પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દુર્ગેશ : જુઓ ! આ વિમાન જેવું તો કાંઈ દેખાય છે.
[પોતાના હાથમાંનો કગાળનો ડૂચો બતાવે છે.]
 
જગદીપ : એ ક્યાંથી જડ્યો ?
દુર્ગેશ : ગાયની પાસે ઊભા રહી એને ખવડાવતાં બારીક નજરે જોતાં એને ગળે બાંધેલી કોડીઓમંથી વચલી મોટી કોડીમાં કાંઈ જણાયું. તે મેં હળવે રહી ખેંચી લીધું. હું રબારીને મારું ઓઠું કરીને જ ઊભો હતો, એટલે એને દેખાયું નહિ. હવે જુઓ, એ કાગળમાં કાંઈ સત્ત્વ છે?
જગદીપ : (કગળ ઉઘાડે છે.) કાંઈ કવિતા લખેલી છે. (વાંચે છે.)

એકાન્તવાસી ઋજુ બાલિકાને,
લઈ ઉપાડી જલસ્રોતમાંથી,
શા આ બિજા સ્રોત અગમ્યમાંહે,
મૂકી તણાતી અસહાય છેક? ૭૨

દુર્ગેશ : મેં કલ્પી હતી તે જ સ્થિતિ છે. મારી પાસે આ લેખન-સામગ્રી છે તે વડે એનો ઉત્તર લખો.
જગદીપ : એનો ઉત્તર એ જ કાગળની બીજી બાજુએ લખું છું કે,

એ સ્રોત છે હ્રદયના રસપુણ્ય કેરો,
એમાં કદાપિ નથિ જોડ વિના તરાતું;
ઉત્કંઠ જેહ તલસે બનવા સહાય,
રોકી રહ્યું વિરસ વેષ્ટન ક્રૂર તેને. ૭૩

[કાગળ પર લખે છે.]
 
દુર્ગેશ : એ કાગળ હવે સાંજ સુધીમાં પાછો એ ગાયને ગળે એ જ કોડીમાં નાખી દેજો. હવે તો, ગાય પર હાથ ફેરવવાને બહાને પણ ગાય પાસે જઈ શકશો. કાલે પ્રત્યુત્તર મળ્યા વિના નહિ રહે.
૧૨૪
રાઈનો પર્વત