મિથ્યાભિમાન/અંક ૮ મો/પ્રવેશ ૨. વૈદ્ય આવે છે

←  જીવરામભટ્ટનો મંદવાડ મિથ્યાભિમાન
વૈદ્ય આવે છે
દલપતરામ
મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ →


પ્રવેશ ૨ જો.

(સોમનાથ વૈદ્યને તેડી લાવે છે.)

રઘના૦—આવો વૈદ્યરાજ ! વૈદ્યને બેસવાને પાટલો લાવો, પાટલો.

રંગલો૦—(બે પાટલા લઇને)લોને, કહો તો આ એક પાટલો વૈદ્યને બેસવા, અને આ બીજો વૈદ્યના માથા પર મૂકું.

વૈદ્ય૦—(નાડ તથા શરીર તપાસે છે.)

રઘના૦—નાડ જોવાથી પીડાની ખબર પડતી હશે કે?

વૈદ્ય૦—અરે! અમારા બાપ પેશવા સરકારના વૈદ્ય કહેવાતા હતા, એ નાડ જોઇને ખાધેલું ધાન્ય વરતી આપતા હતા.

રઘના૦— કોઇવાર ખાધેલું વરતીને કહેલું ખરૂં ?

વૈદ્ય૦—એક વાર શેલુકરે અમારા બાપની પરીક્ષા જોવા સારૂ બોલાવીને કહ્યું કે અમારી સ્ત્રી માંદી થઇ છે; પણ તે હોઝલમાં રહે છે, તેથી કોઇ પુરુષનું મોંઢું કે હાથ દેખાડવાની ના કહે છે. માટે કેમ કરવું ?

રઘના૦—પછી વૈદ્યે શું કહ્યું ?

વૈદ્ય—કહ્યું કે બાઇને હાથે દોરી બાંધીને તે દોરી બાંધીને તે દોરી મારા હાથમાં આપો.

રઘના૦—પછી ?

વૈદ્ય—પછી એક બિલાડીના પગે દોરી બાંધીને વૈદ્યના હાથમાં આપી.

રઘના૦—વૈદ્યે શું કહ્યું?

વૈદ્ય—દોરી જોઇ ને નાડીની પરીક્ષા કરી ને તરત કહ્યું કે આજ બાઇએ ઉંદરનું માંસ ખાધું છે.

રંગલો૦—ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, આવો ગપ્પીજી, બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.

દેવબા૦—વૈદ્યરાજ , જીવરામભટ્ટને ભોંયરસો હળદર ભરીશું કે આવળ બાંધીશું ?

રંગલો૦— વાહ તમેજ ઓષડ જાણતાં હતાં ત્યારે વળી વૈદ્યનું શું કામ હતું?

વૈદ્ય—બહુ અમૂઢ માર વાગેલો છે, માટે નગરશેઠને [૧] ત્યાંથી મુમઈ લાવીને ઠોડીક પાઓ તો ઠીક.

સોમના૦—મુમઇ શેની થતી હશે?

વૈદ્ય—એવુંસાંભળ્યું છે કે શરીરે સાજો અને તાજો માણસ હોય તેને પકડી જઇને અથવા વેચાતો લઇને, એક બે મહિના સુધી ખૂબ મિષ્ટાન્ન તથ મશાલા ખવરાવીને શરીરે પુષ્ટ કરીને, પછી તેને મધની ભરેલી કોઠીમાં નાખે છે; અને બે ત્રણ મહિના રહેવા દઇને, તેનું માંસ અને મધ કાલવે છે તેની મુમઈ [૨] થાય છે. તે બહુ પુષ્ટિકારક હોય છે, માટે મોટા મોટા સાહુકારો ઘરમાં રાખે છે.

રંગલો— ત્યારે આ વૈદ્યરાજને પકડીને લઈ જાય તો તેની સાત આઠ મણ મુમાઇ થાય, કેમકે તે શરીરે બહુ જાડા છે.

દેવબા૦—વૈદરાજ એમન ગ્રહ કેવા છે ? તે જુઓને.

વૈદ્ય— (ટીપણું કાઢે છે.)

રઘના૦— વળી ટીપણું પણ રાખો છો કે?

વૈદ્ય—વૈદ્યને બધુંય જોઇએ; અને ખરેખરી તો ઇષ્ટ ઉપાસના જોઇએ. તે હોય તો ચુલામાંની રાખનું પડીકું બાંધીને આપે પણ ગમે તેવો રોગ હોય તો મટી જાય છે.

દેવબા૦— તમારે કયા ઇષ્ટની સાધના છે?

રંગલો—પૈસા દેવની.

વૈદ્ય—આજ કળિજુગમાં જેમ જ્યોતિષ અને વૈદક સ્થૂળ પડી ગયાં છે, તેમ મંત્રશાસ્ત્ર પણ સ્થૂળ પડી ગયાં છે; અને જેમ વૈદકમાં રેચ અને જ્યોતિષમાં ગ્રહણ, એ બેજ આજ સાચાં પડે છે, તે શિવાય વૈદકનું કે જ્યોતિષનું કળિજુગમાં કશું સાચું પડતું નથી; તેમજ कलौ चंडी विनायकौ કળિજુગમાં ચંડી કે ગણપતિ, એ બે જ ઇષ્ટ ફળે છે. બીજા દેવોમાં હવે જીવ રહ્યો નથી, માટે અમારે ચંડીની ઉપાસના છે. તેના પ્રતાપથી રળી ખાઇએ છીએ. અને કોયલાની કાળી રાખ, લાકડાની ધોળી રાખ તથા છાણની રાખ, તે ત્રણેને અજમો વાટી લુગડે ચાળીને જુદી જુદી ડાબડીઓ ભરી મૂકીએ છીએ, અથવા ગોળીઓ કરીએ છીએ તેનાં નામ मदन स्तंभनी. वज्रपाचनी, ज्वरांकुश એવાં એવાં પાડીએ છીએ. તેથી રોગી સાજા થાય છે અને આપણને જશ અંબાના પ્રતાપથી મળે છે.

રંગલો—ત્યારે વૈદકશાસ્ત્ર તો બધું જૂઠું કે ?

વૈદ્ય—એ સાચું પડતું હોય તો વૈધકમાં તો સોનું બનાવવાની ક્રિયા પણ લખેલી છે.

રંગલો—સોનું બનતું હોય ત્યારે તો વૈદ્યનાં ઘર સોનાનાં થાય જ તો ? પછી શું કરવા કોઈની નાડ ઝાલવા જાય ?

દેવબા૦—હવે જુવોને, આને કેટલા દહાડાની કઠણ દશા છે.

વૈદ્ય— (મેખ, વરણ, ગણીને) ચૌદશ, અમાસ ને પડવો ત્રણ દહાડા જાય તો પછી કાંઇ ફીકર નથી.

રંગલો—એ તો સઉ જાણે છે કે આ ત્રણ દહાડા જીવનાર નથી. દેવબા૦— તમે કાંઇ ઓષડ આપોને ?

વૈદ્ય— આજ બુધવાર છે. બુધે બેવડાય, માટે આજ ઓષડ અપાય નહિ.

દેવબા૦—હવે એટલું કહોને કે આખર રૂપાનો રૂપૈયો છે કે તાંબાનો!

જીવ૦—(આંખ થરડાય છે.)

વૈદ્ય૦—ખરેખરૂં કહેતાં મારી જીભ કેમ ઉપડે ?

દેવબા૦—હવે શું ? જે થવા કાળ હતું તે થયું. તેમાં તમે શું કરો ? ને અમે પણ શું કરીએ?

વૈદ્ય— શ્વાસ થયો છે અને આંખો થરડાય છે. હવે તો બાઈની ચુંદડીએ સત હોય તો બચે. અંબાજીની બાધા રાખો; અને જ્યાંસુધી લગારે જવાબ દઇ શકે ત્યાં સુધીમાં કાંઇ પૂછવું ગાછવું હોય તે પૂછી લો; અને દાન પુણ્ય કરવું હોય તે કરો. હવે ઓષડની વાત જવા દો.

રઘના૦—વૈદ્યરાજ ખરૂં કહે છે. હવે તો એજ કરવું.

દેવબા૦— જો જીવરામભટ્ટ સાજા થશે, તો હું અણવાણે પગે ચાલીને અંબાજીની જાત્રા કરીશ, અને આજથી ત્યાં સુધી કાંચળી નહિ પહેરૂં.

રંગલો— પણ મને જમાડજો.

દેવબા૦—વૈદ્યરાજ જુઓને આજ શી તથ છે ?

વૈદ્ય— (ટીપણું જોઇને) જીવરામભટ્ટ પુણ્યશાળી તો ખરા.

દેવબા૦—કેમ વારૂ ?

રંગલો—તે વિના કેદનું સુખ ક્યાંથી મળે ?

વૈદ્ય—આજ एकादशीनो પવિત્ર દહાડો છે. આજ વૈકુંઠના દરવાજા ઉઘડા રહે છે માટે આજ જે મરે તે પાંશરો વૈકુંઠમાં જાય.

રંગલો—આવા મિથ્યાભિમાની અને ઠગ વૈકુંઠમાં ન જાય તો પછી બીજા કોણ જશે ?

વૈદ્ય—પણ એક કહેવાનું છે.

દેવબા૦—વળી શું કહેવાનું છે?

વૈદ્ય—આજ પંચક છે. માટે જો પંચકમાં એક મરે તો, તે મહિનામાં બીજાં ચાર જરૂર મરે. તેમાં પહેલું धनिका ઘરપંચક કહેવાય, તેમાં કોઇ મરે , તો તેના ઘરમાંથીજ બીજાં ચાર મરે; અને બીજું शतभिषा મહોલ્લા પંચક, ત્રીજું पूर्वाभाद्रपद સગાપંચક, ચોથું उत्तराभाद्रपद નાતપંચક; અને પાંચમું रेवती ગામ પંચક કહેવાય.

દેવબા૦—ત્યારે આજ કેટલામું પંચક ?

વૈદ્ય—આજે ચોથું નાત પંચક છે, માટે તમારી નાતમાંથી બીજાં ચાર મરશે.

રંગલો—ઠીક થયું. એકેકા પછવાડે ત્રણ ત્રણ દહાડા જમવાનું ઠરશે, તો પણ મારા જેવાને પંદર દહાડા સુધી મિષ્ટાન ચાલશે.

દેવબા૦—(ગુસ્સાથી) તને વારે વારે જમવાનું બહુ સાંભરે છે. ન્હાની બાળક છોડીને રંડાપો આવશે, તેનો તો વિચાર કરતો નથી.

રંગલો—મને તો જમવાનું કાંઇ સાંભરતું નથી; પણ નાતની બાઇડીઓ પાણી ભરવા જતાં વાતો કરતી હતી, તેમાં એક જણીએ કહ્યું કે અરે! હમણાં તો નાતમાં જમવાનું ક્યાંઇ ઠરતું નથી. ત્યારે બીજીએ કહ્યું કે હવે જમવાના ઠરશે; કેમકે જીવરામભટ્ટ મરવા પડ્યા છે.

દેવબા૦—વૈદ્યરાજ, પંચકમાં મરે તેની કાંઇ ક્રિયા કરવી પડે કે?

વૈદ્ય—હા, દર્ભના પૂતળાં પાંચ કરીને તે માડદા સાથે બાળવા જોઇએ; ને કેટલીએક નાતોમાં તો પાંચ હાંલા ફોડવાનો ચાલ છે. એટલી શાંતિ કરે તો બીજાં ચાર મરે નહિ.

દેવબા૦— (રઘનાથભટ્ટને) તે બધું થતું હોય, તેમ સંભારીને કરજો, હો! નહિ તો એ તો આપને માથે ભાર.

રઘના૦—એ તો શુક્લ આવશે, તે સાંભરીને બધી ક્રિયા કરાવશે.

વૈદ્ય— હવે મને રજા આપો; કેમકે કદાપિ મરી જાય, તો મારા લુગડાં અભડાય.

રઘના૦—પધારોજી, તસ્દી માફ કરજો. (વૈદ્ય જાય છે.)

સોમના૦—જીવરામભટ્ટા હવે કાંઇ કહો છો?

જીવ૦—મારા બેહજાર રૂપૈયા વ્રજભુષણ દામોદરની [૩] દોકાને જમે છે.

રંગલો'—વ્રજભૂષણ દામોદરનો કોઇ ગુમાસ્તો આટલામાં છે કે ? કેમ આ ખરી વાત છે કે? હા, કે ના, કહેવી હોય તે અત્યારે કહેજો. નહિ તો જીવરામભટ્ટ મસાણમાં જશે, પછી કાલે સવારમાં રૂપૈયા બે હજાર રોકડા ગણી આપવા પડશે.

જીવ૦—સો રૂપૈઆનાં પુસ્તકો માર ઘરમાં છે. તમારી બહેન ન્હાની ઉમ્મરની છે, માટે તેને હંમેશા તમારે ઘેર રાખજો.

રંગલો—પુનર્વિવાહ કરશો તો શી ફીકર છે?

જીવ૦—મારૂં ઘર તથા સામાન વેચીને, તે રૂપૈયા તમારી બહેનના નામના સારે ઠેકાણે જેમ કરાવજો. તેના વ્યાજમાં તેનું ગુજરાન ચાલશે.

દેવબા૦—તમારો જીવ કશામાં રાખશો નહિ. તમારી પાછળ ગોદાન, પદ, ઉમામહેશ્વર, વગેરે આપીશ. તમારા જીવને સદગતિ કરજો.

રઘના૦—તમારી ઉત્તરક્રિયામાં ચોળખું તેડીને જમાડીશું, દક્ષણા આપીશું, એમાં પાંચસેં કે સાતસેં રૂપિયા વાવરીશું.

રંગલો—આટલું કમાઇને બિચરો મૂકી જાય છે ત્યારે તેના નિમિત્ત ધર્માદાખાતામાં કાંઇ આપવાનું કહોને?

રઘના૦—આ નાતો જમાડીશું તે ધર્માદા કે શું કહોને?

રંગલો—(મશાલચીને) મરો બાપ મરે ત્યારે હું તને જમાડીશ, અને તારો બાપ મરે ત્યારે તું મને જમાડજે, એવા ઠરાવથી એક બીજાને જમાડીએ તે ધર્માદા કહેવાય કે?

દેવબા૦—(જીવરામભટ્ટને) તમારી કેડે સજ્યાનું દાન કરીશું, તે તમે ધર્મરાજા પાસેથી માગી લેજો.

રંગલો—અને તમારી કેડે ખાંસડાનું દાન કરશે માટે જમરાજા પાસેથી ખાસડાં પણ માંગી લેજો. માગ્યા વિના આપે કે ન જ આપે.

જીવ૦—ચોખળું જમવાને બદલે હું કહું તે કરો, તો મારો જીવ ગતે જાય.

રઘના૦— તમે કહો તે કરીશું.

જીવ૦—જે ઠેકાણે મારા શરીરનો અગ્નિદાહ કરો, તે ઠેકાણે મારો મરણ સ્તંભ ચણાવવો, તેમાં એક આરસના પથરામાં હું કહું તે બાર દોહરા કોતરાવવા, તથા કાગળો છપાવીને ગામેગામ પહોંચાડવા, કે જેથી સઉના જાણવામાં આવે કે જીવરામભટ્ટનો જીવ મિથ્યાભિમાનથી ગયો છે.

રઘના૦—વારૂ, તે દોહરા લખાવો, તમારા કહ્યા પ્રમાણે કરીશું.

જીવ૦—દોહરાં લખાવે છે. રઘનાથભટ્ટ લખે છે. પછી વાંચી સંભળાવે છે (તે આગળના પ્રકરણમાં છે)


  1. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના નગર શેઠનું નામ લેવું
  2. એ તો ગપ છે , મુંબાઇ શહેરમાં પણ મુમઇ થાય છે, તે રાળ, ભીલામા, માણસના માથાના વાળ, કસ્તુરી અને અંબર વગેરેને તેલમાં રાંધે છે, માર વાગ્યા ઉપર, મુમઇ વાલ બે ઘીમાં કકડાવીને લૂગડે ગળીને પાય છે, તે ઘીમાં ઓગળી જાય છે. અમદાવાદમાં પણ થાય છે.
  3. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના શાહુકારનું, કે સભામાં બેઠા હોય તે શાહુકારનું નામ લેવું