← પ્રકરણ ૫ મું કરણ ઘેલો
પ્રકરણ ૬ ઠ્ઠું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૭ મું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૬ ઠું.

માગશર મહીનામાં એક સવારે દિલ્હી શેહેરમાં ઘણો રમણિક તથા જોવા લાયક દેખાવ બની રહ્યો હતો. તે દહાડે શેહેર બહાર એક કાળિકા માતાનું દહેરૂં હતું તેનો પાટોત્સવ હતો, તથા અલાઉદ્દીન પાદશાહના વડા શાહજાદા ખિઝરખાંની સાલગિરી હતી, તેથી હિંદુ તથા મુસલમાન એ બંને લોકોને તે દિવસે તેહેવાર હતો. સવારે જે વખતે શેહેરની સઘળી મસજિદોમાંથી પેહેલી નિમાજને વાસ્તે બાંગ પોકારવામાં આવી, તે વખતે હિંદુ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ શેહેર બહાર કાળિકા માતાનાં દર્શન કરવા જતાં હતાં. તે સવારે ટાઢ ઘણી જ પડી હતી, તેથી સઘળાઓએ શાલ, દુશાલા, ધાબળી વગેરે ઉનનાં ગરમ લુગડાં શરીર ઉપર ઓઢેલાં હતાં, તથા ગરીબ લોકો બિચારા ધ્રુજતા ધ્રુજતા, દાંત કકડાવતા, અદબ કરી ચાલ્યા જતા હતા. કેટલેક દૂર ગયા પછી તેઓ કુતુબમિનાર આગળ આવી પોંહોંચ્યા. એ મિનારે દિલ્હીના પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીનના રાજ્યમાં બંધાવા માંડ્યો હતો તે અલ્તમશ પાદશાહના રાજ્યમાં પુરો થયો. તે ઘણો જ શોભીતો છે; તેનો આકાર મિનારા જેવો છે તથા તે ઉપર રવેશો છે તેમાં ઘણી જ બારીક નકશી કોતરેલી છે. તે ૧૨૧ સુતારી ગજ ઉંચો છે. એક વાર ધરતીકંપ થયાથી તેનો કેટલોક ભાગ પડી ગયલો છે, તોપણ તેના જેટલો ઉંચો મિનારો દુનિયામાં બીજો કોઈ નથી. તેની પાસે એક અધુરી મસજિદ છે, તે તેની બાંધણી તથા શોભામાં હિન્દુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઉતરતી નથી. તે ઉપર લેખ કોતરેલા છે તે ઉપરથી જણાય છે કે તે શાહબુદ્દીન ઘોરીના રાજ્યમાં બંધાવવા માંડી હતી. એ મસજિદની પડોસમાં કાળિકાનું દહેરૂં હતું. તેનું કદ નાનું હતુ તથા બહારથી કાંઇ શોભાયમાન ન હતું, પણ તેનો પરતો એટલો હતો કે તે દહાડે ત્યાં આખા દિલ્હી શહેર તથા પડોસના ૪૦ અથવા ૫૦ કોશ સુધીનાં ગામો તથા શેહેરોથી હિન્દુ લોકો દર્શન કરવા આવ્યા હતા. જુદી જુદી જાતના જુદા જુદા પહેરવેશ તથા રંગબેરંગી પાઘડીઓથી તમાશો ઘણો સુંદર લાગતો હતો; પણ ત્યાં લોકોની ભીડ સિવાય બીજું પણ કેટલુંક જોવા લાયક હતું.

કાળિકા દેવીનું રૂપ ઘણું ઉગ્ર તથા બીહામણું હોય છે. અને તેને પ્રાણનાં બલિદાન આપવામાં આવે છે. તેને રક્તપાનમાં ઘણો આનંદ લાગે છે તેથી તેની યાત્રાઓમાં ઘણાં નિર્દય કામો થતાં જોવામાં આવે છે. આ વખતે દેવીના મંદિર આગળ ઘણાએક ભક્તો એકઠા થયા હતા, તેઓમાંથી કેટલાએક પોતાની જીભમાં પાળી ખોસતા હતા. બીજે ઠેકાણે ઝીણા અણીદાર ખીલાઓને તેઓની અણી ઉપર રાખીને ભોંયમાં એવા પાસેપાસે દાટેલા હતા કે તેનું એક બીછાનું થઈ રહ્યું હતું, તે ઉપર એક પાલખ બાંધેલી હતી તે ઉપરથી કેટલાએક નીચે ખીલાઓની શય્યા ઉપર પડતા હતા. કેટલાએક પોતાની કુખમાં લોઢાની કડી ઘાલીને તેમાં એક દોરડું બાંધીને એક ઝુલતા લાકડાના કટકા સાથે લટકતા હતા. અને કેટલીએક વાર સુધી તેઓ ચક્કર ખાતા હતા, બીજા કેટલાએક ફુલના પુષ્કળ હાર ઘાલીને તથા શરીરે હિંગળોક ચોળીને ઉભા હતા, અથવા કાંઈ રાગનું વાજીંત્ર વગાડતા હતા.

આ ભયંકર તથા કંટાળો ઉપજાવનાર તમાશો જોઈને સઘળા લોકો ખુશ થતા હતા, તેમાં એક પરદેશી તેના પહેરવેશ તથા રીતભાતથી તુરત બીજાઓથી જુદો પડતો હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડેલો હતો, અને બીજા લોકોના મ્હોડાં ઉપર જેટલો ઉમંગ દેખાતો હતો તેટલે તેના ઉપર ન હતો. જે કામને અર્થે તે દિલ્હીમાં આવ્યો હતો તે કામ હજી પાર પડ્યું ન હતું એટલું જ નહી, પણ તે સિદ્ધ થશે, એવો સંભવ પણ ઘણો દૂર દીસતો હતો. પોતાની મતલબ શી રીતે હાંસલ કરવી, એ વિષે તે નિરંતર રાત દહાડો મનમાં વિચાર કર્યા કરતો, અને વારેવારે નિશાસા મુક્યાં કરતો હતો.

વાંચનારાઓએ તેને ઓળખ્યો તો હશે; તે ગુજરાતના કરણ રાજાનો માજી પ્રધાન માધવ હતો એમ આ ઠેકાણે સ્પષ્ટ કહ્યું ન હોત તોપણ સઘળાના જાણ્યામાં આવત. આ વખતે તે આ સઘળો તમાશો જોઇ ઘણો વિસ્મિત થયો, અને તે મોટેથી બોલી ઉઠ્યો:- “જો દેહકષ્ટ કીધાથી પરમેશ્વર પ્રસન્ન થતો હોય તો આ લોક નક્કી સ્વર્ગે જશે.” તેની પાસે એક સંન્યાસી ઉભેલો હતો તે આ વાત સાંભળી બોલ્યો: “અરે ભઇયા ! જો દેહકષ્ટથી પરમેશ્વર પ્રસન્ન થાય તો અમારા ઉપર થાય. અમારા દેહકષ્ટ આગળ એ લોકોનો કાંઈ હિસાબ નથી. તેઓ તો વર્ષમાં એક બે દહાડા આ પ્રમાણે કરે છે, પણ અમારે તો આખા જન્મારામાં દેહકષ્ટ કર્યા જ કરવું જોઈએ. સંન્યાસી દુનિયાનો શી રીતે ત્યાગ કરે છે તે વિષે જે મનુસ્મૃતિમાં લખેલું છે તે સાંભળો. 'જયારે કોઈ કુટુંબના મુખ્ય માણસનું શરીર સઘળું ઢીલું પડી જાય, તથા નિમાળા સફેદ થાય, તથા તે પોતાનાં છોકરાનાં છોકરાં જોય, ત્યારે તેણે વનવાસ કરવો. શેહેરમાં જે ખાવાની વસ્તુઓ હોય તે તથા ઘરનાં વાસણકુસણ મુકી દઈને એકાંત વનમાં જવું. પોતાની વહુ તથા છોકરાંને તજવાં, અને જો વહુની સાથે ચાવવાની ખુશી હોય તો તેને જોડે લેવી. તેણે પોતાની સાથે પોતાના ઘરનો અગ્નિ તથા હોમ કરવાનો સઘળો સામાન લેવો; અને વનમાં જઈને પોતાની જ્ઞાન તથા કર્મેન્દ્રિયો ઉપર અખતિયાર રાખી રહેવું. ઋષિઓ જે ખાતા તે કંદ, મૂળ, ફળ, ઈત્યાદિ પવિત્ર વસ્તુઓ તેણે ખાવી. તેણે કાળા હરણનું ચામડું અથવા છાલનું વસ્ત્ર પહેરવું, સાંજ સવાર સ્નાન કરવું, માથા તથા દાઢીના નિમાળા વધારવા, અને નખ મોટા થવા દેવા, જે તેને ખાવાનું મળે તેમાંથી દાન વગેરે કરવું, તથા તેના આશ્રમમાં જેઓ આવે તેઓનો સત્કાર કરી તેને કંદ, મૂળ, ફળ, પાણી આપવાં. તેણે હમેશાં વેદાભ્યાસ કરવો. ગમે તેવી વિપત્તિ આવી પડે તો પણ ધૈર્ય રાખી પરોપકાર કરવો; પરબ્રહ્મ ઉપર મન સ્થિર રાખવું, નિરંતર દાન આપ્યાં કરવું, પણ કાંઈ દાન લેવું નહીં; અને સઘળા જીવવાળા પદાર્થો ઉપર દયા રાખવી. ભોંય ઉપર તેણે આખો દિવસ લપસ્યાં કરવું, અથવા પગની એક આંગળી ઉપર ઉભા રહેવું, અથવા ઉઠ બેસ કર્યા કરવી. સૂર્યોદયની વખતે, બપોરે, તથા સૂર્યાસ્ત થતી વેળા તેણે સ્નાન કરવા જવું; ઉનાળામાં તેણે પંચાગ્નિ વચ્ચે બેસવું, એટલે ચાર અગ્નિ આસપાસ સળગાવવા, ને પાંચમો અગ્નિ માથે સૂર્ય તે સઘળાનો તાપ સહન કરવો. વરસાદના દહાડામાં જ્યારે ભારે ઝાપટાં આવતાં હોય ત્યારે એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદમાં ઉભા રહેવું. શિયાળામાં તેણે હવાયલાં વસ્ત્ર પહેરવાં અને ધીમે ધીમે દેહકષ્ટમાં વધારો કર્યા કરવો. પછી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના પવિત્ર અગ્નિને રાખ્યા પછી બીજો દેવતા સળગાવ્યા વિના મૌનવ્રત લઈને રહેવું, અને કંદ, મૂળ ખાવાં; અથવા સંન્યાસીએ પત્રાવળીમાં, હાથમાં, અથવા તુમડીમાં શેહેરમાંથી ખાવાનું લઈ આવવું, અને તેમાંથી આઠ કોળિયા માત્ર ખાવા જે બ્રાહ્મણ વનવાસ કરે તેણે આ તથા એવા બીજા નિયમો પાળવા. પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાને તેણે ઉપનિષદોનો અભ્યાસ કરવો. એ પ્રમાણે તેના આવરદાના ત્રીજા ભાગમાં વનમાં રહી ધર્મનાં કૃત્યો કીધા પછી ચોથા ભાગમાં તેણે સંન્યાસી થવું. તેણે સઘળું સંસારી સુખ ત્યાગ કરવું, અને પરબ્રહ્મ ઉપર વિશ્વાસ રાખી મોત પણ માગવું નહી, અને આવરદા પણ ઇચ્છવું નહી. જેમ ચાકર પેાતાનો પગાર લેવાનો મહીનો પુરો થવાની રાહ જોય છે તેમ તેણે તેના નિયમિત વખતને માટે વાટ જોઈ બેસવું.”

“હવે સંન્યાસી થવાની વિધિ નીચે પ્રમાણે છે. પેહેલાં તો એક સારો દહાડો શોધી કાઢવો, અને તે દહાડે તેણે સ્નાન કરવું, અને એક લુગડાના દશ કકડા ભગવા રંગીને તેઓને સાથે લઈ મુકરર કીધેલી જગ્યાએ જવું. એ દશ કકડામાંથી ચાર પોતાના ખપને વાસ્તે રાખવા, અને છ ક્રિયા કરાવનાર બ્રાહ્મણોને વહેંચી આપવા. સંન્યાસીએ બીજા સામાનમાં એક તો સાત ગાંડાવાળો વાંસનો દંડ, બીજી તુમડી, ત્રીજું હરણનું ચામડું, ચોથું રૂપા તથા તાંબા નાણું, ફુલ, રાતા રંગેલા ચોખા, ચંદન ઇત્યાદિ રાખવાં. પછી એક ઘણો જ બદ સ્વાદ રસ તૈયાર કરીને તેને આપવામાં આવે છે તે ઇંદ્રિયોનું સુખ હવે ત્યાગ કીધું એમ જણાવવાને પેલા સંન્યાસીએ પી જવો. પછી ગુરૂ તેના કાનમાં મંત્ર ભણે છે; તથા સંન્યસ્ત લીધા પછી શું શું કરવું તે તેને સમજાવે છે. પછી તે ભગવાં વસ્ત્ર પહેરે છે. ન્યાતજાતનો ત્યાગ કીધો તે જણાવવાને તેનું જનોઈ તોડી નાંખે છે, અને ચોટલી બોડાવે છે. સઘળી ક્રિયા થઈ રહ્યા પછી દંડ, તુમડી તથા હરણનું ચામડું લે છે, અને તુમડીમાંથી ત્રણ આચમન મંત્ર ભણીને પીએ છે એટલે તે સંન્યાસી થયો એમ ગણાય છે; પછી તેને સંસાર સાથે કાંઈ સંબંધ રેહેતો નથી. સંન્યાસીએ હરેક સવારે સ્નાન કીધા પછી આખા શરીર ઉપર ભસ્મનો લેપ કરવો, દહાડામાં એક વાર ખાવું, પાનસોપારી ખાવાં નહીં, બઈરાં તરફ દૃષ્ટિ પણ કરવી નહીં, હરેક મહીને દાઢી, મુછ તથા માથું બોડાવવું, પાવડી પેહેરવી, જયારે બહાર ફરવા નીકળે ત્યારે તેણે હાથમાં સાત ગાંઠોનો દંડ પકડવો, બીજા હાથમાં તુમડી લેવી, અને બગલમાં હરણનું ચામડું ઘાલવું. તુમડીમાં પાણી ભરાય અને ચામડું આસનને ઠેકાણે કામ આવે. તેણે ભિક્ષા માગી પેટ ભરવું, કારણ ભિક્ષા માગવાનો તેને અધિકાર છે. જો સંન્યાસી પાસે દ્રવ્ય એકઠું થાય તો તેણે દાન કરી દેવું, અથવા તે વડે ધર્મશાળા, દેવસ્થાન, વાવ, કુવા વગેરે બંધાવવાં. તેઓએ પોતાનો આશ્રમ નદી અથવા તળાવને કાંઠે રાખવો, કેમકે ત્યાં સ્નાન કરવાનું ઘણું સુગમ ૫ડે."

એ સંન્યાસીની સઘળી વાત સાંભળી એક યોગી ત્યાં પાસે ઉભો હતો તે બોલ્યોઃ “ભઈયા ! કરે તે ભલો, મારે તેની તલવાર; અને પાળે તેનો ધર્મ છે. અમારા યોગીઓ તો જે દેહકષ્ટ કરે છે તેની આગળ તમારી તો રમત છે. અમારામાંથી કેટલાએક પોતાના હાથ એટલાં વર્ષ સુધી બંધ રાખે છે કે નખ વધી હાથમાં પેસી જાય છે. કેટલાએક વર્ષોનાં વર્ષ એક જ ધાટીએ ઉભા રહે છે. વળી કેટલાએક તેઓના હાથ ઉંચા લાંબા રાખે છે તે એટલે સુધી કે નકામા પડવાથી તે હાથ ચીમળાઈ જાય છે અને જડ તથા અશક્ત થઈ જાય છે. કેટલાએક મોટો ભાર વહી જાય છે અથવા તેઓના શરીરના કોઈ કોમળ ભાગમાં એક સાંકળની કડી ભેરવીને તે જ્યાં જાય ત્યાં તે સાંકળ ઘસડતા જાય છે. કેટલાએક વર્ષનાં વર્ષ સુધી, અથવા કોઈ મોટા રાજ્યની પ્રદક્ષિણા કરી રહે ત્યાંસુધી ભોંય ઉપર કીડાની પેઠે પેટ ઘસડતા ચાલે છે. કેટલાએક જગન્નાથપુરી સુધી આખે રસ્તે પગે પડતા પડતા જાય છે, અથવા શરીરને દડા જેવું કરી નાંખી સિંધુ નદીને કાંઠેથી ગંગા નદીના કાંઠા સુધી ગબડતા ગબડતા જાય છે, અને એવી રીતે જતાં જે કાંઈ પૈસા મળે તે એકઠા કરી તે વડે દેવાલય બંધાવે છે, કુવા અથવા વાવ ખોદાવે છે, અથવા કાંઈ ગુપ્ત પાપનું પ્રાયશ્ચિત્ત કરે છે કેટલાએક ભર ઉનાળામાં બળતા તાપ ઉપર હીંચકા ખાય છે, અથવા ઘણા આકરા તાપ ઉપર નીચું માથું રાખી ટંગાઈ રહે છે. કેટલાએક ભોંયમાં ગરદન સુધી દટાય છે, ફક્ત શ્વાસ લેવાને એક નાનું કાણું રાખે છે. કેટલાએક શરીર ઉપર ચાબખા મારે છે, ખીલાની શય્યા ઉપર કેટલાએક સુએ છે. કેટલાએક જીવતાં સુધી પોતાના શરીરને કોઈ ઝાડના થડ સાથે સાંકળવડે બાંધી લે છે. એ પ્રમાણેના દેહકષ્ટ તેઓ કરે છે. જો એ વાતની લખેલી સાબિતિ જોઈતી હોય તે કાળીદાસકૃત શાકુન્તલ નાટક વાંચો; તેમાં એક ઠેકાણે આ પ્રમાણે લખ્યું છે." “દુષ્યંત રાજાએ પૂછ્યું કે મારિચિ ઋષિનો આશ્રમ ક્યાં છે ? ત્યારે માતલિએ જવાબ દીધો કે:-

શાર્દૂલવિક્રીડિત વૃત્ત,
વલ્મીકે*[૧] થઈ છે નિમગ્ન અરધી કાયા જ જેની ભલી,
લાંબી સર્પતણી વિટાઈ ઉરને એને બધી કાંચળી;† । [૨]
કંઠે જીર્ણ થયેલ વેલ તરુની ચોપાસ કંઠી બની
તે પીડા કરતી જણાય તપસીકેરા ગળાને ઘણી. ॥ ર૭૯ ॥
ખાંધે છે પ્રસરાયલું શિરથકી એનું જટામંડળ,
તેની માંહ શકુન્તપક્ષિ કરતું માળા નિવાસાર્થ જો ।
એવું રુપ ધરી વસે મુનિ પણે મોઢું કરે સૂર્યની
સામે બિમ્બભણી રહી અચલની પેઠે સ્થિરાકારમાં ॥ ૨૮૦ ॥
( ઝ. ઉ. યા. )

એવાં એવાં દેહકષ્ટ યોગી લોકો કરે છે તેની આગળ તમારા સંન્યાસીનાં અથવા આ કાળિકાના ભક્તોનાં કામ કાંઈ ગણતીમાં નથી.”

માધવ કાળિકા દેવીના ભકતોનાં કામ નજરે જોઈ, તથા સંન્યાસીઓએ શું કરવું જોઈએ, અને યોગીએ શું કરે છે તથા કરતા હતા, તેની વાત સઘળી લક્ષપૂર્વક સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે માણસનું નાજુક તથા કોમળ શરીર આટલી વેદના શી રીતે ખમતું હશે ? ત્વચા જેની સ્પર્શશક્તિ એટલી તો બારીક છે કે એક ઝીણી સોયની અણી ભોંકાવાથી પણ દુ:ખ થાય, એવી ચામડીથી આટલું બધું દરદ શી રીતે સહેવાતું હશે ? ઘણાંએક માણસો ઠોકર વાગવાથી અથવા બગાસું આવવાથી અથવા એવાં બીજાં દેખીતાં નજીવાં કારણથી તત્કાળ મરણ પામતાં માલમ પડે છે તે છતાં પણ આ લોકો આવાં ભારે દરદ હાથે કરી પેદા કરે છે, તેથી મરતા કેમ નહી હોય ? માણસનું શરીર ખરેખર ચમત્કારી છે. તેને થોડે પણ આચકો લાગ્યાથી


  1. *કીડી અથવા ભમરીઓ માટીના જે નાહાનાં નાહાના દર બનાવે છે,અથવા માટીની ટેકરીઓ બનાવે છે તે. ઈંગ્રેજીમાં એને Ant-hill કહે છે.
  2. †સાપની કાંચળી ઋષિની છાતી ઉપર જનોઈ અથવા યજ્ઞોપવીતને ઠેકાણે હતી.
વખતે તેનો લય થાય છે, અને વખતે નાશ કરનારાં સાધનો અનેક

આવી તેને તોડી પાડવાને યત્ન કરે છે તો પણ તે ખડકની પેઠે ટકી રહે છે. એનું મુખ્ય કારણ ટેવ છે, શરીર જેવું ટેવાય છે તેવું થાય છે. જે કારણોથી એક માણસનું મૃત્યુ થાય છે તેથી બીજાનું શરીર જોરાવર થાય છે. એ સઘળો ટેવનો મહિમા છે. પણ ટેવની સત્તાને કોઈ મર્યાદા છે કે નહી? એ વાત ગમે તેમ હોય તોપણ દેહકષ્ટ કરવામાં શો લાભ છે? પરમેશ્વરે માણસને સુન્દર તથા ચમત્કારિક આંખ આપેલી છે તે વડે તે સૃષ્ટિને નિરખે છે, તેની ખુબી તપાસે છે, અને તે તપાસતાં સૃષ્ટિના કર્તાની અપાર શક્તિ, અનંત ડહાપણ, બેહાળી દયા, તથા ડગલે ડગલે તેના સંકેતનાં ચિન્હો શોધી કાઢીને વધારે ભક્તિથી તથા વધારે સાચા દીલથી તેને તે સેવે છે, એવી આંખનો માણસે શું ઉપયોગ ન કરવો ? જે કાનવડે સૃષ્ટિમાંહેલા ચિત્તાકર્ષક નાદ, પક્ષિઓનો સુન્દર અવાજ, તથા માણસના ગળામાંથી જે નાના પ્રકારના રમણિક સાદ નીકળે છે તે સંભળાય છે તે શું સર્વ ન સાંભળતાં કાન બંધ કરી રાખવા ? જે નાકવડે વાસવાળા પદાર્થોની સુગંધ અથવા દુર્ગંધ પારખી શકીએ છીએ તે નાક શું કામે ન લગાડવું? તથા ગંધ વિષે જે સૂચના આપે તેને શું ન માનવી ? વળી જીભ વગેરે મ્હોડામાં જે સાધનો પદાર્થના જુદા જુદા સ્વાદ લેવાને આપેલાં છે તેઓનો ઉપયોગ કેમ ન કરવો ? સ્વાદમાં જે ભેદ છે તે ખોટો માનીને શું મીઠો તથા કડવો એક જ સમજવો ? અને અનાજ વગેરે જે જે વસ્તુ સ્વાદને સારી લાગે છે તથા શરીરને પોષણકર્તા છે તે તે પદાર્થો પરમેશ્વરે ખાવાને સરજ્યા છે, અને કડવી તથા બદસ્વાદની વસ્તુઓ જેથી શરીરને પુષ્ટિ મળતી નથી, તેઓ તે કામને માટે પેદા કીધેલી નથી એ વાત અનુભવથી જાણ્યા છતાં, શું ખોટી માનવી ? અગણિત છિદ્રવાળી તથા અસંખ્ય જ્ઞાનરજજુઓથી ભરપૂર એવી ત્વચા જેની બહારના પદાર્થથી જે સુખદુ:ખ થાય છે તે એાળખવાની શક્તિ આપેલી છે તેને શું પોતાનું કામ ન કરી શકે એવી કરી નાંખવી ? વળી જગતમાં ચોતરફ નજર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દીસે છે કે સઘળી વસ્તુઓ જાણે માણસના આનંદ તથા સુખને વાસ્તે જ સર્જાયેલી છે, તે વસ્તુઓનો ઉપયોગ ન કરતાં દુનિયામાં જેવા આવ્યા તેવા જવું, અને આપણે થઈ ગયા તેની એક પણ નિશાની પાછળ રહેવા ન દેવી? માણસના મનના વિકારો તથા વૃત્તિઓ તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે દુનિયામાં આપણા મનુષ્ય જાતિના ભાઈઓ એકઠા રહેવાને ઉત્પન્ન થયલા હોઈએ એમ લાગે છે, તે છતાં જો આપણે એકાંત વનવાસ કરીએ તો દયા, ક્ષમા આદિ આપણા સારા ગુણોનું શું કામ પડે? એ સઘળા ઉપરથી સહેજ અનુમાન થાય છે કે માણસે દુનિયામાં રહીને જે દુ:ખ પડે તે ધૈર્યતાથી સહન કરવું, અને જેમ મધમાખી બધાં કુલોમાંથી મધ ચુસી લે છે તેમ આપણે સઘળા પદાર્થોમાંથી સુખ ખેંચી કાઢવું, દેહકષ્ટ શા માટે કરવું? હવે માણસ જેનામાં ઈશ્વરે વિવેકબુદ્ધિ મુકેલી છે, તેથી જે કાર્ય તે કરે છે તેમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે આ દેહ દમવાનું પણ કાંઈ કારણ હશે. અગર જો સૃષ્ટિની ખુબી આંખવડે જણાય છે, ચંપા, ચંબેલી, મોગરો, વગેરે ખુશબોદાર ફુલોનો સુવાસ ઘ્રાણેન્દ્રિયથી માલમ પડે છે; અગર જે રસેંદ્રિયથી જ ખટરસનો સ્વાદ સમજાય છે; ટુંકામાં માણસને સુખ થાય એવી જ આ જગતની રચના કીધેલી છે. તો પણ એ ઇંદ્રિયો આપણને હમેશાં તાબે રહેતી નથી. જો તેઓને આપણે જીતીશું નહી તો તેઓ આપણને જીતશે ઈંદ્રિયો વડે જેટલું સુખ થાય છે તેટલું જ દુ:ખ પણ થાય છે. અને એટલા દુ:ખથી કાંઈ બસ થતું નથી. એ ઇંદ્રિયોના જો આપણે ગુલામ થયા તો આપણે પશુ સમાન થઈ જઈએ છીએ, અને ખરું ખોટું સમજવાની તથા પરમેશ્વરને ઓળખવાની જે શક્તિ એકલા મનુષ્યને જ બક્ષેલી છે તેનો ખેાટો ઉપયોગ કરીએ છીએ. આંખવડે કેટલાએકની ઈશ્વર ઉપરની ભક્તિ દૃઢ થાય છે, ત્યારે ઘણા તો તે વડે દુષ્ટ અને અધમ કર્મો કરે છે, અને કારીગરીની શોભા તથા ચતુરાઈ જોવામાં ગરક થઈ કારીગરની શક્તિ તથા ડહાપણ જોવું ભુલી જાય છે, અથવા કારીગરીમાં ખામી કાઢી કારીગર છે જ નહી એમ કહે છે અથવા છે તો તેનો ઈનસાફ, દયા, ડહાપણ, ચતુરાઈ તથા સારાપણામાં ખામી છે એવો મત ચલાવે છે. એવા ભયાનક ખાડામાં પડતાં બચવાને જ, કેટલાએક ભક્તએ પોતાની આંખ પોતાને હાથે ફેાડી નાંખી છે. માટે ઈંદ્રિયો જેમ આપણી મિત્ર તેમ આપણી શત્રુ પણ છે. તે એક નદીના પ્રવાહ જેવી છે; જ્યાં સુધી તે ધીમે ચાલે છે ત્યાં સુધી સઘળાને ફાયદો કરે છે, પણ જ્યારે જુસ્સાથી વહે છે ત્યારે તેના સપાટામાં જે આવે તેને ઘસડી જાય છે. તે એક વાઘ જેવી છે. જ્યાં સુધી તેને પાંજરામાં ગોંધી રાખે ત્યાં સુધી કાંઈ ચિંતા નહી, પણ તેને પાંજરૂં તોડતાં વાર લાગતી નથી. તેને જીતવી એ ઘણું કઠણ કામ છે, અને ઘણા જ થોડા માણસથી તે બની શકે છે, માટે તેઓને ફાવવા જ ન દેવી એ ડહાપણ છે. એટલા કારણોથી સંન્યાસી, યોગી, વગેરે પોતાની ઈંદ્રિયો ઉપર ભરોસો રાખતા નથી.

વળી આ સંસાર એક મોટો વિકટ સાગર છે તેમાં કરોડો વહાણો હંકરાય છે તે વહાણોમાં તેના ધણી પોતાની સાથે સંબંધ રાખનાર માણસો લઈને બેસે છે. એ દરિયામાં અગણિત નાના મોટા ખડકો પાણીમાં ઢંકાયલા છે તે ઉપર કેટલાંએક વહાણો ગર્ભપુરી બંદરમાંથી નીકળતાં જ અથડાઈને ભાંગી જાય છે, અને તેમાં બેઠેલાં તમામ માણસો ગરક થઈ જાય છે, બીજાં કેટલાંએક થોડે આગળ ચાલ્યા પછી ડુબે છે. એ પ્રમાણે એક પછી એક વહાણ એ ખડકોને લીધે ભાંગતાં માલમ પડે છે, અને બીજાં નવાં ગર્ભપુરી બંદરની ગોદીમાંથી દરિયામાં બહાર પડે છે, જ્યાં સુધી વહાણો મુક્તિપુરી બંદરે પહોંચે ત્યાં સુધી આખે રસ્તે સાગરનાં મોટાં ઉછળતાં તોફાની મોજાંથી તેઓ ઉંચાં થાય છે, અને હમણાં ડુબશે હમણાં ડુબશે એવી તેમાં બેસનારાઓને દહેશત રહે છે. દરિયામાં ડુબેલા ખડકો શિવાય બીજા અગણિત ઉંચા આવેલા, પથ્થરની સીધી બાજુવાળા બેટો છે, તે ઉપર લીલોતરી તથા રળિયામણા પર્વતો હોવાને લીધે ઘણા સુંદર દેખાય છે. વળી તે ઉપર દેખીતી ખુબસુરત દુર્ગુણ નામની રાક્ષસીઓ બેસીને મધુર રાગથી ગાયન કરે છે. કટાક્ષ બાણથી વહાણમાં બેસનારાઓને ત્યાં આવવાને ઈશારત કરે છે. વહાણ ધણીની સાથે જેઓ બેઠેલા હોય છે તેઓમાંથી કેટલાએક તેના ખરા મિત્ર હોય છે; કેટલાએક તો તે દુષ્ટ રાક્ષસીઓનાં સગાં તથા મદદગાર હોય છે, અને તેઓ વહાણ ધણીને તે બેટોમાં જવાને નિરંતર સમજાવ્યાં કરે છે, જ્યાંસુધી વહાણનું સુકાન વિવેકની પાસે હોય છે ત્યાં સુધી સામે પવને પણ તે સદ્ગુણની સાંકડી નાળમાં જ તે વહાણ ચલાવે છે, પણ તે રસ્તામાં તે વહાણ ધણીને મઝા પડતી નથી. તેના વહાણમાં બેસનારા, તોપણ તેના શત્રુઓ તેના હમેશાં કાન ભર્યાં કરે છે, અને વિવેક જે રસ્તે વહાણ લઈ જાય છે તે રસ્તામાં કાંઈ જેવા જેવું નથી, તથા જ્યારે આ સાગરમાં આવ્યા ત્યારે ત્યાંની સઘળી મોજ ચાખીએ નહી તો ફેરો મિથ્યા એવી શિખામણ આપી વિવેક પાસેથી સુકાન છીનવી લેવડાવીને અવિચારને સુકાનીનું કામ સોંપાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરરૂપી સઢ ચઢાવવામાં આવે છે; અને તૃષ્ણારૂપી પંડને પવન જોરથી ફુકતાંવાર જ વહાણ સદ્ગુણની નાળમાંથી ઘસડાઈને બોહોળા દરિયામાં પડે છે. પછી જે રસીલો બેટ પાસે હોય છે તે તરફ વહાણ હંકરાય છે. આ વખતે નાળમાંના વહાણવાળાઓ બહાર પડેલા વહાણવાળાએાને મોટેથી પોકાર કરીને બેટ પાસે જવાની ખરાબી સમજાવે છે, તથા જે વહાણવાળા તે બેટની પાસે લગભગ ગયા હોય એવા, તથા જેનાં વહાણો બેટના પથ્થરની સીધી બાજુએ ઉપર અથડાઈને કટકે કટકા થઈ ગયાં હોય તે તેઓને દેખાડે છે. પણ મૂર્ખ વહાણવટી તેઓની વાત લગાર પણ કાને ધરતો નથી. દુર્ગુણ નામની રાક્ષસીઓના મદદગાર તથા જાસૂસો તેને સમજાવે છે કે જેઓ ભર દરિયામાં પડ્યા નથી, તેઓ તેની ખુબી જાણી શકતા નથી, તથા જેઓનાં વહાણ અથડાયાં છે તેઓના સુકાની સારા નહી હોય અથવા તેઓએ બેટ ઉપર જવાને ખોટે રસ્તો પકડ્યો હશે, આપણને એમ થશે નહી, અને એમ કરતાં જો વહાણને જોખમ લાગે એવો જરાપણ સંભવ લાગશે તો તુરત સઢ વિટાળી લઈ વહાણ પાછું નાળમાં ઘાલી દઈશું; પણ નુકશાન લાગશે એવી નકામી બીકથી એક સાંકડી નાળમાં ચાલ્યા કરવું, અને આ સાગરમાંના અગણિત બેટોમાં શું શું છે તે શોધ્યા વિના રહેવું તેમાં વહાણ ચલાવવાની ખુબી શી ? એવી સલાહ માન્ય કરી વહાણ આગળ બેટ તરફ ચલાવે છે, અને રસ્તામાં ડુબતાં બીજાં વહાણો જોય છે, તથા તે બેટની પાસે લાખો વહાણો ભાંગતાં તેની નજરે પડે છે તો પણ તે બેધડક આગળ ચલાવ્યો જાય છે, એટલે સુધી કે તે વહાણ પણ બીજાઓની પેઠે તળીએ બેસે છે, તે વખતે તે રડે, શોક કરે કે પસ્તાય તે શા કામનું ? જોતજોતામાં વહાણ નીચે બેસતું જાય છે, પણ કોઈ તેને લેખવતું નથી, અથવા બચાવવાનો વખત વીતી જવાથી નાળમાંના ઘણાએક વહાણવાળાએ તેઓની તરફ દોરડાં ફેંકી તથા નાના નાના મછવા મુકાવીને તેઓને ઉગારવાને જે મહેનત કરે છે તે સઘળી નિષ્ફળ જાય છે. ધન્ય છે એવા મદદ કરનારા વહાણવાળાઓને કે આટલી બધી લાલચ તુચ્છ ગણીને, આટલું બધું જોખમ વેઠીને, બલકે ડુબતા તથા ડુબવાની તૈયારી ઉપર આવેલા વહાણવાળાઓની ગાળ ખાઈને, તથા તેઓની તરફથી અપમાન સહીને તેઓને મુક્તપુરીના સાચા રસ્તા ઉપર લઈ આવવાને તેઓ આટલો બધો શ્રમ કરે છે, એ પરોપકારી પરમાર્થી વહાણવાળાએાની મહેનત કાંઈ હંમેશાં અફળ થતી નથી, અગર જો ઘણાં વહાણો તેઓની તરફથી સહાયતા આવ્યા પહેલાં અથવા આવ્યા છતાં પણ ભાંગે છે, તો પણ થોડાંએકને તે તેઓ બચાવી શકે છે, અને તેઓને પાછાં નાળમાં ઘાલી દે છે. નાળ બહાર લાલચના ટાપુઓ એટલા તો અસંખ્ય છે, અને તેઓના ઉપર એટલી તો મોહ પમાડનાર સ્ત્રીઓ બેઠી બેઠી મધુર સ્વરે સઘળાને બોલાવે છે કે જેઓ તુતક ઉપર બેઠેલા હોય છે તેઓને ત્યાં જવાનું મન થાય છે પણ વિવેક સુકાનીનું પ્રબળ તુટેલું ન હોય તો તેઓ પાછા નાળમાં ઘસડાઈ આવે છે. એ પ્રમાણે નાળમાંના વહાણ ઝોલા ખાય છે, અને વખતે વખતે થોડીવાર નાળબહાર જઈ આવી પાછા રસ્તે પડે છે એ પ્રમાણે નાળમાં છતાં પણ તુતક ઉપર બેસનારાઓને જોખમ છે, અને નાળમાંથી જરા પણ ખસ્યા તો મુક્તપુરીના બંદરમાં પેસવાને ત્યાંના પુરજાના દારોગા તરફથી પરવાનો મળશે નહી એવા ધાકથી કેટલાએક તે તુતક છોડી ભંડારમાં જઈ ભરાઈ રહે છે, અને આગળ વહાણ લંગરવાર થાય ત્યાં સુધી પોતાનું મ્હોડું બહાર બતાવતા નથી. કેટલાએક તુતક ઉપર રહે છે, તેઓ વહાણને નાળ બહાર ઘસડાતું અટકાવવાને હમેશાં તેને નબળું પાડ્યાં કરે છે, એટલે તે મેદાન પડી શકતું નથી. એ પ્રમાણેનો સંસાર છે. તેમાંની હજારો લાલચોના ફાંદામાં ન પડવાને માટે તથા તે લાલચ તરફ મન ન દોડે તેટલા માટે ઘણા માણસો દેહને કષ્ટ કરે છે. વળી દેહને અને મનને એવો નિકટનો સંબંધ છે કે જો દેહને કષ્ટ થાય તો મન પણ કષ્ટ પામે છે, અને તેમ થયાથી મોહજાળમાં ફસાઈ પડવાને તેને કદાચ અટકાવ થાય છે. એ કારણ સિવાય બીજું કાંઈ જડતું નથી, એવા વિચાર કરતો કરતો માધવ પોતાને ઘેર જતો હતો ત્યારે પાદશાહી મહેલ આગળ એક મોટો તમાશો થઈ રહ્યો હતા.

શાહજાદા ખિઝરખાંની આજ સાલગિરી હતી તેથી દરબારી કામ સઘળું બંધ હતું, તો પણ પાદશાહ તથા શાહજાદાને મુબારકબાદી આપવાને સઘળા અમીર ઉમરાવો એકઠા થયા હતા, તથા ખુદ અલાઉદ્દીન પોતાના તખત ઉપર બીરાજેલો હતો. આ વખતે રાજ્યના કારભારીએામાં કેટલોક ફેરફાર થએલો હતો, જ્યારે અલાઉદ્દીન ગાદીએ બેઠો, ત્યારે માજી પાદશાહની બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંએ રાજ્ય મેળવવાને લડાઇ ચલાવી હતી, તેમાં કેટલાએક અમીરો એ તેમને મદદ આપી હતી, તેના બદલામાં તેઓની પાસેથી ઘણુંએક દ્રવ્ય તેઓને મળ્યું હતું, તે તેઓની પાસેથી તેણે છીનવી લીધું એટલું જ નહી, પણ તેઓ સઘળાની આંખ ફાડી નાંખી, તથા તેઓની સઘળી માલમિલકત જપ્ત કીધી. એ રીતે તેણે પાદશાહી ખજાનામાં ઉમેરો કીધો પણ એટલાથી તે ધરાયો નહી. પોતાને ગાદી મળવામાં કાંઈ હરકત પડે નહી માટે તેણે પોતે પણ ઘણાએક અમીર ઉમરાવોમાં પુષ્કળ પૈસા વહેંચ્યા હતા, તે સઘળા હમણાં તેણે તેઓની પાસેથી પાછા માગ્યા, અને તેની સાથે વળી લાંચરૂશવત લોકો પાસેથી તેઓએ લીધી છે તથા સરકારની પણ મોટી મોટી રકમ ઉચાપત કીધી છે એવું તેણે કેટલાએક કામદારો ઉપર તેહોમત મુક્યું. આ કામમાં તેના વજીર ખાજાખતીરે તેને કાંઈ પણ મદદ આપી નહી એટલું જ નહી, પણ પાદશાહના આ ગેરઈનસાફ તથા જુલમની સામા ઉલટો અભિપ્રાય આપવાની તેણે હિમ્મત ચલાવી. પાદશાહ ઘણો જ નાખુશ થયો, અને જો ખાજાખતીરની સાચવટ, તથા સદ્દગુણે તેનો બચાવ કીધો ન હોત તો તેની ગરદન કપાઈ જાત. અગર જો તે જીવતો તે રહ્યો તોપણ તેના અધિકાર ઉપરથી તેને કાઢી મુકયો, અને નુસરતખાંને વજીરાત આપી. એ નવા વજીરે પાદશાહનો ગેરવાજબી હુકમ માથે ચઢાવ્યો. અને તેણે અમીરો ઉપર સખતી કરીને તેઓની પાસેથી આપેલા પૈસા પાછા કઢાવવા માંડ્યા. અમીર લોકો આ જુલમથી ઘણા ગભરાયા, તથા બીજો કાંઈ ઈલાજ નથી એમ જાણી તેઓ તે હુકમની સામે થયા, તથા ઘણા જણે એકઠા મળી એક બંડ ઉઠાવ્યું પણ તેઓનું કાંઈ વળ્યું નહી. ઉલટું તેઓના સઘળા પૈસા ગયા એટલું જ નહી, પણ તેઓ સઘળાને કેદખાનામાં નાંખ્યા, જ્યાં તેઓને કેટલીએક મુદ્દત સુધી સડ્યાં કરવું પડ્યું. પાછળથી તેઓને પોતાની બેવકુફીનો ઘણો પસ્તાવો થયો, તથા પોતાના ગુન્હાને વાસ્તે તેઓએ પાદશાહની ઘણી વાર માફી માગી, પણ કઠણ મનના તથા નિર્દય અલાઉદ્દીને તેઓને ક્ષમા કીધી નહી.

હમણાં અલાઉદ્દીનના સઘળા શત્રુઓ છુટા પડી ગયા હતા, તથા તેને હવે પોતાના રાજ્યની સલામતીને વાસ્તે કાંઈ પણ દેહેશત રહી ન હતી; તેથી તેણે વિચાર્યું કે હવે એ અમીરો તરફથી રાજ્યને કાંઈ પણ નુકસાન પોહોંચવાનું નથી, તેથી ખિઝરખાં શાહજાદાની સાલગિરીને રોજે તેઓ સઘળાને છોડી મુકી તે દહાડાની ઉત્સવની ખુશાલીમાં વધારો કરવાને તથા લોકોમાં વાહવાહ કહેવડાવવાનો તેણે નિશ્ચય કીધો. બધા અમીરોને તેણે કેદખાનામાંથી બેાલાવી મંગાવી પોતાની સામા ઉભા રાખ્યા. તેઓ બિચારા મરણતોલ થઈ ગયા હતા; અને જીવથી ઉગર્યા તથા બંધીખાનામાંથી એટલા જલદી છુટ્યા તેને વાસ્તે તેઓ પરમેશ્વરની અંતઃકરણથી સ્તુતિ કરતા હતા. “તમે સઘળા હવે બંધીખાનામાંથી છુટ્યા,” એટલું પાદશાહના મ્હોંમાંથી નીકળતાં જ તેઓની છાતીમાં હર્ષ ઉભરાઈ ગયો, અને 'શુકર અલ્લા' એટલા જ અક્ષર તેઓના મ્હોડામાંથી નીકળી ગયા. તે વખતે મિજલસમાં ઘણા મોટા મોલવી તથા મુસલમાની ધર્મ તથા શરેહના ઘણા કાબીલ લોકો બેઠેલા હતા. તેઓમાં મુખ્ય મોધીસુદ્દીન કાઝી હતો, તે કાઝી સાહેબની સામું જોઈ અલાઉદ્દીન પાદશાહે કહ્યું કે આજે દરબારી કામ સઘળું બંધ છે, તથા આજનો દિવસ ઘણો ખુશીખુશાલીને છે, માટે તમને મારે શરેહ બાબે કેટલાએક સવાલ પૂછવા છે. આગળ કોઈ વખત પણ પાદશાહે ઈલમી લોકોની સલાહ પૂછી ન હતી, તથા એવા સઘળાઓને તે ઢોંગી તથા લુચ્ચા ગણતો હતો, તેથી પાદશાહની ઉપલી વાત સાંભળી કાઝી સાહેબના હોંશ ઉડી ગયા, તથા હવે શું થશે તેની મોટી ફિકર તેને પડી. તે બોલ્યોઃ “જહાંપનાહ ! આપ જે ફરમાવો છે તે ઉપરથી મને નક્કી થાય છે કે મારો અંતકાળ પાસે આવ્યો છે, તથા મારા દહાડાની ગણત્રી થઈ ચુકી છે, જો એમ હોય, અને તેમ કરવાની જહાંપનાહની મરજી હોય તો મરવાને હું તૈયાર છું, પણ બંદાની અરજ એટલી જ છે કે જો સાચેસાચું બોલવાને માટે તથા જે ખુદાનો કલામ છે તે પ્રમાણે ખરેખરો દહેશત રાખ્યા વિના અભિપ્રાય આપવાને માટે જો આપ મને ગરદન મારશો, તો મને મારી નાંખવાના ગુન્હામાં ઘણો ઉમેરો થશે, એટલા માટે જ હું ઘણો દિલગીર છું, બીજી કશી વાતની મને દરકાર નથી.” આ વાત સાંભળીને પાદશાહે પૂછયું: “તમે શા ઉપરથી આટલી દહેશત રાખો છો?” કાઝીએ જવાબ દીધો: “જો હું સાચું બોલીશ, અને તેથી જહાંપનાહને ગુસ્સો લાગશે તો મારી જીંદગી પૂરી થશે, અને જો હું જુઠું બોલીશ, અને જહાંપનાહને બીજાઓથી સાચી વાતની ખબર થશે તો પણ હું મોતની શિક્ષાને યોગ્ય થઈશ.” અલાઉદ્દીને કાઝીને ધીરજ આપી તથા શાંત મન રાખી પેગંબર સાહેબની શરેહ પ્રમાણે સઘળા સવાલોના સાચા જવાબ આપવાની ભલામણ કીધી, પછી પાદશાહે એક પછી એક સવાલ પૂછવા શરૂ કર્યા,

પેહેલો સવાલ – જો સરકારી નોકરોએ રૂશવત લેવાનો અન્યાય કીધો હોય, તથા જેમણે સરકારની ઉચાપત કીધી હોય, તેમણે ચોરી કીધી હોય અને તેઓ ખરેખર ચોર જ હોય તે માફક તેઓને સજા કરવી મુનાસિબ છે કે નહી ? જવાબ– જો કોઈ પણ સરકારી નોકરને તેના કામની મહેનત તથા જવાબદારી પ્રમાણે જોઈએ તેટલો મુશારો મળતો હોય, અને તે છતાં પણ તે રૂશવત લેવાનો તથા જે લોકોની સાથે તેને કામ પડે તેઓની પાસેથી બળાત્કારે પૈસા કઢાવવાનો ગુન્હો કરે તો સરકારની નજરમાં આવે તેવા ઉપાયથી તે પૈસા વસૂલ કરી લેવાનો તેને અખતિયાર છે. પણ કોઈ સાધારણ ગુન્હેગારની પેઠે તેને દેહાંત દંડ કરવાનો તથા તેના હાથપગ વગેરે શરીરનું એકાદું અંગ કાપી નાંખવાનો સરકારને હક્ક નથી.

પાદશાહે કહ્યું કે આ વાતમાં હું શરેહ પ્રમાણે સરાબર ચાલું છું. કેમકે સરકારી નોકરોએ જોરજુલમથી ફોસલાવીને અથવા દગાફટકાથી જે પૈસા લોકો પાસેથી લીધા હોય છે, તેઓની પાસેથી હું ગમે તે ઉપાયથી વખતે મારફાડ કરી તથા તેઓના શરીરને દુ:ખ દઈને પણ પાછા કઢાવું છું.

બીજો સવાલ – હું તખ્ત ઉપર બેઠો તે પહેલાં મેં દેવગઢ ઉપર ચડાઈ કરી ત્યાંથી દ્રવ્ય હરી લાવ્યો તે મારી ખાસ મિલકત ગણી તેને મારી પાસે રાખવાનો મારો હક્ક છે કે નહીં ? શું તે પૈસા મારે સરકારી ખજાનામાં મૂકવા જોઈએ? અને લૂંટના કોઈપણ ભાગ ઉપર લશ્કરના લોકોને કાંઈ હક્ક છે કે નહી?

જવાબ - પાદશાહની સાથે લડાઈમાં જેટલા સિપાઈઓ હતા તેઓમાંના દરેક સિપાઈને જેટલો હિસ્સો આપવો જોઈએ તેટલો જ હિસ્સો લેવાને જહાંપનાહને હક્ક છે.

આ જવાબ સાંભળીને પાદશાહ ઘણો નાખુશ થયો, અને જરા ચીઢીને બોલ્યો કે જે વખત હું ફક્ત સરદાર હતો તે વખતે મારી જાતની મહેનતથી મેળવેલી લૂંટ ઉપર સરકારનો અથવા ખાનગી સિપાઈઓનો શો હક્ક પોહોંચે છે, તે મારાથી સમજાતું નથી.

કાઝીએ જવાબ દીધો કે જેટલી લૂંટ આપે પોતાની મેહેનતથી મેળવેલી હોય તેટલા ઉપર જ ફક્ત આપનો દાવો વાજબી છે; જેટલી લૂંટ સિપાઈઓની મહેનતથી મેળવી હોય તેમાં તો આપની સાથે તેઓનો પણ હિસ્સો ગણાવો જોઈએ. ત્રીજો સવાલ – ઉપલી તમામ મિલકત ઉપર મારી જાતનો તથા મારાં છોકરાંનો કેટલો હક્ક પહોંચે છે?

કાઝીએ પોતાના મનમાં નક્કી કીધું કે હવે મારું મોત પાસે આવ્યું છે, કેમકે મારા આગલા જવાબથી જ્યારે પાદશાહ ગુસ્સે થયો છે, ત્યારે હમણાં જે જવાબ આપીશ તેથી તે વધારે કોપાયમાન થશે.

પાદશાહ બોલ્યો - બોલ, હું તારા એક વાળને ઈજા કરીશ નહી.

કાઝી - જહાંપનાહ ! એ સવાલનો જવાબ ત્રણ રીતે દઈ શકાય. પહેલી તો એ કે જો આપને અદલ ઈનસાફથી તથા ખલીફાએાના કાયદા મુજબ કામ કરવું હોય તો જેટલા લોકો આપની સાથે શામેલ હતા તેઓ સઘળા જોડે સરખે હિસ્સે એ સઘળી લૂંટ વહેંચી લેવી જોઈએ. બીજી એ કે જે જહાંપનાહને વચલો રસ્તો પકડવો હોય તો જે મોટામાં મોટો હિસ્સો કોઈ પણ લશ્કરી અમલદારને ભાગે આવે તેટલો લઇ સંતોષ પામવું જોઈએ, અને ત્રીજી એ કે જો જુલમી કામો કરાવવાને પાદશાહોને મસલત આપનારાઓ તેવાં કામોની મંજુરિયતને માટે શરેહનો ગમે તેવો અર્થ મરડીમચરડીને કરે છે તેવા લોકોના અભિપ્રાય પ્રમાણે ચાલવાની આપની મરજી હોય તો કોઈ લશ્કરી અમલદારને મોટામાં મોટો હિસ્સો મળ્યો હોય તે કરતાં પણ વધારે લેવો. તે લેવાને કાંઈ પણ આધાર મળી શકતો નથી. સાધારણ સિપાઈને ભાગે અથવા કોઈ મોટા અમલદારને હિસ્સે જેટલું આવે તેટલું જહાંપનાહના શાહજાદાએાને મળી શકે.

આ સાંભળી પાદશાહ ઘણો ક્રોધાયમાન થયો, અને બોલ્યો – “શું, મારા ઘરકબીલાને વાસ્તે તમામ ખર્ચ કરું છું, તથા નજરાણા તથા ઈનામો વેંહેંચવામાં જે પૈસા વાપરૂં છું તે શરેહથી ઉલટું છે?”

કાઝીએ ધીમેથી જવાબ દીધો, “જ્યારે જહાંપનાહ મને શરેહનો ખુલાસો પૂછે છે ત્યારે હું કુરાને શરીફ પ્રમાણે જવાબ દેવાને બંધાયલો છું. પણ રાજનીતિ ઉપર નજર રાખી મને જવાબ દેવાનું ફરમાવશો તો બંદો એટલી જ અરજ કરશે કે જહાંપનાહ જે કરે છે તે વાજબી તથા બર હક્ક છે; કેમકે રાજનીતિ એવી છે કે જેમ આપ વધારે દોલત એકઠી કરશો, તેમ આપના દરબારને તથા રાજ્યને વધારે શોભા મળશે.”

પાદશાહ - જે સિપાઇ હાજરીની વખતે ગેરહાજર રહે છે તેને ત્રણ વર્ષ સુધી એકેક મહીનાનો પગાર હું અટકાવું છું. જે શખ્સ બંડ ઉઠાવે છે તેની હું જડમૂળથી નસલ કાઢું છું તથા ગમે તે દેશમાં તેઓની સ્થાવર અથવા જંગમ મિલકત હોય તો હું તુરત જપ્ત કરું છું. શું, તમારો અભિપ્રાય એવો છે કે વ્યભિચારી, ચોર, છાકટા લોકોને દંડવા મુનાસિબ નથી ?

આ સાંભળીને કાઝી તો થરથર ધ્રુજવા લાગ્યો, તથા રાજાની રીતભાત, બોલવાનો જુસ્સો, તથા મ્હેાંની શિકલ જોતાં જ તેણે ઉઠી નાસવા માંડ્યું, પણ જયારે ઉમરા આગળ ગયો ત્યારે ઉભો રહી ત્યાં પાદશાહને પગે પડ્યો, અને ઉઠીને બોલ્યો કે “જહાંપનાહ જેટલું કરે છે તેટલું શરેહથી ઉલટું છે.” એટલું કહેતાં જ લાગલો નાસી ગયો. તેણે ઘેર જઈ વસિયતનામું કીધું, અને ખુદાતાલાની બંદગી કરી મન શાંત રાખી જલ્લાદની રાહ જોતો બેઠો, પણ તેની દેહેશત પ્રમાણે કાંઈ બન્યું નહીં. પાદશાહ કાઝીનું બોલવું તથા આવી રીતે એકદમ નાસી જવું જોઈને ઘણો તાજુબ તથા ગુસ્સો થયો તો ખરો, તોપણ તેણે જેટલું કહ્યું તેટલું સાચા દિલથી તથા ઈશ્વરનો ડર રાખી કહ્યું તેટલા જ ઉપરથી પાદશાહને ઘણી રેહેમ આવી, અને તેણે જ્યારે તે કાઝીને બોલાવી મંગાવવાને એક માણસ મોકલ્યું ત્યારે દરબારી લોકો ઘણા ભય પામ્યા, અને આગળ શું થશે, એ વાતની તેઓને ભારે ફિકર પડી.

કાઝી સાહેબ કાંપતા કાંપતા પાદશાહની હજુરમાં આવી ઉભા રહ્યા, પણ પાદશાહે તેના ઉપર ક્રોધની કાંઇ નિશાની દેખાડવાને બદલે તેને આદરમાન આપ્યું, તથા સત્કાર કીધો, તે જોઈ તે તથા બીજા અમીર ઉમરાવો ઘણા આશ્ચર્ય પામ્યા. કાઝી સાહેબને એક જરીનો જામો તથા એક હજાર તનખાની એક થેલીનો સરપાવ થયો; અને એ કીમતી બક્ષીસ આપતી વખતે અલાઉદ્દીન નીચે પ્રમાણે બોલ્યો: “કાઝી સાહેબ ! અગર જો મેં આપની પેઠે કિતાબનો અભ્યાસ કીધો નથી, તો પણ મેં મુસલમાનને પેટે જન્મ લીધો છે તે હું કદી ભુલનાર નથી. તેથી તમે જે સઘળા જવાબ દીધા છે તે સાચા છે એમ મારે કબુલ કીધા વિના ચાલતું નથી. તો પણ હું એટલું તો હજી કહું છું કે જો હું તમારા ખરા અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવું તે આ હિંદુસ્તાનનું રાજ્ય એક દહાડો પણ બરાબર ચાલે નહી. જો ગુન્હાઓને માટે સખત સજા કરવામાં ન આવે તો ગુન્હા કોઇ કાળે બંધ થાય નહીં. માટે એવી બાબતોમાં મારી અક્કલ પ્રમાણે જ્યારે ઘણી સખતાઈથી ચાલું છું, ત્યારે હું ખુદા ઉપર બિલકુલ ભરોસો રાખું છું, અને ઘણી નમનતાઈથી એ દયાળુ, પાક પરવરદગારની બંદગી કરું છું કે જો મારી ભૂલ થાય તો હું તોબા કરીશ, એટલે હું મહા પાપી ઉપર તે મેહેર કરશે.”

પાદશાહનું આ બોલવું સાંભળી સઘળા દરબારમાં બેઠેલા લોકો દિંગ થઈ ગયા, અને કાઝી સાહેબની અજાયબ જેવી હિમત તથા પાદશાહના અદલ ઈનસાફ તથા ડહાપણ ઉપર તેઓએ હજાર આફરીન કીધી. છુટેલા અમીરો પાદશાહને પગે પડ્યા, અને ફરીથી કોઈ વાર તેની સામા માથું ન ઉઠાવવા તેમણે ખરા મનથી વચન આપ્યું. પછી પાદશાહ દરબારમાંથી ઉઠ્યો, અને ખિજરખાં શાહજાદો બધા અમીરોની ટોળીમાં સામેલ થયો. હવે તે દહાડાની ગમત તથા મેાજ શરૂ થઈ; કંચનીઓના નાચ થવા માંડ્યા, તથા શરાબબાજી પણ પુષ્કળ ચાલી. તે સઘળું થઇ રહ્યા પછી તેઓ સઘળા પોતપોતાને ઘેર ગયા. પછી બપોરે અમીર લોકો પાદશાહી મહેલમાં પાછા એકઠા થયા તે વખતે એક પેટીમાં સોના તથા રૂપાની બદામ ભરીને એક ખવાસ શાહજાદા પાસે લાવ્યો, તેમાંથી તેણે મુઠી ભરી ભરીને અમીર લોકોની વચ્ચે ઉડાવી. તે વખતે આ શ્રીમંત લોકો શાહજાદાને માત્ર ખુશ કરવાને માટે ભીખારીની પેઠે બદામ વીણવાને તુટી પડ્યા, અને તે ગરબડાટમાં કેટલાએકની પાઘડીઓ ઉડી પડી, કેટલાએક રગદોળાયા, કેટલાએક છુંદાયા; તથા કેટલાએક ચીસ પાડવા લાગ્યા, તે જોઈને શાહજાદા તથા બીજાઓને ઘણી રમુજ થઈ. તે થઈ રહ્યા પછી તોળા થવાનું કામ શરૂ થયું. પહેલાં તો એક મોટો કાંટો મંગાવ્યો. એના એક પલ્લામાં સોનું, હીરા, માણેક તથા બીજું જવાહિર મુક્યું, અને જ્યારે તે સઘળું તોલમાં શાહજાદાની બરાબર થયું ત્યારે તેને પોતાના ખાસ ચાકરોમાં વહેંચી દીધું. બીજી વાર પોતાની સામા રૂપાના સિક્કા મુક્યા, અને તે સઘળા સિપાઈ લોકોને આપી દીધા, ત્રીજી વાર તે કીમતી વસ્ત્ર તથા તેજાના સાથે તોળાયો, અને તે બીજા સાધારણ ચાકરોને આપ્યાં; અને ચોથી વાર બીજા પલામાં અનાજ, ઘી વગેરે ખાવાની વસ્તુઓ મુકી, અને તે જેટલું થયું તે ગરીબ લોકોમાં વહેંચી આપ્યું. એ પ્રમાણે તોળા થઈ રહ્યા પછી મેહેલની આગળ એક બંધિયાર ચોગાન હતું તેમાં હાથી તથા વાઘની લડાઇ કરાવવાનો હુકમ થયો. એ ચોગાનની આસપાસ ઉંચો કોટ હતો. તેના મથાળા ઉપર તમાશગીર લોકોથી ઉભા રહેવાય એવી સગવડ હતી. તે કોટમા બાકાં રાખેલાં હતાં તેમાંથી માણસ બહાર નીકળી શકતું. જોનારાઓની આ વખતે ઠઠ મળી હતી. મેહેલમાં પાદશાહ, શાહજાદાઓ, વજીર વગેરે મુખ્ય માણસો બારીએ જ બેઠેલા હતા. ઉપરના માળની બારીએ ચક નાંખી ઝનાનાનું સ્ત્રીમંડળ બેઠેલું હતું, અને નીચે રવેશ ઉપર અમીર ઉમરાવો ગાદીએ બીરાજેલા હતા. હાથી ઘણો મસ્ત તથા ચાલાક હતો, અને વાઘ પણ પાતળો, ઉંચો તથા બીહામણો હતો. જયારે આ બે પશુઓને છુટાં મુક્યાં ત્યારે લોકોએ ખુશીથી બુમાબુમ પાડી આખું ચોગાન ગજવી મુકયું. પછી વાઘે પોતાની ચપળતાથી તથા ઝડપથી હાથીની સુંઢ ઉપર ચડવાને ઘણાં ફાંફાં માર્યા, પણ તેણે તે સુંઢ ઉંચી જ રાખી તેથી તેનું કાંઈ ફાવ્યું નહીં. હાથી તેને પોતાના પગ નીચે લાવીને કચડી નાંખવાને યુક્તિ કરતો હતો, પણ દુશ્મન એટલો ચાલાક હતો કે તે હરેક વખતે તેના સપાટામાંથી તુરત છટકી જતો. જ્યારે જ્યારે આ બેમાંથી કોઈ મરવાની અણી પર આવતું ત્યારે લોકના મ્હોંડા ઉપરથી લોહી જાણે ઉડી જતું, અને તે બચી જાય ત્યારે તેઓને બેહદ હર્ષ થતો. એ પ્રમાણે એક કલાક સુધી રમત ચાલી પણ બેમાંથી એકનો જય થયો નહી. તે બંને પશુઓ ઘણાં ખીજવાયાં, અને પોતાનો તમાશો જેમ બને તેમ જલદીથી પુરો થાય એવી રીતે ઘણાં જુસ્સાથી એક એકની સામાં થયાં, અંતે વાઘ હાથીના સપાટામાં આવી ગયો, તેને તુરત સુંઢમાં પકડ્યો અને તેના શરીર ઉપર એક પગ મુકી તેને ચીરી નાંખ્યો. એ ભયંકર તમાશો જોવાથી લોકોના મનમાં દયા ઉત્પન્ન થવાને બદલે તેઓ ઘણા જ ખુશી થયા, અને જાણે કોઈ દુશમન ઉપર મોટી ફતેહ મેળવી હોય તેમ તેઓએ જયજયકારની બુમ પાડી. પછી લોક પોતપોતાને ઘેર ગયા. હાથીના માવતને માટે સરપાવ થયો, પાદશાહી મહેલમાં પાછો રંગ મચી રહ્યો, અને ચોગાન જેવું હતું તેવું સાફ થઈ રહ્યું.

રાતની વખતે શેહેરની શોભાનું વર્ણન થઈ શકે એવું ન હતું. શાહજાદાની સાલગિરી તેથી તે શેહેર બહાર દરવેશ સીદી મૌલાની કબર ઉપર ફુલ ચઢાવવાને સ્વારી સહિત તે રાત્રે જવાને હતો. એ દરવેશના મોતથી અલાઉદ્દીન પાદશાહ થયો, તે જીવતો હતો ત્યારે તે ઘણો ચમત્કારી પુરૂષ ગણાતો હતો; અને મુઆ પછી તેની માનતા ચાલવા લાગી તેથી તે પીરની સંખ્યામાં દાખલ થયો. શેહેરમાં રોશની કીધેલી હતી, તેમાં વિશેષે કરીને જે રસ્તેથી સ્વારી જવાની હતી ત્યાં દીવાનો ભભકો એટલો બધો હતો કે ત્યાં આગ લાગી હોય એટલું અજવાળું થઈ રહ્યું હતું. મોટા અમીર લોકોના મહેલમાં પણ માંહેથી તથા બહારથી ઘણી જ રોશની કરવામાં આવી હતી, અને આગળ હોજ ઉપર જે દીવાએ મુકેલા હતા તથા તે ઉપર ચોતરફ કુલોના હાર બાંધેલા હતા તેનું પ્રતિબિમ્બ પાણીમાં પડતું તેથી ઉપર તથા નીચે બંને ઠેકાણે ઝળઝળાટ થઈ રહ્યો હતો. દુકાનો ઉપર પણ રોશનીની સાથે ફુલોનાં તોરણ બાંધેલાં હતાં. વળી આખે રસ્તે ચીનના કારીગરોની બનાવેલી આતસબાજી મંગાવેલી હતી તેમાંથી તરેહતરેહવાર ઝાડો થોડે થોડે અંતરે દાટેલાં હતાં. રસ્તામાં લાખો લોકો ઘણાં સુન્દર પોશાક પહેરીને ફરતા હતા, હિન્દુઓ બીચારા બીહી બીહીને રસ્તાની બાજુએ ચાલતા હતા. મુસલમાન ફકીરોનાં ટોળેટોળાં લોકોને હડસેલો મારતાં તથા બીજી રીતે ઉપદ્રવ કરતાં જતાં હતાં. પઠાણ લોકો જેઓનું રાજ્ય હતું, તેઓ ઘણા ડોળથી પતરાજીની સાથે ધીમે ધીમે ડગલાં ભરતા હતા. મુસલમાન સવારો ઘોડા નચાવતા તથા કુદાવતા અને કોઈ માણસ છુંદાશે તેની પરવા ન રાખતાં રસ્તાઓમાં લોકોને આણીગમ તેણીગમ દોડાવતા હતા. સિપાઈ લોકો પણ ઘણી બેપરવાઈથી હારની હાર લોકોને હડસેલતા જતા હતા. થોડાએક મોગલ લોકો જેઓનો ચઢતો દહાડો હજી આવ્યો ન હતો તેઓ ભરાતા ભરાતા તથા ગુપચુપ વાત કરતા ચાલ્યા જતા હતા. અમીર તથા પૈસાવાળા મુસલમાન લોકો ઘોડા, હાથી, પાલખી અથવા ગાડીઓમાં બેસીને દોડાવતા આગળ જઈ કોઈ સારે ઠેકાણે ઉભા રહેતા હતા. એ પ્રમાણે સઘળે રસ્તે એટલી તો ભીડ થઈ રહી હતી કે લોકોનાં માથાં ઉપરથી થાળી ચાલી જાય તો પણ નીચે પડે નહી.

થોડી રાત ગયા પછી સવારી નીકળી. આગળ ડંકા, નોબત તથા નિશાનવાળાઓ ઘોડા, હાથી તથા ઉંટ ઉપર બેસીને આવ્યા. પછી સવારો, સિપાઈઓ વગેરેનાં ટોળેટોળાં વગર બંદોબસ્તે ચાલતાં હતાં. છેલ્લે શાહજાદાનો હાથી આવ્યો તે ઘણો જ શણગારેલો હતો. તેના ઉપર સોનેરી ઝુલ હતી તથા હીરામાણેકનાં ઘરેણાં તેને ઘાલેલાં હતાં. શાહજાદાનો શણગાર પણ તેવો જ ઉમદા હતો. તેણે ઘરેણાં ઘાલેલાં હતાં એમ કહીએ તો ખોટું પડે, તેને ઘરેણાંવડે લાદેલો હતો, અને મહમૂદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી ઈત્યાદિ જે મોટા પાદશાહો થઈ ગયા તે કરતાં પણ અલાઉદ્દીને વધારે દોલત હિંદુસ્તાનમાંથી લૂંટફાટથી મેળવી હતી તે આ વખતે જણાઈ આવતું હતું. હીરા, મોતી, માણેક તો રેતીના કાંકરાની પેઠે વાપરેલાં હતા. સોનું તો તેના મનને પીતળ, અને રૂપું તો કલાઈ જેવું ગણાતું હતું. એ સઘળાની પાછળ છુટી આતશબાજીનાં ગાડેગાડાં ભરેલાં ચાલતાં હતાં. દીવાઓની રોશની તથા આતશબાજીના અજવાળાથી શાહજાદાનાં ઝવેરો જે ઝેબ મારતાં તથા તેઓમાંથી જે ઝળકાટ નીકળતો તેથી તેનું શરીર સૂર્યના બિંબ જેવું દેખાતું એટલે તેની સામું જોવાને કોઈની આંખમાં કૌવત ન હતું. એ પ્રમાણે સવારી મોટા બજારમાં આવી. સઘળા તમાશગીતરોમાંનાં અર્ધા તો ત્યાં જ એકઠા મળેલા હતા, તે સિવાય ગાડી, ઘોડા, હાથીની કાંઈ ખોટ નહતી, વળી રસ્તો ઘણો સાંકડો તથા આતશબાજીનાં ઝાડ ઘણાં પાસે દાટેલાં તેથી પહેલું જ ઝાડ છુટતાં લોકોમાં કચડાકચડી થઈ અને જો લોકો એકદમ ઓછા નહી થાય તો ફક્ત ભીડાભીડથી જ કેટલાએક મરી જશે, એવી દહેશત લાગવા માંડી. પણ કમનસીબે બીજું ઝાડ જે સળગાવ્યું તે ફાટ્યું અને તેમાંથી જે તોટા તથા હવાઈ છુટી તે કેટલીએક સવારીના લોકો ઉપર, કેટલીએક તમાશગીરો ઉપર, અને કેટલીએક પાછળનાં આતશબાજીનાં ગાડાંમાં પડી. તે વખતે તમામ લોકોમાં ઘણો ગભરાટ થયો, પાછલાં ગાડાંમાંથી જે આતશબાજી સળગી તે સઘળી ઉડીને લોકો ઉપર પડી તેથી હજારો માણસોનાં પાઘડી લુગડાં સળગી ગયાં. લોકો નાસવાનું કરે પણ કાંઈ થાગ લાગે નહી. એકેકને અડક્યાથી તથા દબાયાથી કેટલાએકનાં લુગડાં હોલવાઈ ગયાં, પણ બીજાઓનાં સળગ્યાં. લોકો મારામાર કરી, તથા જેઓની પાસે હથીયાર હતાં તેઓ તલવાર, કટાર, ખંજર લોકોના શરીરમાં ઘોંચી બહાર મેદાનમાં પડવાનું કરે, પણ લોકોનો જે કોટ થઈ રહેલો તેમાંથી નીકળાય નહી. બળવાના તથા છુંદાવાના દરદથી લોકો ચીસાચીસ પાડવા લાગ્યા. ઘરડા, અશક્ત તથા બાળક બીચારા ભોંય ઉપર પડી રગદોળાતા તેઓ બુમાબુમ પાડતા, તેમાં તોટા, હવાઈ, ફટાકા વગેરેનો સણસણાટ તથા ફડફડાટ થઈ રહ્યો હતો તેથી તે સ્થળ એક રણસંગ્રામના જેવું થઈ રહ્યું, વળી અધુરામાં પુરા ઘોડાઓ ચમકી તથા હાથીઓ ઘેલા થઈ લોકોમાં દોડવા તથા કુદવા લાગ્યા. તેઓએ પોતાના સવારોને પાડી નાંખ્યા, અને આવો લાગ ફરીથી મળશે નહી એવો જાણે વિચાર કરી જોરથી વગર મતલબે આણીગમ તેણીગમ દોડવા તથા લોકોને પગતળે છુંદી નાંખવા લાગ્યા. ધનવાન અને નિર્ધન, જુવાન ને ઘરડા, શેઠ અને ચાકર, અમીર અને ફકીર એ સઘળામાં કાંઈ અંતર રહ્યો નહી. તેઓ સઘળા એકસરખા ધુળમાં ૨ગદોળાયા, જેઓ સવામણની તળાઇ ઉપર સુતા, જેએાને ચંપી કરનાર ખિદમતગાર હતા, જેઓને વા નાંખનાર ચાકરો હતા, સારાંશ જેએાને કોઈ દહાડો ઉનો વા લાગેલે નહીં તેઓ હમણાં ધુળ ઉપર પડેલા હતા, તથા તેઓનાં આખાં શરીર ઉપર એટલી તો ચંપી થતી હતી કે હવે ફરીથી તેઓના જન્મારામાં તેઓને ચંપી કરનારાઓનો ખપ પડવાનો ન હતો.

અત્યાર સુધી શાહજાદાના હાથીને તેના માવતે તથા બીજા ચાકર નફરોએ એવો જોરથી પકડી રાખ્યો હતો કે તેના ઉપર આગના ગોટા પડતા તો પણ તેનાથી એક તસુ પણ ખસાતું નહતું. શાહજાદાના કીમતી પોશાકમાં ઠેકાણે ઠેકાણે બાકાં પડ્યાં, અને આસપાસના લોકોની મહેનત ન હોત તો તે પણ બળીને કોયલો થાત. પણ એ પ્રમાણે ઘણી વાર નભ્યું નહી. એક મોટો આગનો ગોળો હાથી ઉપર પડતાં જ તે ગાંડો થઈ ગયો અને એટલું જોર કરીને આગળ ધસ્યો કે બીજા લોકો સઘળા પાછળ પડી ગયા, હાથીએ છુટાં થતાં જ માવતને સુંઢવતી લોકોની વચ્ચે ઉડાવી દીધો. પછી સ્વતંત્ર થઈ લોકોમાં તેણે દોડવા માંડ્યું, તેથી ઉપરને મેઘાડંબર ઢીલો પડી ગયો, અને હમણાં પડશે, એમ દેહેશત લાગવા માંડી. શાહજાદાનાં કપડાં સળગવા લાગ્યાં અને ત્યાં કોઈ મદદગાર ન હોવાથી તેનું આવું અકાળ મૃત્યુ નિશ્ચય આવ્યું એમ સૌને જણાયું, પણ જેને સાહેબ રાખનાર તેને કોણ મારી શકે ? શાહજાદો ગભરાયો તો ઘણો, જો ઉપર બેસી રહે તો બળીને મરે એ નક્કી, જો ભુસકે મારી નીચે પડે તો ભીડમાં કચરાઈમરે એ પણ નિશ્ચય. આવે વખતે જ્યારે સૌસૌને પોતાના જીવની ફિકર પડેલી તે વખતે શાહજાદો અને ફકિરજાદો બંને એક બીજાને મન સરખા, હમણાં મારી કોઈ સંભાળ લેવાનું નથી, એવો વિચાર કરી પરમેશ્વરની તેણે બંદગી કીધી, પણ તે કરવામાં જ તેનાં લુગડાં ફરીથી સળગ્યાં, અને તે બળતું તેના શરીર ઉપર ઝડપથી પથરાતું હતું એટલામાં એક જુવાન શખસ ભીડમાંથી ઘણું જોર કરી બહાર નીકળ્યો, હાથી આગળ ગયો, અને કેટલાએક લેાકેાના ખભા ઉપર ઉભા રહી એક છલંગ મારી તેણે શાહજાદાને પકડી લીધો, અને તેઓ બંને પાછા ભોંય ઉપર પડ્યા. પરમેશ્વરના કરવાથી ત્યાં આગળથી લોકો આ બનાવથી આશ્ચર્ય પામીને ખસી ગયલા તેથી, ત્યાં ખાલી જગ્યા રહેલી માટે તેઓને કાંઈ નુકસાન લાગ્યું નહીં. શાહજાદાને બચાવનાર તેને પકડી પાછો ઉઠ્યો, અને જેટલા જોરથી તે માંહે આવ્યો હતો તેટલું જોર કરી બહાર નીકળી ગયો. બજાર બહાર એક ખુલ્લી જગ્યા હતી ત્યાં તેઓ બંને મરવા જેવા થઈ પડ્યા. શાહજાદો મરવાના ધાકથી, આ સઘળી ગડબડાટથી, તથા અકળામણથી બેશુદ્ધ થઈ ગયો. તેને બચાવનાર પણ ઘણી મહેનતથી, મનના જુસ્સાથી, પોતાનું ધારેલું કામ વગર જોખમે પાર પડ્યું તેના હર્ષથી, તથા તેણે જે કામ કીધું તેનાં પરિણામ સારાં તથા ધાર્યા પ્રમાણે નિપજશે એવી ઉમેદથી બેભાન થઈ પડ્યો. થોડી વાર પછી થંડા પવનની અસરથી બંને એકી વખતે જ જાગૃત થયા. તે વખતે શાહજાદાનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું, અને તેના જોસમાં તે તેના જીવ બચાવનારને ભેટ્યો, અને તે જે માગે તે આપવાનું વચન આપ્યું. માધવને (શાહજાદાને બચાવનાર તે જ હતો) હર્ષનાં આંસુ આવ્યાં, અને પોતાનો દિલ્હી આવવાનો ફેરો સફળ કરવાના તથા તેના હૈયામાં વેર દેવી હતી તેને બલિદાન આપી તૃપ્ત કરવાના ઈરાદાથી તેણે માત્ર પાદશાહ અલાઉદ્દીનની એક વાર મુલાકાત માગી. શાહજાદાએ તે ઘણી ખુશીથી કબુલ કીધું, તેનું નામ ઠામ લખી લીધું; તથા બીજે દિવસે સવારે તેને વાસ્તે હાથી, ઘોડા, સવાર વગેરે મોકલી ધામધુમથી પાદશાહની હુઝુરમા બોલાવવા, અને ત્યાં કાંઈ મોટું ઈનામ અપાવવા શાહજાદાએ કબુલાત આપી. એટલામાં શાહજાદાનાં માણસો આવ્યાં તેઓ તેને લઈ ગયાં. લોકો પોતપોતાને ઘેર ગયા. સવારી પાછી વળી, માધવ પોતાને ઉતારે ગયો, અને આખી રાત મોટી મોટી મશાલો સળગાવી લોકોએ પોતાના મરતા તથા મુએલા સગા તથા મિત્રોને શેાધ્યાં કીધું.

માધવને તે રાત્રે જરા પણ ઉંઘ આવી નહી. શાહજાદાને બચાવવાનો વિચાર શી રીતે સુઝયો, આટલી અથાગ ભીડમાંથી હાથી પાસે શી રીતે જવાયું, તથા શાહજાદાને લઈને શી રીતે મળવું, ત્યાં શી વાત કરવી, મારે માટે શું માગી લેવું, પાદશાહ મારી વાત કબુલ કરશે કે નહી, આ સઘળા વિચાર તેના મનમાં આવ્યા કીધા, તેથી સવાર થતાં કાંઈ જ વાર લાગી નહી. તેણે ઉઠીને સ્નાન કીધું, અને જે ઉંચામાં ઉંચો પોશાક પોતાની સાથે લાવ્યો હતો તે પહેર્યો. એટલામાં પાદશાહની તરફથી હાથી તથા સવાર તેને તેડવાને આવ્યા. માધવ ઘણા હર્ષમાં તથા મોટી ધામધુમની સાથે પાદશાહના મેહેલમાં ગયો. ત્યાં થોડી વાર રાહ જોયા પછી તેને પાદશાહની હુઝુરમાં દાખલા કીધો. આગલા દહાડાની તમામ હકીકતથી પાદશાહ સારી પેઠે વાકેફ હતો તેથી માધવને તે વાત કહેવી પડી નહી. માધવને બેસવાની જગ્યા આપીને તેનું નામ, જાત, ધંધો તથા આગળ તેણે શાં શાં કામ કીધાં તે સઘળું પૂછયું, તે ઉપરથી તેણે તે દહાડા સુધીનો પોતાનો સઘળો અહવાલ કહી સંભળાવ્યો, અને છેલ્લી વારે બોલ્યોઃ “જહાંપનાહ! આખા હિન્દુસ્થાનમાં ગુજરાત જેવો કુળવાન તથા દ્રવ્યવાન પ્રાંત બીજો કોઈ નથી. તે હિન્દુસ્થાનનું કાચું સોનું છે. તેમાં સઘળી જાતની પેદાશ થાય છે. તેની તમામ જમીન ખેડાય એવી છે. નદીનાળાંથી ભરપૂર છે. તેમાં ઘણું સુન્દર વન છે. તેમાં રળિયામણા પહાડો છે. સારાંશ કે તે આ લોકમાં દેવલોક જેવું છે. ત્યાંનો રાજા કરણ વાઘેલો દુષ્ટ, કૃતઘ્ની, તથા હઠીલા સ્વભાવનો છે, તેથી તેના ઉપર લોકોની જરા પણ પ્રીતિ નથી. રાજ્ય અસલ તો બળવાન હતું પણ હાલ કેટલીએક મુદત થયાં તે નિર્બળ થઈ ગયું છે. ખંડિયા રાજાઓ ખંડણી બરાબર આપતા નથી. સામંત લોકો અસંતોષી છે. સિપાઈઓના પગાર ચઢેલા રહે છે તેથી તેઓ પણ નાખુશ રહે છે. દેશમાં બીજા લોકોમાં શૂરાતન રહેલું નથી, મારા ઉપર લોકોની પ્રીતિ છે, મારા ઉપર જે જુલમ ગુજાર્યો છે તે ઉપર લોકો ત્રાસ ખાય છે; હજી રાજ્યમાં મારા ઘણા મિત્રો છે, આપના ત્રાસથી બીજા રજપૂત રાજાઓ થરથરી ગયા છે. તેથી આ સમયે તેઓ પણ તેને સહાય થશે નહીં, બલકે તેના લશ્કરનો કેટલોએક ભાગ મારે લીધે આપણને આવી મળશે, માટે ગુજરાત જીતવું કાંઈ જ મુશ્કેલ નથી. આપને મન તો તે છોકરાંની રમત છે. તેથી મારી અરજ એટલી જ છે કે તે દેશ સર કરવો, અને તેનો સૂબો ગમે તેને મુકરર કરવામાં આવે તોપણ તેના હાથ નીચે મુખ્ય કારભાર મને સોંપવો.”

અલાઉદ્દીને પોતાનું નામ બીજો સિકંદર રાખ્યું હતું, અને તે નામ તેણે સિક્કા ઉપર કોતરાવ્યું હતું તેથી તેને અસલ રૂમી સિકંદરની પેઠે દેશો જીતવાનો ઘણો શોખ હતો. માટે જ્યારે આવો વખત આવ્યો ત્યારે તેનો ઉપયોગ કર્યા વિના તેને જવા ન દેવો, એવો તેણે નિશ્ચય કીધો. એણે માધવની સઘળી વાત કબુલ રાખી. થોડી મુદ્દતમાં ગુજરાત જીતવાનું વચન આપ્યું, અને તેને કેટલુંએક દ્રવ્ય આપીને વિદાય કીધો.