← પદ-૪૫ રસિકવલ્લભ
પદ-૪૬
દયારામ
પદ-૪૭ →


પદ ૪૫ મું

નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થજી, એમ કર્યો મહામત્ય સમર્થજી;
પ્રાકૃત ગુણ નહિ જેમાં લેશજી, અપ્રાકૃત ગુણ ભર્યા અશેષજી.
સત્ ચિત્ આનંદ આદિ અનંતજી, ઐશ્વર્યાદિસહ ભગવંતજી;
અગુણસગુણ એ બ્રહ્મ વિચારજી, કેવળ નિર્ગુણ કહે ગમારજી.

ઢાળ

કહે છે ગમાર ગતિ વિના, જીવ બ્રહ્મ થાયે એક;
ભળે બ્રહ્મમાં એ કથન છે, જીવ ભિન્ન ભાખું વિવેક
નદી નીર ચડી સાગર ભળે, ભિન્નતા ન ભાસે લેશ;
નિજ ઉદક લેઇ પાછો ફરે, સરિ સલિલ રહે અવશેષ.
બહુ વૃક્ષના રસ ભળેથી, નિપજે મધુઅપૂપ;
નવ સ્વાદ જૂદો અન્ય, મક્ષી જ્ઞાન પૃથક સ્વરૂપ.

નથી ભિન્ન તો ક્યમ જનક બોલ્યો, બ્રહ્મસ્વરૂપ ?
વળી બ્રહ્મ ભળિયાં નિકળ્યા, વ્રજવાસી ક્યમ અનુપ?
કદી બ્રહ્મ ભળ્યા તોયે સુખ કશું, જળસ્વાદ શો જળરૂપ,
જ્યમ કમળ ગંધ ન કમળને, ભોક્તા સુગંધ મધુપ.
છતે સ્વામીએ વિધવાપણું, સહુ માને માયાવાદી,
જન દયાપ્રીતમ કૃષ્ણાનંદના રસિકજન છે સ્વાદી.