ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી(સ્વામી વિવેકાનંદ)

← હિન્દુ ધર્મ(સ્વામી વિવેકાનંદ) ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ) →




ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી

(સ્વામી વિવેકાનંદ)

ઈસાઇઓ એ સાચી આલોચના સાંભળવા માટે સદાય તૈયાર રહેવું જોઇએ, અને મને વિશ્વાસ છે કે જો હું આપ લોકોની થોડી આલોચના કરૂં, તો આપ માઠું નહીં લગાડો. આપ ઈસાઈ લોકો જે મૂર્તિપૂજકો ના આત્માના ઉદ્ધાર કરવા માટે આપના ધર્મપ્રચારકો ને મોકલવા એટલા ઉત્સુક રહો છો, તેમના શરીરો ને ભૂખથી મરવાથી બચાવવા માટે કેમ કશું કરતા નથી ? ભારતવર્ષમાં જ્યારે ભયાનક દુષ્કાળ પડ્યો હતો, ત્યારે હજારો અને લાખો હિન્દૂ ભૂખથી પીડાઇને માર્યા ગયા; પણ આપ ઈસાઇયોએ તેનાં માટે કશું કર્યું નહીં. આપ લોકો આખાયે હિન્દુસ્તાનમાં ગિરજાઘરો બનાવો છો; પણ પૂર્વનો મુખ્ય અભાવ ધર્મ નથી, તેમની પાસે ધર્મ પુરતો છે. બળી રહેલાં હિન્દુસ્તાન ના લાખો દુઃખાર્ત ભૂખ્યા લોકો સુકાયેલાં ગળેથી અન્ન માટે ચિસો પાડી રહ્યા છે. તે આપણી પાસે અન્ન માગે છે, અને આપણે તેમને આપીએ છીએ પથ્થર ! ભૂખ્યાજનોને ધર્મનો ઉપદેશ આપવો તે તેમનું અપમાન સમાન છે, ભૂખ્યાને તત્વજ્ઞાન શિખવવું તે તેનું અપમાન કરવા જેવું છે. ભારતવર્ષ માં જો કોઈ પુરોહિત દ્રવ્યપ્રાપ્તિ માટે ધર્મ નો ઉપદેશ કરે, તો તેને જાતિબહાર કરી દેવામાં આવશે અને લોકો તેના પર થુંકશે. હું અહીંયા મારા દરિદ્ર ભાઈઓ માટે સહાયતા માંગવા આવ્યો હતો, પણ હું એ પૂરી રીતે સમજી ગયો છું કે મૂર્તિપૂજકો માટે ઈસાઈ-ધર્મીઓ પાસેથી, અને વિશેષ તો તેમનાંજ દેશ માં, સહાયતા પ્રાપ્ત કરવી કેટલું મુશ્કેલ છે.

વિશ્વ ધર્મસભા શિકાગો-૨૦ સપ્ટે.૧૮૯૩.

સ્વામી વિવેકાનંદ