← ગૃહસ્થાશ્રમ બુદ્ધ અને મહાવીર
સાધના
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ઉપદેશ →



સાધના





મહાવીરપદ

૧. નીકળ્યા ત્યારથી વર્ધમાને કદી પણ કોઈના ઉપર ક્રોધ ન કરવાનો અને ક્ષમાને પોતાનું જીવનવ્રત ગણવાનો નિશ્ચય કર્યો હતો. સામાન્ય વીરો મોટાં પરાક્રમો કરી શકે છે; ખરા ક્ષત્રિયો વિજય મેળવ્યા પછી ક્ષમા બતાવી શકે છે; પણ વીરો સુદ્ધાં ક્રોધને જીતી શકતા નથી અને પરાક્રમ કરવાની શક્તિ હોય ત્યાં સુધી ક્ષમા આપી શકતા નથી. વર્ધમાન પરાક્રમી હતા છતાં એમણે ક્રોધને જીત્યો અને શક્તિ છતાં ક્ષમાશીલ થયા, તેથી એમનું નામ મહાવીર પડ્યું.

સાધનાનો બોધ
૨. મહાવીર નીકળ્યા ત્યાંથી લઇને બાર વર્ષ એમનું જીવન તપશ્ચર્યાનું ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપ કેવું હોઈ શકે, સત્યને શોધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હોવી જોઇયે, સત્ય, અહિંસા, ક્ષમા , દયા, જ્ઞાન અને યોગની વ્યવસ્થિતિ, અપરિગ્રહ, શાન્તિ, દમ, ઈત્યાદિ દૈવી ગુણોનો ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારની થવી જોઇયે, એના ઉત્તમ દૃષ્ટાંત રૂપ છે.


નિશ્ચયો
૩. આ જીવનભાગનો વિગતવાર હેવાલ આ સ્થળે આપવો અશક્ય છે. એમાંના કેટલાક પ્રસંગોનો જ ઉલ્લેખ કરી શકાશે. એમણે સાધના કાળમાં વર્તનના કેટલાક નિશ્ચયો કરી રાખ્યા હતા. તેમાં પહેલો નિશ્ચય એ કે પરસહાયની અપેક્ષા રાખવી નહિ, પણ પોતાના વીર્યથી જ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવો. બીજાની મદદ વડે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે જ નહિ એવો એમનો અભિપ્રાય હતો. એમનો બીજો ઠરાવ એ હતો કે જે જે કાંઈ ઉપસર્ગો* તથા પરિષહોx

*અન્ય પ્રાણીઓએ કરેલાં વિધ્નો અને ક્લેશો.
x નૈસર્ગિક આપત્તિઓ. આવી પડે. તેમાંથી બચવાનો પ્રયત્ન કરવો નહિ. એમનો એવો અભિપ્રાય હતો કે ઉપસર્ગો અને પરિષહો સહન કરવાથી જ પાપકર્મોનો ક્ષય થાય છે અને ચિત્તની શુદ્ધિ થાય છે. દુઃખમાત્ર પાપકર્મનું ફળ છે,અ ને તે આવી પડે ત્યારે એને દૂર કરવા પ્રયત્ન કરવો તે જ આજનું દુઃખ માત્ર ભવિષ્ય પર ઠેલવા જેવું છે. એ ફળોને કદી પણ ભોગવ્યા વિના છુટકો થતો નથી.


વેઠેલા ઉપસર્ગો
અને પરિષહો
૪. આ કારણથી આ બાર વર્ષ એમણે એવા પ્રદેશોમાં ફરી ફરીને ગાળ્યાં કે જ્યાં એમને અધિકમાં અધિક કષ્ટ પ્રાપ્ત થાય. જ્યામ્ના લોકો ક્રૂર, આતિથ્યહીન, સંતદ્રાહી, દીનને ત્રાસ દેનારા, નિષ્કારણ પરપીડનમાં આનંદ માનનારા હોય ત્યાં એ જાણી જાણીને જતા. એવા લોકો એમને મારતા, ભૂખ્યા રાખતા, એમની ઉપર કુતરાં છોડતા, રસ્તામાં અઘટિત મશ્કરી કરતા, એમની સાધનામાં વિધ્ન નાંખતા. કેટલીક જગ્યાએ એમને ટાઢ, તડકો, વંટોળીયા, વરસાદ વગેરે નૈસર્ગિક વિટંબણાઓ તથા સર્પ,વાઘ વગેરે હિંસ્ત્ર પ્રાણીઓ તરફથી પણ

ભારે આપત્તિઓ વેઠવી પડી. આ બાર વર્ષનો હેવાલ આ ઉપસર્ગો અને પરિષહોનાં કરુણાજનક વર્ણનોથી જ ભરાઈ જાય છે. જે ધૈર્ય અને ક્ષમાની વૃત્તિથી એમણે એ સર્વ સહી લીધાં, તેથી સ્વાભાવિક રીતે જ આપણું હૃદય એમની તરફ આદરભાવે ખેંચાય છે. સર્પ જેવાં વેરને ન ભૂલનારાં પ્રાણીઓ પણ એમની અહિંસાવૃત્તિના પ્રભાવ તળે આવી વૈરભાવ છોડી દેતાં. પણ મનુષ્ય ઘણીવાર સર્પ અને વાઘ કરતાં યે વિશેષ પરપીડક થતો એમ એમનું જીવનવૃત્તાન્ત બતાવે છે.


કેટલાક પ્રસંગો:
મોરાક ગામ
૫. એકવાર મહાવીર મોરાક નામે ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં એમના પિતાના એક મિત્ર કુલપતિનો આશ્રમ હતો. એણે મહાવીરને પોતાના આશ્રમમાં એક ઝુંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા વિનંતિ કરી. ઝુંપડી ઘાસની બનાવેલી હતી. વરસાદે હજી મંડાણ કર્યું ન હતું. એક દિવસ કેટલીક ગાયો આવી અને એમના તથા બીજા તાપસોના ઝુંપડા ખાઇ જવા લાગી. અન્ય તાપસોએ ગાયોને લાકડી વતી હાંકી કાઢી, પણ મહાવીર તો પોતાના ધ્યાનમાં જ સ્થિર બેસી રહ્યા, આવી નિ:સ્પૃહતા બીજા તાપસોથી

ખમાઈ નહિ, અને તેથી એમણે કુલપતિ પાસે જઇ મહાવીરે પોતાની ઝુંપડી ખવાડી દેવાની વાત કરી. કુલપતિએ મહાવીરને બેદરકારી માટે ઠપકો આપ્યો. આથી મહાવીરે વિચાર્યું કે પોતાને લીધે અન્ય તાપસોમાં અપ્રીતિ થાય માટે એમણે ત્યાં રહેવું ઉચિત નથી.


પંચવ્રતો
તે જ સમયે એમણે પાંચ વ્રત ધારણ કર્યાં. (૧) જ્યાં બીજાને અપ્રીતિ થાય ત્યાં વસવું નહિ; (૨) જ્યાં રહેવું ત્યાં સદા કાયોત્સર્ગx કરીને જ રહેવું; (૩) સામાન્ય રીતે મૌન રાખવું; (૪) હાથમાં જ ભોજન કરવું; અને (૫) ગૃહસ્થનો વિનય કરવો નહિ.*


દિગંબર દશા
૬. એક વર્ષને અન્તે એમને બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ. એ સિદ્ધિનો એમણે કાંઇક ઉપયોગ પણ કર્યો. એ વર્ષને અન્તે જ એકવાર એક છીંડા-



xકાયોત્સર્ગ = કાયાનો ઉત્સર્ગ. શરીરને પ્રકૃતિને સ્વાધીન કરી ધ્યાનસ્થ રહેવું. એના રક્ષણ માટે કોઇ જાતના કૃત્રિમ ઉપાયો - જેવા કે ઝુંપડી બાંધવી, કામળી ઓઢવી, તાપવું વગેરે લેવા નહિ.

* પોતાની જરૂરિયાતો માટે ગૃહસ્થના ઉપર અવલંબીને ન રહેવું, અને એના કાલાવાલા ન કરવા. માંથી જતાં એમનું બાકી રહેલું અરધું વસ્ત્ર કાંટામાં ભરાઇ ગયું. જે છુટી ગયું તે ઉપયોગી નહિ જ હોય એમ માની લઇ મહાવીર ત્યાંથી આગળ ચાલતા થયા. પેલા બ્રાહ્મણે આ કટકો ઉપાડી લીધો.

મહાવીર આ દિવસથી પોતાના અંતકાળ સુધી દિગમ્બરx દશામાં વિચર્યા.


લાટમાં:
વિચરણ
૭. મહાવીરને સૌથી વધારે કનડગત અને ક્રૂર વર્તન લાટ* નામના પ્રદેશમાં મળ્યાં હતાં એમ કહેવાય છે. ત્યાંના લોકો અત્યંત આસુરી છે એમ જાણીને જ મહાવીર ત્યાં ઘણો વખત ફર્યા હતા.



xઅત્યાર સુધી મહાવીર શ્વેતામ્બર હતા, હવે દિગમ્બર થયા. આને લીધે જ જૈનોમાં ઉપાસનાના આવા બે ભેદો પડી ગયા છે. જે વસ્ત્ર સહિત મહાવીરની ઉપાસના કરે છે તે શ્વેતાંબર, જે નિર્વસ્ત્ર ઉપાસના કરે છે તે દિગમ્બર. દિગમ્બર જૈન સાધુઓ હવે ક્વચિત જ હોય છે.

'*લાટ તો ગુજરાતનું નામ છે અને તેથી કેટલાક એને ગુજરાત માને છે; પણ એક સ્નેહી કહે છે કે એ નામનો આસામનો તાલુકો છે. મગધ અને લાટ વચ્ચે મહાવીર એટલા જલદી ફરતા કે લાટ એટલે ગુજરાત સંભવતો નથી.
તપનો પ્રભાવ
૮. મહાવીર પ્રસિદ્ધિને દૂર જ રાખવા ઈચ્છતા હોય એમ વર્તતા. કોઈ ઠેકાણે લાંબો વખત સુધી રહેતા નહિ. જ્યાં માનનો સંભવ જણાય કે ચાલી નીકળે. એમના ચિત્તને હજુ શાન્તિ ન હતી. છતાં લાંબા કાળની તપશ્ચર્યાનો સ્વાભાવિક પ્રભાવ લોકો ઉપર પડવા લાગ્યો, અને અનિચ્છા છતાં ધીમે ધીમે એ પૂજનીય થતા ચાલ્યા.
છેલ્લો ઉપસર્ગ
૯. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. બારમે વર્ષે એમને સૌથી ભારે ઉપસર્ગ થયો. એક ગામમાં એક ઝાડ તળે એ ધ્યાનસ્થ થઈ બેઠા હતા એટલામાં એક ભરવાડ બળદોને ચરાવતો ત્યાં આવ્યો. અને કાંઇક કામ યાદ આવવાથી બળદની સંભાળ મહાવીરને કરી એ ગામમાં પાછો ગયો. મહાવીર ધ્યાનસ્થ હોવાથી એમણે ભરવાડનું કહેલું કશું સાંભળ્યું નહિ; પણ એમના મૌનનો અર્થ ભરવાડે સમ્મતિ તરીકે માની લીધો. બળદ ચરતા ચરતા દૂર ચાલ્યા ગયા. થોડી વારે ભરવાડા આવીને જુએ છે તો બળદ ન મળે. એણે મહાવીરને પૂછ્યું, પણ એમણે ધ્યાનસ્થ હોવાથી કશું સાંભળ્યું નહિ. આથી ભરવાડને મહાવીર ઉપર ખૂબ ક્રોધ ચડ્યો, અને એણે એમના

કાનમાં કોઇ જાતની ભયંકર શિક્ષા કરી* એક વૈદ્યે મહાવીરના કાન સાજા કર્યા, પણ એ ઇજા એટલી વેદનાભરી હતી કે આટલા ધૈર્યવાન મહાવીરથી પણ વૈદ્યની શસ્ત્રક્રિયા વખતે ચીસ પાડી દેવાઇ હતી.

બોધપ્રાપ્તિ
૧૦. આ છેલ્લો ઉપસર્ગ સહન કર્યા બાદ, બાર વર્ષના કઠોર તપને અન્તે વૈશાખ સુદ દશમને દિવસે જામ્ભક નામે ગામની પાસેના એક વનમાં મહાવીરને જ્ઞાન ઉપજ્યું, અને એમના ચિત્તને શાન્તિ થઇ.








'*કાનમાં ખૂંટીઓ મારી એમ મૂળમાં કહ્યું છે. કાંઇ પણ સખ્ત ઈજા કરી એટલું નહિ.