માણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૩. ઇચ્છાબા

←  ૨. દાજી મુસલમાન માણસાઈના દીવા
૩. ઇચ્છાબા
ઝવેરચંદ મેઘાણી
૪. ગાંધીજીની સભ્યતા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


3
ઇચ્છાબા

"ઓ ભૈ !"

"શું કહો છો, ઇચ્છાબા !"

"આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !"

'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ કઠાણા ગામમાં દધીચ બ્રાહ્મણ ડોસી ઇચ્છાબાનો કંઠ 'ઓ.......ભ.......ઈ !' એવા લાંબા લહેકે પલેપલ સુકાતો હતો. ચારેક કલાક રહ્યાં તે દરમિયાન 'ઓ....ભ....ઈ !' નહિ નહિ તો પચાસેક વાર ઇચ્છાબાના ગળાને ભીંજવતો રહ્યો.

ઇચ્છાબાનું ઘર અંધારિયું હતું. એંશી વર્ષની ડોશીના અંતરનો દીવો એ ઓરડાને અજવાળતો હતો. મહારાજે એમની વાતો કરી હતી એ પરથી કલ્પનામૂર્તિ ઘડી તેના કરતાં વાસ્તવમૂર્તિ તો, સામાન્ય અનુભવમાં બને છે તેથી ઊલટી જ રીતે, વધુ સુંદર નીકળી પડી. એંશી વર્ષે પણ અડીખમ ગુલાબી દેહ : પંદર પરોણાઓનું રાંધી નાખે : પાણી પણ ભાગોળેથી ભરી આવે : બેઠાં હોય ત્યારે રાજમાતા–શાં પ્રતાપી લાગે.

મહારાજ કહે કે, "આખા ખેડા જિલ્લા પર બાબર દેવા વગેરે બહારવટિયાનાં રમખાણો બદલ સરકારે 'પ્યુનિટિવ ટૅક્સ' (હૈડિયાવેરો) નાખ્યો ત્યારે તેની સામે ઉપાડવામાં આવેલ લડતમાં આ 'કાંઠો' મને સોંપાયો હતો. મેં ઇચ્છાબા પાસેથી પેલી પડી ગયેલી જગ્યાએ એક ખોરડું હતું તે ભાડે રાખ્યું. આધેડ વય વટાવી ગયેલાં એ બે દીકરાનાં માતા મારી જોડે બોલે કે ચાલે નહિ, પણ મારા રંગઢંગ જોયા કરે. હું હાથે રાંધતો. એકાદ તપેલી વગેરે નજીવું સાધન હતું. કોદરા અને મગની બે માટલીઓ હતી. એક વાર મેં ખીચડી ઓરી. પણ કોદરા ખાંડ્યા વગરના : મને કશી ગમ નહિ. ખીચડી તદ્દન કાચી રહી. ખાવા બેઠો, પણ ખવાયું નહિ. ઊઠીને બધી ખીચડી કૂતરાંને નાખી તે ઇચ્છાબાએ જોઈ લીધું. પછી બેચાર દા'ડા બહારગામ ગયો. પાછો આવીને જોઉં તો ખોરડું ધોળાઈ–લિંપાઈ ગયેલું ! બધી સૂરત ફરી ગઈ હતી. બીક લાગી કે, કોઈકને ભાડે આપી દીધું જણાય છે ! અંદર જઈને જોઉં તો મારી તપેલી ને હાંડલી પણ ન મળે. મેં પૂછ્યું. પહેલી જ વાર ઇચ્છાબાની જીભ ઊઘડી : 'ભ...ઈ, તમારે હવે ત્યાં રાંધવાનું નથી.' 'કેમ વારુ ?' 'અહીં જમવાનું છે.' 'શા માટે ?' 'ત્યારે શું ? રાંધતાં તો આવડતું નથી.' 'કોણે કહ્યું ?' 'કહેવું'તું શું ! કોદરા કૂતરાંને નાખ્યા હતા તે મેં નજરે જોયું છે, ભઈ !'