બીરબલ અને બાદશાહ/કાં પુતળું બાંધો કાં પુતળાં લો

← વગર વિચાર્યું કરનાર પસ્તાય છે બીરબલ અને બાદશાહ
કાં પુતળું બાંધો કાં પુતળાં લો
પી. પી. કુન્તનપુરી
કીયા ન હોતો કર દેખો ? →



વારતા એકસો ત્રણ
-૦:૦-


કાં પુતળું બાંધો કાં પુતળાં લો
-૦:૦-
બુદ્ધિ હિમ્મત શરમ સુબળ, રહે ન એકે ઠામ;
ઉત્તર એના આપવા, હાજર જવાબી કામ.

એક સમે શાહ દરબાર ભરી બેઠો હતો. દરબારમાં બીરબલ, જગન્નાથ, ગંગ, તાનસેન અને બીજા સાહેરો એકમેકને સવાલ જવાબ કરી રહ્યા હતા. આ ચાલતા સવાલ જવાબથી તમામ દરબાર લીન થઇ ગઇ હતી. એટલામાં જેને પગે સોનાના પુતળાંઓ બાંધેલાં હતાં. હાથમાં વિજય પતાકા રહી ગઇ હતી. મહા સ્વરૂપવાન અને મજબુત શરીરવાળો એક બુદ્ધિશાળી બ્રાહ્મણ દરબારમાં આવીને ઉભો. દરબારમાં બેઠેલાઓને બે હાથે નમસ્કાર કરીને બોલ્યો કે, 'હે શાહના શાહ અકબર ! તારી દરબારમાં નવ રત્નો બીરાજમાન છે. અને તે રત્નો વડે તું શોભી રહ્યો છે. તારા તે નવ રત્નોને દુનિયાનો પંડીત જીતી શકતો નથી. એમ મેં મારે કાને સાંભળ્યું છે. મોટા મોટા પીસ્તાલીશ રાજાઓને જીતી અને તેઓની પાસેથી અકેકું સવાશેર સોનાનું પુતળું બંધાવીને તમારી દરબારમાં દાખલ થયો છું. માટે શાસ્ત્રના વાદ વિવાદમાં મારી સામે ટક્કર ઝીલે એવા તમારા એકાદ રત્નને ઉભો કરો. પણ મારી સરત એટલી છે કે, જો મને કોઇ સંવાદમાં જીતે તો હું આ ૪૫ પુતળાં છોડી દઇને મારે રસ્તે ચાલતો જાઉં, ને ન જીતે તો તમારે સવાશેર સોનાનું પુતળું કરીને મારે પગે બાંધવું પડશે.'

આ બુદ્ધિશાળીના વચન સાંભળતાજ દરબાર વિસ્મય પામી. ક્ષણવાર શાંત રહી, એક બીજાના મોઢા સામું જોવા લાગી. પણ કોઇ આની સાથે સંવાદ કરવાને ઉઠ્યું નહીં. આ જોઇ બાદશાહે તરત બીરબલને ઈસારત કરી. ઇસારત થતાજ બીરબલ ઉભો થયો અને કહ્યું કે, ' મહારાજ ! કહો કે તમારે શું બાબત વીશે સંવાદ ચલાવવો છે.' તેણે કહ્યું કે, મારે માત્ર ચાર સવાલ પુછવાના છે તેનાજ જવાબ આપો. જો જવાબ નહીં, આપી શકશો તો સવાશેર સોનાનું પુતળું બાંધવું પડશે.' બીરબલે કહ્યું કે, ' તમારી શરત કબુલ છે. પણ તમે જો હારો તો આ તમારા પગે બાંધેલા પીસ્તાલીસ પુતળા છોડી દેવા પડશે. એ શરત કબુલ હોયતો સવાલ પુછો.' સવાલ પહેલો--તમારી શરત કબુલ કરતા પહેલો સવાલ પુછું છું કે, ' આજ રાતે હું સુતો હતો તે વખતે પહેલા પહોરમાં કોઇ સ્ત્રીનો વેશ લઇને આવ્યું, અને મને કહ્યું કે, ઉઠ ત્યારે મેં તેને પુછ્યું કે, તમે કોણ છો ? તેણે કહ્યું કે, હું મતી છું. મેં પુછ્યું કે તમે ક્યાં રહો છો ? તેણે કહ્યું કે હું કપાળે રહું છું હવે એ કપાળે રહે છે તે તો ખરૂં પણ કોઇ વખતે તે આઘી પાછી જાય છે કે નહીં ?

સવાલ બીજો--વળી બીજો પહોર થયો એટલે કોઈ સ્ત્રી આવી, તેને મેં પુછ્યું કે તું કોણ ? તેણે કહ્યું કે, હું શરમ. તું ક્યાં રહે છે તો કહે કે હું આંખમાં રહું છું. તે તો ખરૂં; પણ તે ત્યાંથી ક્યારે આઘી પાછી જાય છે ?

સવાલ ત્રીજો--ત્રીજા પહોરમાં હું આ બે વાતોનો નિશ્ચય કરતો હતો. એટલામાં વળી કોઇ સ્ત્રીને વેશે આવ્યું. તેને જોઇને મેં પુછ્યું કે, તમારૂં નામ શું ? તો કહે કે મારૂં નામ હીંમત. વળી મેં તેને પુછ્યું કે, તમે ક્યાં રહો છો ? તો કહે કે હું છાતીએ રહું છું. એ વાત ખરી; પણ એ કોઇ વખત ત્યાંથી ખસે છે કે નહીં ?

સવાલ ચોથો--ચોથા પહોરમાં હું આ ત્રણે વાતોનો નિશ્ચય કરી રહ્યો હતો; એટલામાં કોઇ તરેહવાર પોશાક પહેરીને આવ્યું. તેનો વેશ સ્ત્રીનો એ નહોતો તેમ પુરૂષનો પણ નહોતો. તેથી મેં વીસ્મય પામીને પુછ્યું કે, તમે કોણ છો ? તો કહે હું બળ છું, ત્યારે કહ્યું કે તમે ક્યાં રહો છો ? તો કહે કે હું શરીરમાં તથા હાથમાં રહું છું. હવે આ વાત ખરી છે. પણ બળ શરીરમાંથી તથા હાથમાંથી કોઇ વખત આઘું પાછું થાય છે કે નહીં ? આ મારા ચારે સવાલના જવાબ આપો. તમારાથી આપી શકાય તેમ નહીં હોય તો પુતળું બાંધી ક્ષમા માગો.

બીરબલે કહ્યું કે, ' મહારાજ ! ધીરજ રાખો. અભીમાનના ઘર ખાલી છે. હું પદ ધારણ કરનાર માણસ આ જગતને જીતી શક્યો છે ? તો પછી શા માટે પાણીના પરપોટા પેઠે ફુલી ગયા છો. આ અકબરની દરબારમાં બેસનારા તમારા જેવા અહંકારી નથી પણ વિદવાનોનું સન્માન કરનારા છે. તેલ જુઓ તેલની ધાર જુઓ પછી કુદકા મારજો. માટે હું તમારા ચારે સવલોના જવાબ આપું છું તે સાંભળો.

તમારા પહેલા સવાલના જવાબમાં કહું છું કે, 'મતિ કપાળે રહે છે એ વાત તમારી ખરી છે. પણ જ્યારે કાળ આવે છે ત્યારે મતિને ફેરવી નાંખે છે. તે વખતે ગમે તેવો સમજુ પુરૂષ હશે તેની પણ મતી મોત ફેરવી નાંખે છે.'

તમારા બીજા સવાલના જવાબમાં કહું છું કે, 'શરમ તો આંખમાંજ રહે છે એ વાત તમારી ખરી છે, પણ જ્યારે માણસને કામ ઉત્પન્ન થાય છે ત્યારે તે શરમ તે વખતે આંખમાંથી એ જતી રહે છે.' તમારા ત્રીજા સવાલના જવાબમાં કહું છું કે, 'હીંમત છાતીએ રહે છે એ વાત તમારી ખરી છે પણ જ્યારે બીક માણસના શરીરમાં દાખલ થાય છે, ત્યારે હીંમત ખશી જાય છે.'

તમારા ચોથા સવાલના જવાબમાં કહું છું કે, 'બળ શરીર તથા હાથમાં રહે છે, એ વાત તમારી ખરી છે, પણ જ્યારે માણસને ઘડપણ આવે છે ત્યારે તે બળ તેમાંથી જતું રહે છે.'

આ ચારે સવાલના જવાબ દીધા પછી બીરબલે તેને પુછ્યું કે, ' કેમ મહારાજ ! આ તમારા ચારે સવાલના જવાબ બરાબર છે કે નહીં ? ના હોય તો સાફ કહેજો ? અને બરાબર હોય તો તમારે પગેથી પીસ્તાળીશ પુતળા છોડી આપીને તમારે રસ્તે પડો. હવેથી કોઇ દીવસ મનમાં એવું અભિમાન રાખશો નહીં. આતો અદલ ઇનસાફી અકબર બાદશાહનું રાજછે તેથી જીવનદાન આપી છોડી દે છે.'

આ સાંભળી તે અભિમાની બ્રાહ્મણ શરમાઇ ગયો. અને તેનો મ્હોનો ચ્હેરો ફીકો પડી ગયો. આ સવાલના જવાબ સાંભળવાને બેઠેલી તમામ દરબારને બે હાથે આશીરવાદ આપીને તે બ્રાહ્મણે કહ્યું કે, ' હે શાહના શાહ ! તમારો સદા જય થાઓ ! તમારી દરબારને આવી રીતે શોભાવી રહેલા રત્નોને જોઇ મને મહા આનંદ થયો છે. હું તર્કવાદી છું પણ શાસ્ત્રીવાદી નથી. શાસ્ત્રીવાદીને જીતનાર તો દરેક સ્થળે મળી આવે છે. પણ તર્ક શાસ્ત્રી મળી આવતા નથી. તે તર્ક શાસ્ત્રીઓ તમારી દરબારમાં છે તે જોઇ મારા ગર્વનો નાશ થયો છે.' એટલું કહીને તેણે તરત પોતાને પગેથી પીસ્તાળીશ પુતળા છોડી તે ચાલતો થયો. બીરબલની આ મહાન શકતી જાણતાજ તમામ દરબાર બીરબલને હર્ષની ગર્જના કરી વધાવી લીધો.

-૦-