ! તમારો આત્મા તમારો દેહ શા માટે છોડતો નથી? તમારા મનમાં જે હોય તે મને કહી દો, અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ.” ત્યારે વેહિયાસે જવાબ દીધો; “સામૈયું કરીને એક શેહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ્ય કરે છે. જે તેની ઘોડારમાંથી તેના સવાસો ઘોડા લઈ આવી ત્રયોદશાને દિવસે ભાટ લોકોને બક્ષીસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય.” તે વખતે વેહિયાસના ભાઈઓ તથા ભત્રીજા તેની આસપાસ ઉભા હતા, પણ તેઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહી. તે વેળા કેસરની વય કાચી હતી તે પણ તે મેદાન પડ્યો, અને આગળ આવી પોતાના બાપના હાથમાં પાણી મૂકયું, અને વચન આપ્યું કે હું તમારી આજ્ઞા પાળીશ. આ વાત સાંભળતાં જ વેહિયાસ દેવલોક પામ્યા. જ્યારે ત્રયોદશાનો દહાડો પાસે આવ્યો ત્યારે કેસરે પોતાના બાપનો શોક મુકી દીધો; પાઘડી બાંધી, અને પોતાનાં સગાંને સામૈયુ નગરની સામા લડવા જવાને બોલાવ્યાં, પણ કોઇ આવ્યું નહી. કેટલાએક બોલ્યા કે તારાં જેવા આજકાલના છોકરા સાથે જાણી જોઇને મરવા કોણ આવવાનું છે ? જ્યારે સઘળાએાએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરાપણ નાહિંમત થયો નહી. તેણે પોતાના જ સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખ્યો; કેહેવત છે કે “આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.” તેના હાથ એટલા તો લાંબા હતા કે તે તેના ધુંટણની નીચે પહોંચતા; તે સવામણ વજનનો ભાલો એક હાથે પકડતો; તે ધનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો; અને તેને બેસવાનો ઘોડો વિષ્ણુના ગરૂડ જેવો હતો. તેણે સામૈયું ઉપર ચઢાઈ કીધી, અને ત્યાંથી સવાસો ઘોડા લઇ આવ્યો, અને પોતાના બાપના તેરમાને દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાળ્યો. આ પરાક્રમ કીધા પછી કેસરે રાજ્ય જોશીને બોલાવી મંગાવ્યા, અને પોતાનું આવર્દા પૂછયું. જોશીએ તેની જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારૂં આયુષ્ય ટુંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે જો હું મારા ઘરના ખુણામાં મરી જઈશ તે મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તે મારૂં નામ પ્રસિદ્ધ થશે. એવું વિચારી તેણે ફરીથી સામૈયુ ઉપર ચઢાઈ કીધી, અને મેની નદી આગળ હમીરનાં સાતસેં ઉંટ ચરતાં હતાં તે સઘળાંને લઈ ગયો, અને કિરંતીગઢનાં ભાટોને વેંહેંચી આપ્યાં. આટલું આટલું કીધા છતાં પણ હમીરને કાંઈ ગુસ્સો લાગ્યો નહી, તથા તેણે વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. જ્યારે તે આ સઘળું અપમાન ધીરજથી ખમી રહ્યો અને 'ધોલ મારી તો ધુળ ઉડી ગઈ' એમ માન્યું, ત્યારે કેસર ત્રીજીવાર લડવાને નીકળ્યો. જે દહાડે તે સામૈયું નગર આગળ પોંહોંચ્યો તે દહાડો દસેરાનો હતો માટે હમીરની વહુ તથા છોકરી રથમાં બેશી એશઆરામ કરવાને બાગમાં જતી હતી. કેસર તે બાગમાં પેસી તેઓને ખેંચી ગયો, અને તેઓની સાથે સવાસો સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે હમીર જાગ્યો, અને તેણે કિરંતીગઢમાં પોતાનાં પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા તે સઘળી હમીર રાજાની વહુ તથા બેન છે અને હમણાં તેઓ તમારે ઘેર આવેલાં છે, માટે જેમ પીહેરથી સાસરે વળાવેલી સ્ત્રીઓને પૈસા, લુગડાં સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વળાવવાં જોઈએ. પ્રધાનનું આ બોલવું સાંભળીને કેસર ખડખડ હસ્યો, અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચુકી, માટે તેમને પાછી આપવામાં આવશે નહીં. એ સઘળી તો હવે મારી ધણિયાણી થઈ, આ જવાબ લઈને પ્રધાન સામૈયુ ગયો. પછી કેસરના જેટલા સગા કિરંતીગઢમાં હતા તેઓ સઘળાને તેણે તેડાવ્યા, અને એકેકને એક સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે તેણે ચાર રાખી, અને બીજી ઘણી તેને રાણી હતી તેમાં ઉમેરો કીધો. એ પ્રમાણે દશ બાર વર્ષ વહી ગયાં, પણ લડાઈ બંધ પડી નહીં એટલા વખતમાં તેને તથા તેના પિત્રાઈને સુમરી સ્ત્રીઓને પેટે અઢાર દીકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું, ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું, અત્યાર સુધી જ્યારે જ્યારે કેસર હમીરને કેહેતો કે, 'આવ, પડોસી લડીએ', ત્યારે હમીર જવાબ દેતો કે લડે મારી બલા, પણ આ વખતે તો તેણે કેસરને કહેવડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કિરંતીગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કાંઈ નથી, ત્યારે ત્યાં આવ્યા પછી મારા લશ્કરને ખાવાનું કયાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કેહેણ જયારે હમીરે મોકલ્યું ત્યારે તેના જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું એક હજાર વીંઘા જમીનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કિરંતીગઢ તરફ આવ્યો, અને તેની તથા કેસરની વચ્ચે ઘણી લડાઈ થઈ. ઘણા રજપૂતોના પ્રાણ ગયા, અને ઘણીએક રીતે આખા રાજ્યની ખરાબી થઈ આખરે એક મોટી લડાઈ થઈ તેમાં કેસર પાતે, તથા મારા સિવાય તેના સઘળા છોકરા માર્યા ગયા. મારા કાકા તથા પિત્રાઈ ભાઈઓ સઘળા રણસંગ્રામમાં પડ્યા, કિરંતીગઢને હમીરે બાળી જમીનદોસ્ત કરી નાંખ્યું; અને સુમરી રજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં બળી મુઈ. એ પ્રમાણે મારા કુટુમ્બનો નાશ થયો; એ પ્રમાણે અમારૂં નસંતાન ગયું; એ પ્રમાણે અમારૂં રાજ્ય ધુળધાણી મળી ગયું, અને એ પ્રમાણે સઘળાનો અંત આવ્યો. હવે હું જ માત્ર જીવતો રહ્યો તે એકલો શું કરું માટે મેં આણીગમ તેણીગમ ફર્યા કીધું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહી. મેં કોઈ રાજાની પાસે જઈ ત્યાં મોટાં પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો, અને ગુજરાતનો કરણ રાજા મારી માશીનો દીકરો થાય છે એમ જાણીને તેને મળવાને થોડા દહાડા ઉપર હું પાટણ શેહેરમાં આવ્યો. ઈહાં આવતાં જ મેં બાબરા ભૂતની વાત સાંભળી વીચાર કીધો કે બાબરા ભૂતને શેહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે, અને આખા શેહેરમાં બલકે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે, પછી હું તેને મારૂં સગપણ જણાવીશ, અને હું સુખેથી ઈહાં રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાનો એક મંત્ર શિખેલો હતો, અને તે વડે મેં ઘણાંએક કાઢ્યાં પણ હતાં, પણ આ બાબરો ભૂત ઘણો બળવાન છે એમ જાણી તે મંત્ર ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો, ત્યાં મુડદા ઉપર બેસી જપ કીધો. હજારો ભૂત, પિશાચ, વંત્રી વગેરે મલીન પ્રાણીએાએ મને બીહીવડાવ્યો, તો પણ મેં મારૂં કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતાં તારો મેળાપ થયો, અને તેનું પરિણામ એ થયું કે આપણે બે આ ઠેકાણે પાસે પાસે બેઠાં છીએ. હવે જ્યારે ફુલારાણીને ભૂત આવશે ત્યારે હું કોઈ ભુવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ, અને ઈશ્વર કૃપાથી તથા તારી મદદથી બાબરા ભૂતનું કાસળ કાઢીશ.

શક્તિ- તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો, અને મને પાક્કી ખાતરી થઈ કે તમને જેવા ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કીધો છે તેથી હું હવે જરાપણ પસ્તાવાની નથી. તમારૂં ધારેલું કામ પાર પડશે, તમે બાબરા ભૂતને જીતશો; એમાં હિંમતનું માત્ર કામ છે. પણ હું તમને એક શિખામણ દઉં છું તે ખુબ યાદ રાખજો. તે તમને ઘણી કામ લાગશે, અને જો નહી માનો તો કદાપિ તમારા મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે જો બાબરો ભૂત તમારી સાથે બહાર નીકળી લઢવા આવે તો તુરત તેની ચોટલી પકડી લેજો, એટલે તેનું જોર કાંઈ ચાલશે નહી, અને તે તમને તુરત વશ થશે.

બીજે દહાડે સવારે તેઓ ઉઠ્યાં, અને રસોઈ કરી બંનેએ મિષ્ટાન્ન લીધાં. પછી તેઓ બેઠાં હતાં એટલામાં શેહેરમાં બુમ ચાલી કે ફુલારાણીને બાબરો ભૂત વળગ્યો છે, અને તે ઘણું તોફાન કરે છે. હરપાળ એ સાંભળીને તુરત ઉઠ્યો, અને એક હિન્દુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો, અને ચોટલી પકડવાની વાત તેને ફરીથી યાદ દેવડાવી. કરણના મહેલમાં કોઈપણ ભુવાને જવાને કાંઈ હરકત પડતી નહતી, તેથી હરપાળ વગર અડચણે માંહેના મહેલમાં દાખલ થયે, અને જે ઓરડામાં કરણ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાને જુહાર કીધો. કરણે તેને તેનું નામ, ઠામ ને કામ પુછતાં જ તે બોલ્યો: “ મહારાજ, હું લખનેર શહેરનો ભુવો છું, હું સઘળા જંત્રમંત્રમાં પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચાટણ, સતંભન, આકર્ષણ, વગેરે ઘણીએક મેલી વિદ્યામાં કુશળ છું. હું બુદ્ધિકેદારનાથથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી સઘળા ભરતખંડમાં ફરી આવ્યો છું, મેં આખી પૃથ્વીના મુખ્ય મુખ્ય જાદુગરો તથા ભુવાઓ સાથે મેળાપ કીધેલો છે, અને તેઓ સઘળાના મંત્ર હું જાણું છું. પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સઘળે ઠેકાણે પ્રવાસ કીધા પછી હું છેક પૂર્વમાં કામરૂદેશના સ્ત્રીઆ રાજ્યમાં જઈ પહોંચ્યો. ત્યાં મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરૂષને આકાર રોણું સાથે ત્રણ વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વોત્કૃષ્ટ, મંત્ર શાસ્ત્ર શીખી લાવ્યો, હું ત્યાંથી છળ ભેદ કરી નાસી આવ્યો, અને આપના રાજ્યમાં ફરતો હતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઈલમી આટલા દહાડા થયાં મળતો નથી તે જોઈને મને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને તમારા, તમારી ફુલારાણી, તથા નગરના સઘળા રેહેવાસી ઉપર ઘણી દયા આવી. હું ઈહાં આવ્યો, અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું, માટે મને મારી વિદ્યા અજમાવવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ.”

કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થયો, અને અત્યાર સુધી કોઈ આવો ભુવો આવ્યો નથી, તથા તે બાબરા ભૂતને કાઢશે જ એમ જાણીને તેનું સન્માન કીધું, અને તેને ફુલારાણીના ઓરડામાં લઈ જવાને ચાકરોને હુકમ કીધો, હરપાળ ત્યાં ગયો, ને જોયું તો આસરે સો બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા, બીજા ઓરડામાં ઘણાક હિન્દુ તથા જૈન ભુવા, જતિઓ ધંતરમંતર કરતા હતા, પણ તેઓમાંથી કોઈની ફુલારાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી નહતી. હરપાળને જોઈ સઘળાએાએ પોતપોતાનું કામ મૂકી દીધું. અને કોઈ મોટો ઇલમી હિંદુસ્તાનથી આવ્યો છે તે એ જ છે, એમ જાણી તે શું કરે છે તે જોવા તેની પાસે તે સઘળા આવી ઉભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફુલારાણીના ઓરડાનાં કમાડ ઉઘડાવી નાંખ્યાં, અને માંહે જોયું તે તેને ખાટલા ઉપર બેઠેલી દીઠી. તેની આંખ લાલ હિંગળોક વર્ણી હતી, તથા તે એવી સ્થિર એકી નજરે જોયાં કરતી હતી કે તેનાં પોપચાંનો પણ પલકારો થતો નહતો. તેનું મ્હોડું ફિકું અને બીહામણું થઈ ગયું હતું. અને તેનું રૂપ એવું તો ઉગ્ર દેખાતું હતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી. તેની કાન્તિ ઘણી જ નાજુક હતી, તથા તેની વય આસરે વીશેક વર્ષની હશે, એમ અટકળથી લાગતું હતું, આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિંમત આવી, અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યા. જેવા તે દાણા ફુલારાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયલે ભૂત જાગૃત થયો, અને એક છલંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સઘળી જમીન ધ્રુજી ગઈ. તેની સાથે તેણે એવી તે મોટી ચીસ પાડી કે તેથી આખો મેહેલ ગાજી રહ્યો, અને શહેરના પણ ઘણાએક ભાગમાં તે સંભળાઈ. હવે વખત બારીક આવ્યો. બાબરો ભુત (હવે આપણે ફુલારાણીને એ નામથી લખીશું.) હરપાળની સન્મુખ આવી ઉભો રહ્યો, અને તેને પકડવાનું કીધું એટલે તેણે બીજા દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા. આ વખતે તે પાછો તે ખસ્યો, પણ તેણે પોતાનું ખરેખરૂં વિકાળ સ્વરૂપ પ્રકાશયું. આસપાસ ઉભા રહેલા બીજા લોકો ભૂતનું આ રૂપ જોઈને નાઠા. હરપાળ એકલો ઉભો રહ્યો, અને મોટા અવાજે તેને પૂછયું કે, “ તું કોણ છે, અને તું શા કારણ સારૂ અણહિલપુરના રહેવાશીઓને, તેના રાજાને તથા રાણીને આટલો બધો ઉપદ્રવ કરે છે?” આ સાંભળી બાબતો ખડખડ હસવા લાગ્યો, અને એક મોટી ગર્જના કરી બોલ્યોઃ “સાંભળ રે માનવી ! હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, તથા કોઇને કહેવાનો મારો વિચાર ન હતો, તો પણ તું કોઈ મોટો ઈલમી જણાય છે, માટે તારી આગળ હું કહું છું. તું કોઈ પરદેશી જેવો જણાય છે, માટે તારી આગળ હું સઘળી વાત યથાસ્થિતિ કહીશ, અને પછી તું ન્યાય કરજે કે હું જે કરૂં છું તે વાજબી કે ગેરવાજબી છે. હું મારા પાછલા ભવમાં નાગર હતો, અને મારો ભાઈ માધવ આ દુષ્ટ, ચંડાળ, કૃતઘ્ની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો, અને તેનો બચાવ કરવામાં મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મુઈ તેથી અમારી અસદ્ગતિ તો થાય જ નહી, પણ વેર વાળવાને મેં યમ રાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કીધું, અને રાજાની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુ:ખ તે રાજાને જ સમજવું, એમ જાણી હું તેઓને પણ પીડું છું, એને જ્યારે મારું વેર તૃપ્ત થશે ત્યારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ, અને કૈલાસ લોકમાં વાસ કરીશ.”

હરપાળે આ સઘળી વાત સાંભળી લીધી, અને ભૂતનું કામ વાજબી છે એમ તેને જણાયું, પણ તે વાજબી કે ગેરવાજબી ગમે તેવું હોય તો પણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ રહેલો હતો તેથી તે બોલ્યો: “અલ્યા બાબરા ! હવે બસ થયું, હવે આ રાણીને તથા આ શહેરના લેાકેાનો કેડો છોડ અને તું તારે ઠેકાણે જા; જો ભલમનસાઈથી નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા.” પણ હરપાળની વાત બાબરાએ ગણકારી નહીં. તે પાછો નાચવા, કુદવા, તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા એટલે તે પાછો ગાંડો થયો, અને ઘણા જુસ્સાથી આવી તેણે તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા, ત્યાં શોરબકોર થઈ રહ્યો, તેઓ બંને જમીન ઉપર ગબડ્યાં; અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઉથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તે બાબરો રમત કરતો હતો, તેણે તેનું પૂરું જોર અજમાવ્યું નહતું. પણ હવે જ્યારે મારામારી ઉપર વાત આવી, અને લડાઈ બંધ કરવાને ઘણું સમજાવ્યા છતાં હરપાળે માન્યું નહીં, ત્યારે બાબરો ઉભો થયો, તેણે હરપાળને પોતાના એક હાથમાં ઉંચકી લીધો અને તેને ભોંય ઉપર પછાડી મારી નાંખવાની ધમકી આપી. હરપાળ કાંઈ બીધો નહીં, તે હવામાં ઉંચો ઉછળ્યો, અને ભોંય ઉપર પછડાવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો, અને તેના શરીરને બાથ ભીડી દીધી, હવે બાબરાએ તેનું ગળું પકડ્યું, અને તેને એવા જોરથી દાબ્યું કે તેને પ્રાણ તત્કાળ નીકળી જાત, પણ આ વખતે તેને શક્તિની શિખામણ યાદ આવી, અને તેણે મહા મહેનતે એક છલંગ મારી બાબરા ભૂતની ચોટલી જોરથી હાથમાં પકડી લીધી, તે જ ક્ષણે બાબરો નરમ ઘેંસ થઈ ગયો, વાઘનો એકદમ બકરી થઇ ગયો; તે એક ગરીબ ગાયની પેઠે ઉભો રહ્યો. 'છોડચોટલી' એટલું જ તેનાથી બોલી શકાયું, હરપાળને હવે જીવમાં જીવ આવ્યો, અને બાબરો અંતે જીતાયો એ જોઈને તેના હૈયામાં હર્ષ માયો નહી. બાબરા સામું જોઈ તે બોલ્યોઃ-“હવે નીકળો બચ્ચા ! હવે ખરેખરા દાવમાં આવ્યા છો. હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ.” બાબરો છેક લાચાર થયો, અને દેશ છોડી જતાં રહેવાનું કબુલ કીધું, પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી માટે તે બોલ્યો કે જો મારાં સઘળાં કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ તે વખતે તુરત હાજર થઈ મને સહાય થવાનું વચન આપે તો જ હું તને જવા દેઊં. બાબરાએ એ શરત કીધી કે જ્યારે તું મને કાંઈ કામ સોંપશે નહી ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું, 'કબુલ..?' પછી તેણે એક સીસો મંગાવી તેમાં ઉતરવાનું બાબરાને કહ્યું. હવે તે છેક નિરાશ થઈ ગયો હતો, તથા તેનું કાંઈ ચલણ રહ્યું નહતું, તેથી તે સીસામાં ઉતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોડી મંત્ર ભણીને છાપ મારી, અને તે સીસો લઈ કરણ રાજાની આગળ આવી ઉભો રહ્યો. અત્યાર સુધી જે જે હકીકત બની તે સઘળાથી કરણ વાકેફ થયો હતો, અને તેનો હર્ષ ઉભરાઇ જતો હતો; તે હરપાળને પગે પડ્યો, અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેણે કબુલ કીધું.

હવે હરપાળને બોલવાનો વખત આવ્યો. તે હાથ જોડી રાજા આગળ ઉભો રહ્યો, અને પોતાની સઘળી વાત તેણે અથથી ઈતિ સુધી કહી. આ વાત સાંભળીને કરણને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને કેટલીએક વાર સુધી તે તેણે તે સાચી માની નહીં. જ્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાત્રી કીધી ત્યારે કરણને ઘણોજ આનંદ થયો, અને આંખમાં હર્ષનાં આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સઘળે તે વાત પથરાઈ, અને ત્યાંથી સઘળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેર ઘેર આનંદ થઈ રહ્યો, અને કરણના માશીના દીકરા હરપાળે બાબરા ભૂતને શહેર બહાર કાઢ્યો તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી સીસાને આખા શહેરમાં ફેરવ્યો અને તેને ગુજરાતની સરહદ બહાર મોકલાવી દીધો. પછી કરણે હરપાળને એક મોટો સરપાવ આપ્યો, તેને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાનો ઘણો આગ્રહ કીધો. પણ હરપાળે પોતાની નવી સ્ત્રીની સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તે તેને સ્વાધીન કીધો; અને તેને ઘણી ધામધુમ સાથે તેના નવા ઘરમાં વદાય કીધો.