મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલ વિશે કેટલીક ફરિયાદ

← અનુભવ બીજો : મિત્રોની મુલાકાત મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલ વિશે કેટલીક ફરિયાદ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : હિંદીઓનું અયોગ્ય વલણ →


જેલ વિશે કેટલીક ફરિયાદ.

જેલમાં સાધારણ રીતે બહુ ચોખાઇ જાળવવામાં આવે છે. જો તેમ ના થતું હોય તો દરદ ફાટી નીકળતાં વાર ન લાગે. છતાં કેટલીક બાબતમાં ગંદકી પણ રહે છે. ઓઢવાની કામળી એક બીજાની સદાય બદલાય છે. ગમે તેવા મેલા કાફરાઓએ ઓઢેલી હોય તે પછી હિંદીને ભાગ પણ આવે. તેમાં ઘણાવાર લીખો પડેલી હોય છે, તે તેમાંથી બદબો નીકળે છે. કાયદા પ્રમાણે તો દરરોજ તડકો હોય ત્યારે અર્ધો કલાક તેને સુકવવી જોઇએ પણ તેમ ભાગ્યેજ થતું જોવામાં આવ્યું. કામળીની અગવડ ચોખાઇ રાખનાર માણસને જેવી તેવી નથી.

તેજ પ્રમાણે પહેરવાના કપડાનું ઘણી વાર બને છે. જે કપડાં એક કેદીએ પહેર્યા હોય તેજ કપડાં તે કેદી છૂટે ત્યારે (હંમેશાં ધોવામાં નથી આવતાં તેથી) બીજા કેદીને એવી મેલી સ્થિતિમાં પહેરાવે છે. આ ઘણી અકળામણની સ્થિતિ છે.

કેદીને ગીચોગીચ પણ બહુ પુરતા હતા. જોહાન્સબર્ગમાં જ્યાં માત્ર ૨૦૦ કેદીની સગવડ હતી ત્યાં લગભગ ૪૦૦ કેદી રાખતા. આથી એક કોટડીમાં કાયદેસર કરતાં બમણા કેદીને ઘણીવાર ભરતા તો તેને કોઇ વખત પૂરતી કામળી પણ નહિ મળે, આ તકલીફ જેવી તેવી ન હતી. પણ કુદરતનો ધારો એવો છે કે માણસ પોતાના દોષ વિના જે સ્થિતિમાં મુકાય તે સ્થિતિની બરદાસ ઝપાટાભેર કરે છે. આવું હિંદી કેદીને પણ બન્યું. ઉપરની ઘણી અડચણોમાં પણ હિંદી ગમતમાં રહેતા. મિ. દાઉદ મહમદ પોતે આખો દહાડો માજેમાં રહેતા એટલું જ નહિ પણ પોતાના હાસ્યવિનોદથી બધાને હસાવ્યા કરતા હતા.