ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન

← નાજરને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
વેચાણ માટે પુસ્તકો →


૪૦. ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન


ડરબન,

 

નવેમ્બર ૨૬, ૧૮૯૪


શ્રી તંત્રી,

  धि नाताल मक्यूरी,

સાહેબ,

એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન[૧] વિષેની જે જાહેરખબર તમારા જાહેરખબર વિભાગમાં આવે છે તેના તરફ તમારા વાચકોનું ધ્યાન ખેંચવાની મને રજા આપશો તો હું તમારો બહુ આભારી થઈશ. જે પુસ્તકોની જાહેરખબર આપવામાં આવી છે તેમાં પ્રતિપાદન કરવામાં આવેલી વિચારસરણી બિલકુલ નવી નથી પણ પ્રાચીનનો પુનરુદ્ધાર છે અને તે આધુનિક માનસને સ્વીકાર્ય થાય એ ઢબે રજૂ કરવામાં આવી છે. વળી, તે એવી ધાર્મિક વિચારસરણી છે જે આખુંયે વિશ્વ એક છે એવું શીખવે છે અને કેવળ બાહ્ય જગતની ઘટનાઓ અથવા તવારીખી હકીકતોનો નહીં પણ શાશ્વત સત્યનો આધાર લે છે. ઈશુનું ચડિયાતાપણું સાબિત કરવાને તે વિચારપદ્ધતિમાં મહંમદ કે બુદ્ધને ઉતારી પાડવામાં આવ્યા નથી. ઊલટું, તેમાં બીજા ધર્મોની સાથે ખ્રિસ્તી ધર્મનો મેળ બતાવેલો હોઈ તેના પ્રતિપાદકોનો અભિપ્રાય એવો છે કે તે ધર્મ એક જ શાશ્વત સત્યને માણસો આગળ રજૂ કરવાની અનેકમાંની એક રીત છે. જૂના કરારના અનેકાનેક કોયડાઓનો તેમાં પૂરેપૂરો તેમ જ સમાધાનકારક ઉકેલ જડી આવે છે.

તમારા વાચકોમાંના જેને આજના જમાનાનો ભૌતિકવાદ અને તેનો બધો ભપકો પોતાના આત્માની જરૂરિયાતોને માટે અધૂરો લાગતો હોય, જેને વધારે ઊંચા જીવનની તાલાવેલી હોય, અને આધુનિક સંસ્કૃતિના આંજી નાખનારા ચળકાટ મારતા પડની નીચે તેવા પડ નીચે સહેજે જેની અપેક્ષા રાખવામાં આવે તેનાથી ઘણું ઊંધું છે એવો જેને અનુભવ થતો હોય અને સૌથી વિશેષ તો જેને આધુનિક મોજશોખ અને અખંડ અજંપાભરી પ્રવૃત્તિમાંથી રાહત ન મળતી હોય તેને જાહેરખબરમાં જેમનો ઉલ્લેખ છે તે પુસ્તકોની ભલામણ કરવાની હું રજા ચાહું છું. અને હું ખાતરી આપું છું કે તે પુસ્તકોમાંની બધીયે શીખ પૂરેપૂરી ભલે ન સ્વીકારાય તોયે તે વસાવી વાંચી જનારને વાંચ્યા પછી પોતે હતો તેના કરતાં વધારે સારો માણસ બન્યો છે એવો અનુભવ થયા વગર નહીં રહે.

આ વિષય પર વાતચીત કરવાની ઈચ્છા હોય તેની સાથે નિરાંતે વિચારોની આપલે કરવામાં મને ઘણો આનંદ આવશે. તેવા કોઈ ભાઈ મારી સાથે અંગત પત્રવહેવાર કરશે તો હું તેનો આભારી થઈશ. આ ચોપડીઓનું વેચાણ કમાણીનો ધંધો નથી એ વાત જણાવવાની ભાગ્યે જ જરૂર હોય, સંઘ (ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન)ના પ્રમુખ મિ. મેઈટલૅન્ડ અથવા તેના એજન્ટ તે પુસ્તકો મફત આપી દઈ શકતા હોત તો ખુશીથી વહેંચી દેત. ઘણા દાખલામાં પુસ્તકો પડતર કિંમતથી ઓછું લઈનેયે વેચવામાં આવેલાં છે. થોડા દાખલામાં મફત આપી દેવામાં આવ્યાં



  1. જેમણે અમુક સિદ્ધાંતોની દીક્ષા લીધી છે એવા ઈશુના અનુયાયીઓને સંધ.

છે, કંઈ પણ દામ લીધા વગર તે પુસ્તકોની વહેંચણી કરવાનું અશકય માલૂમ પડયું છે. કોઈ કોઈ દાખલામાં એ પુસ્તકો પાછાં લેવાની શરતે ખુશીથી ઉછીનાં આપવામાં આવશે. મરહૂમ ઍબે કૉન્સ્ટંટે પુસ્તકોના કર્તાઓને લખેલા પત્રમાંથી ઉતારો આપી હું મારું કહેવાનું પૂરું કરું: “માનવજાતે હમેશાં અને હરેક સ્થળે પોતાની જાતને નીચેના ત્રણ સૌથી મહત્ત્વના પ્રશ્નો કર્યા છે : આપણે કયાંથી આવીએ છીએ? આપણે શું છીએ? અને, આપણે કયાં જઈએ છીએ? હવે, धि परफेक्ट वे (સંપૂર્ણ માર્ગ) પુસ્તકમાં આ સવાલોનો આટલા લાંબા સમય બાદ સંપૂર્ણ, સમાધાનકારક અને આશ્વાસન આપનારો ઉત્તર મળી રહે છે.”

હું છું, વગેરે

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૩–૧૨–૧૮૯૪