ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મુસ્લિમ કાનૂન

← વેચાણ માટે પુસ્તકો-૨ ગાંધીજીનો અક્ષરદેહ
મુસ્લિમ કાનૂન
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
પ્રિટોરિયાના એજન્ટને અરજી →


૪૭. મુસ્લિમ કાનૂન

[૧૮૯૫ની સાલના માર્ચ માસની ૨૨મી તારીખના धि नाताल विटनेसના અંકમાં નીચે મુજબનો હેવાલ પ્રસિદ્ધ થયો :

હસન દાઉજી વસિયતનામું કર્યા વગર જે મિલકત મૂકી ગયા તેને વિષેનો માસ્ટર - (અદાલતના અમલદાર)નો રિપોર્ટ મંજૂર રાખવાને મિ. તથમે ગઈ કાલે વડી અદાલતને અરજ ગુજારતાં કહ્યું કે બૅરિસ્ટર મિ. ગાંધીએ તૈયાર કરેલી વહેંચણીની યોજના રિપોર્ટમાં આમેજ કરવામાં આવી હોઈ તે મુસ્લિમ કાનૂન મુજબ ધડવામાં આવી છે.

સર વૉલ્ટર રૅગ[૧] : આને વિષે એક જ વાત કહેવાની કે મિ. ગાંધી મુસ્લિમ કાનૂન વિષે કશું જાણતા નથી. એક ફ્રેંચમેન મુસ્લિમ કાનૂન વિષે જેટલો અજાણ હોય તેટલા જ તે પણ છે. તેમણે જે કંઈ જાણાવ્યું છે તે માટે તમારી માફક તેમને પણ કોઈક ચોપડીનો આધાર લેવો પડે; તેમનું પોતાનું એવું આ બાબતમાં તેમને કશું જ્ઞાન ન હોય.

મિ. તથમે જણાવ્યું કે વહેંચણીની યોજના મોલવીઓ પાસેથી અને મિ. ગાંધી પાસેથી મેળવવામાં આવી છે. બીજે કયાંથી તે મેળવી શકાય? નિષ્ણાતો પાસેથી જેટલો પુરાવો મળી શકે તે બધો અમે ઉપયોગમાં લીધો છે.

સર વૉલ્ટર રૅગ : મિ. ગાંધી જે હિસ્સો મરનારના ભાઈને મળવો જોઈએ એમ કહે છે તે મુસ્લિમ કાનૂન મુજબ ગરીબોને જવો જોઈએ. મિ. ગાંધી હિંદુ હોઈ અલબત્ત, પોતાના ધર્મ વિષે જાણે છે, પણ મુસ્લિમ કાનૂનની બાબતમાં તે કશું જાણતા નથી.

મિ. તથમ : મિ. ગાંધીનો અભિપ્રાય સ્વીકારવો કે મોલવીઓનો સ્વીકારવો એ આપણી સામેનો સવાલ છે.

સર વૉલ્ટર રૅગ : તમારે મોલવીઓનો અભિપ્રાય સ્વીકારવો. ભાઈ (મરનારનો) બતાવી શકે કે પોતે ગરીબોનો પ્રતિનિધિ છે તો તેનો મિ. ગાંધીએ જણાવ્યું છે તે મુજબનો ૫/૨૪ મા હિસ્સાનો હક થાય.

ઉપરના હેવાલનું વિવેચન કરતાં ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું : ]



  1. વડી અદાલતના નયાયાધીશ

ડરબન

 

માર્ચ ૨૩, ૧૮૯૫

  શ્રી તંત્રી  

धि नाताल विटनेस

સાહેબ,

તમારા અખબારના ચાલુ માસની ૨૨મી તારીખના અંકમાં મુસ્લિમ કાનૂનના એક મુદ્દાની બાતબમાં સર વૉલ્ટર રૅગ અને મિ. તથમ વચ્ચે ચાલેલા સંવાદનો જે હેવાલ પ્રગટ થયો છે તેને વિષે ન્યાયના હિતમાં થોડું કહેવાની તમે મને પરવાનગી આપશો એવો મને વિશ્વાસ છે.

મારે મારા બચાવમાં ઊતરવું છે એટલા માટે નહીં પણ સર વૉલ્ટર રૅગ માટે પૂરેપૂરું માન હોવા છતાં હું માનું છું કે વડી અદાલતનો ચુકાદો મુસ્લિમ કાનૂન વિષેની ભૂલભરેલી દૃષ્ટિના આધાર પર રચાયેલો હોઈ હિંદી સંસ્થાનવાસીઓના મોટા ભાગને ઊંડી અસર કરે છે તેટલા કારણસર મેં તમારા વિવેક પર દબાણ કરવાની હિંમત કરી છે.

હું મુસલમાન હોત તો જેની એકમાત્ર લાયકાત પોતે મુસલમાન જન્મયો હોવાની છે તેવા મુસલમાન પાસે ન્યાય કરાવતાં મને ઘણો ખેદ થાત. મુસલમાનોને મુસ્લિમ કાનૂનનું સ્વયંસ્કુરણાથી જ્ઞાન હોય છે અને કોઈ બિનમુસ્લિમે મુસ્લિમ કાનૂનના કોઈ પણ મુદ્દા પર અભિપ્રાય આપવાનું સાહસ કદી ન વહોરવું એ એક નવું દર્શન છે!

(તમારો હેવાલ સાચો હોય તો) મરનારનો ભાઈ “પોતે ગરીબોનો પ્રતિનિધિ છે એમ દર્શાવી આપે” તે પછી જ પોતાના ૫/૨૪મા હિસ્સાનો હકદાર થાય એવો ચુકાદો મને ડર છે કે મુસ્લિમ કાનૂનનો હિંદમાં વહીવટ કરવામાં આવે છે અને કુરાનમાં તે પ્રગટ થયો છે તે મુજબના તે કાનૂનના મૂળ પ્રયોજનને ઊંધું વાળનારો છે. મૅકનેટનના महोमेडन लॉ (મુસ્લિમ કાનૂન) પુસ્તક (જેને વિષે સાથે સાથે મારે જણાવવું જોઈએ કે તેનું સંપાદન એક બિનમુસ્લિમ હિંદીએ કરેલું હોઈ હિંદથી પાછા ફર્યા બાદ મેસર્સ બિન્સ અને મૅસને પ્રસિદ્ધ કરેલા પોતાના હેવાલમાં તેને એ કાયદા પરના ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ પૈકીના એક તરીકે ગણાવેલું છે)નાં વારસાહક પરનાં પ્રકરણો હું કાળજીથી જોઈ ગયો છું અને તેની સાથે એ વિષયને લગતો કુરાનનો ભાગ પણ મેં જોયો છે પણ તેમાંથી એકેમાં મરનાર મુસ્લિમની વારસામાં જતી મિલકતના કોઈ પણ ભાગ પર ગરીબોનો હક હોય છે એવી મતલબનો એક શબ્દ સરખો મારા જોવામાં આવ્યો નથી. કુરાન તેમ જ ઉપર બતાવેલું પુસ્તક તે કાનૂન પર પ્રમાણ હોય તો પ્રસ્તુત દાખલામાં ગરીબોને જેના પર હક હોય એવો એક પણ હિસ્સો નથી એટલું જ નહીં, જેને અંગે વસિયતનામું ન થયું હોય એવી વારસામાં જતી મિલકતના કોઈ પણ હિસ્સા પર ગરીબોને કોઈ પણ સંજોગોમાં કશો હક હોતો નથી. એ કાયદા મુજબ ભાઈ (ખરું કહેતાં સાવકો ભાઈ) કંઈ પણ મેળવે છે ત્યારે खुदना हकथी ले छे અને भाई होवाने कारणे લે છે એવું હું દર્શાવી આપી શકીશ એવી મને આશા છે.

સંભવ છે કે નામદાર ન્યાયાધીશ વારસાહકની વાત કરતા હતા ત્યારે ખરેખર પણ અજાણતામાં જે હરેક મુસલમાનની ફરજ છે તે દાન આપવાની એટલે કે ખેરાતની વાતના ખ્યાલમાં હતા. ખેરાત એ લોકોના ધર્મનો એક સિદ્ધાંત છે, પણ મુસલમાન પોતાની હયાતીમાં ખેરાત કરવાના જે સિદ્ધાંતને અનુસરે છે તે વારસાની વહેંચણીના દાખલામાં લાગુ પડતો નથી. પોતાની હયાતી દરમિયાન દાન કરે છે તેથી મુસલમાન સ્વર્ગની અથવા તેમાં સારી મોભાદાર જગ્યાની કમાણી કરે છે. પણ તેના મરણ બાદ તેની મિલકતમાંથી રાજય દાન આપે તેનું કશું પુણ્ય ખચીત તેને મળતું નથી કેમ કે તે તેનું पोतानुं કર્મ નથી. મુસલમાનના મરણ પછી તેનાં સગાંવહાલાંનો તેની મિલકત પર પહેલો જ નહીં, આગવો હક થાય છે.

कुरान કહે છે:

મરણ પછી પોતાનાં માબાપ અને સગાં જે કંઈ મૂકી જાય તેનો ભાગ હરેકે હરેક સંબંધીને વારસામાં મળે એવું અમે ઠરાવી આપ્યું છે.
કાનૂન કહે છે:
મરનારની મિલકતની એક પછી એક એવી ચાર ફરજ ઊભી થાય છે; પહેલી, વધારેપડતા નાહકના ખર્ચ વગરની પણ ખામી વગરની તેની મરણોત્તર ક્રિયા અને દફનની વિધિ; તે બાદ તેની બાકી રહેતી તમામ મિલકતમાંથી તેનાં વાજબી દેવાંની ચુકવણી; તે પછી, તેનાં કરજની ચુકવણી થતાં બાકી રહે તેના ત્રીજા ભાગમાંથી તેના વસિયતનામાની રૂએ તેના વારસોને મળતા હિસ્સાની ચુકવણી; અને છેવટે બાકી રહે તેમાંથી તેની પાછળ રહેતા વારસદારોને કરવામાં આવતી વહેંચણી.
પાછળ રહેતા વારસદારો આ રીતે ગણાવવામાં આવ્યા છે:
૧. કાયદેસરના ભાગીદાર; ૨. શેષ રહી જતી મિલકત મેળવનાર; ૩. દૂરનાં સંબંધી; ૪.કરારથી થનારા વારસદાર; પ. સ્વીકારેલાં સંબંધી; ૬. સાર્વજનિક વારસદાર; ૭. રાજ્ય.

"જેમને માટે પાક કુરાનની આયતોમાં, પરંપરાથી અથવા સામાન્ય સંમતિથી ચોક્કસ હિસ્સા મુકરર કરવામાં આવ્યા હોય અગર જેમને માટે આદેશ આપવામાં આવ્યો હોય તે બધી વ્યક્તિઓ” એવી “કાયદેસરના ભાગીદાર”ની વ્યાખ્યા બાંધવામાં આવી હોઈ ૧૨ વર્ગના ભાગીદારોને ગણાવનું જે કોષ્ટક છે તે મુજબ સાવકા ભાઈઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. “જે બધી વ્યક્તિઓને માટે કોઈ પણ હિસ્સો મુકરર કરવામાં આવ્યો નથી અને ભાગીદારોના હક સંતોષાયા બાદ જે વધે તે અને ભાગીદારો ન હોય તો બધી મિલકત લેનારા બધા” તે “શેષ રહી જતી મિલકત લેનારા” વારસદારો છે. અહીં ધ્યાનમાં લેવાનું છે કે કેટલાક કાયદેસરના ભાગીદારોને કેટલાક સંજોગોમાં તેવા ભાગીદારમાં સમાવવામાં આવતા ન હોઈ તે પછી શેષ રહી જતી મિલકત લેનારમાં ગણાય છે. “દૂરનાં સંબંધી” એટલે “જે કાયદેસરનાં ભાગીદાર નથી તેમ જ શેષ રહી જતી મિલકત લઈ શકતાં નથી તે બધાં સગાં.” “ભાગીદારોનો દાવો પૂરો થયા પછી મરનાર પોતાની પાછળ મૂકી જાય તે બાકી રહેતી મિલકત शेष रही जती मिल्कत लेनारा कहीने ओळखाववामां आवेला तेमनी पछी गणाववामां आवेला वर्गना वारसदारोमां वहेंचाय छे. શેષ રહી જતી મિલકત મેળવનારા વારસદારો ન હોય તો બાકી રહી જતી મિલકત પાછી વળીને ભાગીદારોને મળે છે અને તેમના હિસ્સાના પ્રમાણમાં તેમને વહેંચાય છે.”

આ ઉપરાંત બીજા વારસદારોની વ્યાખ્યા આપી હું તમારી મોંધી જગ્યા રોકવા માગતો નથી. એટલું જણાવવું પૂરતું છે કે તેમાં ગરીબોનો સમાવેશ હરગિજ ન થતો હોઈ તે બધાનો પણ પહેલા ત્રણ વર્ગના વારસદારો બધા પૂરા થઈ જાય તે પછી મરનારની મિલકતમાંથી “લેવા”નો હક ઊભો થાય છે.

ખુદના હકથી મરનારની મિલકત મેળવનારા શેષ રહી જતી મિલકત મેળવનારા વારસદારોમાં બીજાઓની સાથે “મરનારના બાપનાં 'સંતાન' એટલે કે ભાઈઓ, સાવકા ભાઈઓ, અને ગમે તેટલા નીચા હોય તોપણ તેમના દીકરાઓનો સમાવેશ થાય છે.” પહેલા વિભાગનો બારમો નિયમ કહે છે: “બહેન કરતાં ભાઈને બેવડો હિસ્સો મળે એવો સામાન્ય નિયમ છે. એમાં અપવાદ માત્ર એક જ માથી પણ જુદા બાપથી થયેલાં ભાઈઓ અને બહેનો પૂરતો છે.” અને બીજા વિભાગનો પચીસમો નિયમ કહે છે: “જયાં भाईयो ન હોય અને એકલી દીકરીઓ અગર દીકરાની દીકરીઓ હોય ત્યાં દીકરીઓ અને દીકરાની દીકરીઓને પોતપોતાનો હિસ્સો મળી ગયા બાદ જે બાકી રહે તે બહેનોને મળે અને દીકરી અગર દીકરાની દીકરી એક જ હોય તો એવો શેષ રહી જતી મિલકતનો હિસ્સો અડધો હોય અને બે કે તેથી વધારે હોય તો ત્રીજા ભાગનો હોય.” પ્રસ્તુત દાખલામાં ભાઈને મળતો હિસ્સો ઠરાવવામાં આ બે નિયમો સાથે જોવાથી આપણને સારા પ્રમાણમાં દોરવણી મળી રહે છે.

જેમાંથી મેં ઉતારા આપ્યા છે તેમાં આપવામાં આવેલાં નમૂનાનાં ઉદાહરણોમાં ઉકેલ સાથે મને નીચે મુજબનું જોવા મળ્યું છે : “उदाहरण ૭. પતિ, દીકરી, ભાઈ અને ત્રણ બહેનો.” આખું ઉદાહરણ અહીં ઉતારવાની જરૂર નથી, ભાઈને खुदना हुकमथी શેષ રહી જતી મિલકત મેળવનાર વારસદાર તરીકે ૨/૨૦મો હિસ્સો મળે છે.

ઉપર જણાવ્યું છે તે પરથી સાફ દેખાય છે કે ભાઈઓ અને તેમની બિનહયાતીમાં સાવકા ભાઈઓ ખુદના હકથી ભાગીદાર અથવા શેષ રહેનારી મિલકત મેળવનારા બને છે અને તેથી પ્રસ્તુત દાખલામાં સર વૉલ્ટરના અભિપ્રાય માટે પૂરેપૂરું માન હોવા છતાં ભાઈને વારસો “મળે” અને જે તેને મળે તો गरीबोना प्रतिनिधि तरीके नहीं पण तेना खुद हकथी મળે છે. અને જો તેને ન “મળતો” હોય તો (કાયદાને સ્વીકારવાનો હોય તો આવા દાખલામાં એમ બને નહીં) બાકી રહેતી મિલકત પાછી વળીને ભાગીદારોને હિસ્સે જાય છે.

પણ છાપામાંનો હેવાલ જણાવે છે કે મોલવી અને હું એકમત નથી. હવે એમાંથી “હું” કાઢી નાખી તેને બદલે "કાનૂન” મૂકો (કેમ કે મેં માત્ર કાનૂન શું કહે છે તે જ જણાવ્યું છે) તો હું કહેવાની હિંમત કરું છું કે મોલવી અને કાનૂન વચ્ચે મતભેદ હોય નહીં અને હોય તો મોલવીના મતને ઊંચો મૂકવો પડે, આ દાખલામાં જોકે મારી અને મોલવીની વચ્ચે મતભેદ નથી કેમ કે મિ. તથમે મને મોકલેલા રિપોર્ટમાંની વહેંચણીને મોલવીની મંજૂરી છે એમ તેમના રિપોર્ટ સાથેના માહિતીના પત્ર પરથી લાગે છે સાવકા ભાઈને ગરીબોના પ્રતિનિધિ તરીકે હિસ્સો મળે છે એવી મતલબનો એક શબ્દ સરખો મૌલવીએ કહ્યો નથી.

છેવટમાં, છાપાનો હેવાલ જોયા પછી સર વૉલ્ટરના મત મુજબ જેમને કાનૂનનું જ્ઞાન અવશ્ય હોવું જ જોઈએ એવા થોડા મુસ્લિમ ગૃહસ્થોને હું ખાસ મળ્યો અને તેમને મેં અદાલતના ચુકાદાની વાત કરી ત્યારે તેમને નવાઈ લાગી. મૂળ વાત તેમને એટલી સાદી અને સીધી લાગી કે વિચાર કરવાનો નામનોયે વખત લીધા વગર તેમણે કહ્યું કે “વસિયતનામા વગરની વારસામાં જતી મિલકતમાંથી ગરીબોને કંઈ મળતું નથી. સાવકા ભાઈને તેની ભાઈ તરીકેની હેસિયતથી તેનો હિસ્સો મળવો જોઈએ.” એટલે હું સૂચવું છું કે ચુકાદો મુસ્લિમ કાનૂન, મોલવીઓના તેમ જ બીજા મુસ્લિમ ગૃહસ્થોના અભિપ્રાયના વિરોધમાં છે. પોતે “ગરીબોના પ્રતિનિધિ છે,” એવું મરનાર મુસલમાનનાં સગાં બતાવી ન શકે ત્યાં લગી હકથી તેમને મળતા હિસ્સા અદાલતની તિજોરીમાં તાળામાં રાખવામાં આવે તો દેખીતી રીતે એક હાલાકી પેદા થાય છે અને મુસ્લિમ કાનૂને એવી સ્થિતિ કલ્પી નથી અગર મુસ્લિમ પરંપરાએ ને રિવાજે તેને માન્ય રાખી નથી.

હું છું, વગેરે

 

મો. ક. ગાંધી

 

[મૂળ અંગ્રેજી]

धि नाताल विटनेस, ૨૮–૩–૧૮૯૫



૪૮. પ્રિટોરિયાના એજન્ટને અરજી
પ્રિટોરિયા,

 

એપ્રિલ ૧૬, ૧૮૯૫

 

સન્માનનીય

સર જૅકોબસ ડિ વેટ, કે. સી. એમ. જી.,

નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ, પ્રિટોરિયા
પ્રજાસત્તાકમાંના બ્રિટિશ હિંદી વેપારીઓની વતી સમિતિ તરીકે કાર્ય કરતા પ્રિટોરિયાના તૈયબખાન ને અબદુલ ગની અને જોહાનિસબર્ગના હાજી હબીબ હાજી દાદાની અરજી

હિંદીઓના સવાલની બાબતમાં નામદાર શહેનશાહબાનુની અને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યની સરકારો વચ્ચે ઑરેન્જ ફ્રી સ્ટેટમાં આવેલા બ્લૂમફૉન્ટીન મુકામે લવાદીનું કામ ચાલતાં તાજેતરમાં પંચ તરફથી આપવામાં આવેલા લવાદી ચુકાદાથી નામદાર શહેનશાહબાનુની સરકારને સંતોષ થશે કે કેમ તેની ચોકસાઈથી ખાતરી કરવાને નામદાર હાઈ કમિશનર સાથે પત્રવહેવાર ચલાવવાને અમે આપ નામદારને અદબ સાથે વિનંતી કરીએ છીએ. આપ નામદાર જાણો છો કે ૧૮૮૬ની સાલના ફૉક્સરાડ (પાર્લમેન્ટ)ના સુધારા મુજબના ૧૮૮૫ની સાલના કાનૂન ૩જાનો અમલ સરકારે કરવો જોઈએ અને તે કાનૂનના અર્થની બાબતમાં તકરાર કે મતભેદ થાય તો તેને અંગે પ્રજાસત્તાક રાજયની વડી અદાલતે નિર્ણય આપવો એવો પંચે ચુકાદો આપ્યો છે.

ઉપર જણાવેલા પંચની આગળ ચાલેલા લવાદીના કામકાજ દરમિયાન આ પ્રજાસત્તાક રાજ્યની સરકારે રજૂ કરેલા કાયદાના વિવેચનના પુસ્તક (ગ્રીન બુક) પૈકીના નં. ૨૧૮૯૪ના પા. ૩૧ અને ૩૫ પર એવી મતલબનાં વિધાન કરવામાં આવ્યાં છે કે વડી અદાલત સમક્ષ ઈસ્માઈલ સુલેમાન એન્ડ કંપનીએ રજૂ કરેલી અરજીનો ફેંસલો આપતાં નામદાર વડા ન્યાયાધીશે ઠરાવ્યું છે કે હિંદીઓ જયાં વસવાટ કરતા હોય અથવા વેપાર ચલાવતા હોય તે સ્થળો વચ્ચે ભેદ ન કરવો. આ હકીકતો નજરમાં રાખતાં વડી અદાલતના ફેંસલા અગર અધિકાર સામે કોઈ પણ જાતની તકરાર ઉઠાવ્યા વગર અમે આદરપૂર્વક સૂચવીએ છીએ કે વડા