← મરશિયાની મોજ સૌરાષ્ટ્રની રસધાર ૪
તેગે અને દેગે
ઝવેરચંદ મેઘાણી
દુશ્મનોની ખાનદાની →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




૧૧
તેગે અને દેગે

મનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.”

“ક્યાં?”

“સોરઠમાં.”

“કેમ?”

“દ્વારકાનું રાજ અપાવું.”

રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્વારકા નગરીના રાજની આશાએ ગોકુળ-મથુરાના આહીરો અને ભરવાડ ઉચાળા ભરી, ગોવાલણોને લઈ ગોધાને માથે ઉચાળા નાખી, ધેનુઓનાં ધણ હાંકતાં હાંકતાં, મહારાજની વાંસે વાંસે હાલી નીકળ્યા. પણ માર્ગે મરુભોમકા આવી. ઊનાં ઊનાં રેતીનાં રણ વીંધવાં પડ્યાં. કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાઓએ બાકી ન રાખી.

ત્યાં તો હાલારમાં મચ્છુકાંઠો દેખાયો. માથે અષાઢીલા મેઘ મંડ્યા. નાની નાની ડુંગરીઓ, લીલુડાં ઓઢણાં ઓઢીને ગોપીઓ વૃન્દાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઈ ગોવાળ, ગોવાળણો અને ગૌધન આ ભોમકા ભાળીને ગાંડાંતૂર બની નાચી ઊઠ્યાં. સહુએ ભેળાં થઈને ડાંગ ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે “આંહીંથી એક ડગલુંયે નહિ દઈએ. હવે જો કાંઈ બોલ્યો છે ને તો તને ડાંગે ડાંગે પીટીશું.”

“અરે, મૂરખાઓ, હાલો તો ખરા ! હજી સોરઠના હિલોળા તો આગળ આવશે.”

“આંહીંથી ડગલું દે, ઈ તારો દીકરો !”

“ગંડુ થાવ મા. રાજપાટ અપાવું.”

“ઇંદ્રાસન અપાવ તોય નથી જોતું.”

દોટ મેલીને કૃષ્ણે આહીરો અને રબારીઓની છાતી ઉપર અક્કેક ધબ્બો લગાવી દીધો, અને વરદાન દીધું કે –

“જાઓ, નાદાનો ! આપણા સંગાથની લેણાદેણી પૂરી થઈ ગઈ. પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે, ત્યાં સુધી તો જુગ જુગે હું તમારી તેગે ને દેગે હાજર રહીશ.

“તમારી તલવારને લાજવા નહિ દઉં અને ભોજનનો તૂટો પડવા નહિ દઉં. તલવારમાં શૌર્ય પૂરીશ અને ભોજનમાં સે પૂરીશ.”

*

મચ્છુને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસાં વીત્યાં. સોરઠમાં આહીરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તે ગામને ભાંગીને કોઈ પણ શત્રુઓનું ધાડું કોરું-ધાકોર ગયું નથી. આહીર બચ્ચો તલવાર તો તલવાર અને લાકડી તો લાકડી લઈને દોડ્યો છે. આજ એવા હજારોમાંથી એક જ આહીરનાં પરાક્રમ કહીએ :

સંવત ૧૮૪૮માં ભાવનગરના ભોપાળ આતાભાઈની ચિત્તળ ઉપર ચડાઈ ચાલે છે. ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે. હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે.

એક મહિનો, બે મહિના, ત્રણ, અને છ મહિનાના સૂરજ ઊગી ઊગીને આથમ્યા, પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી. કાઠીઓના કોટની કાંકરીયે ખરતી નથી. ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપના ગોળાનો માર ગોહિલોથી ખમાતો નથી. થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે.

“છે એવો કોઈ બેમાથાળો આ દાયરામાં જે દોડ મેલીને કાઠીઓની તોપના કાનમાં ખીલા ઠોકી આવે ?” એમ બોલતાં બોલતાં આતાભાઈ એ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી.

“બાપુ!” વાછાણી અને દેવાણી વીરો હોકારી ઊઠ્યા, “મરવાની બીક નથી, પણ તોપોની સામે ચાલીને શું કરીએ? તેની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને !”

“સાચી વાત છે, ભાઈ ! નવલખા શૂરવીરને હું મફતના ફૂંકાવી નાખવા નથી માગતો.”

“ઊભા રો બાપુ !” એટલું બોલતો બોલતો, દાયરાના આઘા આઘા ખૂણામાંથી એક આદમી ઊભો થયો.

“હું જ એ બીડું ઝડપું છું. જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું. અને જો વચ્ચેથી જ મર્યો, તો તમારા નામ ઉપરથી ઘોળ્યો ! મારે તો બેય વાતે મજો છે. લાવો બીડું, બાપુ !”

“તારું નામ ?”

“જાદવ ડાંગર.”

“જાતે ?”

“આયર.”

“ગામ?”

“લંગાળું.”

“તું જઈશ? એકલો?” આતાભાઈએ પ્રીતિની નજર ઠેરવી.

“એકલો? આયર એકલો હોય નહિ, બાપુ ! એની તેગે ને દેગે ઈશ્વર આવે છે.”

“ભાઈ, ઓરો આવ, આશિષ આપું.”

જાદવે જઈને આતાભાઈનાં ચરણમાં હાથ દીધા. એની પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી.

“જા, બાપ! તારી ધારણા પૂરી કર. તારા પરિવારની ચિંતા કરીશ મા.”

જાદવે ઘોડીને રાંગમાં લીધી. ભેટમાં ખીલા અને હથોડી બાંધ્યાં. કેડે તલવાર અને ખોભળે ભાલો ભેરવ્યો. મોરલીધરનું નામ લઈને સમીસાંજે કાઠીઓની તોપ સામે ઘોડી દોડાવી.

સામે કાઠીઓની ધૂંવાધાર તોપો ફૂટે છે. ધુમાડા ગોટેગોટ વળીને ગૂંગળાવી રહ્યા છે. આંખો કંઈ ભાળતી નથી. તોય જાદવની ઘોડી તો ઝીંક્યે જ જાય છે.

આવ્યો ! આવ્યો ! આવ્યો ! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઈ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તલવારનો અક્કેક ઝટકે અક્કેક ગોલંદાજનું માથું લઈ લ્યે છે અને અક્કેક તેમના કાનમાં ખીલો ઠોંસે છે. પછી બીજો ઝટકે, બીજું માથું, અને બીજી તોપને ખીલોઃ એમ ત્રીજી, ચોથી, અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી. ગૂંગળાતે, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો.

તે પછી આતાભાઈનો હલ્લો થતાં કાઠીઓ નાઠા.

તગડ ઘોડે છે રોઝ ત્રાઠા,
કુંપડો કે’ જુએ: કાઠા,
નોખનોખા જાય નાઠા.

આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે.