રસિકવલ્લભ
પદ-૧
દયારામ
પદ-૨ →




श्री जगदीश्वराय नमः

दयारामकृत.

रसिकवल्लभ.

રાગ સામેરી.

પ્રથમ જ પ્રણમું શ્રી ગુરુપાયે'જી, વાહાલ્યે વંદુ શ્રીવ્રજરાયે'જી;
અષ્ટ સખા વંદુ હરિરૂપજી, રસિક શિરોમણિ કવિકુલભૂપજી. [૧]
મુજને જાણી સહુ નિજ દાસજી, મુજ હ્રદયમાં પૂરો વાસજી;
મુજને ભાસે નિજ પ્રભુ પંથજી, રચું "રસિકવલ્લભ" શુભ ગ્રંથજી.[૨]

ઢાળ.

આ ગ્રંથરચના કરું છું, ગુરૂશિષ્ય સંવાદે કરી;
જેમાં ખંડન માયાવાદ શુદ્ધાદ્વૈત પ્રતિપાદન ભરી.[૩]

જે થકી સહુ સંદેહ ટળે, સિદ્ધાંત સૂધું ભાસે;
પડે પ્રતીતિ પર્વતપ્રાયે, [નિશ્ચે] ભ્રમણ ભ્રાંતિ નાસે.[૪]
હોય પ્રગટ ભક્તિ પ્રેમ, શ્રીગિરિધર વસે ઉરમાંય;
નિજ કરી કરૂણાદૃષ્ટિ ભાળે, સહજ ઝાલે બાંય.[૫]
એવું કથન હું કરું છું, શ્રીગુરૂ કૃષ્ણપ્રતાપ;
સ્થાપન સગુણ સાકારનું, હરિ વિશ્વ કરતા આપ.[૬]
નિત્ય ધર્મ સેવક સ્વામીનો,ઐક્યતા નહીં કો કાળ;
ઈયાદિ વર્ણન કરીશ સરળ, જેમ સમજે બાળ.[૭]
ગ્રહી શાસ્ત્રમત ઇતિહાસ અદ્‌ભુત, યુક્તિસહ દૃષ્ટાંત;
જે સુણ્યેથી જન દયાપ્રીતમ, કૃષ્ણ પદ રહે ચંત. [૮]



  1. ૧ રાગ સામેરી–છેવટની ‘જી’ બાદ કરતા ‘ચોપાઇ’ છે. વા’લે–વાહાલથી. વ્રજરાય–કૃષ્ણ, અષ્ટસખા—સુરદાસ વગેરે આઠ પરમ ભક્ત થઈ ગયા છે તેમને અષ્ટ સખા કહે છે, રસિકશિરોમણિ–સપ્તમી તત્પુરૂષ, અષ્ટ સખાનું વિશેષણ કવિકુળભૂષણ–કવિઓના કુળના રાજા–અર્થાત્ સર્વોત્તમ કવિરૂપ અષ્ટ સખાનું વિશેષણ, અથવા હરિરૂપ અષ્ટ સખા, રસિકશિરોમણિ પુરૂષો અને કવિકુળભૂપ એવા બીજા પુરૂષો એ સર્વને હું પ્રથમ પ્રણામ કરૂં છું.
  2. ૨ રસિકવલ્લભ–રસયુક્ત અને તેથી પ્રિય. અથવા રસિક–રસજ્ઞ પુરૂષો ને વલ્લભ.
  3. ૩ ઢાળ–ઢાળનાં પહેલાં બે ચરણ હરિગીતનાં છે, તથા બાકીનાં ચરણ ૨૬ માત્રાના શંકર છંદનાં છે. માયાવાદ–જગતનું કારણ અનિશ્ચનીય (જેને સત્ કે અમત્ એ માંથી એક્કે રૂપે કહી શકાય નહિ એવી) માયા છે એવો વાદ કરનારા વેદાંતી વગેરે. શુદ્ધા દ્વૈત ઇ૦ – જે ગ્રંથની રચના શુદ્ધા દ્વૈતમતના પ્રતિપાદનથી ભરેલી છે કર્ત્તા અને કાર્ય, સ્વામી અને સેવક, જીવ અને ઇશ્વર, ઈત્યાદિ દ્વૈત (બેનુ જોડું) કહેવાય છે. બેની એકતાને દ્વૈત કહે છે.
  4. ૪ સૂધું—સીધું, પ્રતીતિ—વિશ્વાસ પર્વતપ્રાયે—પર્વત સરખી અચળ.
  5. ૫. નિજ કરી–પોતાનો કરીને કરૂણા દૃષ્ટિ(એ). સહજ ઈ૦–સહેજ બાંય ઝાલે–સહાય કરે
  6. ૬. સગુણ–દીનબંધુત્યાદિ ગુણ સહિત. સાકાર–આકાર સહિત અર્થાત્ ઈશ્વરના સગુણપણાનું તથા સાકારપણાનું સ્થાપન કરીશ. (જે) હરિ આપ–પોતે વિશ્વના કર્ત્તા છે.
  7. ૭. સેવક સ્વામીનો ઇ૦–સેવ્ય સેવક ધર્મ નિત્ય છે–અનાદિ અને અનંત છે. મતલબ કે એક સેવક અને બીજો સેવ્ય એ વિધિ અનાદિથી ચાલ્યોજ- આવે છે ઐક્યતા एकमेवाद्वितीयं ब्रह्मनेहनानास्तिकिंचन ઈત્યાદિ જીવ બ્રહ્મની એકતા પ્રતિપાદન કરી છે તે યથાર્થ નથી
  8. ૮ અદ્‌ભુત—યુક્તિ (અનુમાનાદેિ)નુ વિશેષણ ચત—મન્, દયાપ્રીતમ —દયારામના પ્રીતમ — પ્રિયતમ્ કૃષ્ણ.