← ઘાએ ચડાવેલી તુલસી-ક્યારો
કંચનને હમેલ !
ઝવેરચંદ મેઘાણી
અસત્ય એ જ સત્ય →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ છત્રીસમું
કંચનને હમેલ !


કંચન તે દિવસે પણ ચાલી ગઈ. અને સાંજે જ્યારે ડોસા ઘેર જમવા ગયા, ત્યારે તેણે એક પોલીસ ઓફિસર જેવા દેખાતા મણસને ઘરની બહાર નીકળતો જોયો.

'આ તમારા પિતા કે ?' બહાર નીકળતે નીકળતે એણે વીરસુતને પૂછ્યું.

'હા.'

'એમને પણ ચેતાવી રાખજો.'

'વારૂ.'

વીરસુત એને વળાવીને પાછો ફર્યો ત્યારે ડોસાએ હાથપગ ધોઇ કરીને પાછલી પરશાળની બેઠકમાં બેઠ બેઠે પુત્રને વાત કરી.

'તેં સાંભળ્યુંને ભાઇ, વહુ હમણાં હમણાં દવાખાને રોજ બે વાર આવે છે.'

'હા !'

'શરીર બહુ નખાઈ ગયું છે.' 'હશે !'

'મેં કહ્યું કે હવાફેર કરવા દેશમાં ચાલો, તો કહે વીરસુતની રજા જોઈએ.'

'તમારે શા માટે એ વાતમાં ઊતરવું જ જોઈએ ?'

'ના-એમ કાંઇ નહિ- મારે તો કંઇ નથી - પણ-નરમ ઘેંસ જેવી થઇ ગઇ છે હો ભાઈ ! ને તારો જનમારો આમ એકલ પંડે ક્યાં સુધી કપાશે ?'

'બાપુજી, એની વાત પર ચોકડી મારો.'

'એકડો મૂકી શકાય એવી મને આશા છે ભાઇ !'

'વધુ વાત નથી કરવી. આંહીં હમણાં જ પોલીસ અમલદાર અવેલો. તેણે શું કહ્યું ખબર છે ?'

'શું ?'

'ભયાનક ! બાપુજી, છેટે રહેજો એ સ્ત્રીથી, નીકર ફસાઇ પડશો.' વીરસુતે પોતાના બે હાથનો ખોબો વાળી મોં પર ઢાંકી દીધો.

'પણ શું છે એવડું બધું.'

'એને ઓધાન છે ચાર મહિનાનું. ને એ પડાવવા મથે છે.'

વૃદ્ધનું મસ્તક, ગરદન પર કોઇકે ઝાટકો લગાવ્યો હોય તેમ, છાતીએ ઢળ્યું.

એકાએક આંખો પરથી હાથ ઉઠાવી લઇને વીરસુતે ઊંચે જોયું. એના મોં પર કુટિલ ઉલ્લાસ હતો. એ ઊભો થઇ ગયો. એણે ખીંતી પરથી કોટ ઉતારી પહેરવા માંડ્યો. 'ક્યાં જવું છે ભાઇ ?' પિતાએ ચિંતાભેર પૂછ્યું.

'વકીલ પાસે. હવે મોકો આવી ગયો બાપુજી ! મારા છુટકારાની ઘડી આવી પહોંચી. હું એની સાથેના લગ્નબંધનથી હવે કાયદાની મદદ લઈ છૂટો થઈ શકીશ. છુટાછેડાનો કાયદો જે એક જ વાત માગે છે તે મને મળી ગઈ.'

'ઊભો રહે, જરા થોભ. થોડી વાર હેઠો બેસ ભાઇ !'

'શું છે, કહો. '

'આપણે વિચાર કરીએ.'

'વિચાર તો હું એક વર્ષથી કરતો હતો.'

'એક બે દિવસ વધુ વિચાર કરીએ. આનાં પરિણામ વિચારીએ. આમાં કોની જાંઘ ઉઘાડી થાય છે, આપણી પોતાની કે બીજા કોઇની, તે વિચારીએ.'

'સડેલી જાંઘ હરકોઈની હોય, આપણી પોતાની હોય તો પણ ઉઘાડી કર્યે જ આપણું શ્રેય છે.'

'તારી ભૂલ છે ભાઇ ! સડેલી જાંઘના ભવાડા ને દેખાડા ન કરાય. એના ઉપચાર એકાંતે અને ગુપ્તપણે જ શોભે.'

'હું આવાં લગ્નોની આખી સંસ્થા પર જ આક્રમણ કરવા માગું છું, બાપુજી ! હું મારી જાતને જ દૃષ્ટાંત બનાવીને સૌને ચેતવનાર છું. આ સ્વયંવરની માછલાંજાળ, આ મિત્રધર્મની હરામખોરી, આ મુક્ત જીવનની દાંભિકતા, એ તમામને હું ઊઘાડાં પાડીશ.'

'રહેવા દે ભાઇ, રહેવા દે, એ વીરતા અહીં ઘરની અંદર જ સારી છે. દુનિયા વચાળે જઇને જેવો તું ઊભો રહીશ ને, તેવાં જ તારાં શૌર્ય હેઠાં બેસી જશે. ને મને તું મારી રીતે કામ લેવા દે, તારા જ્યેષ્ટારામ મામાને પણ પૂછી જોવા દે. એ ડાહ્યું માણસ છે; એ માર્ગ દેખાડશે. બાકી બાંધી મૂઠી ઉઘાડી પડી ગઈ, પછી દુનિયા તો ફરી તારી છાતી માથે જ ચડી બેસશે ભાઇ! એક વર્ષ પૂર્વેનો અનુભવ યાદ કર. આપણે જ્યેષ્ટારામને પૂછીને પાણી પીએ.'

પાછલી પરશાળના જમણા પાર્ટીશન પાછળથી એક અવાજ આવ્યો. 'ગમ ખાવાની ટેવ નહિ ના ! હે-હે-હે-હે-બધી વાતમાં તડ ને ફડ કરવાની જ ટેવ હે-હે-હે-હે.'

આ હાસ્યભર્યો સ્વર અંધા દવે જ્યેષ્ટારામ મામાનો હતો.

'ઓ જો બોલ્યો તારો મામો. સાંભળી ગયો લાગે છે. બોલાવું ? અલ્યા જાની, જરા આંહીં આવ તો.'

જ્યેષ્ટારામે હળવે પગલે, કશી જ ઉતાવળ વગર ખોટેખોટો હાથ દીવાલે મૂકતે મૂકતે, ને એક બે લથડિયાં ખાતે ખાતે, આવી પહોંચીને નીચે બેસી જઇ, અંધાપાનો વેશ કરતી આંખોના મચકારા મારીને પરભારી એક વાર્તાની જ શરૂઆત કરી દીધી-

'અમારા ગામમાં જુગલકિશોરની દીકરા-વહુને, દીકરો પાંચ વર્ષથી આફ્રિકા ગયેલો, તેની ગેરહાજરીમાં, આ જ રીતે પગલાં આઘાંપાછાં પડી ગયેલાં. પછી મને તેડાવેલો. આવી બાબતમાં આંધળા માણસનું ધ્યાન વધારે પોંચે. મને તેડાવ્યો ફાગણ શુદ પાંચમની રાતે, મારે જે સલાહ દેવી'તી તે દેઈને હું ઘેરે આવ્યો, ને વળતા દિ'ને પરોડિયે તો ભાઈ વીરસુત, તારી મામીને બાયડીઓ તેડવા આવી કે હાલો આભડવા, જુગલકિશોરના દીકરાની વહુ પાછી થઈ ! મેં ઉચ્ચાર્યું કે 'શિવ ! શિવ ! કેવી દૈવગતિ ! બાપડીને પૂનમે તો ધણી પાસે આફ્રિકા મોકલવી હતી. પોટુગરાપ પણ લેવરાવી લીધો'તો, ને પાસપોટ પણ કઢાવી વાળ્યો'તો. આમ બોલીને હું પણ જુગલકિશોરને ઘેર જઇ પોકેપોકે રડ્યો'તો. બાઇ બાપડી મારેય નજીકની ભત્રિજી થતી'તી ! શું કરીએ ભાઇ ! માનવ-દેહ તો રામચંદ્રજીના કાળમાં ય ક્ષણભંગુર હતો ને ! જુગલકિશોરને પકડારીને મેં ઊભો કર્યો'તો તે દા'ડે, કે દીકરા જેવી વહુનું જીવતર જેવું ઊજળું હતું તેવું જ હવે તું બાપ ઊઠીને તેનું મૃત્યુ ઉજાળ મૂરખા ! ખબરદાર, જો વહુની ચેહ પર છાણું પણ લગાડ્યું છે તો. ઘીએ ને સુખડે બાળવાં છે. અને પુણ્ય કરવામાં પાછું ન જોતો હો જુગલા જાની ! આ એમ કહી બે ડબા બાઈની ચિતા પર બળાવ્યા મેં, ને બે ડબા પોલીસ-થાણે પોંચાડ્યા. તેરમાને દા'ડે તો આફ્રિકે બેઠેલ દીકરાનું મોં સરખું ય જોયા વગર પચીસ ઘરનાં શ્રીફળ આવી ઊભાં. આમ, ભાઈને કહું કે રસ્તા તો અનેક છે, સમતાનાં ફળ મીઠાં છે, મૂળ વાત તો આપણા ઘરના માણસને હાથ કરી લેવાની છે. તે પછી આપણા ઘરને ખૂણે આપણે શું કરવું ને શું ન કરવું તે તો આપણા હાથની વાત છે ને ! રસ્તા તો અનેક છે- એક જ રાતમાંય માર્ગ નીકળે, ને પંદર વીસ દા'ડાની મુદ્દત પણ નાખી શકાય.'

આટલું વ્યક્તવ્ય, બજારની વસ્તુના ભાવતાલની વાત કરતા વેપારીની ઠાવકાઇથી, એકસામટું પૂરું કરીને જ્યારે જ્યેષ્ટારામ મોંના દાંત ભીડીને હસતો હસતો ઊંચે જોઈ રહ્યો, ત્યારે એનાં ગલોફાંમાં દેખાતા રહ્યાસહ્યા દાંત ભોંયરામાં લપાયેલા ડાકુઓ જેવા ભીષણ ભાસ્યા.

'ઠીક જાની ! બહુ થયું ! જા ભા જા !' વીરસુતના પિતાએ મૂંગો ઠપકો દઇને સાળાને વળાવ્યો.

'ના રે ના, કાંઇ ફીકર નહિ, એમાં ક્યાં હું દૂબળો પડી જાઉં છું બાપા ! ને વળી મેં એક નીંદર તો કરી પણ લીધી છે. જરૂર પડે તો બોલાવજો. હું તો નાખોરાં ઘરડતો હોઉં ત્યારેય સાદ સાંભળી શકું છું. બિલાડીનાં પગલાંય મને ભરનીંદરમાં સંભળાય છે. ને કશી ફીકર નહિ. માણસને માણસનું કામ ન પડે ત્યારે કોનું, ઢોરનું પડે ? સાદ કરજો તમતમારે. મારી ઊંઘની ચંત્યા કરશો નહિ.કહી રાખું છું.'

'ચાલ ભાઈ ચાલ, તને ઠેકાણે પહોંચાડી જાઉં, નીકર ક્યાંય અથડાઇ પડીશ.'

એમ કહીને સોમેશ્વર સાથે ગયા. પોતાને સ્થાને પહોંચીને અંધાએ બનેવીને કહ્યું :

'નરાતર જૂઠ હો દવે જી ! અક્ષરે અક્ષર ગોઠવી કાઢેલો. પણ ભાણાને તો મધ જેવું લાગ્યું હશે ને !'

'જા જા રાક્ષસ ! ભણેલા ગણેલા એ તારા ભાણેજમાંથી મનુષ્યત્વ જ નીકળી ગયેલું કલ્પછ ?'

'કલ્પતો નથી. એ ભણેલો છે એટલે જાતે હત્યા કરી કે બીજા પાસે કારસ્તાન કરાવી શકતો નથી. પણ એના અંતરમાં તો ખૂન જ વરસતું હશે દવેજી ! પૂછો જઇને કરો ખાતરી.'

'પછી ?'

'ફકત કોરટે જતો અટકાવો, આપણે વહુને લઇને વતનમાં પહોંચીએ, પછી જોયું જશે.'

'તારી મતલબ શી છે ?'

'પુત્રવધૂને પાછી સ્વસ્થાને સ્થપાયેલી જોવાની.'

'પણ આ એનું પાપ ?' 'આ કાંઈ પૃથ્વી ઉપર પહેલું જ પાપ થોડું છે જાનીજી ? મનુ મહારાજે સમાજરચના બાંધી તે પછીનું તો એક કરોડને એકમું પાપ હશે. એમાં ય પાછાં ઘણાંખરાં તો બામણવાડા ખાતે જ જમે સમજવાં. વધુ પાપમાંથી બચીએ છીએ તે તો અકસ્માત છે, સંજોગોના અભાવનું પરિણામ છે; સાંજોગો મળે તો તો તારો વીરસુત પણ વિચારવા રોકાય તેમ નથી.'

'શું કહે છે જૂઠાડા ?'

'ઠીક કહું છું, દવેજી ! મારી આંખોનો ઉજાસ કુદરતને હવાલે કરી મેં ખોટનો વેપાર નથી કર્યો. શંભુએ મને અન્ય પ્રકારે જરૂર કરતાં વિશેષ ઉજાસ દીધો છે. હું જાણું છું કે, તારી ભદ્રામાં જો જરીકે કચાશ આવી જશે તો તે દિવસે વીરસુત શું કરી બેસશે.'

'શું કહે છે ?'

'ચમકવું શીદ પડે છે ? મેં કાંઈ દુનિયાને પૂરી જોયા તપાસ્યા વગર આંખ મીંચી હશે ! મેં ન કહ્યું તે દા'ડે, કે કંચન વેશ્યાના ગોખે નથી પહોંચી એ જ એની બલિહારી છે ! એને હમેલ રહી ગયા એ તો મારા બાપલા ! એક કુદરતના ઘરનો અકસ્માત છે. બાકી તો તું ને હું પણ કાંઈ ઓછા ઉતરીએ તેવા નથી.'

'અધમ નહિ તો ?

'અધમપણાની તો હું વાત જ કરું છું ને!'

'મુદ્દાની વાત કરને ઝટ ભાઇ ! શું કરવું ? તું શું ત્યારે એમ ઇચ્છે છે કે વહુને હજુય બચાવવી ?'

'જો એ ફરીને સાચેસાચ વહુ બનતી હોય તો.' 'ને વીરસુતનો વિફરાટ ન શમે તો ?'

'એટલે એ શું કરે ?'

'અદાલતે ચડે.'

'તો આપણે સાહેદી દઈએ.'

'કે ?'

'કે આ બાળક બીજા કોઈનું નહિ પણ અમારા વીરસુતનું જ રહ્યું છે.'

'જૂઠી સાહેદી ?'

'જગતમાં કશું જ સત્ય છે ખરૂં ? આપણે તો વીરસુતને આટલો ડારો જ દેવાનો છે ને ?'

'હું પૂછું છું હે જાની ! તને કંચન વહુની આટલી દયા કેમ આવે છે ?'

'દયા મને કદી આવે એમ તમે મારાં કામો ઉપરથી કલ્પી શકો છો દવેજી ?'

'નહિ.'

'તો હાઉં ! આ તો બધા બાપા ! દિલને બહલાવવાના ખેલ છે. બાકી તો તમને ખબર નહિ હોય દવેજી, પણ એક વાત કરું, પેટમાં રાખજો એમ કહેવાનું કાંઈ કારણ નથી, કેમ કે ઘણા જાણે છે. વીરસુતની મામીને હું પરણી આવ્યોને, તે દા'ડે બાપડીને ત્રણ મહિના ચડેલા હતા. મારા બાપે જ મને કહેલું કે મૂંગો મૂંગો પરણી આવને ભાઈ ! બામણીની દીકરીનો આત્મા આશિષ દેશે તો ઘરનાં તુળશી લીલાં રહેશે. આ એમ છે બધી બાબસ્તા. મને કે એને જાણે કોઈએ માર્યાં ઝૂડ્યાં ? વગોવ્યાં ? ગાળભેળ દીધી ? નાતમાંથી તારવ્યાં ? ચોળીને ચીકણું તો આપણે જ કરીએ છીએ ને પછી કહીએ છી એ અધધધ...........!

'ઠીક ! મૂંગો મરી રે'જે હવે ભાઇ ! ને વીરસુત ન માને તો મારી ભેરે રે'વા તૈયાર બેસજે.'

'બીજી કઇ તૈયારી મારે કરવી છે ? આંહીં થૂંકું છું તેને બદલે હવે વળી તું લઈ જઈશ તે જગ્યાને બગાડીશ. મારે થોડું ઉપાડવું છે ! મને ક્યાં મૂતરાળાં ગોદડામાં નીંદર નથી આવતી ? તૈયાર છું.'