આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[ ૫૧
 

જરાયે ઓછો નથી, પણ મારું હૃદય અત્યારે અન્યનું બન્યું છે. અને મને ખાત્રી છે કે કુદરત કદી પ્રેમને પાપ ગણતી નથી, એટલે તે મારા પર, તેની પર અને તારી ઉપર પણ અમદૃષ્ટિથી જોશે. વખત ચાલ્યો જશે, તેનું મુખ મારાથી દૂર ચાલ્યું જશે, અને પછી હું જીવી શકીશ નહિ. કદાચ તારે અનિચ્છાએ આ સત્ય સ્વીકારવું પડશે, તે પછી હાલ રાજીખુશીથી શા માટે ત્રણ હૃદયનું ઐક્ય કરવા કબૂલ નથી થતી? તને કદાચ લાગશે કે હું કાલે કહેતો હતો તેના કરતાં હું આજે જુદુ કહું છું. ખરી વાત. અને વળી આવતી કાલે હું આનાથી યે જુદું કહીશ. કારણ હું કુદરતના હાથમાં છું, અને તે દોરે છે તેમ દોરાઉં છું, અને નવાનવા પાઠ શીખું છું.'

Eternal Love, Eternal Lie – શાશ્વત પ્રેમ એ શાશ્વત જુઠાણું છે, એના ઉપર ભાષ્ય કરતા હોય એમ કલાપીએ કહ્યું છે: [૧] "વ્હાલીનું હૃદય મને અગાધ ઉદધિ લાગતું હતું, અને તેમાં હું ઉંડે અને ઉંડે અવગાહન કરતો. એ પ્રેમજલનું તળીયું પાતાળમાંયે હોય એમ લાગતું ન હતું, અને એ જેમ અતલ હતું તે જ પ્રમાણે અતટ પણ હતું. એ સિન્ધુમાં હું ઉંડે અને ઉંડે ઉતરતો ગયો અને હું પાતાલનાં પડેપડ અને ગુફાએ ગુફાઓમાં ફરી વળ્યો. અનન્ત યુગ આમ ને આમ જ હું પ્રેમવારિધિમાં વીહર્યા કરીશ એમ માનતો હતો, એવામાં એક ખડક ઉપર મારો પગ ઠર્યો. ત્યાં દૈવી મોતિનો સ્વર ઉઠ્યો કે 'અમને સ્પર્શતાં ખારાશ મળશે, અમને સ્પર્શતાં ઉદધિ કટુ લાગશે, પણ અમને સ્પર્શતાં જ કોઈ નવી આશાનું દ્વાર ઉઘડશે.'

આ શબ્દો સાંભળીને કવિએ એ દૈવી મોતિડાંને હૃદય સાથે ચાંપી દીધાં. એટલે તેને મૂર્છા આવી અને તેણે ફરીથી અવાજો સાંભળ્યાઃ “હે મનુષ્ય આ સિન્ધુમાં હવે કાંઈ ઉંડાણ નથી, માટે તું અન્ય સિન્ધુમાં જા. આવા તો અનેક દરિયા તું ઉતરી આવ્યો છે, અને હજુ અનેક દરિયા તારે તરવાના છે. તલસ્પર્શ થતાં જ સિન્ધુ