આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१२


પુરુષોત્તમદાસ દેસાઈએ તે તે મ્યુનિસિપાલિટીના દફતરમાંથી હકીકત મેળવી આપી છે. ખેડા સત્યાગ્રહની વિગતો મારા મોટાભાઈ શ્રી શંકરલાલ પરીખ કૃત ‘ખેડાની લડત’ એ પુસ્તકમાંથી લીધી છે. બોરસદની લડતની કેટલીક હકીકત બોરસદના વકીલ શ્રી રામભાઈ પટેલ પાસેથી મળી છે. સરદારના કેટલાક જૂના સહાધ્યાયીઓ પાસેથી મણિબહેને પત્ર દ્વારા માહિતી મેળવી છે. જે જે ભાઈઓ તથા બહેનો પાસેથી મદદ મળી છે તે સૌનો આભાર માનું છું.

પણ વધારેમાં વધારે વિગતો તો મહાદેવભાઈની ‘વીર વલ્લભભાઈ’ અને ‘એક ધર્મયુદ્ધ’ એ પુસ્તિકાઓમાંથી, ‘નવજીવન’માંના તેમના લેખોમાંથી, ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તકમાંથી તથા તેમના છૂટાછવાયા કાગળોમાંથી મને મળી છે. ખરી રીતે તો જે સામગ્રીનો ભંડાર તેઓ મૂકી ગયા છે તેને કાંઈક ગોઠવીને રજૂ કરવાનું કામ જ મેં કર્યું છે.

આ ભાગમાં સરદારનું જીવનચરિત્ર ૧૯૨૯ના ડિસેમ્બરની લાહોર કૉંગ્રેસ સુધી આવે છે. તેમાં આલેખાયેલું મોટા ભાગનું જીવન ગુજરાતના રાજકીય ઘડતર સાથે સંકળાયેલું છે. એમ કહીએ તો પણ ચાલે કે છેલ્લાં બત્રીસ વર્ષનું ગુજરાતનું રાજકીય જીવન સરદારે જ ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને ઘડ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ એ ઘડતરાનો ઇતિહાસ આ પુસ્તકમાં આવી જાય છે. એમાંથી ગુજરાતનાં યુવકયુવતીઓને પ્રેરણા મળશે અને એ રીતે મારાથી કાંઈક તેમની સેવા થશે એ લાગણી આ પુસ્તક લખતી વખતે સદા મારા દિલમાં રહી છે અને મેં ધન્યતા અનુભવી છે.

હરિજન આશ્રમ,
સાબરમતી,
તા. ૩૦–૯–’૫૦