'જગતના કાચના યંત્રે,
ખરી વસ્તુ નહિ ભાસે.'
બાલાશંકર
મને લાગ્યું કે મારા કરતાં વધારે પરવશ કોઈ પણ મનુષ્ય હોઈ શકે નહિ. એક પણ અક્ષર બોલ્યા વગર હું જ્યોતીન્દ્રની સાથે મોટરમાં બેસી રહ્યો; તેના સામું પણ જોયું નહિ. તથાપિ મને લાગ્યું કે જ્યોતીન્દ્ર વારંવાર મારી સામે જોયા કરતો હતો. પોતાની સામે કોઈ પણ માણસ તાકીને જોયા કરતું હોય ત્યારે એ સ્થિતિ મૂંઝવણ ઉપજાવે એવી હોય છે. મારાથી છેવટે રહેવાયું નહિ. ચોરીથી મારી સામે જોતાં જ્યોતીન્દ્રને પકડ્યો, અને તેની સામે ફરી મેં પૂછ્યું :
‘તું ક્યારનો સામે શું જોયા કરે છે ?'
‘તારા મુખનું નિરીક્ષણ કરું છું.’
‘તું મારું મોં નવું જુએ છે ?'
એકાએક મોટર અટકી. બંસરીના બંગલા પાસે અમે આવી પહોંચ્યા હતા. મારું હૃદય ધબકી ઊઠ્યું. આ સ્થળમાં મારાથી પગ કેમ મુકાશે ? જ્યોતીન્દ્ર નીચે ઊતર્યો. મેં કહ્યું :
'હું અહીં બેસી રહું છું.’
‘ના, સાથે ચાલ.' તેણે જણાવ્યું.
‘મારાથી જોવાશે નહિ.'
'શું?'
‘બંસરીનો મૃત દેહ... અને, તું મને અહીં ક્યાં લાવ્યો ?’
‘અરે ત્યાં તો કશુંયે નથી. બંસરીના શબનો જ પત્તો નથી.' જ્યોતીન્દ્રે કહ્યું.
'તેં કેમ જાણ્યું ?’
‘તેની તારે શી જરૂર છે ? હું કહું છું તે ખરું માન !’