નરહરિ દ્વારકાદાસ પરીખ
જન્મ ૭ ઓક્ટોબર 1891
અમદાવાદ
મૃત્યુ ૧૫ જુલાઇ 1957
બારડોલી
વ્યવસાય અનુવાદક, સ્વતંત્રતા સેનાની
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, ભારતીય અધિરાજ્ય

નરહરિ દ્વારકાદાસ પરીખ (૭ ઓક્ટોબર ૧૮૯૧ - ૧૫ જુલાઇ ૧૯૫૭) નો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ. તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો. ૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.

એમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે.

સાહિત્ય ફેરફાર કરો

એમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧, (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫) એમનો તદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.

‘નામદાર ગોખલેનાં ભાષણો’ (૧૯૧૮), ‘ગોવિંદગમન’ (૧૯૨૩), ‘કરંડિયો’ (૧૯૨૮), ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭), ‘મહાદાવેભાઈની ડાયરી’- ભા. ૧,૭ (૧૯૪૮-૫૦), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ (૧૯૪૯), ‘દી.બ. અંબાલાલ સાકરલાલનાં ભાષણો’ (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ (૧૯૫૬) વગેરે એમનાં સંપાદનો છે.

‘ચિત્રાંગદા’ (૧૯૧૬), ‘વિદાય અભિશાપ’ (૧૯૨૦), ‘પ્રાચીન સાહિત્ય’ (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓની એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તો, ‘જાતે મજૂરી કરનારાઓને’ (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?’ (૧૯૨૫-૨૬) એમના તોલ્સ્તોયનાં પુસ્તકોના અનુવાદો છે.

નવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.

પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે.