← લૂંટાતો સંઘ ઠગ
છાવણીની પાડોશમાં
રમણલાલ દેસાઈ
૧૯૩૮
પાછા છાવણીમાં →


૧૯
 
છાવણીની પડોશમાં
 


મુખ્ય સાધુએ પેટી હાથમાં લીધી. તેણે મશ્કરીમાં શેઠાણીને આર્શીવાદ આપ્યો :

‘એકના અનેક થજો. બાઈ ! સાધુને દાન આપવાથી ઈશ્વર પ્રસન્ન રહે છે. શેઠને જરા શિખવાડજો કે હાથની મૂઠી સહજ હલકી કરે.’ બાઈ બિચારી કાંઈ બોલી નહિ.

રામચરણ શેઠ પાસે જઈ તે સાધુ બોલ્યો :

‘શેઠ ! આ વખત તો જીવતા રહ્યા છો, પણ હવે સંભાળજો. વ્યાજમાં ગરીબો અને વિધવાઓને માફી આપજો ! અને રાજારજવાડાનાં ઝવેરાત પચાવી જવાની દાનત મૂકી દેજો નહિ તો ફરીથી બચશો નહિ.’

શેઠને ગળેથી ફાંસો ખસ્યો અને તે સાથે સહુના ગળામાંથી ફાંસો કાઢી નાખવામાં આવ્યો. જીવ બચ્યો જોઈ સહુના હૃદય પ્રફુલિત થયાં, પરંતુ રામચરણનું મુખ પ્રફુલ્લિત ન બન્યું, જીવતા રહ્યાનો આનંદ તેમને થયો હોય એમ લાગ્યું નહિ. અડધું સંભળાય અને અડધું ન સંભળાય એવી ઢબે તેમણે લૂંટનારને શાપ આપ્યો, જે સાંભળી ફરી પાછા સાધુઓ હસી પડ્યા. નિર્માલ્ય શાપના જેવી હસવા લાયક કોઈ પણ ચીજ નથી.

સાધુઓએ જવા માંડ્યું. તેમની નાની નાની ધૂણીઓ જ્યાં ત્યાં ધુમાતી પડી રહી. મને લાગ્યું કે કદાચ આમ છૂટવાથી પેલા રખેવાળો અને સંઘના પુરુષો ઠગ લોકો ઉપર તૂટી પડશે. મેં આઝાદને મારી શંકા જણાવી. પરંતુ આવા કાર્યમાં આખું જીવન ગાળનાર આ ઠગ પોતાનો ભોગ થઈ પડેલા ભયગ્રસ્ત સમૂહને મન મારી કરતાં વધારે સારી રીતે પારખી શકે એમ હતું.

‘મગદૂર નથી કે હવે કોઈ સામનો કરે !’ આઝાદે જણાવ્યું. રખેવાળોની હિંમત ચાલશે જ નહિ. અને સંઘના માણસો તો વેપારી વર્ગનાં છે. એ શું સામા થઈ શકે ? અને રખેવાળોને ફાંસામાં નાખ્યા ત્યારે ઘણાંયે માણસો અમે છૂટાં રાખ્યાં હતાં. કોઈએ કશું જ ન કર્યું. એક પેલા પાણીવાળા સવાર સિવાય. એટલે હવે કોઈથી બોલાય એવું છે જ નહિ.’ હું વિસ્મય પામ્યો ! આટલા બધા મર્દો જીવતા છે છતાં નજીવી સંખ્યામાં આવેલા ઠગની સામે કોઈ આંગળી ઊંચી કરી શક્યું નહિ અને નિશ્ચિંતપણે ઠગ લોકો લૂંટ કરીને પસાર થયા. હિંદુસ્તાનના સામાન્ય પુરુષવર્ગમાં આવા નામર્દો હશે એની મને ખબર નહોતી. અંગ્રેજો પણ વેપારી જ હતા; પરંતુ કલમ બાજુએ મૂકી તલવારને વાપરતાં તેમણે કદી સંકોચ ધર્યો નથી. હિંદમાં વેપારી વર્ગને તલવારનું સ્વપ્ન પણ આવતું નહિ હોય ! અને સર્વદા શારીરિક બળવાળાથી લૂંટાવામાં તેમને શરમ પણ નહિ આવતી હોય એ જાણી મને સહેજ હસવું આવ્યું. મને હજી પણ ખાતરી નહોતી થતી કે સાધુઓ વગર હરકતે આમ પસાર થઈ શકે.

‘ધારો કે આ લોકો તમારા ઉપર તૂટી પડ્યા, તો ?' મેં આઝાદને કહ્યું.

'તેવો પ્રસંગ હજી આવ્યો નથી.' આઝાદે જણાવ્યું. ‘અને કદાચ તેમ થાય તો દરેક સાધુની ઝોળીમાં કટાર છે જ ! એ કટારની ઝડપમાંથી કોઈ બચે એમ નથી. વળી હું તથા ગંભીર આ બધા માટે પૂરતા છીએ.'

સાધુઓ પસાર થઈ ગયા. સાથે ગંભીર પણ ગયો હતો. એમ લાગ્યું. આઝાદને હજી સંઘવાળા લોકો તો માત્ર મારા સાથી તરીકે જ ગણતા હતા, અને અમારી નજર આગળ ઠગ લોકોએ પોતાનું પરાક્રમ દેખાડ્યું. એમ જાણી ઠગ લોકોની ભયંકર શક્તિને અણગમતે તારીફ કરતા હતા.

આઝાદે મને કહ્યું : ‘ચાલો, પેલા શેઠની પાસે જઈએ. હું અને આઝાદ રામચરણની પાસે ગયા. સઘળા લોકો શેઠનું સમાધાન કરવામાં રોકાયા હતા. તેમનો ગુસ્સો ખાસ કરીને રખેવાળો ઉપર ઊતર્યો હતો :

'આટલા પૈસા ખરચી રખેવાળો રાખ્યા અને તે કાંઈ જ કામ લાગ્યા નહિ. મારા ખરચેલા પૈસા પાણીમાં ગયા અને મારું ધન લૂંટાઈ ગયું !' આમ તેઓ બોલતા હતા.

મને જોઈને તેઓ વધારે ઊકળી ઊઠયા :

‘આ સાહેબ અહીં છતાં ઠગ લોકો મને લૂંટી ગયા ! નકામા લશ્કરો લઈને ફરો છો અને રૈયતને ગરદન મારો છો. આટલા ઠગ લોકો તો સચવાતા નથી ! રાજ્ય શાનું કરો છો ? તમારે લીધે તો અહીં મુકામ કર્યો. નહિ તો આગળ જાત. !’

ધનલોભી મનુષ્યનું ધન જાય એટલે તેને આખી દુનિયા સાથે કજિયો કરવાની ઇચ્છા થાય છે. મને તેનું કહેવું છેક ખોટું ન લાગ્યું. મને જોઈને જ આ લોકોએ અહીં મુકામ કર્યો હતો, છતાં તેમના વિશ્વાસને લાયક હું નીવડયો ન હતો. મારા મનને ખોટું લાગ્યું, પરંતુ બીજો ઇલાજ ન હતો.

આઝાદે કહ્યું :

‘શેઠસાહેબ ! તમારું ધન અમે બચાવી શક્યા નહિ એ માટે દિલગીર છીએ. અમારું લશ્કર સહજ દૂર છે. હજી જો બચવાની ઇચ્છા હોય તો ત્યાં જઈને રાતવાસો કરો. ઠગ લોકોનો શો વિશ્વાસ ?’

‘હું તો હવે લૂંટાઈ ગયો. મારું ખરું ધન ચાલ્યું ગયું. હવે જ્યાં પડી રહીશ ત્યાં ચાલશે.’ શેઠે જવાબ દીધો.

પરંતુ સંઘના બીજા માણસોની પાસે થોડુંઘણું લૂંટાવા જેવું ધન હતું જ એટલે તેમને ડર રહ્યા કરતો હતો કે રખે ઠગ લોકો પાછા આવે. ધનની લૂંટ અને જીવનું જોખમ એ બેમાંથી એકે સહન થાય એમ ન હતું. એટલે આઝાદની સલાહ પ્રમાણે લશ્કરની બાજુએ જઈ રાતવાસો કરવાનો સહુએ નિશ્ચય કર્યો.

મેં પૂછ્યું :

‘આઝાદ ! તમે કહો છે તે મુજબ ખરેખર અમારું લશ્કર અહીં જ છે, ખરું ?'

‘આપની સાથે હું જૂઠું નહિ બોલું. હું આપની દોસ્તી ચાહું છું. જુઓ, સામે અંધારામાં પેલી ઘટા નીચે થોડું અજવાળું જણાય છે. આપ ત્યાં પધારો, એ આપની જ છાવણી છે. હું પાછો મળીશ. મટીલ્ડાની વાત ભૂલશો નહિ. સમરસિંહને હું નહિ ભૂલું.’