આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તલવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનામાનો શીદ મૂઓ, બાપ?
ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું માણસી !
તારે તો તે દિવસે મરવું ઘટતું હતું જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નર-નારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.
ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી !
તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખના પ્રહાર કરે છે. તારા સરખા શુરવીરના માંસ ભક્ષ કરવા એ સુંદરીઓનાં છંદ વળ્યાં છે.:
[માણસિયાના મૃત્યુગીત માટે જુઓ પરિશિષ્ટ ૧ ]