← શાહ અને વાણીઆઓ બીરબલ અને બાદશાહ
રૂપનું પુતળુ
પી. પી. કુન્તનપુરી
બહુ રૂપી ઠગ →


વારતા એકસો ચાલીસમી
-૦:૦-
રૂપનું પુતળુ
-૦:૦-

બીરબલ જરા કાળા વરણનો હતો. એક વખતે દરબારમાં રૂપ રંગ વીષે વાત નીકળતાં બીરબલના કાળા રૂપની બધાએ મશ્કરી કીધી. આ સમે બીરબલ દરબારમાં હાજર ન હતો. થોડો વખત વીત્યા બાદ બીરબલ દરબારમાં દાખલ થયો ત્યારે તેને જોઈ શાહ તથા તમામ દરબારીઓ હસવા લાગ્યા. પોતાને જોઈ સઘળાઓ શા માટે હસે છે તેનું કારણ જાણવાની બીરબલને ઇચ્છા થઇ, પણ તે ઇચ્છા બહાર ન જણાવતાં તે ગુપ ચુપ પોતાની જગાએ જઇ બેઠો. બેઠા પછી તેણે ધીમે રહીને શાહને પુછ્યું કે, ' સરકાર ! આજ તો આપ કાંઈ તુણાજ ખુશ મીજાજમાં છો !'

શાહ--બીરબલ ! એ તો તારૂં સ્વરૂપ જોઈને હસતાં હતાં. અમે બધા સફેદ દુધ જેવા છઇયે અને તું કાળો કેમ છે ?

બીરબલ--ત્યારે આપ ખુદાવીંદને એ માટે કાંઇજ ખબર નથી ?

શાહ--નહીં ! મને એ માટે કાંઇ ખબર નથી, એનું કારણ શું તે કહે.

બીરબલ--અન્‍નદાતા ! પરમ પુરુષોત્તમ ભગવાને જ્યારે જગત રચવા માંડ્યું ત્યારે પહેલા ઝાડ પાન વગેરે બનાવ્યું. પણ તે ઝાડપાનથી તેને જોઇએ તેવો સંતોષ ન મળવાથી તેણે પશુ પક્ષીઓની સૃષ્ટી ઉત્પન્‍ન કીધી. તે જોઈ તેને આનંદ થયો પણ જુજ વખતનો ! તેથી પણ વધારે સૃષ્ટી રચવાનો વીચાર કરી જગતનીયંતાએ મનુષ પ્રાણી બનાવ્યું. મહેષ પ્રાણીને જોઇ કૃષ્ણમોરારીએ અત્યંત આનંદ માન્યો. પોતાની કૃતી સફળ માની, પછી મનુષ પ્રાણી માટે ચાર વસ્તુઓ બનાવી. એક તો રૂપ, બીજું દ્રવ્ય ત્રીજી અકલ, અને ચોથું બળ. એ પ્રમાણે ચાર વસ્તુઓ બનાવ્યા પછી તે ચારે વસ્તુને થોડેથોડે અંતરે મુકીને માણસ માણસ જાતને હુકમ કરયો કે, અમુક વખતની અંદર આમાંથી સહુને મન ગમતી વસ્તુઓ લઇ લેવી. મારા તે વખતના વીચાર પ્રમાણે લે તો પહેલાં અકલ લેવા ગયો પણ અકલ લેતાં ઘણોજ વખત લાગ્યો. પછી બીજી વસ્તુ લેવા ગયો. ત્યાં મને જણાયું કે, આપેલી પુરી થઇ હતી તેથી મને બીજી વસ્તુ મળવી કઠણ હતી. તેથી માત્ર હું અકલ લઇને પાછો ફર્યો આપ પોતે તો પહેલા રૂપ, પછી દ્રવ્ય લેવા ગયા તે આપને મળ્યું. મને રૂપ લેવા અવકાશ ન મળવાથી હું કાળો રહ્યો.

બીરબલનું આવું યુક્તીદાર બોલવું સાંભળી શાહ આનંદ પામ્યો. તે મનમાં સમજી ગયો કે બીરબલે પોતાના અકલવાન બનાવી મને રૂપનું પુતળું બનાવ્યો છે. દરબારીઓ પણ બીરબલ નો આ ખુલાસો સાંભળી આનંદ પામ્યા. પણ પોતે બીરબલને જોઇ હસ્યા હતા તેથી શરમને લીધે નીચેથી ઉંચે જોઇ ન શક્યા. બીરબલે પોતાની હુશીઆરીથી તેમને પોતાને વશ કરી લીધા હતા.


-૦-