ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદીઓ અને પરવાના

← નાતાલના ગવર્નરને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
હિંદીઓ અને પરવાના
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ઝૂલુલૅ ન્ડ માટેના હંગામી સેક્રેટરીને પત્ર →


૭૧. હિંદીઓ અને પરવાના
ડરબન,

 

માર્ચ ૨, ૧૮૯૬

 

તંત્રીશ્રી,
धि नाताल मर्क्युरी

સાહેબ,

આપના ૨૯મી ફેબ્રુઆરીના અંકમાં રૉબર્ટ્સ અને રિચર્ડ્‌સ નામની બે વ્યક્તિઓ ઉપર ભામટાઓ માટેના કાનૂન નીચે ચલાવાયેલા કેસનો અધૂરો હેવાલ અને એ અંગેનો પોલીસ સુપરિન્ટન્ડેટનો અભિપ્રાય પ્રગટ થયો છે. જેમને લાયક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે “લેભાગુ” અને બીજાં બૂરાં નામો વડે નવાજ્યા છે એવા બંને પ્રતિવાદીઓ પ્રત્યે ન્યાય દર્શાવવા ખાતર અને હિંદી કોમ પ્રત્યેના ન્યાય ખાતર હું આપના પત્રમાં થોડી જગ્યા રોકવા ઇચ્છું છું.

આ હેવાલ અને અભિપ્રાય એવું દર્શાવતા લાગે છે કે જાણે મિ. વૉલરનો ચુકાદો[૧] અન્યાય ભરેલો હોય, એ મતને ઓપ આપવાને માટે, સુપરિન્ટેન્ડેન્ટે જુબાનીનો એવો ભાગ આપવાનું પસંદ કર્યું છે જેનો હું આ બે પ્રતિવાદીઓ માટે અને એથીયે વિશેષ એમના જેવી જ પરિસ્થિતિમાં મુકાયેલા લોકો માટે જનતાની સહાનુભૂતિ મેળવવાને ઉપયોગ કરવા માગતો હતો અને હજી માગું છું. નમ્રપણે મારું માનવું એવું છે કે તેમનો મામલો ઘણો વિકટ હતો, અને તેમને ગિરફતાર કરવામાં અને પછી હેરાન કરવામાં પોલીસે ભૂલ કરી હતી. મેં કોર્ટમાં કહ્યું જ હતું અને અહીં તે ફરીથી કહું છું કે જો પોલીસ હિંદીઓ તરફ થોડી ઉદારતા બતાવે અને તેમને ગિરફતાર કરવામાં વિવેક વાપરે તો ભામટા માટેનો કાનૂન જુલમી બનતો અટકી જાય. બંને ગિરમીટિયા હિંદીઓના પુત્રો છે એ હકીકત એમની વિરુદ્ધ નહીં જવી જોઈએ. ખાસ કરીને એક અંગ્રેજ સમાજમાં જયાં માણસની પરીક્ષા તેના જન્મથી નહીં પણ તેના ગુણો વડે કરવામાં આવે છે ત્યાં તો આવું બિલકુલ થવું નહીં જોઈએ, જો એવું નહીં હોય તો એક


  1. પોલીસ ન્યાયાધીશ મિ. વૈૉલરે એવાં કારણથી કેસ કાઢી નાખ્યો કે જયાં સુધી કોઈ બિનગેારી વ્યક્તિ, જે પાસ વિના રાત્રે ૯ વાગ્યા બાદ ઘર બહાર મળી આવી હોય, તે જો પોલીસને કહે કે તે પોતાને ઘરે જઈ રહી છે તો એ જવાબ તેને દોષમુક્ત ગણવાને પૂરતા છે, કારણ કે કાનૂનમાં એવું કહેવાયું છે કે માત્ર તે જ બિનગોરી વ્યક્તિને ગિરફતાર કરવામાં આવે જે પોતાના માલિકે આપેલા પરવાના વિના રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યાના ગાળામાં ૨ખડતી માલૂમ પડે અથવા પોતા વિષે નામઠામ વગેરે માહિતી નહીં આપી શકે.

કસાઈના છોકરાને એક મહાનમાં મહાન કવિનું માન અપાયું નહીં હોત. ઉપરાંત, સુપરિન્ટેન્ડેન્ટ બીજા પ્રતિવાદીએ આશરે બે વર્ષ પહેલાં પોતાનું નામ બદલ્યું હતું એ હકીકતને વધારેપડતું વજન આપે છે. અને તેમ કરીને તે એને ગિરફતાર કરનાર સિપાઈએ એનું જે જાણીજોઈને અપમાન[૧] કર્યું હતું તેનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. એ વાતનો ખ્યાલ રહેવો જોઈએ કે જેના તાબામાં તે હતો એ સિપાઈને નામ કયારે બદલવામાં આવ્યું હતું એ બાબતમાં કાંઈ પણ ખબર નહોતી. અને સુપરિન્ટેન્ડેન્ટ માને છે તેમ જો તેણે ભામટાના કાનૂનના અમલમાંથી બચી જવા માટે પોતાની જાતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હોત તો એ વાત નક્કી છે કે તેનો ચહેરો જ તેની જાતિ ખુલ્લી કરવા માટે પૂરતો હતો. તેમ જ તે પોતાના નામ અને જન્મને કારણે શરમાતો લાગતો નહોતો, કારણ કે જન્મ અને નામ બાબતના સવાલો પુછાતાંની સાથે તરત જ તેના જવાબો અપાયા હતા. અને તે વાતે આનંદી સ્વભાવના સુપરિન્ટેન્ડેન્ટને એટલા તો ખુશ કર્યા લાગતા હતા કે તેમના મોઢામાંથી નીચેના શબ્દો સહેજે બોલાયા : “વારુ, મારા બેટા, બધા જો તારા જેવા હોય તો પોલીસને કશી મુશ્કેલી નહીં રહે.”

માની લો કે જો પોતાનો ધર્મ બદલવાનું ભૂલભરેલું નહીં હોય, તો પોતાનું નામ બદલવાનું બિલકુલ ભૂલભરેલું હોઈ નહીં શકે. નાની નાની બાબતોની મોટી બાબત સાથે સરખામણી કરીએ તો મિ. કિવલિયમ હવે હાજી અબદુલ્લા બન્યા છે કારણ કે એમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. મનિકાના મરહૂમ પ્રધાન એલચી મિ. વેબે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં મુસલમાનનું નામ ધારણ કર્યું છે. પોલીસ સિપાઈઓના ખ્યાલ મુજબ તો એક હિંદીને માટે માત્ર ખ્રિસ્તી નામ જ નહીં પણ ખ્રિસ્તી પોશાક પહેરવો એ પણ ગુનો છે. અને હવે, સુપરિન્ટેન્ડેન્ટના વિચાર પ્રમાણે, ધર્મનો પલટો, એક હિંદીને શંકાને પાત્ર બનાવી દેશે. પણ, અલબત્ત ધારો કે ધર્મપલટો પ્રામાણિક માન્યતાને પરિણામે થયો હોય, અને કાનૂનને ટાળવાના દાવપેચ તરીકે નહીં હોય તો પછી આમ શા માટે થવું જોઈએ? હાલના આ દાખલામાં મારું માનવું એવું છે કે બંને પ્રતિવાદીઓ પ્રામાણિક ખ્રિસ્તીઓ છે કારણ કે મને મળેલી માહિતી મુજબ ડૉ. બૂથ[૨] બંને તરફ માનની નજરે જુએ છે. અલબત્ત સુપરિન્ટેન્ડેન્ટ સામો સવાલ કરશે, “પણ એક ખ્રિસ્તીના લેબાસમાં એક માણસ પ્રામાણિક ખ્રિસ્તી છે કે શેતાન છે એ કેવી રીતે જાણી શકાય?” આ સવાલનો જવાબ આપવાનું મુશ્કેલ છે. મેં કોર્ટને જણાવ્યું હતું કે દરેક મામલાનો નિર્ણય તેના ગુણદોષ તપાસીને કરવામાં આવે અને જ્યાં સામાન્ય અનુમાનો પર ચાલવાનું હોય છે તેનો ફાયદો જેમ બીજા વર્ગોને આપવામાં આવે છે તેમ હિંદીઓને પણ અપાવો જોઈએ.

મેં જણાવ્યું કે જે માનભર્યો પોશાક પહેરેલાં બે માણસો રાતના સાડા નવ વાગ્યે મુખ્ય રસ્તા ઉપર થઈને શાંતિથી જઈ રહ્યા હોય, પૂછવામાં આવતાં તેઓ ઊભા રહી જાય છે, અને સામું જણાવે છે કે તેઓ બાગમાંથી પાછા ફરી રહ્યા છે અને પોતાને ઘેર જાય છે, એ ઘર તેમને રોકવામાં આવ્યા એ જગ્યાએથી માત્ર સાત મિનિટના રસ્તા ઉપર છે, એમાંનો એક કારકુન હતો અને બીજો શિક્ષક હતો (આ બે કમનસીબ છોકરાઓના દાખલામાં હતું તેમ), તો એમને સામાન્ય સમજ મુજબ બંધાતા અનુમાનનો લાભ મળવો જોઈએ. મેં આગળ જણાવ્યું કે આવા દાખલાઓમાં જો શંકા જાય તો પોલીસ કબજા નીચેના માણસોને સહીસલામતીથી


  1. પ્રતિવાદીએ જ્યારે પોતાનું સેમ્યુઅલ રિચર્ડ્‌સ એવું નામ આપ્યું ત્યારે સિપાઈએ તેને હસી કાઢયા.
  2. ડરબનના સેઇન્ટ એઈડનના દેવળના ધર્મગુરૂ

તેમને ઘરે પહોંચાડી દઈ શકે. પરંતુ, જો એટલું પણ નહીં થઈ શકે તો તેમના પ્રત્યે કબજા નીચેના ભદ્ર માણસો જોડે રાખવામાં આવે તેવો વર્તાવ રાખે અને તેમને આગળથી ચોરલૂંટારા માની ન લે. જયાં સુધી એમને છળકપટ કરનારા સાબિત નહીં કરી શકાય ત્યાં સુધી એમનો પોશાક, ધર્મ અને નામ વિષેની ટીકા સગવડભરી રીતે મુલતવી રાખી શકાઈ હોત.

આશરે એક સાલ પહેલાં હું સ્ટેન્ડરટનથી ડરબનની મુસાફરી કરી રહ્યો હતો. મારા બે મુસાફરીના સોબતીઓ ચોર હોવાની શંકા કરવામાં આવી. એમનો સરસામાન તથા હું એ જ ખાનામાં હતો એટલે મારો પણ સામાન ફોકસરસ્ટમાં તપાસવામાં આવ્યો, અને ખાનામાં એક છૂપી પોલીસનો માણસ મૂકવામાં આવ્યો, તેઓ લગેજ તપાસનાર અમલદારને વ્હીસ્કીનો એક પ્યાલો ધરી શકતા હતા અને છૂપી પોલીસના માણસ જોડે સમાન દરજજા ઉપર એક ગૃહસ્થ તરીકે વાત કરી શકતા હતા. એવું અનુમાન કરી શકાય કે આવું થઈ શકવાનું કારણ એ હતું કે તેઓ માનભર્યા પોશાકમાં સજજ થયેલા હતા, અને પહેલા વર્ગના મુસાફરો હતા, છૂપી પોલીસના માણસે તેમને વિષે આગળ કશું અનુમાન બાંધી નહીં લીધું. એ લોકો યુરોપિયનો હતા એ વાત કહેવાનું મારે ટાળવું નહીં જોઈએ. છૂપી પોલીસનો માણસ આખે રસ્તે દિલગીરી અનુભવતો હતો કે તેને આ અપ્રિય ફરજ અદા કરવી પડતી હતી. પેલા કમનસીબ છોકરાઓના જેવા દાખલાઓમાં પણ આવો જ વર્તાવ રખાવો જોઈએ એટલું તેમના પક્ષે મને નહીં કહેવા દો? એમને કેદીની કોટડીને બદલે સૂઈ રહેવાને બીજી કોઈ જગ્યા આપી શકાત. જો અા કોટડીમાં રાખવાનું અનિવાર્ય હતું તો તેમને સૂવાને માટે સ્વચ્છ કામળા આપી શકાયા હોત. સિપાઈ તેમની સાથે સલૂકાઈથી વાતચીત કરી શકયો હોત. આટલું જો કરવામાં આવ્યું હોત તો આ મામલો મૅજિસ્ટ્રેટ સુધી કદી પહોંચત જ નહીં.

"આ જવાન લેભાગુઓએ જામીન આપવાનું પસંદ કરવાને બદલે આખી રાત પુરાઈ રહેવાનું પસંદ કર્યું." એવા સુપરિન્ટેન્ડેન્ટના નિવેદન સામે હું મારો વિરોધ નેાંધાવું છું. સાચી બીના એનાથી ઊલટી જ છે. તેમણે જામીન આપવા માગણી કરી હતી પરંતુ રાત્રિ દરમિયાન તે નકારી કાઢવામાં આવી હતી. એમના પ્રત્યેના આવા વર્તાવને કારણે મૅજિસ્ટ્રેટ નારાજ થયા હતા. સવારમાં તેમણે જામીન પર છોડવાની ફરીથી વિનંતી કરી. બીજા નંબરના પ્રતિવાદીની વિનંતી માન્ય રાખવામાં આવી. પહેલાને જામીન પર છોડવાની સિપાઈએ ના પાડી દીધી. એ ઉપરાંત એના નામ સામે "છોડવાના નથી" એવી નેાંધ કરવામાં આવી. એ નોંધવાળો ચોપડો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પાછળથી ઇન્સપેકટર બેનીના કહેવાથી એને છોડી દેવામાં આવ્યો. ખબર પડતાંની સાથે ઇન્સપેકટર બેનીએ એ ભૂલ સુધારી લીધી.

સુપરિન્ટેન્ડેન્ટ તરફ આદર સાથે હું કહું છું કે પ્રથમ પ્રતિવાદીએ કાનૂનનો ભંગ કર્યો નથી. મેજિસ્ટ્રેટે કશો હુકમ કર્યો નહીં, પણ તેમણે એક પિતાને છાજે એવી માયાળુ રીતે એવું સૂચન કર્યું કે મારે એને મેયરનો પાસ[૧] કઢાવી લેવા સલાહ આપવી. મેં જણાવ્યું કે એવો પાસ જરૂરી નથી છતાં એમની સૂચનાને માન આપીને હું તેમ કરીશ. પ્રતિવાદીના ઉપર હવે ટાઉનકલાર્કનો જવાબ આવી ગયો છે કે તે કારકુન અને રવિવારની શાળાનો શિક્ષક હોવાથી અને તેના ઉપર કદી કોઈ ફોજદારી ગુનાનો આરોપ મુકાયો નથી એટલે તેને પાસ કાઢી આપવામાં નહીં આવે. જો તે રાત્રે નવ વાગ્યા બાદ બહાર નીકળવાને લાયક નહીં હોય તો


  1. ૧. પરવાનગી માટે નો.
પછી તે રવિવારની શાળાનો શિક્ષક થવાને પણ લાયક નહીં ગણી શકાય. સહેજે કોઈ એવું

માનશે કે એને માટે કુમળી વયનાં બાળકોનું ચારિત્ર્ય ઘડનારા રવિવારની શાળાના શિક્ષક બનવા કરતાં રાત્રે નવ વાગ્યા બાદ બહાર નીકળવાનું ઓછું જોખમકારક છે. સુપરિન્ટેન્ડેન્ટ કહે છે કે એમના પોલીસદળે "કદી આરબ વેપારીઓ અથવા બીજા સન્માનપાત્ર બિનગોરા લોકોને રાતને વખતે કનડગત કરી નથી." શું આ બે છોકરાઓ "બીજા સન્માનપાત્ર બિનગોરા માણસો"ની હરોળમાં મુકાવાને લાયક નથી? હું એમને અરજ ગુજારું છું અને આજીજીપૂર્વક એ વાતનો સારી રીતે વિચાર કરવા કહું છું કે એમણે પોતે આ બે છોકરાઓને ગિરફતાર કર્યા હોત ખરા કે? એમના પોતાના શબ્દોમાં હું કહું છું કે "જો એમનું આખું દળ એમના જ જેટલું વિચારશીલ અને દયાળુ હોત તો કોઈ મુશ્કેલી રહેતે નહીં."

હું માનું છું કે, મારા 'ખુલ્લા પત્ર' વિષે લખતાં આપે એવું કહેવાની કૃપા બતાવી હતી કે સાચી ફરિયાદવાળા દાખલાઓમાં આપ ઝટ સહાનુભૂતિપૂર્વક ધ્યાન આપશો. આપ આ મામલાને સાચી ફરિયાદરૂપે ગણો છો ખરા? જો આપ ગણતા હો તો હું આપની સહાનુભૂતિની માગણી કરું છું જેથી ઉપર દર્શાવ્યા છે એવા દાખલા ફરીથી બનવા ન પામે, જેઓ મારી સલાહની દરકાર રાખે એવા સન્માનપાત્ર હિંદી યુવાનોને તેમના માલિકો પાસેથી પાસ કઢાવી લેવાની સલાહ આપવાનું મને મુશ્કેલ લાગ્યું છે. મેં તેમને રાત્રે ફરવાની છૂટ આપતો મેયરનો પાસ કઢાવવા સલાહ આપી છે. પણ પહેલી અરજીનો જવાબ નકારમાં મળ્યો છે એટલે એને લઈને બીજાઓનો ઉત્સાહ મંદ પડી ગયો છે. જો જાહેર જનતા આવી ધરપકડો બાબતમાં સંમતિ આપે તો પછી મૅજિસ્ટ્રેટનો વિરોધી અભિપ્રાય હોવા છતાં, પોલીસને એવું ફરી ફરીને કરવાને ઉત્તેજન મળવા સંભવ છે. એટલા માટે અખબારો પોતાના વિચારો પ્રગટ કરીને કાં તો દેખીતી રીતે આબરૂદાર હિંદીઓ માટે છૂટછાટ આપતો મેયરનો પાસ કઢાવવાનું સહેલું બનાવે અથવા પોલીસને માટે ફરી ફરીને આવી ધરપકડો કરવાનું લગભગ અશકય બનાવે. કૉર્પોરેશન ઉપર કેસ માંડવાનો પણ એક રસ્તો છે ખરો. પરંતુ તે રસ્તો છેલ્લા ઉપાય તરીકે લેવા જેવો છે.

હુ છું, વગેરે

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, ૬-૩-૧૮૯૬