ગાંધીજીનો અક્ષર દેહ - ૧/પ્રિટોરિયાના એજન્ટને અરજી

← મુસ્લિમ કાનૂન ગાંધીજીનો અક્ષરદેહ
પ્રિટોરિયાના એજન્ટને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ધારાસભાને અરજી  →



૪૮. પ્રિટોરિયાના એજન્ટને અરજી
પ્રિટોરિયા,

 

એપ્રિલ ૧૬, ૧૮૯૫

 

સન્માનનીય

સર જૅકોબસ ડિ વેટ, કે. સી. એમ. જી.,

નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ, પ્રિટોરિયા
પ્રજાસત્તાકમાંના બ્રિટિશ હિંદી વેપારીઓની વતી સમિતિ તરીકે કાર્ય કરતા પ્રિટોરિયાના તૈયબખાન ને અબદુલ ગની અને જોહાનિસબર્ગના હાજી હબીબ હાજી દાદાની અરજી

હિંદીઓના સવાલની બાબતમાં નામદાર શહેનશાહબાનુની અને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યની સરકારો વચ્ચે ઑરેન્જ ફ્રી સ્ટેટમાં આવેલા બ્લૂમફૉન્ટીન મુકામે લવાદીનું કામ ચાલતાં તાજેતરમાં પંચ તરફથી આપવામાં આવેલા લવાદી ચુકાદાથી નામદાર શહેનશાહબાનુની સરકારને સંતોષ થશે કે કેમ તેની ચોકસાઈથી ખાતરી કરવાને નામદાર હાઈ કમિશનર સાથે પત્રવહેવાર ચલાવવાને અમે આપ નામદારને અદબ સાથે વિનંતી કરીએ છીએ. આપ નામદાર જાણો છો કે ૧૮૮૬ની સાલના ફૉક્સરાડ (પાર્લમેન્ટ)ના સુધારા મુજબના ૧૮૮૫ની સાલના કાનૂન ૩જાનો અમલ સરકારે કરવો જોઈએ અને તે કાનૂનના અર્થની બાબતમાં તકરાર કે મતભેદ થાય તો તેને અંગે પ્રજાસત્તાક રાજયની વડી અદાલતે નિર્ણય આપવો એવો પંચે ચુકાદો આપ્યો છે.

ઉપર જણાવેલા પંચની આગળ ચાલેલા લવાદીના કામકાજ દરમિયાન આ પ્રજાસત્તાક રાજ્યની સરકારે રજૂ કરેલા કાયદાના વિવેચનના પુસ્તક (ગ્રીન બુક) પૈકીના નં. ૨૧૮૯૪ના પા. ૩૧ અને ૩૫ પર એવી મતલબનાં વિધાન કરવામાં આવ્યાં છે કે વડી અદાલત સમક્ષ ઈસ્માઈલ સુલેમાન એન્ડ કંપનીએ રજૂ કરેલી અરજીનો ફેંસલો આપતાં નામદાર વડા ન્યાયાધીશે ઠરાવ્યું છે કે હિંદીઓ જયાં વસવાટ કરતા હોય અથવા વેપાર ચલાવતા હોય તે સ્થળો વચ્ચે ભેદ ન કરવો. આ હકીકતો નજરમાં રાખતાં વડી અદાલતના ફેંસલા અગર અધિકાર સામે કોઈ પણ જાતની તકરાર ઉઠાવ્યા વગર અમે આદરપૂર્વક સૂચવીએ છીએ કે વડા

ન્યાયાધીશના ફેંસલાને લગતાં ઉપર જણાવેલાં વિધાન સાચાં હોય તો ઉપર જણાવેલા કાયદા મુજબ વડી અદાલત આગળ રજૂ કરવામાં આવનારા કોઈ પણ કામના ફેંસલામાં નિર્ણય આ પ્રજાસત્તાક રાજયમાં રહેનારા નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનોની વિરુદ્ધમાં અગાઉથી થઈ ચૂકયો હશે. એટલે પંચે પોતાની આગળ રજૂ કરવામાં આવેલા રજૂઆતના દસ્તાવેજમાં બતાવવામાં આવેલા મુદ્દાઓ મુજબ સવાલનો નિર્ણય આપ્યો નથી પણ તેને પ્રજાસત્તાક રાજ્યની વડી અદાલત પર લગભગ છોડી દીધેલો હોઈ અમે સાદર સૂચવવા ચાહીએ છીએ કે પંચે પોતાની આગળ મૂકવામાં આવેલા મુદ્દાઓને અનુસરીને નિર્ણય આપ્યો નથી. તેથી નેક નામદાર શહેનશાહબાનુની સરકારની સાથે લખાણ કરી તેમને પંચના લવાદી ચુકાદાથી સંતોષ થયો છે કે કેમ અને તેમાં તેમની સંમતિ છે કે કેમ તેની ચોકસાઈ કરવાને અમે આપ નામદારને સાદર વિનંતી કરીએ છીએ.

(સહી)તૈયબ હાજી ખાન મહમદ

 

અબદુલ ગની

 

હાજી હબીબ હાજી દાદા

 

[મૂળ અંગ્રેજી]

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યના નેક નામદાર શહેનશાહબાનુના હાઈ કમિશનર તરફથી સંસ્થાનો માટેના મુખ્ય સેક્રેટરી ઑફ સ્ટેટને મોકલવામાં આવેલા ૧૮૯૫ની સાલના એપ્રિલ માસની ૨૯મી તારીખના નં. ૨૦૪ના ખરીતા સાથેનું બિડાણ.

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૪૧૭, ભાગ ૧૪૮