જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પહેલો

← અંક બીજો - પ્રવેશ સાતમો જયા-જયન્ત
અંક પહેલો - પ્રવેશ ત્રીજો
ન્હાનાલાલ કવિ
અંક ત્રીજો - પ્રવેશ બીજો →




અંક ત્રીજો


પ્રવેશ પહેલો

સ્થલકાલ:હરિકુંજમાંનો જયન્તનો આશ્રમ




બ્રહ્મચારીઓનું ગીત:

વનવનના અન્ધારાં વામશે, હો ! આવશે એવાં કો આભનાં તેજ; હો ! સન્તજી ! એવાં કો દેવનાં તેજ.

જેવો વિશ્વપ્રકાશી વ્યોમ વિકસે પ્રાતઃસમેનો રવિ, જેવો રાત્રિ સુહાવી ચન્દ્ર ચમકે પીયૂષનો રાજવી, જેવાં એ કિરણો અનસ્ત ધ્રુવનાં આવન્ત મિષોન્મિષે, એવાં વર્ચસ્ બ્રહ્મનાં ઉતરશે, અન્ધાર ઉજાળશે.

જગજગનાં અન્ધારાં વામશે,

હો ! આવશે એવાં કો દેવનાં તેજ;

ઉરઉરનાં અન્ધારાં વામશે,

હો ! આવશે એવાં કો બ્રહ્મનાં તેજ;
હો ! સન્તજી ! એવાં કો બ્રહ્મનાં તેજ.

(કોઈ બ્રહ્મચારી યોગ, કોઈ વેદમન્ત્ર, કોઈ વીણા, કોઈ ઔષધિ ઉપાસે છે. જયન્ત પધારે છે.)

બ્રહ્મચારીઓ : શ્રી સદ્ગુરુનો જય !

જયન્ત : જય પ્રભુનો, મનુષ્યનો નહિ.

પહેલાં પ્રભુ, પછી ત્હેના સન્તો.
બોલો શ્રી બ્રહ્મજ્યોતિનો જય !

બ્રહ્મચારીઓ : શ્રી બ્રહ્મજ્યોતિનો જય !

જયન્ત : (એક બ્રહ્મચારીને)

ત્હમે કોના બ્રહ્મચારી ?

બ્રહ્મચારી : હું ધનવન્તરી ભગવાનનો બ્રહ્મચારી.

જયન્ત : પુત્ર ! દેહની પેઠે

દેહીની દવાઓ યે શોધજે.
દિલના ઘાની વેદના વસમી છે.
(બીજા બ્રહ્મચારી પાસે જઈ)
મા વીસરશો કદી પણ, તાત !
સમાધિ ને સિદ્ધિઓ પણ સાધન છે.
ઉદાર પ્રેમાળ બલિષ્ઠ
મહાજ્યોત આત્મા થાય
એ જ છે સર્વ શાસ્ત્રોનું લક્ષ્ય.
(આગળ ચાલીને અન્યને)
શોધો વિશ્વના છૂપા ભેદ:
ઉઘાડો હળવે હાથે હૈયાં
પરમ ભંડારી પ્રકૃતિ માતાનાં
ને પીઓ તેની અમૃતધારાઓ
અનેકસર ને અક્ષયઝરણી
બ્રહ્માંડ સકલ બ્રાહ્મણ કાજે છે;
ને બ્રહ્મવતી તે સર્વ બ્રાહ્મણ.
ધાવ્યાથી ધાવણ નહીં ખૂટે.
પણ કોતરી રાખજો
હૈયાની કોર ઉપર,
સુખ તે કલ્યાણ નથી સદા.
(એક બ્રહ્મચારી આગળ આવી નમસ્કાર કરીને)

એકબ્રહ્મચારી :

नाहं जानामि केयूरं,
नाहं जानामि कुंडलम ;
नूपुरुं चैव जानामि,
नितं पादाभिवन्दनात्।
પિતા ! એ શ્લોકનું ભાષ્ય-

જયન્ત : પિતૃઆજ્ઞાપાલક વીરપુત્ર રાઘવ,

રાજ્યત્યાગી માતૃત્યાગી ભરત જોગી,
સતિકુલતિલક પરમ સાધ્વી સીતાજી,
ભક્તશિરોમણી નૈષ્ઠિક બ્રહ્મચારી હનુમાન:
એ સઘળું સ્હમજાય, કુમાર !
તો સરલ છે સ્હમજવો
લક્ષ્મણજીનો એ ભીષ્મ જીવનયોગ.

બ્રહ્મચારી : કંઈક ઝાંખી થઈ, મહાત્મા !

જયન્ત : એવો યુગે આવશે અવનીમાં

કે મહાત્માઓનાં મહાજીવનને
કેવળ કવિતા માનશે માનવી.
અધૂરા આત્માના વામનજીઓ
માપશે પોતાની ઉંચાઈએ
મહાવીરોના વિરાટશરીર.
આપણી દૃષ્ટિ છે
એટલું જ કાંઈ આભ ઉંચું નથી.
(કાશીરાજ દર્શને આવે છે.)
પધારો રાજેન્દ્ર ! વિરાજો મૃગચર્મે.
(એક શિલા ઉપર એક કુમાર મૃગચર્મ પાથરે છે. નમન નમી રાજેન્દ્ર તે ઉપર બિરાજે છે. રાજપરિવાર ફરતો ઊભો રહે છે.)
કલ્યાણ થાવ સહુનું,
તીર્થરાજ ! કાંઈ વાર લાગી આજે?

પરિજનમાંથી એક : સ્નેહયાત્રાનો શ્રમ હતો, દિલમાં ને દેહે ય તે.

સ્નેહને આણે પધાર્યા હતા રાજેન્દ્ર.

જયન્ત : સ્નેહના શ્રમ સહુના ફળજો !

સિધાવો, મા રોકાવ આજ
સ્નેહીની સેવા કરો;
સેવાનાં ફાળ ફળશે ત્હમારાં
જાવ, પૂર્ણિમા ઉગશે પૃથ્વી ઉપર
કે પૂર્ણિમાના ચન્દ્ર સમોવડ
સોળે પાંખડીએ પ્રકાશતો યુવરાજ
અજવાળશે રાજમહેલને
દેવ પ્રગટશે પ્રાસાદમાં રમવા.
(સ્વગત)
આજ મ્હારા યે સળકે છે
ઉરના મહાસાગર:
જાણે ક્ષિતિજ પાછળ
ચન્દ્ર ઉગતો હોય ને !

કાશીરાજ : (ઉઠી અંજલિ કરી રહીને)

મહાત્માનાં આશીર્વચન પામ્યો,
કાશીનો-મ્હારો ભાગ્યોદય વાંચ્યો
એ પૂર્ણિમા પ્રગટશે પૃથ્વી ઉપર
બ્રહ્મર્ષિનાં બ્રહ્મવચનથી.
(સહપરિવાર કાશીરાજ જાય છે.)

એક બ્રહ્મચારી :

चित्तवृत्तिनिरोधः योगः
એ ભગવાન પતંજલિનું વેણ;
चंचलं हि मनः कृष्ण ।
प्रमाथी बलवत् द्ढम् ।
तस्याहं निग्रहं मन्ये
वायोरिव सुदुश्करम् ॥
એ ગીતાજીનું વ્યાસવચન.
એ વચનોનો સમન્વય સ્હમઝાવશો?

જયન્ત : સન્ધ્યાકાલે આવજે, પુત્ર !

સિદ્ધોના સમાધિઆરે
વૃદ્ધ યોગીન્દ્ર સ્હમજાવશે સહુ.
અત્ય્હારે સ્નાનનો સમય થયો છે.
(બહાર કોલાહલ)
'બ્રહ્મર્ષિની આજ્ઞા છે કે
ડૂબેલાંને યે તારવા.'
(સહુ બ્રહ્મચારીઓ ધાનસ્થ ઉભે છે)
(એક બ્રહ્મચારી નિત્યપાઠ ભણે છે )
धैर्यं यस्य पिता, क्षमा च जननी, शान्तिश्विरं रोहिनी,
सत्यं सूनुरथं, दया च भगिनी, भ्राता मनस्संयमः ।
शय्या भूमितलं दिशोsपि वसनं, ज्ञानामृतं भोजन
मेते यस्य कुटुंबिनो वद, सखे ! कस्मात भयं योगिनी: "

જયન્ત : મ્હારા જોગીઓને ભય નથી કદા:

જાવ, ને જીતો જગતને.
(બ્રહ્મચારીઓ જાય છે. કેટલાક બીજા બ્રહ્મચારીઓ એક સુન્દરીને જલનીતરતી ઉંચકી આવે છે )

એક બ્રહ્મચારી : (આગળ દોડી આવી)

પિતા ! મધ્યજલમાં ડૂબકીદા ખેલતા હતા,
ત્ય્હાં એક ડૂબકીમાં આ રત્ન લાધ્યું
જીવનદોરી નથી તૂટી;
આશ્રમમાં લાવ્યા છીએ ઉગારવા.
(જયન્ત પાસે જઈ સુન્દરીને નીહાળે છે, ખમચે છે, ઘડીક વિચારગર્તમાં ડૂબે છે, પળમાં સચેત થાય છે. )

જયન્ત : (લલાટના સ્વેઅબિન્દુ લ્હોતાં લ્હોતાં)

નોરર્થક નથી સરજ્યું કાંઈ હરિએ.
જીવશે આ સુન્દરી, ને જીવાડશે.
યોગગુફામાં યોગાસન ઉપર સૂવાડો
સિંહચર્મ ઓઢાડાજો એમને
(બ્રહ્મચારીઓ જાય છે. જતાં જતાં )

એક બ્રહ્મચારી : બ્રહ્મર્ષિને પરિસ્વેદ પ્રગટ્યો સ્હવારમાં.

બીજો બ્રહ્મચારી : લલાટ ઉપરના તારલિયાના

એ તો અક્ષય બ્રહ્મલેખ.
(સુન્દરીને લેઈ યોગગુફામાં જાય છે)

જયન્ત : એ તો જયા ! જગતની જ્યોત;

પુણ્યની જાહ્નવી : સાધ્વીઓનું સંજીવન.
આ દશા ? આ દશા કેમ ?
શી વાર્તા હશે ગિરિદેશની ?
ઉઘડો, ઓ કાળના પડદાઓ !
ને કહો એ કથની.
બ્રહ્મચારીઓ ઉગારી રાજકુમારીને.
યોગની ઉષ્મા અર્પું,
આત્મચેતના પાઠવું
જાગશે ને તપશે જગત ઉપર.
(આમાતત્ત્વની આશિષલહરીઓ પાઠવે છે.)
યોગી ! યોગ તો અડગ છે ને ?
ચાલા ત્ય્હારે યોગ ગુફામાં
સૃષ્ટિની સકલ સુન્દરતાની સન્મુખ.
(પડદો ફાટી યોગગુફા ઉઘડે છે. સિંહચર્મ આચ્છાદિત જયા કુમરી યોગાસન પર પોઢેલ છે. નેત્ર ખુલ્લાં છે, પણ ચેતના નથી જાગી હજી.)
પોઢી છે યોગાસને
પૃથ્વીને પરમ પવિત્રતા.
શી ઝબકી રહી છે
નયનોમાં રમતી એ વીજળી !
(અંજલી કરી રહીને)
એક જ્વાલા જલે તુજ નેનનમાં,
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
એક વીજ ઝલે નભમંડલમાં
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
મધરાતના પહોર અઘોર હતા;
અન્ધકારના દોર જ ઓર હતા;
તુજ નેનમાં મોરચકોર હતા
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં;
અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા ! લોચન લોચન માંહી ઢળ્યા;
રસજ્યોત નિહાળી નમું-હું નમ

:::: દગબાણથી પ્રારબ્ધલેખ લખ્યો;

કંઈ પ્રેમીએ પ્રમપથી પરખ્યો;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
રસજ્યોત નિહાળી નમું-હું નમું;
ન ભાગી પડ, ઓ શરીરના માળખા !
ન ફૂટી જાવ, ઓ અમ્મર આત્મા !
આ તો દેહનું છે શબ;
નથી ચેતનના બ્રહ્મમહેલ.
ચેતજે, ઓ જયન્ત ! ચેતજે,
પાપ તે પ્રેમ નથી.
દીર્ઘ કાલનાં દીધેલાં દ્વાર,
બ્રહ્માંડનાં બ્રહ્મદરવાજાં સમાં, ઉઘડ્યાં
લોચનના એક કિરણ માત્રથી.
થંભો, ઓ દેવને યે દૂભતા કામદેવ !
થંભો બારણાની બહાર.
આ જોદ્દો જૂદો છે.
યોગેશ્વરે અંગ બાળી અનંગ કીધો.
અનંગની યે ભસ્મ કીધી
આપીશ ખાખ મ્હારા ખાખીઓને;
ચોળશે ત્હેને નહિ વાગે
કામણગારી કો કીકીના ડંખ
(કુમળો પડી)
આ દશા !
ચન્દ્રિકા નીતરેલો જાણે ચન્દ્રમા.

ગિરિદેશ ! ત્હમારી રાજકુમારી;
રાજપિતા ! ત્હમારા કિરીટની કલગી;
રાજમાતા ! ત્હમારા હૈયાની સ્નેહકલા;
નિરખો આ નીરની પથારીમાંથી ઉઠતી.
હિમાદ્રિમાં પૂર્ણિમા પ્રકાશતી,
ને શિખરશિખરમાંથી તેજપ્રવાહ,
દેવનયનોનાં અમૃતપૂર સમાં, ભભૂકતા;
જયા ! ત્ય્હારે ત્હારી યે પૂર્ણિમા ખીલતી,
અંગાંગનાં શિખરમુખમાંથી
આત્માના અમીધોધ ઉછળતા
(નિશ્વાસ મૂકે છે)
ગયું, સહુ ગયું તે.
માત્ર સ્મરણો જ રહ્યાં
ભૂતકાલનાં ભોગવેલાં સ્વપ્નાંઓનાં
(સ્વસ્થ ચિત્તે)
સિધાવો, સિધાવો , રતિનાથ !
આ ગુફા તો યોગીઓની છે.
(જયન્તના માતાપિતા પિતૃલોકમાંથી બ્રહ્મલોકમાં જતાં જતાં ઘડી થંભે છે, પુત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. જયા જરા હલે છે.)

પિતા  : દેવી, पुत्रात शिष्यात् पराजयः

આપણો મોક્ષ આજે થયો.

માતા  : આર્ય ! પુત્ર એટલે પ્રગતિ;

અધૂરો મૂક્યે હોય
સંસારનો યજ્ઞ માતતાતે,
ત્ય્હાંથી આદરી પૂરો કરે તે.
આજ આપણા જીવનયજ્ઞની પૂર્ણાહુતિ.
પુત્રે દીધાં પુણ્ય જીવનનાં તર્પણ,
ને જગદુદ્વારની શ્રદ્ધાંજલી.

પિતા  : એથી જ આપણી મોક્ષતિથિ.

માતા  : પુત્રનું મુખ નિરખ્યું

ત્ય્હારે જ નિરખ્યા હતા દેવ ત્ય્હાં.

પિતા  : પૂજી લ્યો ત્ય્હારે પુત્રને.

પુત્રપૂજા એટલે પ્રગતિની પૂજા.
આશીર્વાદ દ્યો પુત્રધનના સૌને
કામવિજય તો યોગજીવનનો પાયો છે

પિતા-માતા : સંસારીઓ ! એવાં સન્તાન પામજો કે

માતા પિતાનાં અધૂરાં મૂકેલાં
આરંભી પૂરાં કરે.

(ફરી પુષ્પવૃષ્ટિ કરે છે. જયા આળસ મરડી ઉઠે છે, ને જયન્તને નિરખી ઓળખે છે.)

જયા : કોણ ! જનમનો જોગી જયન્ત ? (જયન્તને માથે જયનો ક્યોત મુગટા પ્રગટે છે. તે નિહાળી આનન્દતા પિતૃલોકવાસીઓ બ્રહમલોકમાં સિધાવે છે.)