← પદ-૧૦૬ રસિકવલ્લભ
પદ-૧૦૭
દયારામ
પદ-૧૦૮ →


પદ ૧૦૬ ઠ્ઠું

સદ્‍ગુણ સઘળાં જેમાં હોયજી, કૃષ્ણ વિના વલ્લભ નહિ કોયજી;
તે જનમાં કંઈ દોષ દેખાયજી, તે સમજવો હરિ ઇચ્છાયજી.

કાજળ ટબકું રૂપી સુત ગાલેજી, માત કરે છે જ્યમ ઉરવહાલેજી;
લઘુ લાંછનથી રક્ષણ બાલજી, ત્યમ નિજ જન જાણે ગોપાલજી.

ઢાળ

ગોપાળ ધૃત કાંઈ અવગુણ તે સમજવો એણી પેર;
નહિ તો અમિત અવગુણભર્યા, જન ઘણા ઘેર ઘેર.
તે કર્યો કૃષ્ણ ન માનવો, જે યત્ન કરતાં જાય.
હરિ મૂક્યો દોષ મટે નહિ, કરતાં અનેક ઉપાય.
તે દોષ હરિજનનો લખી નિંદા ન કરવી કોય;
પ્રભુ ધર્યો તે ક્ષણમાં હરે, નારકી નિંદક હોય.
સહુ દોષનૃપ એ દોષ જોવા, દોષ ભગવદી જન્ન;
નહિ પ્રાયશ્ચિત, ભોગે ટળે, વા કર્યેથી પ્રસન્ન.

સહુ વેશ વૈષ્ણવ પૂજવો, હોય જ્ઞાની વા અજ્ઞાન;
જ્યમ ગમે તેવી ગાય પણ, ફલ તોષ દોષ સમાન.
શુભ ગુણી સાધુ સેવીએ, તે ધર્મનું સેવન;
હરિ બાનું કેવળ અર્ચવું, તે દયાપ્રભુ અર્ચન.