બીરબલ અને બાદશાહ/ખરા નામની ખુબી

← રાજાના માથાનો મલ્યો બીરબલ અને બાદશાહ
ખરા નામની ખુબી
પી. પી. કુન્તનપુરી
મને મારો માલ અપાવો →


વારતા તહુતેરમી
-૦:૦-


ખરા નામની ખુબી
-૦:૦-

છળ છુપાવે સત્યને, પણ છેવટ ન છુપેજ,
આખર ખુલ્લુ થાય સહુ કષ્ટ બહુ પામેજ;

શેહેનશાહ અકબર શાહના રાજ્યમાં એક ગરીબ મનુષ્યની છોડીનું કોઈ એક તાલમબાજ હરણ કરી ગયો અને દીલ્લી શહેરમાં રહેનાર એક વેશ્યાને ત્યાં તે છોડીને પૈસા લેઇ વેચી દીધી તદનંતર તે વેશ્યાએ તે છોડીને ગાયન નૃત્ય અને પૈસો હરણ કરવાની અચ્છી કળા શીખવી તેથી પોતાનો ધંધો ઠીક ચાલવા લાગ્યો અને પૈસો પણ સારો સંપાદન થવા લાગ્યો.

વાચક વૃંદ અમુલ્ય ગુણીજન પુરૂષ દુર્બળ અવસ્થામાં કે સંકટમાં આવી પડ્યો હશે તેમ તે ધનાઢ્ય આગળ કાલાવાલા કરે પણ તેને કોઇ આશ્રય આપવા ચાહશે નહિ, પરંતુ સ્ત્રી ચાહે તેવી દુરગુણી હશે તદપી રૂપ ચટક મટક અને ચાળાઓ જોઇ તે બે બદામની બૈરીને સર્વ અમીર ઉમરાવ સોગઠીઆઓ વગેરે ચાહના વડે આશ્રય આપી આધીન બને છે બનશે એટલુંજ નહીં પણ તેના શબ્દ ઉપર વગર મૂલ્યે વેચાશે, પરંતુ એમ કોઇ વીચારતું નથી કે- મર્દ- ગુણવાનને વીપત્તિ વખત અવશ્ય બની શકે તેટલો આશ્રય આપવો કેમકે વીપત્તિનું વાદળ એક દીવસ સરવના ઉપર ઘુમે છેજ માટે અણી સાચવી લેવાથી બહુ વડાઇ ગણાય તેમ તે ઉપકારના બદલામાં ખાનદાન ગણી જેઓ ખરી વખતે માથાં અર્પણ કરે છે, પણ સ્ત્રી પુરૂષ ધન દોલતની દરકાર રાખતા નથી ! અને સ્ત્રી કેવળ જ્યાં સુધી તેનો સ્વાર્થ સંધાશે ત્યાં સુધી આપની થશે તેમ બહુ રાઝી જશે તો 'મુત્ર પાત્ર'--નરક દ્વાર--સુમતી સદ્‌ગુણ અને સુયશ રૂપ થવાનો નાશ કરનાર જાજુલ્યમાન અગ્ની કુંડ તમારા આગળ ધરશે; છતાં પણ શું મોહ જાળની પ્રબળતા છે કે દીવો લેઈને કુવામાં પડે છે, આહા કામદેવની તારી બલિહારી છે. હવે તે છોકરીના પિતાએ છોકરીની ઘણી શોધ કરી પરંતુ ક્યાં પત્તો લાગ્યો નહિ તેથી બિચારો નિરાશ બન્યો અને ગાંડાની માફક જ્યાં ત્યાં ભટકવા લાગ્યો.

એક વખત ફરતો ફરતો દીલ્લી શહેરમાં આવ્યો અને શહેરમાં ફરતાં નાયકાઓના ઘરો ભણી જઈ લાગ્યો, એક વેશ્યાની હવેલીના ઝરોખામાં બેઠેલી સ્યામા નાયકાને નિહાલી વિચારવા લાગ્યો કે ' આ ઝરોખામાં બેઠેલી સ્ત્રી ખચીત મારી પુત્રી હોવી જોઇએ, પરંતુ આવા નીચ કર્મ સુધી કેવી રીતે પહોંચી ?" એમ વીચારી પોતાની પળખાણ આપવા તે સ્ત્રી પ્રત્યે કેટલીક પ્રેમ વાત્સલતા સાથે વારતાઓ કરી પણ તેણીએ તો તે તરફ જરા પણ લક્ષ આપ્યુંજ નહીં " કાશીના પંડીતો કેમ જીત્યા ? તેઓએ કહ્યું તે મેં માન્યુંજ નહીં ? તેવો બનાવ બન્યો તેથી છેવટે લાચાર બની અકબરશાહની હજુર કરી ફરીયાદ કરી ફરીયાદની હકીકત સાંભળી સદરહુ વેશ્યા અને બેવફાદાર છોડીને બોલાવી મંગાવી બાદશાહે વેશ્યાને પુછ્યું કે " આ છોડી કોની છે ?' તે સાંભળી વેશ્યા બોલી કે " જી હજુર ! જ્યારે આ છોડી ન્હાની હતી તે વખતે એને એક ફકીર લ‌ઇને આવ્યો હતો અને પોતાનીજ દીકરી છે એવો પક્કો વિશ્વાસ આપી હજાર રૂપીઆ લેઇ વેચી ગયો ત્યારે મેં પુષ્કળ દ્રવ્ય ખરચી તેને નૃત્યાદિની ઉત્તમ કળાઓમાં પ્રવીણ બનાવી. તેમ આ છોડ્ફીને મેં જે વખતે વેચાતી લીધી તે વખતે ઘણાં માણસોને સાક્ષી રાખી લીધેલ છે અને તે સાક્ષીદારો અહિંયાં મોજુદ છે માટે નામદારે ખાત્રી કરી એવી જોઇએ આ પ્રમાણે વેશ્યાનું ઠાવકું બોલવું સાંભળી ગવાહી (સાક્ષી) ઓને બોલાવી હકીકત મેળવી તો વેશ્યાના કહેવા પ્રમાણેજ વાત જણાવી તેમજ તે છોડીની જબાની લીધી તો તેણે જણાવ્યું કે, 'હું કેવળ અસમજણી હતી તે વખતે મારી મા મરણ પામી હતી એટલે ચોકસ નથી કહી શકતી કે અમુક વરસે મરણ પામી છે; પરંતુ મારી માના મુઆ પછી મારો બાપ ફકીર થ‌ઈ ગયો હતો અને તેજ આ નાયકાને ત્યાં વેચી ગયો હતો ત્યાર પછી મારા બાપની પણ મને ખબર નથી કે તે જીવે છે વા મરણ પામ્યો."

તે છોકરીની આ પ્રમાણે જબાની સાંભળી તો પણ શાહને ખાત્રી પડી નહી કેમકે 'જે કપટનાજ માતા પીતારૂપ મનુષ્યો હોય છે તેઓની સત્ય વારતા તથાપી ખાત્રી થતી નથી અર્થાત જ્ઞાની, પંડીત, સુઘડનર, નૃતય કરનાર (ભવૈયા નાટકવાળી-ભાંડ) રાજા ભાટ કીંવા કવીતા કરનાર તથા કથ્થક લોકો અને વેશ્યા આ આઠ જણાઓ કપટને જન્મ આપનારજ ગણાય છે માટે કોણ જાણે કે શું કાપટય પટય પટુતા કેલવી હશે ?) એમ વીચારી શાહે તે વેશ્યા અને છોકરીને બીજે દીવસે હાજર રહેવાનું ફરમાવી રજા આપી. ત્યાર પછી તે ફરીયાદીને પુછ્યું કે આ તમારી દીકરીનું નામ શું પાડેલું હતું ? તથા કયા કયા નામથી બોલાવ્યો તે ઝટ બોલતી હતી ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી ફરીયાદીએ અરજ કરી કે નામદાર ! ન્હાનપણમાં એનુ નામ અમીના પાડ્યું હતું તેમ તેજ નામથી ઝટ દોડી આવતી હતી. તે સાંભળી શાહે પુખ્ત વીચાર સાથે તર્ક ઉઠાવી સત્ય વારતાને એની મેલેજ પ્રકાશમાં લાવવા યુક્તિ રચી.

જ્યારે બીજે દીવસે શાહ કચેરીમાં આવી તખત ઉપર બીરાજમાન થયા અને ચોબદાર પ્રત્યે હુકમ કરયો કે બાહાર અરજદારો પૈકી કાલવાલી છોકરી અમીનાનું નામ પોકારો ! તે સાંભળી ચોબદારે 'અમીના હાજર છે એમ ત્રણ વખત પોકારો પાડ્યા કે તુરત તે વેશ્યાની છોકરી 'હાજર છું' એમ બોલી અગળ આવી એટલે તેને શાહની હજુર ઉભી કરી. શાહે તે છોકરીને પુછ્યું કે "તારૂં નામ 'સકીના' છે છતાં તું 'અમીના નામથી પોકાર પાડ્યે કેમ બોલી ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી છોકરી બોલી કે 'જી હજુર ! મારો બાપ મને ન્હાનપણમાં 'અમીના' એ નામથી બોલાવતો હતો તેથી સ્વાભાવીક તે નામ સાંભળી હું આપ હજુર હાજર થ‌ઇ.' આ જવાબ સાંભળવાથી શાહની ખાત્રી થ‌ઇ કે "આ છોકરી ફરીયાદીનીજ છે એમાં જરા શક નથી ! કેમકે જે એના પીતાએ કહેલું નામ હતું તેજ નામથી પોતે બોલી ઉઠી તેથી ખાત્રી થાય છે કોઈ પણ માણસ કોઇ કારણસર પોતાના નામ ઠામ કુલને કૃત્ય કૃત્યને છુપાવ; પણ કોઇ વખતે પણ તેનાથી ખરી વારતા બોલાઇ જાય છે કીંવા ખરી વારતાનો ચીતાર પડી આવે છે એમાં જરા ખોટું નથી !' એમ ખાત્રી કરી વેશ્યા તથા ખોટી સાક્ષી પુરનારને યોગ્ય શીક્ષા કરી અને તે છોકરીને એકદમ પોતાના પીતાને તાબે થવા ફરજ પાડી, પરંતુ તે ફરીયાદી પ્રત્યે શાહે જણાવ્યું કે " હવે આ છોડી તારા ભલામાં રાજી રહેશે નહીં તેમ તેના વડેજ તારો જીવ ખોઇશ માટે જલ્દી કોઈ શોખીન પુરૂષ જોઇ તેને અરપણ કરી દે, કેમકે ખાનપાન અને ઐસાઅરામમાં લોલુપ્ત બનેલ છે માટે તે હરામચસ્કો મટશે નહીં માટે તે કાર્ય જલદીથી કર.' આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી તેણે તેજ હુકમને માથે ચઢાવી અમલમાં આણ્યો.

વારતાનો સાર એ છે કે ન્યાયની બારીકી તપાસવા માટેની શહેનશાહ અકબરની દીર્ઘદ્રષ્ટી વાપરવાની કેવી ખુબી હતી તથા સત્યનો જય અને પાપનો ક્ષય છે તેમજ સ્ત્રીને એસાઅરામ કરવા મળ્યો એટલે સગા બાપની પણ સગી થતી નથી અને ગમે તેટલી ખરી વાત છુપાવવા કારીગરી કરી પણ છેવટે 'જે અંબે ઉચરાય' તેવો પ્રકાર બન્યા શીવાય રહેજ નહી ? વગેરે વગેરે સાર સમજવો છે.

પ્રીય પાઠકગણ જ્યારે શેહનશાહ અકબર ગુણગ્રાહી આર્ય યવન મંડલ પ્રત્યે સમદરશી, ચતુર, પ્રવીણ, જ્ઞાનવંત, આસ્તીક. સુરવીર. ધ‌ઇર્યવાન, ઉદાર અને વચનપાલ-પ્રતીપાલાદી અનેક સદ્‌ગુણોએ કરી સંપન્ન હતો ત્યારે કવીરાજ બીરબલ પણ તેવા ગુણોમાં કાંઇ ન્યુનતા ધરાવનાર નહતો એટલુંજ નહી પણ બીરબલની સ્ત્રી તથા તેની પુત્રી અને પુત્ર પણ મહા બુદ્ધિમાન હતાં.


-૦-