← પદ-૩૮ રસિકવલ્લભ
પદ-૩૯
દયારામ
પદ-૪૦ →


પદ ૩૮ મું

સુણી એમ વદિયા ગુરુવચંનજી, તું સમ નથી કો મૂર્ખ જંનજી;
ભેદ શૂન્ય જો ગુરુ નિજ પેખેજી, શિષ્ય ગુરુને ભિન્ન નાં દેખેજી.

અવર વસ્તુ જો છે નહિ લેશજી, ગુરુ કહે કહોને ઉપદેશજી;
ભેદ દૃષ્ટિ તુજ મત નહિ જ્ઞાંનજી, સુણ્યો ન ઉપદેષ્ટા અજ્ઞાનજી.

ઢાળ

અજ્ઞાનીને અધિકાર નહિ, જ્ઞાની ન ભેદ લગાર;
તો તાહરે મત ઉપદેશનો, સંભવે નહિ જ વિચાર.
એમ સુણી બોલ્યો શિષ્ય, વિનિત કરું સુણીયે સ્વામી;
એ વાત જૂઠી નથી, સાચી છે જ, કહું શિરનામી.
એક ચન્દ્ર, દૃષ્ટિદોષવાળો દેખે ઉભયાકાર;
દેખનારો પણ સત્ય ન કહે, સમજી નેત્ર વિકાર.

નિત્ય પ્રત્યે એક વિલોકીયો તે, સત્ય માને મંન;
પરિણામ મિથ્યા મિથુન થાતાં નિર્મળાં લોચન.
સુણ શિષ્ય શશિ સાચો ન છળતો શું દૃષ્ટિ બે આવે?
જો જોનારો નથી સત્ય તો, બે ચન્દ્ર કોણ બતાવે?
શ્રોતા ન સાચો હોય તો કહે કોણ આગળ વાત?
સાકાર સાચા દયાપ્રીતમ, સત્ય ભવ સાક્ષાત્.